શુક્રવાર, 27 મે, 2011

RSS કટ્ટર 'રાષ્ટ્રવાદ' ફેલાવે તો તેમા ખોટું શું છે?


દેશમાં કોંગ્રેસની એકહથ્થુ સત્તાને આઝાદી બાદ કોઈ વિચારધારાએ ટક્કર આપી છે, તો તે છે હિંદુત્વની વિચારધારા. દેશમાં આઝાદી બાદ હિંદુ મહાસભાના પ્રભાવહીન થયા બાદ ભારતની રાજકીય ક્ષિતિજ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થકી ભારતીય જનસંઘનો ઉદય થયો અને ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની. ભારતીય જનતા પાર્ટીએ 1989થી 2010 સુધીના સમયગાળામાં કોંગ્રેસને નાકે દમ લાવી દીધો છે. તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને મગજ જ કામ કરી ગયું છે. સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસના વિરોધીઓની યાદીમાં હોય જ. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસના વિરોધીઓના લિસ્ટમાં સૌથી ઉપર હોય.

રાહુલ ગાંધીએ વૈચારીક કટ્ટરતામાં મુસ્લિમ વિદ્યાર્થીઓના કટ્ટરવાદી પ્રતિબંધિત સંગઠન સ્ટૂડન્ટસ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સીમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કોઈ ફેર ન હોવાનું જણાવ્યું છે. જો કે તેમાં કેટલું તથ્યા છે, તે તારવવું હજી બાકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની જમણેરી વિચારધારાનો એક સ્તંભ અવશ્ય છે. દરેક દેશમાં જમણેરી, મધ્યમાર્ગી અને ડાબેરી વિચારધારાઓ રહેતી હોય છે. તેવી રીતે ભારતમાં પણ જમણેરી વિચારધારાના લોકોને પણ પોતાની વિચારધારાને આગળ વધારવા પ્રસારીત કરવાના અને તેના માટે લોકતાંત્રિક અહિંસક સત્યાગ્રહી આંદોલનો ચલાવવાનો અધિકાર છે.

ત્યારે તેની સામે કોઈ વૈચારીક રીતે આંદોલન ચલાવવાનો મધ્યમમાર્ગી કોંગ્રેસને પણ અધિકાર છે. પરંતુ કોંગ્રેસ આવું વૈચારીક આંદોલન ચલાવ્યા વગર જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપોનો મારો ચલાવે છે. જો કે એમાં પણ તથ્ય હોવાની સંભાવના છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા ‘કેટલાંક’ લોકો ઉગ્રપંથી કૃત્યોમાં સામેલ હોઈ શકે છે. પરંતુ તે હજી તપાસ થવાની બાકી છે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા જ ‘જજમેન્ટ’ પાસ કરી દેવાય તે કેટલું યોગ્ય છે?

આ એ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે કે જેને ચીન સામેના યુદ્ધમાં સેનાનો સહકાર આપવા બદલ સેક્યુલર ગણાતાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નવી દિલ્હીમાં પરેડમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. ગાંધી હત્યામાં સામેલ હોવાનો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર લાગ્યો હતો. જો કે પાછળથી આ આરોપોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિર્દોષ જાહેર કરવામાં આવ્યું હતું. તે વખતે પણ ભારતના તત્કાલિન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસને દેશભક્ત સંગઠન જ કહ્યું હતું. ભારતને કટ્ટરવાદી કે આતંકવાદી સંગઠન ભારતના દેશભક્ત રાજકારણીઓએ તેના વિરોધી હોવા છતાં પણ કહ્યું નથી. ત્યારે રાહુલ ગાંધીની અયોધ્યાનો ચુકાદો આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરની ટિપ્પણી હિંદુત્વ વિચારધારાના ધ્વજારોહકો વિરુદ્ધ કોંગ્રેસ તરફથી આક્રમક રણનીતિના સંકેતો દર્શાવે છે.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહને ડાહપણની દાઢ ઉગી નીકળી છે. તેમણે કહ્યું છે કે સંઘ પર પ્રતિબંધ મૂકવો સમસ્યાનું સમાધાન નથી. તેમની આ વાત સાથે સંમત થવું પડે તેમ છે. કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગાંધી હત્યા વખતે, કટોકટી વખતે અને બાબરી ધ્વંસ પછી એમ કુલ ત્રણ વખત પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન આરએસએસનો જનાધાર આશ્ચર્યજનક રીતે વધ્યો હતો. અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ઘટાડો થયો હોવાનું તેમના વાર્ષિક પ્રતિવેદનમાં સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે આરએસએસ વિરુદ્ધની કોઈપણ પ્રતિબંધાત્મક કાર્યવાહી તેનો જનાધાર વધારવાની તક પૂરી પડશે. આરએસએસ દરેક પ્રતિબંધ બાદ વધારે મજબૂત બનીને બહાર આવ્યું છે.

જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના ગાંધી-નહેરુ પરિવારને વત્તા-ઓછાં અંશે છત્રીસનો આંકડો રહેલો છે. પરંતુ એક હકીકત એ પણ છે કે ભારતની રાજનીતિમાં બે ધ્રુવો ઉભા કરવાનું પણ આરએસએસના પ્રયત્નોથી જ શક્ય બન્યું છે. ત્યારે લોકતંત્રમાં વિરોધી વિચારધારાને વૈચારીક, લોકતાંત્રિક રીતે જવાબ આપવાની પરિપક્વતા દાખવવાની આવશ્યકતા છે. દિગ્વિજય સિંહે અયોધ્યા ચુકાદા પહેલા કહ્યું હતું કે વીએચપી અને સંઘ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેમણે ભાજપ, વીએચપી અને સંઘના કોઈપણ વાયદામાં વિશ્વાસ ન કરી શકાય તેમ કહ્યું હતું. જો કે અયોધ્યા ચુકાદા બાદ આ બધાં જ સંગઠનોએ શાંતિ જાળવવામાં સરકારને સહકાર આપ્યો છે. આ હકીકતથી હવે ઈન્કાર થઈ શકે તેમ નથી.

તેની સામે સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા ભારતમાં ઈસ્લામના ફેલાવાના નામે પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત આતંકવાદી સંગઠનો સાથે મળીને દેશમાં અજારકતા ફેલાવે છે. જેના કારણે તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અત્યાર સુધીનો ઘોષિત પક્ષ તો લોકતાંત્રિક, બંધારણીય અને અહિંસાના માર્ગે પોતાના વિચારને આગળ વધારવાનો રહ્યો છે. હવે લોકોને જ નક્કી કરવા દેવું જોઈએ કે તેમને શું જોઈએ છે? તેમને ક્યાં માર્ગે આગળ વધવું જોઈએ?

આરએસએસના દ્વિતિય સરસંઘચાલક એમ. એસ ગોલવલકરે કહ્યું છે કે જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)

તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124)

કટ્ટર રાષ્ટ્રવાદી હોવું શું ગુનો છે? રાષ્ટ્રવાદની કટ્ટરતા કોમવાદી કટ્ટરતા કરતાં તો સારી ગણાય કે નહીં? ભારતના ઘણાં દુ:ખોનું કારણ રાષ્ટ્રવાદની કટ્ટરતાની અછત રહી છે. જો આવી કટ્ટરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફેલાવતું હોય તો તેમા ખોટું શું છે?

રાષ્ટ્રવાદની કટ્ટરતા દેશના સ્વાભિમાન માટે જરૂરી છે. રાષ્ટ્રવાદની કટ્ટરતા ફેલાવવું કોઈ ગુનો બનતું નથી. ગુનો બને છે કે જ્યારે રાષ્ટ્રવાદની જગ્યાએ કોમવાદી કટ્ટરતા ફેલાવવામાં આવે છે. જો કોઈ કોમવાદી કટ્ટરતા ફેલવાતું હોય તો તેને રાષ્ટ્રદ્રોહનો ગુનો ગણવો જોઈએ. પરંતુ રાષ્ટ્રવાદીઓને કોમવાદી કટ્ટરતાવાદીઓ સાથે બેસાડવું કેટલું યોગ્ય છે?

વાચકમિત્રો તમે શું માનો છો કે સંઘ રાષ્ટ્રીય વિચારધારા ધરાવે છે કે કોમવાદી? આપના આ લેખ સંદર્ભે શું અભિપ્રાયો છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છે. આપના અભિપ્રાયોનું સ્વાગત છે.....

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું!


11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ, જુદાંજુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટાં હોય, તો પણ અંતે તો એ બધાં તારા પ્રત્યે જ લઈ જાય છે.’ આ સંન્યાસી અન્ય કોઈ ન હતા પરંતુ દેશ-દુનિયાના સેંકડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદનું પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ

ભગવા વસ્ત્રોમાં સજ્જ કેસરી પાઘડીવાળા સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર આજે પણ દેશ અને દુનિયાના સેંકડો યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે. તેમની આંખોના ભાવ આજે પણ ભારતના યુવાનોમાં નચિકેતાને શોધી રહ્યાં છે, કે જે ભારતને પરમ વૈભવે પહોંચાડી શકે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ અને ધૈર્ય નીતરે છે.

જ્યારે તેઓ 1892માં અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં અસરકારક ભાષણ દ્વારા ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે સમજાવીને પોતાના સ્થાન પર બેઠાં ત્યારે ત્યાં આવેલા તમામ ધર્માચાર્યો તેમની પ્રભાવી વાણીમાં હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન અંગે સાંભળીને શું બોલવું? તે નક્કી કરી શક્યા ન હતા!

સ્વામી વિવેકાનંદની ઉંચી ખડતલ દેહયષ્ટિ, વેધક અને તેજસ્વી વિશાળ આંખો, ઘેરો અને સમૃદ્ધ એવો સ્વર તેમના પ્રતિભાશાળી તથા પ્રભાવશાળી વ્યક્તિત્વને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતા. તેઓએ ખરેખર 11 સપ્ટેમ્બર, 1892ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત માટે ‘દિગ્વિજય’ કર્યો હતો. તેઓ ધાર્મિક હોવા છતાં સમર્પણ તેમના માટે સ્વભાવગત ન હતું! તેમનું મન એક વિજેતાનું મન હતું. શું તફાવત હતો સ્વામી વિવેકાનંદના વિચારોમાં અને અન્ય ધર્માચાર્યોના વિચારમાં? સ્વામી વિવેકાનંદે કોઈ જ વિદ્વતાપૂર્ણ નિંબધ વાંચ્યો ન હતો. તેમજ કોઈના ભલામણ પત્ર પણ સાથે લાવ્યા ન હતા. સૌને સવાલ થયો હતો કે ભારતથી આવેલા એક અજાણ સંન્યાસીએ કેવી રીતે આટલો ઉંડો પ્રભાવ પાડયો?

તેનો જવાબ સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના શિકાગો ખાતે થયેલા ઉદબોધનમાંથી મળી જાય છે. આ પરિષદમાં અન્ય ધર્માચાર્યો પોતાના ધર્મના ઈશ્વર અંગે બોલ્યા હતા, જ્યારે સ્વામી વિવેકાનંદ સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા!જો કે આ વાત હજી સુધી સમજી ન શકનારા આપણે હજી પણ આપણાં ઈશ્વર માટેની લડાઈઓ ચાલુ રાખી છે.

ઓસામાના 9/11ને કદાચ સ્વામી વિવેકાનંદે પારખી લીધું હતું!


સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાનઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે.’ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતાં સર્વ ત્રાસનો મૃત્યુ ઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

વિશ્વમાં આતંકવાદની સૌથી મોટી ઘટના 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે થઈ હતી. તેના વિલન અલકાયદા અને તેનો સરગના ઓસામા-બિન-લાદેન હતા. આ ઘટનાને આતંકના ઈતિહાસમાં 9/11ની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના અજાણ્યા સંન્યાસી ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી મળેલા વિજયને કે ઓસામાના જેવા આતંકી કુકૃત્યોને પરિણામે ફરક્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફરકાવી હતી.

આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. 1893ના શિકાગોમાં થયેલા 9/11ના હીરો સ્વામી વિવેકાનંદ હતા.

વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી સ્વામી વિવેકાનંદની વાતોને જો માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ 9/11ની ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા સાધી શકાય હોત તો કદાચ જેહાદી આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા ઓસામ બિન લાદેનો પેદા થઈ શક્યા ન હોત. સારા વિશ્વ ધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ નિર્મૂળ કરી શકાશે. કદાચ ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની વિચારધારા અને માનસિકતાને વિશ્વમાંથી રૂખસદ આપી શકાશે.

તમારો અભિપ્રાય


વાચકમિત્રો સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ભાષણ સંદર્ભે અને તેમણે આપેલા દ્રષ્ટિકોણ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? તમને લાગે છે કે ભારતે સ્વામી વિવેકાનંદના વૈચારીક માર્ગદર્શન હેઠળ પોતાનો પથ નક્કી કરવો જોઈએ? ભારતીય તત્વજ્ઞાનને ઘેરાયથી સમજવાની જરૂર છે? તમારો મત અમને નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં લખીને મોકલી જણાવશો.

જલિયાંવાલા બાગ: 1650 રાઉન્ડમાં 1000થી વધારેની હત્યા!


અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.

13 એપ્રિલ, 1919નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ, 1699ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે.

દમનકારી રોલેટ એક્ટના કાળા કાયદાની પૃષ્ઠભૂમિ

અંગ્રેજી હુકૂમતનું દમનકારી વલણ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ શરૂ થઈ ચુક્યું હતું. દેશ આખાએ તેનો અનુભવ કર્યો હતો. જો કે તેમ છતાં ભારતે પ્રથમ વિશ્વ યુદ્ધમાં (1914-1918) બ્રિટિશ હુકૂમતનો ખુલીને સાથ આપ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિએ આશા હતી કે ભારત સાથે બ્રિટિશ શાસન નરમાશથી વર્તશે. પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટિશ સરકારે મોન્ટેગૂ-ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે પંજાબના ક્ષેત્રોમાં બ્રિટિશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાટી પર આવ્યો હતો. તેને દબાવવા માટે ભારત પ્રતિરક્ષા કાયદો (1915) લાગુ કરીને કચડી નાખ્યું હતું. ત્યાર બાદ 1918માં એક બ્રિટિશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટિશરોનો વિરોધ કઈ વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિના સૂચનો પ્રમાણે, ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એક્ટનો હેતુ આઝાદી માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. રોલેટ એક્ટના કાળા કાયદા પ્રમાણે, સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશીપ લગાવી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરંટ વગર પકડી શકે, તેમના પર વિશેષ ટ્રિબ્યૂનલો અને બંધ કરમામાં જવાબદેહી વગર ચુકાદા ચલાવી શકતા હતા.

રોલેટ એક્ટ તે સમયે બ્રિટિશ હુકૂમતની દમનકારી નીતિઓનું વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ બની ગયું હતું. તેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વ્હોરી રહ્યાં હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચુક્યા હતા અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એક્ટના વિરોધનું આહવાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટિશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડ કરી હતી. જેનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા તાર-ટપાલ સેવાઓને બાધિત કરી હતી. આંદોલન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેના ચરમ પર પહોંચ્યું હતું. લાહોર અને અમૃતસરની સડકો પર માનવ મહેરામણ ઉમટેલો રહેતો હતો. લગભગ 5 હજાર લોકો જલિયાંવાલા બાગમાં ભેગા થયા હતા. બ્રિટિશ સરકારના ઘણાં અધિકારીઓ તેને 1857ની ક્રાંતિ અને તેમની દ્રષ્ટિએ વિપ્લવના પુનરાવર્તન જેવી પરિસ્થિતિ લાગી રહી હતી. તેને ન થવા દેવા અને કચડવા માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર હતા.

રોલેટ એક્ટ સામેના આંદોલનને કચડી નાખવા માટે દમનનો આશરો

આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરીને કાળાપાણીની સજા આપવામાં આવી હતી. 10 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના ઉપ-કમિશનરના ઘર પર આ બંને નેતાઓને મુક્ત કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં 5 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટિશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને 8થી 20 ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું. પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિંસા ફેલાઈ ગઈ હતી અને અન્ય 3 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લૉ લાગુ કરી દીધો હતો.

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો.

જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.

વરિષ્ઠોને જનરલ ડાયરનું રિપોર્ટિંગ

મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાં બચવા માટે તેમને ગોળીબાર કરવા પડયા હતા. બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડજાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યાર વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો.

જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ

આ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગૂએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડીયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતાં પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી.

હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડીયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.

જલિયાંવાલા બાગ હત્યાકાંડનો વિરોધ

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. આઝાદી માટે લોકોના જોશમાં આવી ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની આકાંક્ષા વધવા લાગી હતી. આ હત્યાકાંડની ખબર તે વખતના અપૂરતાં સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલનની શરૂઆત કરી હતી.

ઉધમસિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડનું વેર વાળ્યું

જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી.

ભગતસિંહને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપી

જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢયા હતા.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ટર્નિંગ પોઈન્ટ હતો? ભારતને બે ઉચ્ચકોટિના ક્રાંતિકારી ઉધમસિંહ અને ભગતસિંહ આપનારા જલિયાંવાલા બાગને કેવી રીતે મુલવો છો? જલિયાંવાલા હત્યાકાંડના આજના દિવસે તમે શહીદોને કેવી રીતે શ્રદ્ઘંજલિ આપશો? તમારો અભિપ્રાય અને સંદેશ નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો.

ચીન-પાક બંને મોરચે સૈન્ય સજ્જતાનું સરદારનું વિઝન હતું!


સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્મા દ્વારા 2012 સુધીમાં ભારત પર ચીનનું આક્રમણ થવાની આશંકાઓ વ્યક્ત કરતાં સમાચારો ગત વર્ષે ચમક્યા હતા. ચીને ગત વર્ષ ભારતીય સીમામાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ઘૂસણખોરી કરીને આક્ર્મક વલણ દર્શાવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ચીન અને પાકિસ્તાન બંને સરહદો પર એક સાથે મોરચો સંભાળવાની રણનીતિ એટલે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા પણ કરી છે. તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે ચીન અને પાકિસ્તાનના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા કરી હતી. તેની પાછળનું કારણ ચીન અને પાકિસ્તાનની સતત ભારત વિરોધી વૃતિ અને બંને વચ્ચેના ઘનિષ્ઠ લશ્કરી સંબંધો છે. જો કે ભારતના શાસક વર્ગે ચીન અને પાકિસ્તાનની પ્રતિક્રિયાઓથી ગભરાયને તેના પર ઠંડુપાણી રેડી દીધું હતું. જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી છે, તે વાતની 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.’

ચીન-પાક બંને મોરચે ભારતને તૈયાર રહેવા સરદારે હાકલ કરી હતી

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.’

સરદાર પટેલ તિબેટ પરના ચીની આક્રમણથી નાખુશ હતા

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનનો ઉપયોગ કરવો જોઈએ.’

સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીની ખતરા તરફ નહેરુની ઉપેક્ષાથી સરદાર નિરાશ હતા

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

સરદારની સલાહ અવગણવા બદલ નહેરુને દોષિત ઠેરવાયા

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન રાજ્ય તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

લોકનાયક જયપ્રકાશ નારાયણે સરદારના પત્રની ચર્ચા કરી

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ચીનના આક્રમણ સંદર્ભે સરદારના પુત્રી મણિબહેનની પ્રતિક્રિયા

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.’

સરદારે ચીનના ખતરાને પારખ્યો, પણ નહેરુએ થાપ ખાધી!


15 ડિસેમ્બર ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. યોગાનુયોગ આજથી જ (15-12-2010)ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓની ત્રણ દિવસીય ભારત યાત્રા શરૂ થઈ હતી. ત્યારે યાદ કરવું જોઈએ કે સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાનને આગાહ કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના જંગી આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

ભારતના એકમાત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. તેમણે ભારતની એકતા અને અખંડિતતાને વાસ્તવિક અર્થમાં સાકાર કરીને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા છે. ભારતનો ઈતિહાસ ભારતની એકતા અને અખંડિતતાના પ્રકરણમાં ક્યારેય સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને અવગણી શકશે નહીં. ભારતની આંતરીક બાબતો સાથે સરદાર પટેલે ભારતની વિદેશ નીતિ સાથે સંકળાયેલા ભારતના હિતો તરફ પણ વખતોવખત તત્કાલિન ભારતીય વડાપ્રધાન અને વિદેશ મામલાના મંત્રી જવાહરલાલ નહેરુનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે જવાહરલાલ નહેરુની ઠંડી પ્રતિક્રિયાથી સરદાર પટેલ નિરાશ થયા હતા.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે.

વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોટમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. વાજપેયી આશંકિત હતા કે સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સામે સમર્પણ કરવાના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતે પોતાની સરહદોથી હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.’

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેર તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.’

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમને લાગ્યું કે તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. સરદાર પટેલેને એવું લાગ્યું કે ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈનન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.’

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા નજરઅંદાજ કરાય તે સ્પષ્ટ દેખાય આવે છે. ભારતે ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. બદલમાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે લડાખ અને નેફાના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી.

તમારો અભિપ્રાય જણાવો

ભારતે ચીન પ્રત્યે સરદારની સલાહને ધ્યાનમાં રાખીને કેવું વલણ અપનાવવું જોઈએ? વાચક મિત્રો આપનો અભિપ્રાય અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા લખી જણાવો.

‘સ્યૂડો કલ્ચરલ નેશનાલિસ્ટો’ માટે વિવેકાનંદના વિચારોની લાલબત્તી


કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં આત્મવિશ્વાસ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જ્યારે પોતાનામાંતી વિશ્વાસ હટી જાય છે, ત્યારે તે રાષ્ટ્ર ગુલામ બની જાય છે. પ્રાચીન ધર્મોમાં કહેવાયું છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી, તે નાસ્તિક છે. પણ નૂતનકાળમાં જે આત્મવિશ્વાસ ધરાવતો નથી, તે ખરેખર નાસ્તિક છે. કારણ કે પોતાનામાં વિશ્વાસ એ જ ઈશ્વરમાં વિશ્વાસ છે.

કેટલાંક લોકો માલિક છે, જ્યારે કેટલાંક લોકો ગુલામ છે અને મનુષ્યોમાં આ ભેદનું મુખ્ય કારણ માત્ર આત્મવિશ્વાસની ઉપસ્થિતિ અને તેનો અભાવ છે. સમગ્ર સંસારનો ઈતિહાસ એવા લોકોનો ઈતિહાસ છે કે જેમાનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આ આત્મવિશ્વાસ અંતરમાં રહેલા દેવત્વને લલકારીને પ્રગટ કરી દે છે અને ત્યારે વ્યક્તિ કંઈપણ કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ સર્વસમર્થ બની જાય છે. અસફળતા ત્યારે જ મળે છે કે જ્યારે અંતસ્થ અમોઘ શક્તિને અભિવ્યક્ત થવાનો યોગ્ય પ્રયત્ન થતો નથી. આમ જોવામાં આવે, તો જે ક્ષણે વ્યક્તિ કે રાષ્ટ્ર પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, તે જ ક્ષણે તે મૃત્યુ પામે છે. રાષ્ટ્રમાં રહેલો આ આત્મવિશ્વાસ સામૂહિક રીતે તે રાષ્ટ્રના લોકોએ અભિવ્યક્ત કરેલી ભાવના છે. જેને રાષ્ટ્રવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાવના એટલે કે રાષ્ટ્રવાદ રાષ્ટ્રના આત્મારૂપ હોય છે.

સ્વામી વિવેકાનંદના વિચારોમાં રાષ્ટ્રોત્થાન અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

સ્વામી વિવેકાનંદે ભારતીય રાષ્ટ્રવાદ સંદર્ભે પોતાના ગહન ચિંતન દ્વારા આપણું માર્ગદર્શન કર્યું છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ ભિન્ન સ્વરૂપે વિકસિત થયો છે. ફ્રાંસમાં સ્વતંત્રતાનું મહત્વ છે. અંગ્રેજોના ચરિત્રમાં વ્યવસાય અને આદાન-પ્રદાનની પ્રધાનતા છે. જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ પ્રમાણે-‘રાજકીય અને સમાજીક સ્વતંત્રતા ખૂબ સારી છે, પરંતુ વાસ્તવિક સાધ્ય આધ્યાત્મિક સ્વાધીનતા અર્થાત મુક્તિ છે.’ તેમણે ભારતીય ઈતિહાસનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે ‘જે કોઈ આક્રમણખોરોએ અહીંના ધર્મમાં હસ્તક્ષેપ કર્યો છે, તે અહીં પોતાનું શાસન કરી શક્યા નથી. ધર્મના આધારે જ ભારતીયોનું ચરિત્ર ઘડાયું છે. ભારતનો પ્રાણ ધર્મ છે, ભાવ ધર્મ છે અને રાષ્ટ્રીય જાગૃતિનું કારણ પણ ધર્મ છે.’ ભારતીયોમાં ધર્મની મહત્તાને કારણે જ સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રવાદનું આધ્યાત્મિકરણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ દ્રઢપણે માનતા હતા કે ધર્મ જ વ્યક્તિ અને રાષ્ટ્રને શક્તિ પ્રદાન કરી શકે છે.

‘પ્રત્યેક વ્યક્તિની જેમ પ્રત્યેક રાષ્ટ્રનો પણ એક વિશેષ જીવન ઉદેશ્ય છે, તે જ તેના જીવનનું કેન્દ્ર હોય છે, તેના જીવનનો મુખ્ય સ્વર હોય છે, જેની સાથે અન્ય તમામ સ્વરો મળીને સમરસતા ઉત્પન્ન કરે છે. ભારતવર્ષમાં ધાર્મિક જીવન જ રાષ્ટ્રીય જીવનનું કેન્દ્ર છે અને તે જ રાષ્ટ્રીયજીવનરૂપી સંગીતનો પ્રધાન સ્વર છે. જો ધર્મને અલગ કરીને રાજનીતિ, સમાજનીતિ કે અન્ય કોઈ નીતિને જીવનશક્તિનું કેન્દ્ર બનાવવામાં સફળ થઈ જઈશું, તો તેનું પરિણામ હશે કે ભારતનું અસ્તિત્વ જ નહીં રહે. ધર્મરૂપી મેરુદંડથી બધાં કાર્ય કરવા પડશે. વેદાંત દ્વારા સામાજીક અને રાજકીય વિચારોથી પ્લાવિત કરતાં પહેલા આવશ્યક છે કે આધ્યાત્મિક વિચારોનું પૂર લાવી દેવામાં આવે.’ આ અદભૂત ચિંતન હતું સ્વામી વિવેકાનંદનું! તેઓ વેદાંતી, સંન્યાસી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રવાદને લોકો સુધી સમાજના દરેક ભાગ સુધી લઈ જવામાં અત્યંત સફળ થયા છે.

રાષ્ટ્ર વ્યક્તિઓથી બને છે. માટે જ વિવેકાનંદનો અનુરોધ હતો કે રાષ્ટ્રની દરેક વ્યક્તિમાં પુરુષત્વ, માનવગરિમા તથા આત્મસમ્માનની ભાવનાઓનો વિકાસ કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના અહમ અને રાષ્ટ્રના આત્મા સાથે બરાબર તાલમેલ રાખવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ પવિત્ર ભારતીય પરંપરાઓ અને ધર્મને જ ભારતનો સામાન્ય આધાર માનતા હતા. તેમનું સ્પષ્ટપણે માનવું હતું કે ‘યુરોપની રાષ્ટ્રીય એકતાનું કારણ રાજકીય વિચારધારા છે, પણ એશિયામાં રાષ્ટ્રીય ઐક્યનો આધાર ધર્મ છે, માટે ભારતમાં ભવિષ્યના સંગઠનોની પહેલી શરત ધાર્મિક એકતા છે. પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર છે, તે સિદ્ધાંતને માનવાવાળો આખા દેશનો એક જ ધર્મ હોય.’

ધર્મનો અર્થ

ધર્મ શબ્દનો ભારતમાં પ્રચાર એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવ્યો છે. જેને કારણે ભારતનો સામન્ય નાગરીક ધર્મ એટલે Religion સમજી બેસે છે. પણ હકીકતમાં ધર્મ અને રિલિઝિયનમાં આસમાન-જમીનનો તફાવત છે. અંગ્રેજી શબ્દ રિલિઝિયન સંકુચિત અર્થમાં વપરાયો છે. જ્યારે ધર્મનો અર્થ અતિવ્યપાક છે. અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે, રિલિઝિયન એટલે એક વિશિષ્ટ પ્રકારની ઉપાસના પદ્ઘતિ અથવા શ્રદ્ધા (Religion means a system of faith and woship.). જ્યારે ભારતીય ધર્મ ઉપાસના પદ્ધતિ સુધી જ સીમિત નથી. પરંતુ તે ઉપાસના પદ્ધતિ તેનું એક અંગ માત્ર છે. ધર્મ શબ્દની ઉત્પતિ ‘ધૃ’ ધાતુ પરથી થઈ છે. જેનો અર્થ છે, ‘ધારયતિ ઈતિ ધર્મ:’ અથવા ‘ધ્રિયતે લોક: અનેન’ અર્થાત જેને કાણે લોકોની સૃષ્ટિનું ધારણ થયું છે અથવા જે લોકોને ધારણ કરે છે. આમ ધર્મની સરળ વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે જેના કારણે સમાજનું ગઠન થાય છે, તે નિયમ ધર્મ છે. તેનો અન્ય અર્થ છે કે ઉપાસના પરંપરાઓ રુઢ ભિન્નજાતિ અથવા સંપ્રદાયના આચાર વિધાન, સંવિધાન, નૈતિક સદાચાર, સત્કર્મો, કર્તવ્યો, ન્યાય, પવિત્રતા, નીતિ વગેરે છે. બૃહદારણ્યક ઉપનિષદ ધર્મને સત્ય માને છે. તેના પ્રમાણે, ‘જો કોઈ વ્યક્તિ સત્યની ઘોષણા કરે છે, તો તે ધર્મની ઘોષણા કરી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ ધર્મની ઘોષણા કરી રહ્યો છે, તો તે સત્યની ઘોષણા કરી રહ્યો છે. આમ સત્ય અને ધર્મ બંને સમાનાર્થી છે’.
રાષ્ટ્રપુરુષને સશક્ત કરવાનો વિવેકાનંદે દર્શાવેલો ઉપાય

એક તરફ માનવામાં આવે છે કે ભૂતકાળ તરફ દ્રષ્ટિ નાખવાથી કોઈ લાભ થશે નહીં, ભવિષ્ય તરફ જોવું જોઈએ. જ્યારે બીજી તરફ માનવામાં આવે છે કે ભૂતકાળથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે, તેથી ભૂતકાળને નજરઅંદાજ કરવો યોગ્ય નથી. અતીતના ગૌરવગાન પર જ ભારતને પહેલા કરતાં વધારે સર્વશ્રેષ્ઠ બનાવવાનો પાયો નખાયો છે અને તેમાંથી ભવિષ્યનું ભારત પણ બની રહ્યું છે. સ્વામી વિવેકાનંદે ભારતના પુનરોત્થાન માટે આધ્યાત્મિકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે ‘ભારતની આધ્યાત્મિકતા જ આપણાં જીવનનું રક્ત છે. જો તે શુદ્ધરૂપથી વહેતું રહે, જો તે શુદ્ધ અને સશક્ત રહે તો બધું જ ઠીક છે. રાજકીય, સામાજીક અને અન્ય કોઈપણ પ્રકારની ઐહિક ત્રુટિઓ હોય, ચાહે દેશની નિર્ધનતા જ કેમ ન હોય, જો ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતા શુદ્ધ હશે, તો બધું જ સુધરી જશે.’ સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે ભાર,તના રક્ત સમાન આધ્યાત્મિકતાને રોગકારક અશુદ્ધ કરનાર કીટાણુઓ શરીમાંથી દૂર થઈ જાય તો પછી બીજી કોઈ અશુદ્ધિ રક્તમાં સમાય શકવાની નથી.

જ્યાં સુધી રાષ્ટ્રીય જીવન સશક્ત રહે છે, ત્યાં સુધી આધ્યાત્મિકતાને અશુદ્ધ કરનારા તત્વો દૂર રહે છે. પરંતુ જ્યારે રાષ્ટ્રીય જીવન કમજોર બની જાય છે, ત્યારે દરેક પ્રકારના રોગાના કીટાણુઓ રાષ્ટ્રપુરુષના શરીરમાં એકઠાં થઈ તેની રાજનીતિ, સમાજનીતિ અને બુદ્ધિને અશક્ત બનાવી દે છે. તેથી તેની ચિકિત્સા માટે આપણે આ બિમારીના મૂળ સુધી પહોંચીને ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતામાંથી ધર્મનીતિ વિરુદ્ધની અશુદ્ધિઓને કાઢી નાખવી જોઈએ. ત્યારે ઉદેશ્ય એ હોવો જોઈએ કે રાષ્ટ્રપુરુષ બળવાન બને, રક્ત શુદ્ધ અને શરીર તેજસ્વી થાય જેનાથી તે બહારી ઝેરને દબાવી અને તેને હટાવવા લાયક બની જાય. ધર્મનને રાષ્ટ્રનું તેજ, બળ અને રાષ્ટ્રીય જીવનનો આધાર ઘોષિત કરનારા સ્વામી વિવેકાનંદ સશક્ત બનવા માટે કહે છે. વિદેશી આક્રમણખોરોએ સોમનાથ જેવા જૂનાં અને પવિત્ર ધર્મસ્થાનોનો ધ્વંસ કર્યો, પણ કેટલાંય સમય બાદ તે પુન: જીવનના પ્રવાહ બની ગયા. જો આ જીવનપ્રવાહમાંથી બહાર આવવાનો પ્રયત્ન થશે, તો તેની પરિણિતી રાષ્ટ્રનો માત્ર પૂર્ણ વિનાશ બનીને જ ઉભી રહેશે.

તમારો અભિપ્રાય

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો અને પક્ષો ભારતીય રાજકારણ અને સમાજજીવનમાં હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેઓ શું ખરેખર સ્વામી વિવેકાનંદના વિચારોમાં રહેલી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગંગાને સમજ્યા છે કે પછી લોકોને તેના નામે ઉલ્લૂ બનાવી રહ્યાં છે. વાચક મિત્રો આ આપણાં સૌ માટે વિચારવાનો સમય છે. તમારા વિચારો અમને નીચે દર્શાવેલા કોમન્ટ બોક્ષમાં મોકલી શકો છે.

ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડી અંગ્રેજી શાસનને હચમચાવ્યું!


એક દુબળા-પાતળા સાધુ સરીખા મહાત્મા ગાંધીએ પોતાના સત્યાગ્રહના શસ્ત્રથી દુનિયાના તત્કાલિન સૌથી શક્તિશાળી અંગ્રેજી સલ્તનતના પાયા એક મુઠ્ઠી મીઠું ઉચકીને હચમચાવી નાખ્યા હતા. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રાએ સમગ્ર ચળવળને મોટા નેતાઓની પકડમાંથી મુક્ત કરીને જન-જન સુધી પહોંચાડી દીધી હતી.

ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. બ્રિટિશ હુકૂમત માટે આ એક પહેલી હતી કે આ યાત્રા જેનો અંત મીઠું બનાવવાથી થવાનો હતો, તે કેવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને પ્રભાવિત કરી શકે છે.

પરંતુ 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજી દ્વારા દાંડીના દરિયા કિનારે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથમાં ઉઠાવાયું તેની સાથે જ ભારતીયોના કરોડો હાથમાં વિશ્વાસ આવી ગયો કે પોતાના હક માટે તેઓ બ્રિટિશ કાયદા સામે અહિંસક રીતે પણ ટક્કર લઈ શકે છે.

6 એપ્રિલ, 1930 પહેલા નમક સત્યાગ્રહના આંદોલનને મજાક તરીકે લેવામાં આવતું હતું. સરકારે તેની સાથે સંલગ્ન તમામ નેતાઓની ધરપકડ કરી હતી. પરંતુ આ આંદોલન નેતાઓના હાથમાં રહ્યું જ ન હતું. આ એક જનઆંદોલન બની ચુક્યું હતું. મીઠાના કાયદાના ભંગ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગના આંદોલનનો પ્રારંભ થઈ ગયો હતો.

નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. આ આંદોલનની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.1919માં રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું. પરંતુ ચૌરાચૌરીના કાંડ બાદ આંદોલનને અધવચ્ચે જ પડતું મુકવામાં આવ્યું હતું. ગાંધીજીનો મત હતો કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તેઓ તત્કાલિન ભારતની સમસ્યાઓના સમાધાન માટે અહિંસક રસ્તા પર લોકોને લઈ જવા માંગતા હતા. તેમનું દ્રઢપણે માનવું હતું કે દુનિયાની સૌથી મોટી શક્તિ સામે ભારતીયો આત્મવિશ્વાસ સાથે અહિંસક રસ્તે આગળ વધીને આંદોલન કરશે, તો તેનાથી છૂટકારો મેળવી શકાશે.

જો કે અસહયોગ આંદોલનના સમાપ્ત થયા બાદ મહાત્મા ગાંધીએ પોતાને સમાજ સુધારાના કાર્યો સુધી સીમિત રાખ્યા હતા. 1928માં તેમણે ફરીથી રાજકારણામં પ્રવેશ કરવાનું વિચાર્યું. તે વર્ષે શ્વેત સભ્યોવાળા સાઈમન કમિશનને ઉપનિવેશની પરિસ્થિતિઓની તપાસ માટે ઈંગ્લેન્ડથી મોકલવામાં આવ્યું હતું. સાઈમન કમિશન વિરુદ્ધ અખિલ ભારતીય અભિયાનો ચલાવાય રહ્યાં હતા. ગાંધીજીએ સાઈમન કમિશન વિરોધી આંદોલનોમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેમણે પોતાના આશિર્વાદ આવા આંદોલનનો આપ્યા હતા. તે વર્ષે ગુજરાતના બારડોલી ખાતે સરદાર પટેલના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ સંદર્ભે પણ ગાંધીજીએ આવી જ નીતિ અપનાવી હતી.

1929માં ડિસેમ્બરના અંતમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન લાહોર શહેરમાં થયું હતું. આ અધિવેશનમાં જવાહરલાલ નેહરુને અધ્યક્ષ તરીકે પસંદ કરીને કોંગ્રેસની કમાન યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી અને પૂર્ણ સ્વરાજની ઉદઘોષણા કરવામાં આવી હતી. તેના કારણે દેશમાં તત્કાલિન રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો હતો.

26 ફેબ્રુઆરી, 1930ના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશભક્તિના ગીતો ગાઈને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતે સ્પષ્ટ નિર્દેશ આપીને જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? તેમણે કહ્યું હતું કે આમા ભાગ લેનારા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા કરે કે અન્ય લોકોની જેમ ભારતીય લોકોને પણ સ્વતંત્રતા અને પોતાના કઠિન પરિશ્રમના ફળનો આનંદ લેવાનો અહરણીય અધિકાર છે અને જો કોઈપણ સરકાર લોકોને આવા અધિકારોથી વંચિત રાખે છે અથવા તેનું દમન કરે છે, તો લોકોને તેને બદલવાનો અથવા સમાપ્ત કરવાનો પણ અધિકાર છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ મહાત્મા ગાંધીએ ઘોષણા કરી કે તેઓ બ્રિટિશ ભારતના સર્વાધિક ધૃણિત કાયદામાંથી એક એવા મીઠાંના ઉત્પાદન અને વેચાણ પર રાજ્યના એકાધિકાર આપનારા કાયદાને તોડવા માટે એક યાત્રાનું નેતૃત્વ કરશે. મીઠાં પર કર અને એકાધિકાર સામે યાત્રાનો જે મુદ્દો ગાંધીજીએ હાથમાં લીધો હતો તે તેમની કુશળ સમજદારીનું અન્ય એક ઉદાહરણ હતું. પ્રત્યેક ભારતીય ઘરમાં મીઠાંનો ઉપયોગ અપરિહાર્ય હતો. પરંતુ બ્રિટિશ સત્તાધીશોએ લોકોને ઘરેલુ ઉપયોગ માટે પણ મીઠું બનાવતા રોક્યા હતા અને તેમને દુકાનોમાંથી ઉંચી કિંમતે મીઠું ખરીદવા પર બાધ્ય કર્યા હતા. મીઠાં પર રાજ્યનો એકાધિકાર ઘણો જ અલોકપ્રિય હતો. તેને નિશાન બનાવીને ગાંધીજીએ અંગ્રેજી શાસન વિરુદ્ધ વ્યાપક અસંતોષને સંગઠિત કરવાનો વિચાર કર્યો હતો.

મોટાભાગના ભારતીયો ગાંધીજીના આ આંદોલનના ગૂઢાર્થો સમજી ગયા હતા, પરંતુ અંગ્રેજી હુકૂમત ઉંઘતી ઝડપાય હતી. જો કે ગાંધીજીએ પોતાની દાંડી યાત્રાની માહિતી યાત્રા પહેલા વાઈસરોઈ લોર્ડ ઈરવિનને આપી દીધી હતી. પરંતુ ઈરવિન તેમની કાર્યવાહીનું મહત્વ સમજી શક્યો ન હતો.

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી સમુદ્ર તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. ત્રણ સપ્તાહ બાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા. ત્યાં તેમણે મુઠ્ઠીભર મીઠું બનાવીને સ્વયંને કાયદાની નજરમાં અપરાધી બનાવી દીધા. તે વખતે દેશના અન્ય ભોગામાં સમાંતર નમક સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. નમક સત્યાગ્રહ સંદર્ભે અંગ્રેજોએ લગભગ 60 હજાર લોકોની ધરપકડ કરી હતી. ગાંધીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વસના નામના ગામમાં ગાંધીજીએ ઉંચી જાતિના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તમારે સ્વરાજની તરફેણમાં અવાજ ઉઠાવવો છે, તો તમારે અછૂતોની સેવા કરવી પડશે. માત્ર નમક કર અથવા અન્ય કરોના ખાત્માથી સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ માટે તમારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડે જે તમે અછૂતો સાથે કરી છે. સ્વરાજ માટે હિંદુ, મુસ્લિમ, પારસી અને શીખ, સૌએ એકજૂઠ થવું પડશે. આ સ્વરાજની સીડીઓ છે. ફ્પુલિસના જાસૂસોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગાંધીજીની સભાઓમાં તમામ જાતિઓના સ્ત્રી-પુરુષો સામેલ થઈ રહ્યાં છે. તેમનું કહેવું હતું કે હજારો સ્વયંસેવકો રાષ્ટ્રવાદી ઉદેશ્યથી સામે આવી રહ્યાં છે. તેમાંથી ઘણાં બધાં એવાં સરકારી અધિકારીઓ હતા કે જેમણે ઉપનિવેશિક શાસનમાં પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા હતા.

અમેરિકાના ટાઈમ મેગેઝીનને ગાંધીજીની કદકાઠીથી હસવું આવતું હતું. ટાઈમ મેગેઝીને ગાંધીજીના સૂકલકડી શરીર અને કરોળિયા જેવા પગની ખૂબ મજાક ઉડાડી હતી. આ યાત્રા સંદર્ભે પોતાના પહેલા અહેવાલમાં ટાઈમે દાંડી યાત્રાના તેના મંઝિલ સુધી પહોંચવા પર ઘેરી શંકા વ્યક્ત કરી હતી. તેનો દાવો હતો કે બજા દિવેસ પગપાળા ચાલ્યા બાદ ગાંધીજી જમીન પર ફસડાઈ પડશે. મેગેઝીનને વિશ્વાસ ન હતો કે આ મરિયલ દેખાતા સાધુના શરીરમાં વધુ શક્તિ બચી છે. પરંતુ એક જ રાતમાં મેગેઝીનને પોતાનો વિચાર બદલવો પડયો હતો. ટાઈમે લખ્યું છે કે આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે અને તેણે અંગ્રેજી શાસકોને બેચેન કરી દીધા છે. તેઓ પણ ગાંધીજીને એવા સાધુ અને જનનેતા કહીને સલામી આપવા લાગ્યા હતા.

દાંડી યાત્રાની ત્રણ ઉપલબ્ધિઓ છે. આ યાત્રાથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા. આ યાત્રાને યૂરોપ અને અમેરિકી પ્રેસમાં મોટું કવરેજ મળ્યું હતું. બીજું, રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્રીજું, સૌથી મહત્વનું કારણ એ હતું કે નમક સત્યાગ્રહથી અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં અને તેમણે ભારતીયોને પણ સત્તામાં ભાગ આપવો પડશે.

આમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સફળતા-અસફળતાના દાવા-પ્રતિદાવાઓ તથા વિવાદો છતાં આઝાદીની લડતમાં જનતાને જોડવા માટે 6 એપ્રિલ, 1930ની દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહને યાદ રાખવામાં આવશે.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે દાંડી યાત્રા ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ હતો? એક મુઠ્ઠી મીઠું ઉંચકીને સૂકલડી દેખાતા અંદરથી મજબૂત મહાત્મા ગાંધીના અંગ્રેજી સત્તાને પડકારથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા? તમારા મતે જનતાની આકાંક્ષા અને ઈચ્છાઓ પૂરી ન કરતી સરકારને બદલવાનો અથવા તેને દૂર કરવાનો પૂરો અધિકાર જનતાને હોવાનો ગાંધીજીના મત સાથે તમે સંમત છો?