લેબલ નીતીશ કુમાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નીતીશ કુમાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 23 જૂન, 2012

હિંદુત્વ: સાવરકર, સંઘ અને મોદી

-આનંદ શુક્લ

હિંદુત્વ ફરીથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતીશ કુમારને જવાબ આપતા કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન હિંદુત્વવાદી નેતા કેમ બની શકે નહીં? નીતીશ કુમારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ધર્મનિરપેક્ષ છબી ધરાવતા હોવા જોઈએ. નીતીશ કુમારનો સ્પષ્ટ ઈશારો તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની મહત્વકાંક્ષામાં અડચણ ઉભી કરવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની લોકછબી હિંદુત્વવાદી છે. 2002ના ગુજરાત રમખાણોને કારણે તેમની છબીને કોમવાદી પણ ગણવામાં આવી છે. અવાર-નવાર ભાજપની અંદરના અને બહારના રાજકીય નેતાઓ દ્વારા મોદીની કોમવાદી છબીને ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીને ગુજરાત સુધી સીમિત રાખવામાં 2002ના રમખાણોના કલંકિત પૃષ્ઠોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીને મુસ્લિમ વિરોધી હિંદુત્વવાદી નેતા તરીકે પ્રચારીત કરવામાં આવે છે.

પરંતુ જ્યાં સુધી હિંદુત્વનો સવાલ છે, તે કોઈની પ્રતિક્રિયામાં ઉભી થયેલી વિચારધારા નથી. સનાતન સંસ્કૃતિના ગર્ભમાંથી દેશની ઓળખ અને અસ્તિત્વ માટે ઉભી થયેલી વિચારધારા હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ ઉપાસના પદ્ધતિ અથવા પંથની ઓળખ સુધી સીમિત નથી. તેમાં ભારતની બહુમતી હિંદુ પ્રજાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક જેવાં તમામ પાસાંઓનો સમાવેશ કરતા ભાવ અને લાગણીઓનું નામ હિંદુત્વ છે. હિંદુત્વની વિચારધારાનું ઉદ્ગમસ્થાન વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, ઉપનિષદો અને પુરાણ છે. શિવ, રામ, કૃષ્ણ તેના આદ્યદેવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ,મહારાજા રણજીતસિંહ, મહારાષ્ટ્રની પેશ્વાઈ તમામ હિંદુત્વની અવિરત વિચારધારામાં આવેલા ઘાટ છે.

હિંદુત્વની વિચારધારાને સૌથી પહેલી આધુનિક ઓળખ વિનાયક દામોદર સાવરકરે 1923માં આપી. વીર સાવરકર તરીકે ઓળખાતા વી. ડી. સાવરકરે પોતાના જેલમાંથી લખાયેલા હિંદુત્વ નામના પુસ્તકમાં હિંદુની વ્યાખ્યા સ્પષ્ટ કરીને હિંદુત્વની વિચારધારા લોકો સામે મૂકી. હિંદુ નામ ભારતીયોને 8મી સદીની આસપાસ મળ્યું. ઈરાની અને અરબી લોકોએ સિંધુ પાર રહેતા લોકોને શબ્દ ઉચ્ચારણની મર્યાદાને કારણે આપણને હિંદુ તરીકે ઓળખ્યા. મોટાભાગે નામ પારકા પાડતા હોય છે. પરંતુ આ નામ આપણી ઓળખ બની જાય છે. હિંદુ શબ્દોના કેટલીક ઉર્દૂ ડિક્શનેરીમાં ઉતરતા અર્થો કરવામાં આવ્યા છે. તેમ છતા આપણે ભારતના સનાતન ધર્મીઓએ હિંદુ શબ્દને આપણી ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવથી માથે ઓઢી રાખ્યો છે. વીર સાવરકરની હિંદુની વ્યાખ્યા પ્રમાણે, ભારતને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ માનનારા તમામ લોકો હિંદુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર સાવરકરની હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યા સાથે સંપૂર્ણપણે સહમત હતા. 1923માં હિંદુત્વ પુસ્તકની નકલ જેલમાંથી બહાર આવી, ત્યારે તેને હેડગેવારે લોકોમાં ગુપ્તરાહે પ્રચારીત પણ કરી હતી. જો કે 1925થી સંઘની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યામાં ઘણી નરમાશ આવી ગઈ છે. સાવરકર જેવી ધારદાર વાત હવે આરએસએસની વ્યાખ્યાઓમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે આસિન થયા બાદ મોહન ભાગવતે ખુદ કહ્યુ છે કે જે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે તમામ હિંદુ છે. હિંદુની વ્યાખ્યાનું સરળીકરણ થયું. હિંદુમાં ભારતીય મૂળના ન હોય તેવા ધર્મના અનુયાયીઓને પણ હિંદુ માનવા માટેના તર્કો દાખલ કરવામાં આવ્યા. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા સાવરકરની મૂળ હિંદુત્વની વિચારધારા કરતા ઘણી નરમ બની ગઈ છે.

સંઘને નખશિખ હિંદુત્વવાદી ગણવામાં આવે છે. પરંતુ જે હિંદુત્વના વિચારની ધારાની ઓળખ સાવરકરે કરી હતી તેનાથી તે હવે યોજનો દૂર પહોંચી ગઈ છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ પણ બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પોતાની સાથે હોવાની વાત પણ હિંદુત્વની વિચારધારાના ઝંડાધારીઓ અવાર-નવાર કરતા રહે છે. સેક્યુલર વિચારધારાના આક્રમણોમાં સંઘનું હિંદુત્વ કોકટેલ બની ગયું છે. તેના પર સેક્યુલર પ્રભાવ સ્પષ્ટ જોવામાં આવે છે. સંઘના કેટલાંક વિચારકોના મતે, ભારતમાં રહેનારા દરેક લોકો હિંદુ છે, જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પંથના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે, એવું લાગ્યા વગર રહે નહીં કે તેઓ કેટલાંક પ્રચલિત શબ્દોના સ્થાને હિંદુ શબ્દનો ઉપયોગ માત્ર કરવા માંગે છે. આમ હિંદુત્વનો મૂળ સાવરકર દ્વારા ઓળખ પામેલો વિચાર સંઘના વિચારકોએ તબક્કાવાર નરમ કરી દીધો છે. કેટલાંક સંઘ વિચારકોના મતે સાવરકર પ્રવર્તમાન ભારતમાં પ્રસ્તુત નથી. તેમને સાવરકરના નામ અને વિચારોની એલર્જી પણ છે.

જ્યારે હિંદુત્વના વિચારોને વિચારધારાત્મક સંગઠનોની બહાર રહેલા લોકો એક સંકુચિત ધાર્મિક વિચાર માત્ર ગણે છે. હિંદુત્વવાદી એટલે કટ્ટર ધાર્મિક, મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધી, કોમવાદી, હુલ્લડખોર. દેશમાં રામજન્મભૂમિ આંદોલન અને બાબરી ધ્વંસ બાદ હિંદુત્વવાદીની આવી છબીને કોંગ્રેસી અને તથાકથિત સેક્યુલર રાજકારણીઓએ મીડિયાની મદદથી વધારે દ્રઢ બનાવી. તેમાં 2002ની ગોધરકાંડની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોને પણ હિંદુત્વની વિચારધારા સાથે જોડવામાં આવ્યા. જો કે હકીકત એવી છે કે દેશમાં થતા હુલ્લડોને હિંદુત્વના વિચાર સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. આ દેશમાં કોમી રમખાણોનો એક ઘણો મોટો અને વિકરાળ ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ સાવરકરના પુસ્તક હિંદુત્વના પ્રકાશન પહેલાથી ચાલ્યો આવે છે. હિંદુત્વવાદી ગણાતી સરકારોના કાર્યકાળ કરતા વધારે રમખાણો પોતાને સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસના કાર્યકાળમાં થયા છે. એટલે કે હિંદુત્વના વિચાર અને કોમી રમખાણોને કોઈ લેવાદેવા નથી. કોમી રમખાણો માટે તુષ્ટિકરણની સરકારી નીતિ હંમેશા કારણભૂત રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હિંદુત્વના સાચા અર્થને જાણતા નથી. તેમના મતે હિંદુત્વ કોમવાદી, સંકુચિત, મુસ્લિમ વિરોધી વિચાર છે.

પરંતુ તથાકથિત ધર્મનિરપેક્ષો અહીં ગોથું ખાઈ જાય છે. હિંદુત્વ આ દેશનો આત્મા છે. આ દેશના સમાજજીવનમાંથી હિંદુવિચારને બહાર કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ જ બચતું નથી. આ દેશની ઉદારતાનું પણ એક મોટું કારણ અહીંની હિંદુ બહુમતી છે. દેશના ભાગલા પડયા અને પાકિસ્તાન-બાંગ્લાદેશ નામના બે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓની હાલત અત્યંત કફોડી છે. જેના માટે સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારી ઈસ્લામિક વિચારધારા છે. જ્યારે હિંદુ બહુમતી ધરાવતા ધર્મનિરપેક્ષ ભારતમાં મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ સેક્યુલરવાદના નામે પૂરજોર ચાલી રહી છે. આને હિંદુઓની ઉદારતા કરતાં તેમની કમજોરી અને નાસમજ ગણવી વધારે યોગ્ય છે. પોતાના હક છોડવાએ ઉદારતા નથી, પરંતુ અસ્તિત્વ અને ઓળખ સામેનું મહાસંકટ છે. ભારતમાં હિંદુઓએ પોતાના આર્થિક, શૈક્ષણિક, રોજી-રોટીના હકો તથાકથિત સેક્યુલર રાજનીતિમાં છોડી દીધા છે અથવા છોડવા માટે મજબૂર બનવું પડયું છે. હવે રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર પણ મુસ્લિમ અને ખ્રિસ્તી તરફી રાજકારણીઓની નજર છે. હિંદુઓ પોતાના હક છોડે તે ઉદારતા નથી. ઉદારતા એને કહેવાય કે પોતાના હક જાળવીને બીજાના અધિકારો પર તરાપ ન મારવી. જો કે મુસ્લિમ-ખ્રિસ્તીના અધિકારો જાળવવા માટે ભારતની સરકારો હિંદુઓના અધિકારો પર તરાપ મારતી હંમેશા નજરે પડી છે. હિંદુત્વ આ દેશની જીવનપદ્ધતિ હોવાની વાત ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહી છે. જીવનપદ્ધતિ હંમેશા પંથનિરપેક્ષ હોય છે. જીવનપદ્ધતિ કોમવાદી ને સંકુચિત હોતી નથી. જીવનપદ્ધતિ કોઈના વિરોધમાં ઉભી થતી નથી. માટે હિંદુત્વની જીવનપદ્ધતિ મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી.

પરંતુ હવે સવાલ એ છે કે મોદી ઉપરોક્ત ક્યાં ત્રણ પ્રકારના હિંદુત્વમાંથી ક્યાં પ્રવાહને અનુસરી રહ્યા છે? મોદીનું હિંદુત્વ મૂળ સનાતની વિચાર પર રચાયેલું સાવરકરનું હિંદુત્વ છે કે સંઘનું નરમ કરી દેવાયેલું હિંદુત્વ છે અથવા હિંદુત્વ એટલે કોમવાદી એવી છાપ ધરાવતું હિંદુત્વ છે? હિંદુત્વની વિચારધારામાં ગોહત્યા ઘણો મોટો મોટો મુદ્દો રહ્યો છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ગોહત્યાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. જો ગુજરાતમાં ગોહત્યાઓ થતી હોય, તો મોદીના શાસનને હિંદુત્વવાદી કેવી રીતે ગણવું? ગુજરાતમાં 250 જેટલા મંદિરો મોદી સરકારે તોડાવી નખાવ્યા. મોદીને વીએચપીના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે ગઝની સાથે સરખાવ્યા. નિરીક્ષક નામના વિચારપત્રમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથેની વ્યક્તિગત ચર્ચાને ટાંકીને લખ્યુ છે કે મોદીના શાસનમાં સૌથી વધારે હિંદુ મંદિરો તૂટયા, છતાં મોદીને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. ગુજરાતામાં મુસ્લિમ ધાર્મિક સ્થાનોને આ સરકારે ઉની આંચ પણ આવવા દીધી નથી. ગુજરાતમાં હિંદુઓ સુખી હોય કે ન હોય પણ સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે રાજ્યના મુસ્લિમો દેશમાં સૌથી વધારે સુખી હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. હિંદુ તીર્થસ્થાનોની યાત્રામાં ક્વોટા સંદર્ભે મોદી સરકાર ચિંતિત નથી, તેટલી ચિંતિત હજયાત્રાના ક્વોટા માટે ચિંતિત છે. ભારતમાં ક્રિકેટ જોવા આવતા પાકિસ્તાનીઓને અજમેરની યાત્રા કરાવવાની ભાવના ગુજરાતના હિંદુત્વવાદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. રાજ્યમાં ગોચરની જમીનો ખતમ કરવા માટે પણ મોદી સરકાર સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન સંદર્ભેના રાજ્યસ્તરના રેકોર્ડો 2006-07 બાદ હજીસુધી ઉપલબ્ધ નથી. જેના લીધે ખેતીલાયક, બિનખેતીલાયક, વન્ય અને ગોચરની જમીનના આંકડા હાલ અધ્ધરતાલ જ છે.

આમ જોવો તો મોદીનું હિંદુત્વ માત્ર ગુજરાતની ગાદી પર પહોંચીને ટકવા માટેનું તકવાદી હિંદુત્વ છે. ગાંધીનગરથી દિલ્હી જવામાં હિંદુત્વ નડતું હોવાથી મોદીએ સદભાવના મિશન કરીને પોતાની સેક્યુલર છબી બનાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમા તેઓ નિષ્ફળ ગયા છે. નીતીશ કુમાર સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓએ મોદીના સેક્યુલર ગિલેટને નકારી કાઢયો છે. હાલ એનડીએ તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેડીયૂ ધર્મનિરપેક્ષતાના મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. એટલે કે ભાજપ મોદી સાથે આગળ વધશે તો તેમને જેડીયૂનો સેક્યુલર સાથ મળશે નહીં. તેવા સંજોગોમાં એનડીએમાં ભાજપ, શિવસેના અને અકાલીદળ એમ ત્રણ પક્ષો જ બચશે. ભાજપ ફરીથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીને આગળ કરીને હિંદુત્વનો વંટોળ જગાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ તેમાં તેમને ફરી વખત જનતાને છેતરવામાં સફળતા મળશે કે કેમ તેના વિશે વિશ્લેષકોને શંકા છે. હાલ હિંદુત્વનું દોઢ દાયકા પહેલા ઉઠેલું મોજું શાંત છે. એવી કોઈ હિંદુત્વની લહેર નથી કે લોકો ફરીથી આંદોલિત થાય. તેમ છતાં ભાજપ મોદીને આગળ કરીને હિંદુત્વના મુદ્દે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે, તો ત્યાર પછી તેમને ગઠબંધન બનાવતી વખતે હિંદુત્વના મુદ્દા કોરાણે જ મૂકવા પડશે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એક વખત જનતાની ભાવનાને છેહ આપશે.

ગુરુવાર, 21 જૂન, 2012

એનડીએ તૂટી જશે?:'હિંદુત્વવાદી' મોદીની ઈમેજ પર નીતીશ કુમારનું રાજકારણ

-આનંદ શુક્લ

એનડીએમાં હાલની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવારની ચર્ચા ઓછી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા વધારે થઈ રહી છે. ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ગુજરાતમાં હાલની પરિસ્થિતિ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને અન્ય અસંતુષ્ટોની વિરોધમાં સક્રિય થયેલી રાજકીય ધરીથી નરેન્દ્ર મોદી માટે ગત વિધાનસભા ચૂંટણીઓ જેવી સરળ પરિસ્થિતિ નથી. કેશુભાઈ પટેલના ગઢ રાજકોટની કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાતિવાદી રાજકારણ પર નિશાન સાધવા માટે નીતીશ કુમારના બિહાર પર ટીપ્પણી કરી હતી. નરેન્દ્ર મોદીએ કેશુભાઈ અને અન્ય અસંતુષ્ટો દ્વારા ચલાવવામાં આવતા પટેલ અને અન્ય જ્ઞાતિઓના સંમેલનો પર નિશાન સાધવા બિહાર અને યૂપીના જાતિવાદી રાજકારણનો દાખલો આપીને તેને તેમની દુર્દશા માટે જવાબદાર ઠેરવ્યા હતા.

પરંતુ તેના કારણે ત્રણ વર્ષ પહેલા અંગારા નીચે ધરબાયેલી મોદી વિરોધી આગ બિહાર ખાતેથી ફરીથી ભભૂકી ઉઠી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને છેલ્લા કેટલાંક સમયથી નિવેદનો આપવાના શરૂ કર્યા છે. તેમણે કહ્યુ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા વ્યક્તિ હોવા જોઈએ. નીતીશ કુમારની પાર્ટી જેડી-યૂ સેક્યુલર છબીવાળા વડાપ્રધાનપદના ઉમેદવાર સંદર્ભે કોઈપણ જાતની સમજૂતી કરવા માટે તૈયાર નથી. તેના માટે તેઓ 1997થી ભાજપ સાથેના પોતાના ગઠબંધનનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે. જેડીયૂના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યુ છે કે બિહારની સરકાર સત્તામાં રહે કે ન રહે, પરંતુ ધર્મનિરપેક્ષતાના મુદ્દે તેમની પાર્ટી કોઈ સમજૂતી કરશે નહીં.

ભાજપમાં મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ પરથી એવો સંદેશ જાય છે કે પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવાનું મન બનાવી લીધું છે. જો કે સંજય જોશી પ્રકરણ બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં મોદીનું નામ લીધા વગર ટીકા કરવામાં આવી. પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની સંગઠનાત્મક ક્ષમતા પર સવાલ ઉભા કર્યા. ત્યારે બિહારમાંથી પણ એક અવાજ ઉઠયો હતો કે પાર્ટીને કોઈ હાઈજેક કરી શકે નહીં. આ અવાજ હતો બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીનો. ભાજપમાં પ્રદેશ સ્તરથી માંડીને રાષ્ટ્રીય સ્તરે મોદી તરફી અને મોદી વિરોધી જૂથ હોવાનું કોઈનાથી હવે છુપું નથી. મોદી તરફી જૂથ મોદીને કોઈપણ ભોગે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાવવા માટે તત્પર છે. જ્યારે મોદી વિરોધી જૂથ મોદીના 2002ના ગુજરાત રમખાણોના કલંકિત ઈતિહાસ પૃષ્ઠને આગળ કરીને તેમના રાજકીય ઈરાદાઓ ધરાશાયી કરવાનો પ્રયત્ન કરે છે.

એનડીએમાં જેડીયૂના નીતીશ કુમાર સાથે ભાજપના મોદી વિરોધી જૂથને ખાસો ધરોબો છે. નીતીશ કુમારે તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા હોવા જોઈએ. આ મુલાકાતમાં નીતીશ કુમારે મોદીનું નામ તો લીધુ નથી. પરંતુ સમીક્ષકોના માનવા પ્રમાણે, નિવેદન નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચાલી રહેલી રાજકીય ઉઠાપઠક અને કવાયત સામે છે. નીતીશ કુમારને નરેન્દ્ર મોદીના વિરોધી ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સૌથી મોટી રાજકીય અડચણ પણ નીતીશ કુમારને ગણવામાં આવે છે. કોસી નદીમાં આવેલા વિનાશક પૂર વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાની મદદ કરી હતી. બિહારમાં રાષ્ટ્રીય કારોબારી વખતે મોદીની મુલાકાતના ટાણે અખબારોમાં આની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોદી અને નીતીશ કુમારની સાથે તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ બિહારમાં ટાંકણે વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે નીતીશ કુમાર મુસ્લિમ વોટબેંકને લઈને ખાસા સતર્ક હતા. તેમણે તાત્કાલિક મોદી સરકારને બિહારને આપવામાં આવેલી પાંચ કરોડ રૂપિયાની મદદ પાછી આપી. ભાજપની કારોબારીમાં આવેલા નેતાઓ માટેનો રાત્રિભોજનનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો. જેને નરેન્દ્ર મોદીની હાજરી સાથે જોડીને જોવામાં આવ્યો.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર ચૂંટણી પ્રચારક નરેન્દ્ર મોદીને દૂર રાખવામાં આવ્યા. જેનું સીધું કારણ નરેન્દ્ર મોદી માટે નીતીશ કુમારનો અણગમો હતો. જો કે જાણકારોના માનવા પ્રમાણે, મોદી અને નીતીશ વચ્ચેના સંબંધો 2010 બાદ જ બગડયા. વાજપેયી સરકારમાં 2002ના ગુજરાત રમખાણો બાદ પણ કેન્દ્રીય મંત્રી તરીકે નીતીશ કુમારે ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે અને મોદી સાથે મંચ પર પણ બેઠા છે. સમીક્ષકો પ્રમાણે, મોદીનું હિંદુત્વ અને નીતીશ કુમારનો સેક્યુલરવાદ બંને તકવાદી છે. મોદીને જ્યાં સુધી હિંદુત્વની મદદથી ગુજરાતની ગાદી પર બેસવામાં મદદ મળતી હતી, ત્યાં સુધી તેના એજન્ડાને આગલ વધાર્યા. જ્યારે તેમને વડાપ્રધાનપદે પહોંચવાની રાજકીય મહત્વાકાંક્ષામાં હિંદુત્વ અડચણ લાગવા લાગ્યું, તો તેમણે સદભાવના મિશન હેઠળ ઉપવાસો કર્યા. પોતાની રાજકીય ઈમેજ બદલવા માટે પુરજોર કોશિશ કરી. જ્યારે નીતીશ કુમારે ગુજરાત રમખાણો બાદ મોદી સરકારને બરખાસ્ત નહીં કરવાના મુદ્દે વાજપેયીની સરકારના મંત્રીપદનું બલિદાન આપ્યું ન હતું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે 2002ની ઘટનાઓ બાદ પણ મંચ ઘણી વખત બેઠાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના 16 ટકા મુસ્લિમ મતોને નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને કારણ બનાવીને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરી.

નીતીશ કુમારના મોદી સામેના મનાતા નિવેદન મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જવાબ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યુ છે કે કોઈ હિંદુત્વવાદી ભારતના વડાપ્રધાન કેમ બની શકે નહીં? જો કે તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદીની દાવેદારીના ટેકામાં સંઘ ખુલીને સામે આવી ગયો છે. ભાજપે પણ સંઘના સૂરમાં સૂર મિલાવતા જેડીયૂ પર હુમલો કરતા કહ્યું છે કે પાર્ટીને કોના સર્ટિફિકેટની જરૂરત નથી. અહીં મુદ્દો છે કે ભારતમાં 82 ટકા હિંદુ વસ્તી છે. હિંદુત્વ ભારતની જીવન પદ્ધતિ છે. આ તથ્યને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. ભારતની ધર્મપરાયણ પ્રજાને ધર્મનિરપેક્ષ બનાવવી હકીકતમાં પાપ છે. ધર્મ ભારતના અસ્તિત્વની મુખ્ય ધરી છે. ભારતમાં સંપ્રદાય-પંથ નિરપેક્ષતા આવે તે જરૂરી છે. પરંતુ ભારત ધર્મનિરપેક્ષ બની શકે નહીં. હિંદુત્વ જીવન પદ્ધતિ હોવાને કારણે આપમેળે જ તે સેક્યુલર છે. ત્યારે દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બનાવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ ઉંબાડિયા કરતા રહે છે. પરંતુ હિંદુત્વના નામ પર દેશના વડાપ્રધાન બનવા જોઈએ નહીં તેમ કહેનારા નેતાઓની અહીં ભરમાર છે. દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બને, સેનાધ્યક્ષ બને, મુખ્ય ન્યાયાધીશ બને, અરે વડાપ્રધાન બનવાનું વ્યક્તિત્વ ધરાવનારો મુસ્લિમ વડાપ્રધાન બને તો પણ કોઈને વાંધો નથી. તો હિંદુત્વવાદી વ્યક્તિના વડાપ્રધાન બનવા બાબતે વાંધો શા માટે ઉઠાવવામાં આવે છે?

જો કે સમગ્ર રાજકીય ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે નીતીશ કુમાર હાલ ભલે વડાપ્રધાનપદની દાવેદારી રજૂ કરતા ન હોય. પરંતુ તેમની ધરબાયેલી રાજકીય મહત્વકાંક્ષા જોર મારી રહી છે. ગુજરાત રમખાણો બાદ રાજ્યમાં મોદીના શાસન નીચે વિકાસ યાત્રા થઈ. કેટલાંક સર્વેમાં ગુજરાતના વિકાસને અવ્વલ દરજ્જાનો ગણાવવામાં આવ્યો. મોદી વિરોધીઓએ ગુજરાત રમખાણોની ચર્ચા કરી અને મોદીએ વિકાસના કામો કર્યા હોવાની છાપ પણ હાલ પ્રવર્તી રહી છે. બિહારના મુખ્યમંત્રી બનતા પહેલા નીતીશ કુમારે મોદી સંદર્ભેના કેટલાંક ભ્રમ દૂર કરી દીધા. મોદી વગર ભાજપ માટે ચૂંટણીમાં સારો દેખાવ કરવો શક્ય નથી. નીતીશ કુમારે બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં મોદીને પ્રચાર અભિયાનથી દૂર રખાવ્યા હતા. છતાં જેડીયૂ અને ભાજપનું ગઠબંધન ત્રણ ચતુર્થાંસ બહુમતીથી સત્તામાં આવ્યું. મુસ્લિમ મતો મોદીના કારણે ભાજપથી દૂર થાય છે, તેવી માન્યતાને દ્રઢીભૂત કરી. કારણ કે મોદીના નહીં આવવાથી ભાજપ-જેડીયૂ ગઠબંધનને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત હિંદુત્વવાદી છાપને નીતીશ કુમારે પોતાની રાજનીતિનો મહત્વનો ભાગ બનાવ્યો. મોદીને પોતાની વડાપ્રધાન બનવાની રાજકીય મહત્વકાંક્ષામાં કટ્ટર ઈમેજ અડચણરૂપ લાગતા તેમણે પણ હિંદુત્વની કાંચળી ઉતારવાની શરૂઆત કરી. દરેક ઠેકાણે ગુજરાતની વિકાસ યાત્રાની વાતો પુરજોર કરવા માંડી. ઈમેજ મેકઓવર માટે સુપ્રીમ કોર્ટની કથિત ક્લિનચીટવાળા ગુલમર્ગ કાંડ સંદર્ભેના ઓર્ડર બાદ સદભાવના મિશન શરૂ કર્યું. તેના હેઠળ તેમણે કુલ 33 જગ્યાએ 36 ઉપવાસો કર્યા. આ સમગ્ર તામજામમાં 200 કરોડનો ખર્ચો થયો. પરંતુ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા મોદીને હિંદુત્વવાદી નેતા ગણાવતું તેમના નામ લીધા વગરનું નિવેદન ઘણી મોટી અસર પેદા કરશે. સંઘ જેને હિંદુત્વવાદી ગણતું હશે,તેને રાજકીય પક્ષો કેવી રીતે સેક્યુલર ગણશે? એટલે ચર્ચા એવી પણ છે કે મોહન ભાગવતે મોદીને કોથળામાં પાંચશેરી મારીને એનડીએના ગઠબંધનમાં તેમની વડાપ્રધાનપદની ઉમેદવારીને હાલ બ્રેક મારી દીધી છે.

હાલની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રવૃતિ સામે એનડીએના ભાજપ પછીના સૌથી મોટા પક્ષ જેડીયૂના વાંધા બાદ તિરાડ વધુ પહોળી બની છે. રાજકીય વિશ્લેષકોના મતે મોદીને આગળ કરવાથી 2014 પહેલા એનડીએ તૂટી જશે. મોદીના હિંદુત્વવાદી ચહેરાથી એનડીએમાં ભાજપ બાદ શિવસેના સિવાયના તમામ પક્ષોને કોઈને કોઈ વાંધો છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં હિંદુત્વવાદી નરેન્દ્ર મોદીને 2014ની વડાપ્રધાનપદની ઉમેદવારી કરાવવા માટે ભાજપે એનડીએનું વિસર્જન કરીને હિંદુત્વવાદી એજન્ડા પર પાછા ફરવું પડે તેમ છે. રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવી અને સમાન નાગરિક ધારાનો અમલ જેવા મુદ્દાઓ ફરીથી જીવિત કરવા પડે. આ મુદ્દાઓ દોઢ દશકથી કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોલ્ડ બોક્ષમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ સંઘ પરિવારના વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનના કેટલાંક વરિષ્ઠ નેતાઓનો મોદી સામેનો અણગમો જગજાહેર છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ગજગ્રાહ પણ ઘણો મોટો છે. વળી પ્રખર હિંદુત્વવાદી સંગઠન મોદી દ્વારા ગાંધીનગરમાં તોડવામાં આવેલા 250થી વધારે મંદિરોના મુદ્દે નારાજ છે. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે મોદીની સરખામણી મહંમદ ગઝની સાથે કરી હતી.

આવા સંજોગોમાં મોદીની હિંદુત્વવાદી છબી દુનિયામાં યથાવત છે, પરંતુ સંઘપરિવારમાં તેને ગ્રહણ લાગેલું છે. ગુજરાતના વિચારપત્ર નિરીક્ષકના એક અંકમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથે થયેલી ખાનગી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મોદીએ તેમને જણાવ્યુ કે તેમણે મોટીસંખ્યામાં હિંદુ મંદિરો તોડયા હોવા છતાં તેમને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. (શબ્દશ વાત યાદ નથી, બાકી જે વાત હતી તેનો મર્મ આવો કંઈક હતો) આનો અર્થ એ થયો કે મોદી પોતાની હિંદુત્વવાદી છબી તોડવા માટે ખૂબ ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ 2002ની ગુજરાત રમખાણોની ઘટનામાં તેમની ઉભી થયેલી ઈમેજ વધારે ગાઢ સાબિત થઈ છે. આવા સંજોગોમાં મોદીની વડાપ્રધાનપદ માટેની એનડીએમાં દાવેદારીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની રાજનીતિથી ગ્રહણ લાગી રહ્યું છે.