મંગળવાર, 26 મે, 2015

મોદી @ 365 : બ્રાન્ડ ઈન્ડિયાના નામે બ્રાન્ડ મોદીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની રણનીતિ

- આનંદ શુક્લ
અમેરિકાના મેગેઝીન ટાઈમે બે વર્ષ પહેલા તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને મુખપૃષ્ઠ પર- ધ અન્ડરએચીવર ગણાવ્યા હતા. તો ટાઈમ મેગેઝીનના તાજેતરના અંકના મુખપૃષ્ઠ પર –વ્હાઈ મોદી મેટર્સ હેઠળ વડાપ્રધાનને ચમકાવ્યા છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ભારતના કરિશ્માને વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવા માટે બ્રાન્ડ ઈન્ડિયા ગણાવી રહ્યા છે.. તે હકીકતમાં બ્રાન્ડ મોદી માટે આંતરરાષ્ટ્રીય મંચો પર સ્થાન ઉભું કરવાની કોશિશ હોવાની માન્યતા પણ પ્રવર્તી રહી છે. બ્રાન્ડ ઈન્ડિયા માટે કરાયેલા કામોના વિશ્લેષણથી બ્રાન્ડ મોદીની હકીકતો પણ સામે આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 365 દિવસમાંથી 48 દિવસ સુધી વિદેશમાં રહ્યા છે. તેમણે 17 દેશોની મુલાકાત લીધી છે. મોદીએ હજારો કિલોમીટરનો ગગનવિહાર કરીને બ્રાન્ડ ઈન્ડિયાને સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો છે. 26 મે-2014ના રોજ શપથવિધિના 21મા દિવસથી જ તેમણે વિશ્વવિહાર શરૂ કર્યો હતો. 2015માં પણ આ વર્ષે 19 મે-2015 સુઘીમાં તેમણે 15 દિવસ વિદેશ પ્રવાસ કરીને તેમણે 10 દેશોની મુલાકાત લીધી છે. મોદી પોતાની દરેક વિદેશ યાત્રામાં ભારત સંદર્ભે બોલવાનું ચુકતા નથી.

ફ્રાન્સની યાત્રા દરમિયાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ સાથે નૌકાવિહાર કરીને ચર્ચા કરી હતી. તેમની દરેક વિદેશ યાત્રામાં આવી કોઈને કોઈ વિશેષતા હોય છે. મોદીની વિદેશ યાત્રા પાછળ ઈકોનોમિક ડીલ સાથે એનઆરઆઈ અને ભારતીય મૂળના લોકોની સાથે મુલાકાતો અને સભાઓને વડાપ્રધાને સંબોધનો કર્યા છે. અપ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોને ભારત સાથે જોડવાની કોશિશ અને તેમની સાથે વાતચીતથી બ્રાન્ડ ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે. સાથે વિદેશમાં વસતા ભારતીયોને દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાના પ્રયત્નો સાથે દેશના વડાપ્રધાન તેમને ભૂલ્યા નથી.. તેવો ભાવ પણ પેદા થઈ રહ્યો હોવાની માન્યતા પ્રવર્તી રહી છે.

મહત્વપૂર્ણ છે કે મોદીના મિશન પીએમ માટે વિદેશમાં વસતા ભારતીયોએ લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં મોટો રસ લીધો હોવાની વાત પણ ભૂલવી જોઈએ નહીં. નરેન્દ્ર મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે કે જેમણે વિદેશમાં વસતા ભારતીયો સાથે સૌથી વધારે સંવાદ કર્યો છે. ત્યારે બની શકે કે એનઆરઆઈમાં બ્રાન્ડ ઈન્ડિયા અને બ્રાન્ડ મોદી એકબીજાના સમાનાર્થી બનીને પ્રસ્થાપિત થાય.


દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિને પહોંચાડી છે. તેના માટે ભગવદ ગીતા.. મહાત્મા ગાંધી... ભગવાન બુદ્ધ... ભારતનું ચિંતન.. પર્યાવરણ અને શાંતિના સંદર્ભમાં કરતા રહ્યા છે.

નરેન્દ્ર મોદી 2002થી તેમની બની ચુકેલી એક કથિત છબી સામે યુદ્ધ ખેલતા રહ્યા છે. આ જંગમાં જીત મેળવીને તેઓ વડાપ્રધાન બનવામાં સફળ થયા છે. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી કેટલીક આશંકાઓને દૂર કરવા માટે મોદીએ એક અલગ પ્રકારની રણનીતિ સાથે પોતાને એક વિકાસવાદી.. શાંતિપ્રિય.. કુશળ પ્રશાસક તરીકે પ્રસ્થાપિત કરીને વૈશ્વિક નેતાઓની કક્ષામાં લાવવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા છે. ચોક્કસપણે ભારતના વડાપ્રધાન હોવાના નાતે આમ કરવું માત્ર મોદી માટે જ નહીં પણ ભારતના હિતોના સંરક્ષણ માટે પણ જરૂરી છે.

નરેન્દ્ર મોદીએ ભારતને સોફ્ટ પાવર તરીકે રજૂ કરવા માટે દેશની શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે ભગવાન બુદ્ધની મોટાભાગના વિદેશ પ્રવાસોમાં વાત કરી છે. તેમણે નેપાળ- ભૂટાન- જાપાન- શ્રીલંકા સહીતના દેશોમાં શાંતિ અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ ભારત સાથે જોડાણના ઈરાદે ભગવાન બુદ્ધને યાદ કર્યા છે.

ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમ સંદર્ભે એનપીટી પર હસ્તાક્ષર નહીં કરવાને કારણે યુરેનિયમનો પુરવઠો મેળવવામાં કેટલીક અડચણો હતી. પરંતુ આવા સંજોગોમાં અમેરિકા.. કેનેડા.. ઓસ્ટ્રેલિયા.. ફ્રાન્સ.. જાપાન.. જેવા દેશોમાં તેમણે મહાત્મા ગાંધીની અહિંસક લડતને અવાર-નવાર યાદ કરાવી છે. અમેરિકા.. ઓસ્ટ્રેલિયા.. ફ્રાન્સ.. જેવી વિદેશ યાત્રામાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતીમાની મુલાકાત લઈને માલ્યાર્પણ પણ કર્યું છે. આતંકવાદની લડાઈમાં પાકિસ્તાનની આતંકી માનસિકતાને હાસિયામાં ધકેલીને અમેરિકા અને પશ્ચિમના દેશો સાથે આતંક સામેના જંગમાં ભારતનો અભિપ્રાય રજૂ કરવા માટે પણ મહાત્મા ગાંધીના કેટલાંક સંદર્ભો અવશ્યપણે પરોક્ષપણે ટાંકીને ભારતની શાંતિપ્રિયતાનો મુદ્દો રજૂ કર્યો છે. જેના કારણે આતંકના આકાઓ દ્વારા જમ્મુ-કાશ્મીર મામલે ખેલાતા ખૂની ખેલને ખુલ્લો પાડી શકાય.

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પહેલીવાર વૈશ્વિક નેતાઓને શ્રીમદ ભગવદ ગીતા ભેંટ આપી છે. શ્રીમદ ભગવદ ગીતા હિંદુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. મહાભારતના યુદ્ધ વખતે અન્યાયને પરાજિત કરવા ન્યાયની લડાઈ લડવા અર્જુનને આપવામાં આવેલો ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ શ્રીમદ ભગવદ ગીતામાં છે. નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ગાંધીજી દ્વારા લિખિત શ્રીમદ ભગવદ ગીતાની પ્રતિ ભેંટ કરી હતી. તો જાપાનના વડાપ્રધાન શિંજો આબેને પણ તેમણે ગીતા ભેંટ કરી હતી. જાપાનમાં નરેન્દ્ર મોદીએ ગીતા ભેંટ કરવાના મામલે ઘરઆંગણે થઈ રહેલી સેક્યુલારિઝમના નામે ટીકાઓને જવાબ પણ આપ્યો હતો. જેના ગૂઢાર્થો ઘરઆંગણાની રાજનીતિ અને વિદેશ માટે પણ ઘણાં મહત્વના છે.

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના મુદ્દા ઉઠાવતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય તત્વચિંતનને વૈશ્વિક મંચો પર મૂક્યું છે. યુનો હોય.. જાપાન હોય.. અમેરિકા હોય.. ઓસ્ટ્રેલિયા હોય.. કે અન્ય કોઈ દેશ જ્યાં પણ સંદર્ભો હતા... ત્યાં તેમણે ભારતની પર્યાવરણપ્રેમી ભારતીય તત્વચિંતનને વિશ્વ સામે મૂક્યું... પછી તે ગાયનું દૂધ પીવાય..ગાયને કપાય નહીં તેવું જાપાનમાં કરેલું નિવેદન હોય કે પર્યાવરણની જાળવણી માટે ભારતીયોની જીવનપદ્ધતિ સાથે સંકળાયેલા મુદ્દા હોય.

ભારતને શાંતિપ્રિય.. પર્યાવરણ મિત્ર.. ન્યાયપ્રિય દર્શાવવા સાથે પોતે પણ આ મૂલ્યોમાં માનતા હોવાનું તેમણે વૈશ્વિક મંચો પર દર્શાવ્યું છે. જેનો સીધો અર્થ છે કે ભારત વિશ્વમાં એક મોટી ભૂમિકામાં આવે... તો તેના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પણ વૈશ્વિક નેતાની ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે.. આવા સમયે પ્રગતિશીલ અને શાંતિપ્રિયતા માટેની પ્રતિબદ્ધતા આંતરરાષ્ટ્રીય મંચો પર રજૂ કરવી પણ ખૂબ જરૂરી છે. તેમણે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય બનાવવા માટેની બાબતોની રજૂઆત પણ વિદેશમાં વસતા ભારતીયોની સભામાં કરી છે.

યુનો દ્વારા વિશ્વ યોગ દિવસની જાહેરાત કરવામાં આવી છે.. તેના માટે યોગની વૈશ્વિક મંચ પર પીએમ મોદીની રજૂઆતની સીધી અસર છે.

27 સપ્ટેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે યુનોની અંદર વાજપેયીની પરંપરાને આગળ વધારતા હિંદીમાં સંબોધન કર્યું હતુ. આ ભાષણમાં તેમણે આખરી તબક્કામાં વિશ્વમાં લોકોના આરોગ્યનો મુદ્દો ઉઠાવીને યોગની જરૂરિયાત હોવાની વાત આગ્રહપૂર્વક આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગ સંદર્ભેની વાતની ઘણી મોટી અસર ઉભી થઈ હતી. મોદીની યોગ માટેની જરૂરિયાતનું 170થી વધારે દેશોએ સમર્થન કર્યું છે. તો 11 ડિસેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની ઘોષણા પણ કરી છે. ભારતીય યોગને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવા માટે બનેલી વૈશ્વિક સમજૂતી ભારતીય સંસ્કૃતિ અથવા તો બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્વિક પટલ પર મજબૂતી મળવા જેવું છે. સાથે વૈશ્વિક મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત સ્વીકારવામાં આવી રહી છે તેના પણ સંકેત મળી રહ્યા છે.

ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતની આઈટી ક્ષેત્રની કાબેલિયતનો દેશ માટે પુરો ઉપયોગ કરવાની મોદીની મનસા છે. પરંતુ તેની સાથે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વૈશ્વિક પટલ પર ભારતની સારી છાપ ઉપસાવીને દેશના સક્ષમ આઈટી પ્રોફેશનલ્સની શાખને આધારે ઉભી કરવા ઈચ્છ છે.

2011ના વસ્તીગણતરીના આંકડા પ્રમાણે ભારતમાં લગભગ 75 ટકા લોકો જ સાક્ષર છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવા કૃતસંકલ્પ દેખાઈ રહ્યા છે.

મોદીએ પોતાની જાપાન યાત્રામાં કહ્યુ હતુ કે કેટલાંક લોકો વચ્ચે ભારતની છબી સાપ સાથે ખેલતા મદારીઓના દેશની છે. મોદીએ કહ્યુ કે પહેલા સાંપથી રમતા હતા અને હવે માઉસથી રમીએ છીએ. તેમણે કહ્યુ કે જ્યારે ભારતીયો માઉસ ચલાવે છે.. ત્યારે દુનિયા ચાલે છે.

કેનેડાના પ્રવાસ દરમિયાન તેમણે દુનિયાભરમાં પોતાની આવડતનો ડંકો વગાડનારા આઈટી પ્રોફેશનલ્સના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ગુગલ.. માઈક્રોસોફ્ટ જેવી ડિજિટલ ક્ષેત્રમાં નિર્માણ થયા છે.. પરંતુ ભારતીયોની આઈટી ક્ષેત્રમાં મોટી આવડત છતાં દેશમાં આવી કોઈ વસ્તુ વિકસિત કરી શકાઈ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરેલો મુદ્દો બિલકુલ અર્થપૂર્ણ છે. મોદી એક તરફ દેશને ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામથી આખા દેશને ઈન્ટરનેટથી જોડવા તૈયાર છે. પરંતુ દેશની લચ્ચડ માળખાગત સુવિધાઓને કારણે આ સપનું શહેરો સુધી જ મર્યાદીત રહે તેવી શક્યતા વધારે છે. માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને દેશના ગામેગામ પહોંચાડવો હશે તો પહેલા માળખાગત સુવિધાઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવું પડશે.

ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ક્રાંતિની મનસા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની વાત તેમના મોટાભાગના ભાષણોમાં કરતા રહે છે. પરંતુ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ પર વિપક્ષે કટાક્ષ અને ખુદ રિજર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને કેટલાંક સૂચનો કર્યા છે.

મેક ઈન ઈન્ડિયા દ્વારા મોદીને ભારતના મૈન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને નિકાસ વધારવી છે. નિકાસ વિદેશી હૂંડિયામણ માટે ખૂબ મહત્વની હોય છે. ભારતમાંથી કાચોમાલ બહાર જાય છે અને તેને મેન્યુફેચર્ડ થયા બાદ આયાત કરવો પડે છે. આવી સ્થિતિમાં ભારતના અર્થતંત્રને ગગડતા રૂપિયા સાથે ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારત સૌથી વધારે ડિફેન્સ સેક્ટરમાં આયાત કરે છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ડિફેન્સ સેક્ટર સહીતના ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ મામલે ભારતને પગભર બનાવવાની મોદીની ઈચ્છા છે. જેનાથી ભારત વ્યૂહાત્મક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની સૈન્ય ક્ષમતા નોંધપાત્ર ખર્ચ ઘટાડીને હાસલ કરી શકશે. પરંતુ મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતને વિશ્વની ફેક્ટરી બનાવવાની મનસા ઘણો મોટો સમય માંગી લે તેમ છે.

પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પગભર થયેલું ભારત નિકાસ વધારી શકશે.. આવા સંજોગોમાં ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશોમાં ફેલાશે અને તેના કારણે બ્રાન્ડ ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં.. મેક ઈન ઈન્ડિયા દેશમાં નોકરીઓની અપાર સંભાવના પેદા કરી શકે છે.. તેનાથી બેરોજગારી ઘટવાની અને લોકોના જીવનસ્તરમાં વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

પરંતુ ભારતમાં સ્કિલ્ડ લેબરની અછત.. માળખાગત સુવિધાની ઉણપ.. વેપાર સ્થાપવા માટેની કાયદાકીય અડચણો.. સહીતના ઘણાં મુદ્દા મેક ઈન ઈન્ડિયા માટે પડકારજનક છે. તો વૈશ્વિક બજારોમાં ચીનના સસ્તા માલસામાન અને પશ્ચિમ તથા અમેરિકા-જાપાનના ગુણવત્તાસભર ઉત્પાદનો સામે ભારતના ઉત્પાદનોને પ્રતિસ્પર્ધાનો સામનો પણ કરવાનો છે.

બીજી તરફ મેક ઈન ઈન્ડિયા મામલે વિપક્ષે ખૂબ આકરા વાર કર્યા છે. ખેડૂતોના આપઘાતનો મામલો અને ખેતીની થઈ રહેલી ઉપેક્ષાના મુદ્દો ઉઠાવીને વિપક્ષે મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે. 56 દિવસની રજાઓ ગાળીને પાછા ફરેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ખેડૂતો- મજૂરો- ગરીબો મેક ઈન ઈન્ડિયા નથી કરતા શું..

તો બીજી તરફ રિજર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને મોદીને મેક ઈન ઈન્ડિયા પર સૂચન કર્યુ હતુ કે આ પ્રોગ્રામ ચીનની નિકાસ કેન્દ્રીત વૃદ્ધિની નીતિની નકલ છે. રાજને કહ્યુ હતુ કે આ સ્કીમ મેક ફોર ઈન્ડિયા હેઠળ ઘરેલુ બજાર માટે ઉત્પાદનો બનાવવા પર કેન્દ્રીત હોવી જોઈએ.

ભૂકંપ બાદ નેપાળમાં રાહત-બચાવ કાર્ય અને યમનમાંથી ભારતીયોની વાપસી કરાવવાના અભિયાનમાં 40 દેશોના કેટલાંક નાગરિકોને સુરક્ષિત કાઢવાની મોદી સરકારની કામગીરીના ખૂબ વખાણ થયા છે. સાર્ક દેશોના નેતાઓને શપથવિધિમાં આમંત્રણ અને ઓબામાને પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી માટે રાજી કરવાથી પણ બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત થતી હોવાની એક માન્યતા પ્રવર્તી રહી છે.

નેપાળમાં તાજેતરમાં આવેલા ખતરનાક ભૂકંપમાં સાત હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. પાડોશી દેશ તરીકે મુશ્કેલીમાં મુકાયેલા નેપાળને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન મૂકીને મદદ કરવાના પગલા ઉઠાવ્યા છે. ભારતીય સેના અને તબીબોની ટીમો તાત્કાલિક નેપાળમાં રાહત અને બચાવ કામગીરીમાં મોકલી દીધી હતી. નેપાળના વડાપ્રધાન સુશીલકુમાર કોઈરાલાએ પાડોશી દેશ તરીકેની ભારતની ભૂમિકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારતના રાહત અને બચાવ કાર્યના અભિયાનની અમેરિકા સહીતના દેશોએ પ્રશંસા કરી છે.

યમનમાં હૂતી વિદ્રોહીઓ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહ કેટલાંક દિવસ ત્યાં રોકાયા હતા. પાકિસ્તાન સહીતના અન્ય દેશોના લોકોને પણ ભારતે મદદ કરી હતી. જેની ઘણાં દેશોએ પ્રશંસા કરી છે.

ભારતને પ્રાદેશિક સ્તરે આગેવાન તરીકે સ્થાપિત કરવાના ઈરાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક દેશો સાથે સતત સારા સંબંધો માટે કોશિશો કરી રહ્યા છે. મોદીએ શપથવિધિમાં સાર્ક દેશોના શીર્ષસ્થ નેતાઓને આમંત્ર્યા હતા. આવું પહેલા ક્યારેય કોઈપણ વડાપ્રધાનના કાર્યકાળમાં બન્યું નથી. તો મંગળયાનના લોન્ચિંગ વખતે કરેલા સંબોધનમાં સાર્ક દેશો માટે સેટેલાઈટ બનાવવાની વાત પણ મોદી કરી ચુક્યા છે. સાર્ક દેશોમાં સહકાર ઉભો કરવાની વડાપ્રધાન મોદીની આ રણનીતિને ભારતની સારી છબીને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે એક સારું પગલું માનવામાં આવે છે.

26 જાન્યુઆરી-2015ના રોજ પ્રજાસત્તાક દિવસના સમારંભમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. બંને નેતાઓએ સાથે મળીને સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. રેડિયો પર મન કી બાત કરી.. તો 2005માં વીઝા વિવાદ બાદ ઓબામાના આમંત્રણ બાદ મોદીએ સપ્ટેમ્બર-2014માં કરેલી અમેરિકા યાત્રામાં ઓબામા સાથે બે વખત મુલાકાત કરી હતી. જેમાં બંને નેતાઓ વચ્ચે સારી કેમેસ્ટ્રી ઉભી થવાના સંકેતો મળ્યા હતા. ઓબામા અને મોદીએ અમેરિકી અખબારમાં સંયુક્ત તંત્રીલેખ પણ લખ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મ્યામાર ખાતેના આસિયાન સંમેલનમાં મોદીને મેન ઓફ એક્શન કહીને પ્રશંસા પણ કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ઘનિષ્ઠતાઓ વધી રહી છે.

ઓબામા પોતાના એક કાર્યકાળમાં ભારત આવનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ છે. જો કે તેમણે ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે ઉપદેશો આપીને મોદી સરકાર માટે કેટલીક વિમાસણભરી પરિસ્થિતિ ઉભી કરી છે. પરંતુ દિલ્હી ખાતેની સંયુક્ત પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને બરાક કહીને સંબોધિત કર્યા અને ટેલિફોન પર બંને નેતાઓ વચ્ચે વાતચીત થતી રહેતી હોવાનો ખુલાસો ખુદ વડાપ્રધાન મોદીએ કર્યો હતો. જેના કારણે ઓબામા સાથેની તેમની કેમેસ્ટ્રીના સારા સંકેત મળી રહ્યા છે. આ તમામ બાબતો સંકેત કરી રહી છે કે બ્રાન્ડ ઈન્ડિયાને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને તેની પાછળ વૈશ્વિક સ્તરે બ્રાન્ડ મોદી પણ પ્રસ્થાપિત થઈ રહી છે.

સ્વચ્છતા અભિયાન અને શૌચાલય બનાવવાના કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયા છે. જેના કારણે તેમની ટૂરિજમને પ્રોત્સાહન આપવાની નીતિને વધુ ઈંજન મળશે તેવા દાવા કરાય છે.. સાથે ભારતના લોકોને સારું આરોગ્ય પણ મળી શકશે અને ભારતની વિશ્વમાં છબી પણ ઘણી સારી રીતે ઉભરશે. પરંતુ સ્વચ્છતા અભિયાન માત્ર વડાપ્રધાનની નજરે ચઢવા માટેનું માધ્યમ ગણવામાં આવે તો તે આડંબરથી વધારે કંઈ થવાનું નથી.

15મી ઓગસ્ટે લાલકિલ્લા પરથી દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી ગંદકી ભગાડીને સ્વચ્છતા અભિયાન માટે સંકલ્પબદ્ધતા દેશ સામે મૂકી હતી. 2 ઓક્ટોબરે ગાંધીજયંતીના અવસરે સ્વચ્છતા અભિયાનની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડુંથી સફાઈ કરીને શરૂઆત કરી હતી. મોદીના સ્વચ્છતા અભિયાનમાં સચિન તેન્ડૂલકરથી માંડીને ઘણી મોટી સેલિબ્રિટિએ ભાગ લીધો છે. સરકારના પ્રધાનો.. ભાજપના નેતાઓ.. વિપક્ષના કેટલાંક નેતાઓએ પણ વડાપ્રધાનનના સ્વચ્છતા અભિયાનને આવકાર્યું અને તેમાં ભાગ પણ લીધો છે.

ગંદગીને હટાવીને સ્વચ્છ ભારત બનાવવાનો એક ફાયદો વિશ્વના પર્યટકોને ભારતમાં આકર્ષિત કરવામાં સફળતા મળવાની સંભાવના તરીકે જોવાઈ રહ્યો છે. ભારતમાં ગંદગી જોઈને પર્યટકો તેની ચર્ચા કરતા હોય છે. ત્યારે તેનાથી ભારતની છબી વૈશ્વિક સ્તરે પણ ખરડાતી હોય છે. આવા સંજોગોમાં સ્વચ્છતા અભિયાનથી બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત બનીને ભારતની વિદેશોમાં સારી છબી રજૂ કરી શકાય તેમ છે. જો કે મોદીના સ્વચ્છતા અભિયાન વખતે ઘણાં સવાલો પણ ઉભા થયા હતા. જ્યારે મીડિયામાં સફાઈના નામે પહેલા સૂકા પાંદડા બિછાવીને દિલ્હી ભાજપના કેટલાંક નેતાઓએ સ્વચ્છતા અભિયાનનો દેખાડો કર્યો હતો.

ગંગાનું શુદ્ધિકરણ અને ઘાટોની સફાઈનો પણ વડાપ્રધાનનો વાયદો છે. પરંતુ સ્વચ્છતા અભિયાનને કેટલી સફળતા મળી છે... તે અભ્યાસનો વિષય છે. જો કે સારી વાત એ છે કે સ્વચ્છતાનો મામલો લોકો માટે ચર્ચાનો મુદ્દો તો બની ચુક્યો છે. બીજો મામલો ખુલ્લામાં શૌચ કરવાના મામલે ભારત દુનિયામાં સૌથી આગળ હોવાનો છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી શૌચાલય દરેક ઘરમાં બનાવવાની વાત કરી છે.. તો મહિલાઓના સમ્માન સાથે શૌચાલયની જરૂરિયાતને જોડીને તેમણે વિદેશોમાં પણ કહ્યુ કે તેમને દરેક શાળામાં કન્યાઓ માટે શૌચાલય બનાવવાનું કામ હાથ પર લેવામાં કોઈ સંકોચ નથી.

સ્વચ્છતા અભિયાનમાં કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા એક નિવેદને વિપક્ષને ભડકાવ્યું છે. મોદીએ કહ્યુ હતું કે 60 વર્ષ ગંદકી કરનારા ગંદકી કરીને ચાલ્યા ગયા.. હવે તેઓ સફાઈ કરી રહ્યા છે.

હાલ સ્વચ્છતા અભિયાનને કેટલી સફળતા મળી છે.. તેના ક્યાસો અને દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે. સ્વચ્છતા અને શૌચાલય નિર્માણના અભિયાનો ખરેખર લોકોના આરોગ્ય સાથે સંકળાયેલા અને દેશની છબીને વિશ્વ સામે સારી બનાવનારા છે. પરંતુ તેનો ઉપયોગ માત્ર રાજકીય સરસાઈ મેળવવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજરોમાં વસી જવા માટે કરવો આડંબરથી વિશેષ કશું નથી. સ્વચ્છતા અભિયાન જન-જનનું અભિયાન બનવું જોઈએ... તે જીવનશૈલીનો ભાગ બનાવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે માત્ર ભાષણબાજી અને વાયદાબાજી કરનાર રાજનેતાની એક નકારાત્મક છબી પણ વિપક્ષો દ્વારા ઉપસાવાની કોશિશ થઈ રહી છે. ચૂંટણી વખતે કરેલા વાયદા પુરા નહીં થયા હોવાન મુદ્દો ઉછાળીને મોદીના બેવડા ધોરણો અને આડંબરો કરતા હોવાના મામલે પણ ચણભણાટ સપાટી પર આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ 700 જેટલી સભાઓ અને રેલીઓ ગજવીને વાયદા પર વાયદાઓ કરીને ભારતની જનતાના મબલખ વોટ મેળવ્યા છે. ત્રીસ વર્ષમાં પહેલી વખત પૂર્ણ બહુમતીવાળી સિંગલ પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી છે. પરંતુ એક વર્ષના અંતે મોદીના ભાષણો અને વિદેશ યાત્રાઓથી જ્યાં એક તરફ દેશને ફાયદો થયો છે.. તો બીજી તરફ તેના કારણે ખુદ વડાપ્રધાન મોદીની એક નકારાત્મક છબી પણ ઉપસી રહી છે. કોમોડિટી ટ્રેડિંગ ગુરુ અને હેજ ફંડ મેનેજર જિમ રોજર્સે કહ્યુ છે કે મોદી માત્ર બોલે છે.. કંઈ કરતા નથી. આમ જોવામાં આવે તો જિમ રોજર્સની મોદી માટેની ટીપ્પણી બ્રાન્ડ ઈન્ડિયા એટલે કે બ્રાન્ડ મોદી માટે એક આંચકો છે.

જિમ રોજર્સના કહેવા પ્રમાણે... મોદી સરકાર સત્તામાં આવી છે.. ત્યારથી તેમણે માત્ર વાતોના વડા કર્યા છે અને તેણે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે કોઈ નક્કર પગલા ઉઠાવ્યા નથી. તેમણે ભાજપ સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક આક્રમણ કર્યું છે કે આ બંને રાજકીય પક્ષો પહેલા પણ ભારત માટે સારા ન હતા અને ક્યારેય સારા થઈ શકે તેમ પણ નથી.

જો કે તેની સાથે ઘણી વૈશ્વિક સંસ્થાઓ ભારતમાં નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા આર્થિક સુધારાના વખાણ કરી રહ્યા છે.. તેનાથી ભારતનો વિકાસ નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે તેવા અનુમાનો પણ કરી રહ્યા છે. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મોદીની પ્રશંસા કરતો એક અભિપ્રાય ટાઈમ મેગેઝીનમાં આપ્યો છે.

મોટી લોકચાહના સાથે મોદીનું કરિશ્માઈ વ્યક્તિત્વ ભાજપની જીત માટેની મોટું કારણ છે. વિદેશમાં વસતા ભારતીયો માટે નરેન્દ્ર મોદી માટેની ચાહના હજી પણ મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. પણ ઘણાં મામલે મોદીના બેવડા ધોરણો અને આડંબરોથી તેમના ચાહકો પણ વિચલિત થઈ રહ્યા છે. એક નેતા અને વ્યક્તિ તરીકે મોદી સામે કોઈને કોઈ પ્રકારનો વાંધો નથી. પરંતુ ચોક્કસ પણે તેમના આડંબરો અને એક્શન વગરની ભાષણબાજીથી લોકોનો હવે મોહભંગ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદી માટે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત બનાવવા માટે નક્કર પરિણામોનો અહેસાસ પણ પોતાના ચાહકોને ઝડપથી કરાવવો પડશે.

365 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 વિદેશ યાત્રાઓ અને કુલ 48 દિવસ દેશની બહાર રહેવાના મુદ્દાને વિપક્ષે ખૂબ વ્યંગાત્મક લહેજાથી ઉઠાવ્યો છે. સંસદથી માંડીને સડક સુધી મોદીના ઝંઝાવાતી ગગનવિહાર અને વિશ્વવિહારને કારણે એક નકારાત્મક છબી ઉપસી રહી છે.

ગ્લોબલ વિલેજ બની ચુકેલી દુનિયામાં રાષ્ટ્રહિતમાં દેશની વ્યૂહાત્મક અને આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે અન્ય દેશો સાથેના સંબંધો ખૂબ મહત્વના હોય છે. તેના માટે વિદેશ નીતિ અને વડાપ્રધાનના વિદેશ પ્રવાસનું મહત્વન વધી જાય છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ વિદેશ નીતિમાં વાઈબ્રન્સી લાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ છે.. પણ વિદેશ નીતિનું ડ્રાઈવિંગ ખુદ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. વિદેશ નીતિના સારા પરિણામો પણ દેખાઈ રહ્યા છે.

પરંતુ મોદીના વિદેશ પ્રવાસો વિપક્ષના નિશાને સંસદમાં રહ્યા છે... તો સામાન્ય માણસ પણ સમજી શકતો નથી કે આટલા મોટા પ્રમાણમાં વિદેશ પ્રવાસો કરવાની વડાપ્રધાન મોદીને જરૂર શું છે... તાજેતરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી હાલ ભારતના પ્રવાસે છે અને તેઓ પંજાબમાં જઈને ખેડૂતોના હાલચાલ પણ જાણે.. સંસદમાં મોદીના વિદેશ પ્રવાસનો મામલો મોટા વિવાદનું કારણ બન્યો છે. સંસદના મોદીજીને વીઝા મળી ગયા હોવા સુધીની ટીપ્પણી કરીને વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પર આકરા વ્યંગબાણ છોડવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના ખર્ચાની વિગતો માંગવામાં આવી છે. કરોડોના ખર્ચાના અંદાજ લગાવવામાં આવે છે. તો વિદેશ યાત્રાની ફળશ્રુતિ પર પણ કેટલીક આશંકાઓ અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આવા સંજોગોમાં વાસ્તવિક સ્થિતિ નહીં પહોંચવાથી દેશના એક મોટા વર્ગના મનમાં મોદીની છબી એક વિશ્વવિહારી વડાપ્રધાન તરીકેની જ ઉપસી રહી છે. ત્યારે એક તરફ મોદી વિદેશોમાં ભલે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત કરી રહ્યા હોય પણ દેશના એક મોટા વર્ગ પર તેની નકારાત્મક અસર દેખાઈ રહી છે. વિપક્ષના હાથમાં મોદી સામે મોરચો માંડવા માટે એક મોટો મુદ્દો પણ હાથ લાગ્યો છે. તેથી મોદીએ બ્રાન્ડ ઈન્ડિયાને ઝાંખપ લાગે નહીં તેના માટે કેટલાંક અસરકારક પગલા ભરવાની અને વિપક્ષ તથા લોકોની આશંકાઓ દૂર કરવાની પણ જરૂર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો