આનંદ શુક્લ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેત્રી મોના થીબા (Mona Theeba) એ રાજકોટ (Rajkot) માં પોતાની આગામી ફિલ્મ 'શક્તિ' (Shakti) ના પ્રમોશન દરમિયાન વેશ્યાવૃત્તિને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અભિનેત્રી મોના થીબા (Mona Theeba) એ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે "વેશ્યાવૃત્તિ એક પ્રકારની સામાજિક સેવા છે, વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ આડકતરી રીતે સમાજની મદદ જ કરે છે." ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Gujarati Film Industry) ના આ અભિનેત્રીના નિવેદન મુજબ, તેમને લાગી રહ્યું છે કે જો વેશ્યાવૃત્તિ (Prostitution) ન હોય, તો સમાજ (Society) માં બળાત્કાર (Rape) જેવી ગંભીર ઘટનાઓમાં વધારો થઈ શકે છે.
Prostitution ને સમાજસેવા સાથે સરખાવવી કેટલી યોગ્ય?
વેશ્યાવૃત્તિ (Prostitution) ને સમાજસેવા સાથે સરખાવવી કેટલું યોગ્ય છે, તેનો વિચાર પણ થવો જોઈએ. વેશ્યાવૃત્તિ કરનારી લગભગ 100 ટકા મહિલાઓ આ ધંધામાં પોતાની સામાજિક, કૌટુંબિક, આર્થિક મજબૂરીઓને કારણે ધકેલાય છે અને તેમાં પણ મોટાભાગની સગીરાવસ્થામાં રેડ લાઈટ એરિયાનો ભાગ બની જાય છે. વેશ્યાવૃત્તિએ એક રીતે સામાજિક મૂલ્યોના અધ:પતનની ચરમસીમા છે. આમ તો વેશ્યાવૃત્તિ વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય છે. ભારતમાં પણ પ્રાચીનકાળમાં નગરવધૂઓ હતી. પણ કોઈએ વેશ્યાવૃત્તિને સમાજસેવા ગણાવી નથી.
હા, વેશ્યાવૃત્તિની તરફદારી કરનારાઓ આને સમાજસેવા ગણાવીને તેને કુલ યૌન અપરાધો સાથે સાંકળે છે. તેમનો તર્ક રહે છે કે વેશ્યાવૃત્તિ ન હોત તો બળાત્કાર જેવા અપરાધો માઝા મૂકત. પણ હકીકત તો વેશ્યાવૃત્તિના હોવા છતાં પણ જેમની તેમ છે.
ભારતમાં Rape Case ના આંકડા
બીજું ભારત (India) ની અંદાજિત વસ્તી 140 કરોડની છે. જો તેમાં 50 ટકા પુરુષ ગણવામાં આવે, તો અંદાજે 70 કરોડ પુરુષ થાય છે. હવે આ 70 કરોડમાંથી તમામ પુરુષો કંઈ બળાત્કારી નથી કે વેશ્યાગામી નથી. તેમ છતાં ભારતમાં દર વર્ષે અંદાજિત 31,000થી 32,000 જેટલા બળાત્કારના કેસો નોંધાય છે. આ હિસાબથી ભારતમાં દરરોજ અંદાજે 86 જેટલા બળાત્કારના કેસો રજિસ્ટર થાય છે. એટલે કે દર 15થી 16 મિનિટે બળાત્કારનો એક કેસ બને છે. જેમાં 89થી 90 ટકા જેટલા બળાત્કારીઓ પીડિતાના જાણીતા જ હોય છે. આમાની લગભગ 10 ટકા જેટલી પીડિતા સગીર હોય છે. બળાત્કારનો ગુનો કરનારા 6 માસની બાળકીથી માંડીને 90 વર્ષ સુધીની વૃદ્ધા સાથે કુકર્મ કરી ચુક્યા હોય તેવી જઘન્ય અપરાધની ઘટનાઓ દેશ-દુનિયામાં નોંધાઈ ચુકી છે.
2019માં 32,003 રેપ કેસ નોંધાયા હતા અને 2020માં 28,046 બળાત્કારના કેસ નોંધાયા હતા. પણ 3,957 ઓછા કેસ નોંધાવા પાછળનું કારણ કોઈ વેશ્યાવૃત્તિ કે જેને ગુજરાતી અભિનેત્રી મોના થીબા સામાજિક સેવા ગણાવી રહ્યા છે, તેના વધી જવાનું ન હતું. પણ કોવિડ-19ના લોકડાઉનના કારણે આટલા રેપ કેસ ઘટયા હતા. જો કે 2021માં 31,677 અને 2022માં 31,516 રેપ કેસ નોંધાયા હતા.
ગુજરાતની વાત કરીએ તો..
નેશનલ એઈડ્ઝ કંટ્રોલ સોસાયટી (NACO) ના સંશોધકો દ્વારા હાથ ધરાયેલા પ્રોગ્રામેટિક મેપિંગ એન્ડ પોપ્યુલેશન સાઈઝ એસ્ટિમેશન (PMPSE) ના અભ્યાસ મુજબ ભારતમાં અંદાજે 9,95,499 મહિલા સેક્સ વર્કર્સ છે. ગુજરાતમાં સ્ટેટ એઈડ્ઝ કંટ્રોલ સોસાયટી (GSACS) દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ રાજ્યમાં મહિલા સેક્સ વર્ક્સની સંખ્યા 70,000 જેટલી છે.
હવે ગુજરાતમાં બળાત્કારના કેસોની વાત કરીએ તો 2022-23ના આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 6 જેટલા બળાત્કારના કેસો નોંધાય છે. આમાના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાય છે. અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાંનો નંબર છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછા બળાત્કારના કેસ નોંધાય છે.
જો વેશ્યાવૃત્તિથી બળાત્કારના કેસ ઘટતા હોત, તો અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) , વડોદરા (Vadodara) અને રાજકોટ (Rajkot) જેવા શહેરોમાં કે જ્યાં ગુજરાતની 70 હજાર જેટલી અંદાજિત મહિલા સેક્સ વર્કર્સમાંથી મોટાભાગની આ શહેરોમાં વધુ કેન્દ્રીત છે, ત્યારે અહીં બળાત્કારના કેસોમાં ઘટાડો થવો જોઈતો હતો.
ડાંગ (Dang) જિલ્લો કે જ્યાં અનુસૂચિત જનજાતિ વિસ્તાર ઘણો મોટો છે. ત્યાં વેશ્યાવૃત્તિનું પ્રમાણ અને બળાત્કારના કેસો સૌથી ઓછા નોંધાયા છે. એટલે વેશ્યાવૃત્તિથી બળાત્કારના કેસો ઘટે છે કે તે નિયંત્રણમાં રહે છે આવી કોઈ દલીલ બંધબેસતી નથી. ગુજરાતમાં નોંધાયેલા 99.4 ટકા કેસમાં આરોપીઓ મિત્રો, પાડોશીઓ, સંબંધીઓ કે સહકર્મીઓ હોય છે.
વેશ્યાવૃત્તિ એ મહિલાની મજબૂરીમાંથી પેદા થાય છે. માનવ તસ્કરીનો ભોગ બનવું, કૂમળી વયે જાતીય અપરાધથી પીડિત થવું કે માતાપિતાની ઉપેક્ષાનો કોઈ દ્વારા લાભ લેવો કે પ્રેમસંબંધમાં છેતરપિંડીનો ભોગ બનવું જેવી ઘટનાઓ મહિલાઓને આવા ધંધામાં ધકેલતી રહે છે. જે સ્થાનો પર રેડ લાઈટ એરિયા છે, ત્યાં નાની-નાની પડદાં બંધ ઓરડીઓ અને તેમાં ચાલતો આ ધંધો અપાર લાચારીને જ દર્શાવે છે, આ સમાજસેવા નહીં પણ આ મહિલાની પોતાની જીવન ચલાવવાની મજબૂરી છે.
વેશ્યાવૃત્તિને કારણે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસિઝ (Sexual Transmitted Disease) કે એઈડ્ઝ (Aids) જેવી ગંભીર બીમારીઓના વધવાનો ખતરો છે અને તેને કઈ સમાજસેવાની કેટેગરીમાં મૂકવામાં આવશે? પ્રોટેક્શન્સને લઈને જાગૃત્તિ ફેલાવવાની વાત થાય છે, પણ બળાત્કાર થાય નહીં તેવો સામાજિક માહોલ પેદા કરવા માટે નૈતિકતાના સંરક્ષણની કોઈ પહેલ કરવાની વાત થઈ રહી નથી. સગાં-સંબંધી, પાડોશી-પરિચિત દ્વારા પિંખાતી મહિલાઓ શું વેશ્યાવૃત્તિના વધવાને કારણે બચી જશે? આવો તર્ક આપનારા તમામે આ પ્રશ્ન પર ચિંતન કરવું જરૂરી છે.
મહિલાની મજબૂરી સામાજિક સેવા કે સામાજિક કલંક?
ભારતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, કોઈ પુખ્તવયની મહિલા પોતાની મરજીથી ખાનગીમાં આ વ્યવસાય કરે તો ગુનો નથી. પરંતુ ઈમ્મોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ (ITPA) હેઠળ ગ્રાહકોને જાહેરમાં બોલાવવા, વેશ્યાલય ચલાવવું, દલાલી કરવી કે માનવ તસ્કરી કરવી એ સખત ગુનો છે. એટલે આ ધંધામાં ધકેલાયેલી મહિલાની મજબૂરીને જ કાયદાકીય સંરક્ષણ છે, બાકી આ વ્યવસાયની આસપાસના નેટવર્ક કે નેટવર્કિંગને બિલકુલ કાયદાકીય માન્યતા મળી નથી. જો આ સમાજસેવા હોત, તો આવી કાયદાકીય માન્યતાઓ પણ મળી ચુકી હોત. બની શકે કે કોઈ કુતર્કોના આધારે આને પણ કાયદેસર કરવાની કોઈ એક્ટિવિસ્ટ માગણી કરે. પણ એ તો દૂરની વાત છે. પણ મહિલાની મજબૂરી જ્યારે ગંદા ધંધામાં તેના જવાનું કારણ હોય, ત્યારે તેને સમાજસેવા કહેવી કેટલી યોગ્ય છે? આના પર સામાજિક ચર્ચા આગળ વધવી જોઈએ. મેડમ મોના થીબા એક જ નથી કે જે આવું માને છે, આવું વિચારનારા ઘણાં લોકો આપણાં સમાજની અંદર હશે.. પણ આ વિચારની યોગ્યતાનો પણ વિચાર કરવા માટે સામાજિક ડાયલોગની જરૂરને નકારવી જોઈએ નહીં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો