Friday, May 27, 2011
નાસ્તિક ભગતસિંહે જેલમાં ભગવત ગીતા માંગી હતી!
ભગતસિંહે પોતે નાસ્તિક કેમ છે, તે સમજાવતો સુપ્રસિદ્ધ લેખ લખ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે તરવરિયા ક્રાંતિકારી યુવાન ભગતસિંહે માર્ક્સ, લેનિન, બુકાનિન વગેરેને ખૂબ ધ્યાનથી વાંચ્યા છે. જો કે તેમને તેમના જીવનકાળ દરમિયાન ભારતીય દર્શન નહીં વાંચવાનો અફસોસ રહ્યો હતો. પરંતુ આ ક્રાંતિકારી યુવાન ભારતને ક્રાંતિપથના અગ્નિપથ પર આગળ લઈ જવા માંગતો હતો. પરંતુ તેમના સંદર્ભે ચાલતા થોડા વિવાદોમાંનો એક વિવાદ એ પણ છે કે શું તેમણે શ્રીમદ ભગવદ ગીતા પણ વાંચી હતી? એવું માની શકાય છે કે તેમણે પોતાના જેલવાસ દરમિયાન ગીતા વાંચી હતી.
એપ્રિલ, 1929માં જ્યારે ભગતસિંહને જેલમાં ગયાને થોડા દિવસો થયા હતા, ત્યારે તેમણે જેલમાં ભગવદ ગીતાની માગણી કરી હતી. 8 એપ્રિલે, 1929ના રોજ નેશનલ એસમ્બલીમાં બોમ્બ ફેંકવાના મામલામાં ભગતસિંહની ધરપકડ કરીને દિલ્હીમાં જેલમાં બંદી બનાવાયા હતા. અહીં તેમણે ગીતાની માગણી કરી હતી. આ સંદર્ભેના સમાચાર 30 એપ્રિલ, 1929ના લાહોરથી પ્રકાશિત થનારા તત્કાલિન અંગ્રેજી અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ના પૃષ્ઠ ક્રમાંક-9 પર પ્રકાશિત થયા હતા. 27 એપ્રિલે દિલ્હીની ‘બાય લાઈન’થી લખાયેલા સમાચારનું શીર્ષક હતું, ‘S. Bhagat Singh wants Geeta.’ અહેવાલમાં લખ્યું હતું ‘એવા રિપોર્ટ છે કે સરદાર ભગતસિંહે પોતાના પિતાને નેપોલિયનની આત્મકથા અને લોકમાન્ય તિલક લિખિત ગીતાની નકલ મોકલવા માટે લખ્યું છે.’
આ એક વધુ તથ્ય વિચાર કરવા યોગ્ય છે. પંજાબના નવાંશહરના ખટકડ કલાં સ્થિત શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સંગ્રહાલયમાં એક ભગવદ ગીતા રાખવામાં આવેલી છે. તેના કવર પેજ પર ‘ભગતસિંહ, સેન્ટ્રલ જેલ, લાહોર’ લખેલું છે. પરંતુ આ તિલક દ્વારા લિખિત ગીતા નથી, પરંતુ પં. નૃસિંહદેવ શાસ્ત્રીના ભાષ્યવાળી ગીતા છે. તે આર્ય બુક ડિપો લાહોરથી પ્રકાશિત થયેલી છે. તેના પર કોઈ પુસ્તકાલયની મહોર નથી. સંભવ છે કે તેમના કોઈ પરિવારજનોએ ગીતાની આ નકલ તેમની પાસે પહોંચાડી હોય. કવર પેજ પર અક્ષરો ભગતસિંહના છે કે નહીં, તેના પર જાણકારોમાં મતભેદો છે.
ભગતસિંહને તિલકની ગીતા ઉપલબ્ધ કરાવવાની તરફેણમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. ભગતસિંહના જીવન સંદર્ભે સંસોધન કરનારા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રખ્યાત માર્ક્સવાદી વિદ્વાન પ્રો. ચમનલાલે એક અખબારને ભૂતકાળમાં જણાવ્યું હતું કે સંભવ છે કે તિલકની ગીતા ન મળી હોય અને બજારમાં જે ગીતા મળી, તેને જ તેમની પાસે પહોંચાડી દેવામાં આવી હોય. પરંતુ તેમને શંકા છે કે તેમણે ગીતા વાંચી હશે, કારણ કે ભગતસિંહ જેલમાં જે કંઈપણ વાંચતા હતા, તેને પોતાની જેલ ડાયરીમાં નોટ કરીને રાખતા હતા અને તેમની જેલ ડાયરીમાં ગીતાના કોઈ સંદર્ભ મળતા નથી. પરંતુ શું જેલ ડાયરીમાં તેઓ બધું જ નોટ કરતાં હતા, તે સવાલના જવાબમાં પ્રો. ચમનલાલ જરૂર કંઈક છૂટ આપે છે. પરંતુ સાથે તેમણે કહ્યું હતું કે જો તેમણે જેલમાં ગીતા વાંચી પણ હશે, તો તેમાં તેમને કંઈ મહત્વપૂર્ણ લાગ્યું નહીં હોય. કારણ કે જેલ ડાયરીમાં તેમાંથી કોઈ નોટ મળતી નથી. આમ પણ તેમના દ્વારા તિલક જેવાં રાષ્ટ્રવાદી નેતાની લખેલી ગીતા માગવાનો હેતુ ધાર્મિક નહીં, પણ રાજકીય હશે.
આ સંદર્ભે જાણીતાં ઈતિહાસકાર પ્રો. કે. સી. યાદવે પ્રો. ચમનલાલની સાથે સંમતિ દર્શાવી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, આ વાત કોઈ મહત્વ ધરાવતી નથી કે જેલ ડાયરીમાં ગીતાની ચર્ચા નથી, કારણ કે કોઈ જરૂરી નથી કે તેમાં તેઓ દરેક પુસ્તકની ચર્ચા કરે જ. તેમાં ગીતાનો ઉલ્લેખન ન હોવાથી તેનું મહત્વ નકારી શકાય નહીં. મહત્વપૂર્ણ વાત છે કે તેમના દ્વારા જેલવાસ દરમિયાન ગીતા વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને હળવાશથી લઈ શકાય નહીં, કારણ કે ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમને ગીતામાંથી દાર્શનિક આધાર મળતો રહ્યો છે. ગીતાનો કર્મવાદ તેમને માનસિક શાંતિ અને શક્તિ પ્રદાન કરતો રહ્યો છે.
પ્રો. યાદવે જણાવ્યું હતું કે ભગત સિંહની જીંદગીમાં ગીતાની ભૂમિકા સમજવા માટે તેમની વિચાર નિર્માણની પ્રક્રિયાના વિકાસને સમજવી પડશે. હકીકતમાં તેઓ આખી જીંદગી વિચાર નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થયા છે. જો તેઓ વધુ સમય સુધી જીવિત રહેત, તો તેમની આ વિચાર પ્રક્રિયા ક્યાં જઈને થોભી જાત તે કહેવું મુશ્કેલ છે. તેમની પારિવારીક પૃષ્ઠભૂમિ આર્ય સમાજી હતી. પોતાની 23 વર્ષની જીંદગીમાં સમાજવાદના ઉંબરા સુધી પહોંચતા પહેલા બબ્બર અકાલી, આયરિશ અને રશિયન ક્રાંતિકારીઓ તથા દેશી ક્રાંતિકારીઓની વૈચારીક ગલીઓમાંથી પસાર થઈ ચુક્યા હતા. એ સાચું છે કે તેઓ માર્ક્સવાદ અને સમાજવાદમાં સંપૂર્ણપણે રસ દાખવતા હતા અને તેઓ તેનાથી પ્રભાવિત હતા. તેઓ રશિયન ક્રાંતિની પેટર્ન પર ભારતમાં પરિવર્તન ઈચ્છતા હતા. પરંતુ એ કહેવું કે તેઓ સંપૂર્ણપણે કમ્યુનિસ્ટ હતા, તે બિલકુલ ખોટું છે. તેઓ જે કંઈપણ હતા, તે યથાર્થવાદી હતા. જો તેઓ કમ્યુનિસ્ટ અથવા સમાજવાદી હતા, તો પોતાના જ પ્રકારના કમ્યુનિસ્ટ કે સમાજવાદી હતા.
વાસ્તવમાં ભગતસિંહને એ અફસોસ હતો કે તેમને ભારતીય સાહિત્ય વાંચવાનો સમય મળ્યો નથી. પરંતુ એવું માની શકાય છે કે ભગતસિંહે ગીતા વાંચી હશે. આ વાતની પૂરી શક્યતા છે કે તેમની પાસે જેલમાં ગીતા પહોંચાડવામાં આવી હશે, ચાહે તે દિલ્હીમાં પહોંચાડવામાં આવી હોય કે લાહોરમાં. ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસોમાં દિલ્હી કેસનો ચુકાદો આવ્યા બાદ તેમને સેન્ડર્સ કેસ માટે લાહોરની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ભગત સિંહની ફાંસી બાદ તેમનો સામાન તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. તેમાંથી ભગવદ ગીતા મળી હશે. સવાલ ઉભો થાય છે કે વિદ્વાનોનું ધ્યાન હજી સુધી આ તરફ કેમ ગયું નથી?
તમારો અભિપ્રાય
શહીદ ભગતસિંહે જેલવાસના થોડા દિવસોમાં શ્રીમદ ભગવદ ગીતાની લોકમાન્ય તિલક કૃત ગીતા રહસ્ય માંગી હોવાની વાત શું સૂચવી જાય છે? શું ભગતસિંહ ભગવદ ગીતાની નકલ મળ્યા બાદ તેને વાંચ્યા વગર જેલમાં મૂકી રાખે તે શક્ય લાગે છે? શું ભગવદ ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓને દાર્શનિક આધાર પૂરો પડતી હતી, તો એવી કોઈ શક્યતા ન હોઈ શકે કે ભગતસિંહ રાજકીય હેતુસર ભગવદ ગીતાનું અધ્યયન કરવા માંગતા હોય? તમારા અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચાનો પ્રારંભ કરો.
Subscribe to:
Post Comments (Atom)
ધન્યવાદ
ReplyDelete