આનંદ શુક્લ : અમેરિકાના ઉદ્યોગપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ (Donald J. Trump) અમેરિકા (America) ના સૌથી જૈફવયે રાષ્ટ્રપ્રમુખ બનનારા વ્યક્તિ છે. રાષ્ટ્રપ્રમુખ તરીકેની ટ્રમ્પ (Trump) ની આ બીજી ટર્મ છે, સારું છે કે અમેરિકામાં બે ટર્મથી વધારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ રહી શકતો નથી.
વિશ્વ પર "ટ્રમ્પકાળ" (Trump Kal)
જ્યોતિષમાં વ્યક્તિના કઠિનકાળ માટે રાહુકાળ જેવી સમયની ગણતરી હોય છે. તેવી રીતે જ જાણે કે વિશ્વ પર ટ્રમ્પકાળ બેસ ગયો છે અને વિશ્વના ઘણાં દેશો તેની દહેશતમાં છે. ટ્રમ્પે દશ માસમાં આઠ યુદ્ધો રોકાવાનો દાવો કરીને જે રીતે નોબલ શાંતિ પુરસ્કારની માગણી કરતું દબાણ કર્યું હતું અને તેના પછી વેનેઝુએલા (Venezuela) ના રાષ્ટ્રપ્રમુખને તેમની પત્ની સહિત ઉઠાવીને અમેરિકા લઈ ગયા હતા, તે ઘટનાક્રમ બાદ દુનિયા આખી દહેશતમાં છે. ટ્રમ્પ ક્યારે શું કરે તે કોઈ વિચારી શકે તેમ નથી. કેનેડા (Canada) ને અમેરિકાના 51મા રાજ્ય તરીકે પોતાના દેશમાં ભેળવવા સુધીની વાતો ટ્રમ્પ (Trump) કે ટ્રમ્પના ટેકેદારો કરી ચુક્યા છે. ગ્રીનલેન્ડ (Greenland) પર કબજો કરવાની ટ્રમ્પ નેમ ધરાવે છે અને તેને કારણે આખું યુરોપ દહેશતમાં છે. યુક્રેન - રશિયા યુદ્ધને પાંચ વર્ષ થયા છે અને ટ્રમ્પ કથિતપણે તેમાં શાંતિ સ્થાપવા માટે વાટઘાટોમાં મધ્યસ્થી તરીકે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેંસ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી રહ્યા છે.
ટ્રમ્પ ઈરાન (Iran) ને પરમાણુ હથિયાર નહીં બનાવવા દેવાનું કહીને તેની સાથે ઓમાનમાં વાટાઘાટો સાથે મોટો સૈન્ય કાફલો ખડકીને તેને યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. બે-બે વિમાનવાહક જહાજો અને 1991-92 બાદ ખાડી દેશો (Gulf Countries) માં સૌથી મોટો યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દેવાનું કામ કર્યું છે. વેનેઝુએલા બાદ તેઓ પનામા (Panama) , ક્યૂબા (Quba) અને મેક્સિકો (Maxico) સહીતના લેટિન અમેરિકન (Latin American) દેશોને ધમકાવી ચુક્યા છે અને પશ્ચિમી ગોળાર્ધમાં અમેરિકાના પ્રભુત્વને અખંડ રાખવાનો સંકલ્પ કરી ચુક્યા છે. વિશ્વમાં આવું ક્યારેય જોવા મળ્યું નથી કે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ દુનિયા આખીને પોતાની લશ્કરી તાકાતથી ડરાવી રહ્યો હોય. આવી દહેશતને જોતા લાગે છે કે દુનિયા પર ટ્રમ્પકાળ ચાલે છે.
Tarrif Terror નો ભારત સામે પણ ઉપયોગ!
આમ તો ભારત અમેરિકાનું એક રણનીતિક ભાગીદાર છે. ભારત અને અમેરિકાની વચ્ચે છેલ્લા બે દાયકાથી ઘનિષ્ઠતા વધી છે. તેમ છતાં આ ટ્રમ્પકાળમાં ભારતે અમેરિકાના પ્રવર્તમાન રાષ્ટ્રપ્રમુખથી બચીને રહેવાની જરૂરત છે, કારણ કે પહેલા તો ટ્રમ્પે રશિયા (Russia) પાસેથી ખનીજતેલ (Crude Oil) ની ખરીદીના મામલે ભારત પર 25 ટકાનો ટેરિફ લગાવ્યો અને તેના પહેલા તેઓ રેસિપ્રોકલ ટેરિફ (Tarrrif) ના નામે આમા વધારો કરી જ ચુક્યા હતા. હવે ઈરાન (Iran) સાથે જ્યારે યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યારે અચાનક અમેરિકા-ભારત વચ્ચે વચગાળાની વ્યાપારિક ટ્રેડ ડીલ પણ કરી લીધી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટેરિફના મામલે પાછી પાની થયા પછી પણ તેમણે દુનિયાના તમામ દેશો પર પહેલા 10 ટકા ટેરિફ અને પછી 15 ટકા ટેરિફ કરી દીધો છે. હવે તેઓ અમેરિકાના નાગરિકોને કહી રહ્યા છે કે ટેરિફના કારણે તેમના પર ટેક્સનો બોજો નહીં રહે.
ટ્રમ્પની ઈતિહાસમાં અમર થવાની મનસા
બીજી ટર્મમાં ટ્રમ્પની જીત ઘણી કટોકટ રહી છે અને આવા સંજોગોમાં ટ્રમ્પ પોતાની છેલ્લી ટર્મમાં ઈતિહાસમાં અમર થઈ જવાની મનસા સાથે મોટી ઉથલ-પાથલો દેશ-દુનિયામાં કરી રહ્યા છે. તેની સાથે તેમણે પોતે વધુ લાંબું જીવશે નહીં તેવી વાત પણ કરીને પોતાની સરખામણી અમેરિકાના બે અસરકારક રાષ્ટ્રપ્રમુખો અબ્રાહમ લિંકન અને જહોન એફ. કેનેડી સાથે કરી છે. લિંકન અને કેનેડીની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી હતી. આવી જ ભીતિ ટ્રમ્પને પણ સતાવી રહી છે. જો કે ટ્રમ્પની વય હાલ 80 વર્ષની છે.
જમ્મુ-કાશ્મીર વિવાદમાં ટ્રમ્પે કરી હતી મધ્યસ્થતાની ઓફર
પહેલી ટર્મ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની હેસિયતથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના જમ્મુ-કાશ્મીરના વિવાદમાં મધ્યસ્થતા કરવાની ઘણી ઓફરો કરી હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુદ્દે સિમલા કરાર મુજબ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો સ્વીકાર નહીં કરવાની નીતિ સાથે ભારતે આ ઓફર ફગાવી હતી. આતંકવાદને લઈને ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ અને વાતચીત સાથે ચાલી શકે નહીં.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફરને દરકિનાર કરીને ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણના અનુચ્છેદ-370ની જોગવાઈઓને બિનઅસરકારક કરી અને તેની સાથે જ બંધારણના અનુચ્છેદ-35-એને પણ સમાપ્ત કર્યો.
ભારતમાં હિંદુત્વવાદીઓને ટ્રમ્પથી હતી મોટી આશા
ટ્રમ્પ જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની પહેલીવાર ચૂંટણી લડયા તો તેમણે પોલિટિકલ ઈસ્લામ અને ઈસ્લામિક ટેરરિઝમ સામે લડવાની વાત કરી હતી. પાકિસ્તાનની પણ આકરી ટીકા કરી હતી. ત્યારે ભારતમાં ઘણાં હિંદુત્વવાદી સંગઠનો અને લોકોએ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બને તેના માટે હવન કરીને ભાવનાત્મક સમર્થન આપ્યું હતું.
અફઘાનિસ્તાન તાલિબાનોને સોંપી અમેરિકા નીકળી ગયું
પરંતુ ટ્રમ્પ જેવા સત્તામાં આવ્યા તેવું જ તેમણે પોતાની નીતિ-રણનીતિઓને બદલી હતી. અફઘાનિસ્તાનમાં આતંક સામે યુદ્ધમાં ફસાયેલી અમેરિકાની સેનાને કાઢવા માટે તેમણે પ્લાન પણ બનાવ્યો અને તેને પોતાની બીજી ટર્મમાં લાગુ પણ કર્યો. અફઘાનિસ્તાનનું શાસન ડેઝિગ્નેટે઼ડ આતંકવાદી જૂથ તાલિબાનને સોંપીને અમેરિકા-નાટો સેનાઓ અહીંથી દક્ષિણ એશિયા કે ભારતની પરવાહ કર્યા વગર બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાના બહાર નીકળ્યા પછી ટ્રમ્પે સૈન્યશક્તિની દાદાગીરી તબક્કાવાર શરૂ કરી.
પાકિસ્તાની સેનાધ્યક્ષ મુનીરને ટ્રમ્પ લડાવ્યા લાડ
ખેર, બીજી ટર્મમાં સત્તા પર આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે પરોક્ષપણે ભારત માટે કડવાશ સાથે ટેરિફવારથી શરૂઆત કરી અને પાકિસ્તાનને વધુ મહત્ત્વ આપવાની શરૂઆત પણ કરી. પાકિસ્તાનના સેનાધ્યક્ષને ક્યારેય વૈશ્વિક સ્તરે પાડોશી દેશના કર્તા-ધર્તા તરીકેની પ્રત્યક્ષ માન્યતા મળી ન હતી. પરંતુ પાકિસ્તાનના સર્વિંગ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને હવે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત ડીનર કરાવીને વ્હાઈટ હાઉસમાં આવભગત કરી છે. પાકિસ્તાન સાથે અમેરિકાએ ઘણાં મોટા કરારો પણ કર્યા છે અને ભારત કરતા પહેલા ટ્રેડ ડીલ પણ કરી હતી.
ભારત-પાકિસ્તાનના યુદ્ધને રોકવાના દાવા પર દાવા
પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે અને પહેલગામમાં ધર્મ પુછીને 26 લોકોને મોતને ઘાટ ઉતારવાનું કામ પાકિસ્તાન પ્રેરીત આતંકીઓએ કર્યું. આનો બદલો લેવા માટે ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને ચાર દિવસ સુધી ભારત -પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલ્યો. પાકિસ્તાન પર ભારતે સરસાઈ સ્થાપી દીધી હતી. ત્યારે અચાનક ટ્રમ્પે સોશયલ મીડિયા પર જાહેર કર્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થઈ ચુક્યું છે. તેની સાથે તેમણે પોતાના કાર્યકાળના 10 માસમાં 8 યુદ્ધોને રોકવાનો દાવો કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી.
ટ્રમ્પ શરૂઆતથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો દાવો કરીને કરોડોના જીવ બચાવવાની વાત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં ટ્રમ્પે સ્ટેટ ઓફ યૂનિયનમાં ક્હ્યુ છે કે તેમણે ભારતના ઓપરેશન સિંદૂરનેરોકવા માટે હસ્તક્ષેપ કરીને 3.5 કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને કહ્યુ કે જો તેઓ હસ્તક્ષેપ ન કરત, તો 3.5 કરોડ લોકો માર્યા જાત. મહત્ત્વપૂર્ણ છે કે ટ્રમ્પ ગત વર્ષ 10 મે બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ રોકવાનો શ્રેય 80થી વધુ વખત લઈ ચુક્યા છે. જો કે ભારત સાથેના સંઘર્ષને રોકવામાં કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ભારત દ્વારા સતત ઈન્કાર કરાય રહ્યો છે. તેની સાથે ટેરિફ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાના કેટલાક કલાકો બાદ પત્રકાર પરિષદમાં પણ ટ્રમ્પે કહ્યુ હતુ કે મે જે આઠ યુદ્ધોને સમાપ્ત કરાવ્યા, તેમાંથી પાંચને સમાપ્ત કરાવવા માટે પણ ટેરિફનો ઉપયોગ કર્યો. મેં આઠ યુદ્ધો અઠકાવ્યા, ચાહે તમને પસંદ હોય કે ન હોય, જેમાં ભારત, પાકિસ્તાનનું મોટું યુદ્ધ કે પરમાણુ યુદ્ધની આશંકાવાળું યુદ્ધ પણ સામેલ છે.
ટ્રમ્પ 2029 સુધી ભારત ન આવે તો કેવું ?
હવે વિચારો કે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરના કહેવા મુજબ, ટ્રમ્પ જલ્દી ભારત આવવા માંગતા હોય અને તેઓ આવી જાય તથા જાહેરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ કે ટેરિફ કે ભારતની આંતરિક બાબતોને લઈને કંઈ બોલશે, તો આવા સંજોગોમાં ભારત અને ભારતના નેતાઓની સ્થિતિ કેવી થાય? ટ્રમ્પ ડિપ્લોમેટિક રીત-રસમોને માનતા પણ નથી અને પાળતા પણ નથી. નીતિગત સ્તરે વિદેશ નીતિલક્ષી સંમતિઓની પણ ઘણીવાર અવગણના તેઓ કરી શકે છે. જેમ કે જમ્મુ-કાશ્મીરને લઈને ભૂતકાળમાં તેમના દ્વારા મધ્યસ્થતાની આપવામાં આવેલી ઓફર છે. આવા સંજોગોમાં ભારત માટે ટ્રમ્પથી સુરક્ષિત અંતર જ બહેતર વિકલ્પ બની શકે છે. હવે ભારતની કૂટનીતિક કુશળતા જ દેશને ટ્રમ્પકાળની વક્રદ્રષ્ટિથી બચાવી શકે છે.તેથી ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2029 સુધી ભારત આવે નહીં તો સારું, કારણ કે ત્યારે તેમની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મ પૂર્ણ થશે. બાકી ટ્રમ્પ તો દુનિયાને હવે ટ્રમ્પલેન્ડ તરીકે જ ટ્રીટ કરી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો