બુધવાર, 27 મે, 2026

"આપણે Gandhiji ને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવું પડશે !": Pa. Deendayal Upaddhyay એ આવું શા માટે કહ્યું?

 

આનંદ શુક્લ: ભારતીય જનસંઘના વરિષ્ઠ નેતા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે પાંચજન્ય અને ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત પોતાના તંત્રીલેખોમાં હંમેશા ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધિત કરત્યા હતા, પણ રાષ્ટ્રપિતા તરીકે તેમણે સંબોધન કર્યુ ન હતું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાંધીજીના ક્ટ્ટર વિરોધી ન હતા. તેમણે ખુદ સ્વીકાર્યું હતું કે ગાંધીજીએ ભારતીય રાજનીતિમાં નૈતિકતા અને ભારતીય મૂલ્યો લાવવાનું કામ કર્યું હતું. તેઓ ગાંધીજીને યુગપુરુષ અને મહાન સમાજ સુધારક માનતા હતા, પરંતુ રાષ્ટ્રપિતાની શબ્દાવલિ તેમના માટે વાપરવી તેમને યોગ્ય લાગતી ન હતી. ઘણાં ચિંતકો-વિચારકોના મતે, દીનદયાલજીનું માનવું હતું કે રાષ્ટ્રનું નિર્માણ પૂર્વજોના સદીઓના તપ અને સંસ્કૃતિથી થાય છે, કોઈ એક વ્યક્તિના પ્રયત્નોથી નહીં. તેથી કોઈ વ્યક્તિને પિતાનું બિરુદ આપવું એ રાષ્ટ્રની પ્રાચીનતાનું અપમાન કરવા સમાન છે. દીનદયાલજીએ તેમના લેખો અને ભાષણોમાં વારંવાર ભાર મૂક્યો હતો કે રાષ્ટ્ર એ કોઈ નવી રચના નથી કે જેનો કોઈ પિતાહોય. રાષ્ટ્ર એક જીવંત એકમ છે જે યુગોથી અસ્તિત્વ ધરાવે છે. તેની સાથે જ જો ભારતને માતા એટલે કે ભારતમાતા માનવામાં આવે છે, તો કોઈપણ વ્યક્તિ તેનો પિતા હોઈ શકે નહીં. આ આખી વાતને મહાત્મા ગાંધી પ્રત્યે પૂર્ણ સમ્માન સાથે સમજવાની કોશિશ પણ થવી જોઈએ.

 

સનાતન કે અનાદિકાળથી અસ્તિત્વમાં રહેલા ભારતના પિતા કોણ?

 

આપણને સૌને નાનપણથી એક પ્રશ્ન થતો જ હશે કે ભારત સનાતન રાષ્ટ્ર છે, અનાદિકાળથી આપણા દેશનું અસ્તિત્વ છે. પણ 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને ભાગલાના દુ:ખ વચ્ચે સ્વતંત્રતા મળી. ભારતે 26 જાન્યુઆરી, 1950ના રોજ નવા બંધારણનો પણ સ્વીકાર કર્યો. પણ ભારતની સ્વતંત્રતા પહેલાથી આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીને સમ્માન આપવામાં આવે છે. 6 જુલાઈ, 1944ના રોજ સિંગાપોરથી રેડિયો સંબોધનમાં આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ કમાન્ડર અને આરઝી હુકૂમતના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી નેતાજી સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીનો સૌથી પહેલા રાષ્ટ્રપિતા તરીકે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેના પછી તેમને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જો કે ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીને સત્તાવાર રીતે રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા નથી. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકેનું સંબોધન કેટલાક સવાલો પણ પેદા કરે છે. મહાત્મા ગાંધીના વ્યક્તિત્વ-કતૃત્વનું સંપૂર્ણ સમ્માન છે અને કરવું જોઈએ. પણ સવાલ એ છે કે સનાતન અને અનાદિકાળથી અસ્તિત્વમાં રહેલા ભારતનો કોઈ પિતા હોઈ શકે અને હોય તો પરમાત્મા-પરબ્રહ્મ સિવાય કોણ હોઈ શકે?

 

ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જેવા અવતારી પુરુષોને પણ ભારતના પિતા નહીં પણ પુત્ર જ ગણવામાં આવે છે. ચક્રવર્તી સમ્રાટો પણ ભારતના પિતા નહીં, પણ પુત્ર જ ગણવામાં આવે છે. રાષ્ટ્રનું સર્જન ઋષિ-મુનિઓ અને પૂર્વજોના બલિદાનથી થયું છે. ત્યારે રાજનીતિમાં પોતાના મહાત્માપણા માટે જાણીતા રાજકીય નેતાને આખા રાષ્ટ્રના પિતા ગણવા સનાતન પ્રવાહ અને ઈતિહાસની અવગણના કરવા સમાન નથી?

 

રાષ્ટ્રીય ચેતનામાં ઘટાડાને લઈને જ્યારે થયું હતું મંથન

 

1960-61માં ભારતના પ્રાંતીય શિક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતમાં રાષ્ટ્રીય ચેતનામાં ઘટડા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને યુવાવર્ગમાં રાષ્ટ્રીય ચેતનાના નિર્માણની પદ્ધતિ અને ઉપાય સૂચવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા ડૉ. સંપૂર્ણાનંદની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કૉંગ્રેસે પણ રાષ્ટ્રીય એકાત્મતાના પ્રશ્ન પર વિચારણા કરવા માટે ઈન્દિરા ગાંધીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

 

ભારતીય જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આ સમગ્ર ઘટનાક્રમને લઈને અવલોકન કર્યું હતું કે જ્યાં શિક્ષણ મંત્રી રાષ્ટ્રવાદ બાબતે પ્રાદેશિક આધારે વિચારણા કરે છે, તો કૉંગ્રેસ કાર્ય સમિતિ આના પર કોમવાદી અને પંથવાદી રાહે વિચારણા કરે છે. પણ હકીકત એ છે કે રાષ્ટ્રવાદ ન તો રાજ્યોને સંઘ છે અને ન તો સમુદાયોનો સમૂહ છે. રાષ્ટ્રવાદ એક જીવંત અવધારણા છે અને ઉર્ધ્વગામી આધારો પર કોઈ ઉપવર્ગીકરણ કરવું અને ખંડોને માન્યતા આપવી આખી આ અવધારણાનો આકાર બગાડવા જેવું છે. આવી સ્થિતિમાં જ્યારે ઘટક અંશોને લાગે છે કે તેમની પોતાની ઓળખને અલગ રાખવી વધુ નફાનો સોદો છે, અને આ પ્રકારે રાષ્ટ્રીય ઓળખ ઉભારવી અને વિવિધ પ્રકારે પ્રગટ થવાના સ્થાને વિભક્ત થવું અને ટુકડામાં વિખેરાવાનું શરૂ થયા છે.

 

ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત નહીં કરવાનું દીનદયાલજીનું સૂચન!

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું માનવું હતું કે સૌથી પહેલા આપણે રાષ્ટ્રવાદની મૂળ અવધારણા સંદર્ભે સ્પષ્ટ થવું પડશે. દુર્ભાગ્યથી ભારતમાં આપણાં રાષ્ટ્રીય સ્વ સંદર્ભે ઘણો ભ્રમ રહ્યો છે. રાષ્ટ્રવાદના નામે ગત અડધી સદી દરમિયાનના પ્રયાસોએ હકીકતમાં રાષ્ટ્રવાદના મૂળિયાં પર પ્રહાર કર્યો છે અને એક ઘણાં મોટાપ્રમાણમાં લોકોનું અ-રાષ્ટ્રીયકરણ કરાયું છે. તેની સાથે જ તેમણે ભૂતકાળની શૈક્ષણિક, રાજનીતિક અને સામાજિક નીતિઓને સંશોધિત કરવાથી જ ભવિષ્ય માટે કોઈ આશા ઉભી થઈ શકે છે, તેવો પણ તેમનો અભિપ્રાય હતો.

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમ્માન સાથે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવાનું સૂચન પણ કર્યુ હતું. ભારતીય જનસંઘના વરિષ્ઠ નેતા અને હાલની ભાજપના વૈચારિક પ્રેરણાસ્ત્રોત એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના શબ્દોમાં જ જોઈએ તો, તેમણે કહ્યુ હતુ કે જો આપણે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવા માંગીએ છીએ, તો આપણે પહેલા તેના પ્રાચીન મૂળિયાંને માન્યતા આપવી પડશે, આપણે ખુદને એ ખોટી ધારણાંથી મુક્ત કરવા પડશે કે ભારતમાં રાષ્ટ્રવાદ બ્રિટિશ શાસનની આધીનતામાં અથવા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સાથે શરૂ થયો.

 

ગાંધીજી પ્રત્યે પૂર્ણ સમ્માન સાથે આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું બંધ કરવું પડશે. જો તેમને ભારતમાતાના એક મહાન પુત્ર તરીકે સંબોધવામાં આવે, તો તે વધારે સમ્માનીય હશે.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે સ્પષ્ટપણે કહ્યુ કે "જો આપણે રાષ્ટ્રવાદના આ જૂના આધારને સમજીએ છીએ, તો એ સ્પષ્ટ થઈ જશે કે આ હિંદુત્વથી વધુ કંઈપણ નથી. વાસ્તવમાં હિંદુત્વ એકલું જ ભારતના 40 કરોડ લોકોન બાંધે છે.  તમામ ઉપખંડ ફીકા પડીને નિરર્થક થઈ જાય છે, જ્યારે તેમને અહેસાસ થાય છે કે તે હિંદુ છે. જો કોઈ ઈતિહાસ એવો છે કે જે આપણને પ્રેરણા આપે છે અને આપણા સંબંધોને મજબૂત કરી શકે છે, તો આ હિંદુ ઈતિહાસ છે. જો કોઈ સંસ્કૃતિ છે, જે આપણી તમામ સ્પષ્ટ વિવિધતાઓને એક વાસ્તવિકતા અને એકતા આપી શકે છે, જો કોઈપણ એવું જીવન છે, જે રાષ્ટ્રીય જીવન કહી શકાય છે, તો તે હિંદુ જીવન છે. જો આ દેશમાં એવા લોકો છે, જે હિંદુત્વના દાયરાની બહાર છે, તો રાષ્ટ્રવાદના હિતમાં એ તેમનું કર્તવ્ય છે કે તે હિંદુ જીવન શૈલીનું અનુકરણ કરે અને તેમાં સમેલ થાય. જો કે એ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે હિંદુત્વ ખુદને ન તો કોઈ વિશેષ પૂજાપદ્ધતિથી બાંધે છે અને ન ઈશ્વર પ્રાપ્તિની કોઈ વિધિથી."  મહત્ત્વપૂર્ણ છે કે દીનદયાલજીએ જે 40 કરોડ લોકોની વાત કરી છે, તે ભારતની તત્કાલિન કુલ વસ્તીની વાત છે.  (સંદર્ભ: પૃષ્ઠ ક્રમાંક- 26, दीनदयाल उपाध्याय संपूर्ण वाड्.मय खंड-9, સંપાદક- ડૉ. મહેશ ચંદ્ર શર્મા, પ્રથમ સંસ્કરણ- 2016, પ્રભાત પ્રકાશન)

 

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રીય ચેતનાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સેંકડો જૂની સંસ્થાઓ અને પરંપરાઓનો ઉપયોગ કૉંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા ઘડવામાં આવેલી વાતોની સામે ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય ચેતના માટે નવી પદ્ધતિઓના સ્થાને જૂની પદ્ધતિઓને શોધવાની જરૂર હોવાનું જણાવીને કહ્યુ હતુ કે જૂના ઋષિ, શંકારાચાર્ય, અવાતર, સ્મૃતિકાર, સંત અને કવિ એવું ઘણું બધું કરી હગયા છે, જેનાથા આપણે એક રાષ્ટ્રીય જીવન જીવી શકીએ. તેની સાથે જ દેશની યુવા પેઢીના અ-રાષ્ટ્રીયકરણને રોકવાની જરૂર હોવાનું જણાવીને તેમમે આશા વ્યક્ત કરી હતી કે આગામી પેઢી નિશ્ચિતપણે ભારતીય રાષ્ટ્રવાદની જીવનશક્તિનું પ્રગટીકરણ કરશે.

 

સાવરકર પણ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવાનો વિરોધ કરી ચુક્યા છે

 

વિનાયક દામોદર સાવરકર કે જેઓ હિંદુ મહાસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે, તેમણે ગાંધીજીને એક મોટા નેતા કે મહાત્મા તરીકે સ્વીકાર્યા હતા, પણ તેમને રાષ્ટ્રપિતા ગણાવવા સામે વિરોધ વ્યક્ત કરતા હતા. સાવરકરે કહ્યુ હતુ કે રાષ્ટ્ર કોઈ સંતાન નથી કે જેને કોઈ પિતા હોય. રાષ્ટ્ર એક પ્રવાહ છે. જે રાષ્ટ્ર વેદકાળથી જીવંત છે, તેનો જન્મ 19મી કે 20મી સદીમાં થયો હોવાનું માની શકાય નહીં.

 

મહત્ત્વપૂર્ણ છે કે ભારતના બંધારણમાં પણ મહાત્મા ગાંધીને સત્તાવાર રીતે રાષ્ટ્રપિતા તરીકે જાહેર કરવામાં આવ્યા નથી. ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે બંધારણ મુજબ કોઈને પણ રાષ્ટ્રપિતા જેવું બિરુદ સત્તાવાર રીતે આપી શકાય નહીં. કલમ-18 મુજબ, શિક્ષણ અને લશ્કરી સિવાયની ઉપાધિઓ પર પ્રતિબંધ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો