શુક્રવાર, 27 મે, 2011

‘સ્યૂડો કલ્ચરલ નેશનાલિસ્ટો’ માટે વિવેકાનંદના વિચારોની લાલબત્તી


કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં આત્મવિશ્વાસ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જ્યારે પોતાનામાંતી વિશ્વાસ હટી જાય છે, ત્યારે તે રાષ્ટ્ર ગુલામ બની જાય છે. પ્રાચીન ધર્મોમાં કહેવાયું છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી, તે નાસ્તિક છે. પણ નૂતનકાળમાં જે આત્મવિશ્વાસ ધરાવતો નથી, તે ખરેખર નાસ્તિક છે. કારણ કે પોતાનામાં વિશ્વાસ એ જ ઈશ્વરમાં વિશ્વાસ છે.

કેટલાંક લોકો માલિક છે, જ્યારે કેટલાંક લોકો ગુલામ છે અને મનુષ્યોમાં આ ભેદનું મુખ્ય કારણ માત્ર આત્મવિશ્વાસની ઉપસ્થિતિ અને તેનો અભાવ છે. સમગ્ર સંસારનો ઈતિહાસ એવા લોકોનો ઈતિહાસ છે કે જેમાનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આ આત્મવિશ્વાસ અંતરમાં રહેલા દેવત્વને લલકારીને પ્રગટ કરી દે છે અને ત્યારે વ્યક્તિ કંઈપણ કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ સર્વસમર્થ બની જાય છે. અસફળતા ત્યારે જ મળે છે કે જ્યારે અંતસ્થ અમોઘ શક્તિને અભિવ્યક્ત થવાનો યોગ્ય પ્રયત્ન થતો નથી. આમ જોવામાં આવે, તો જે ક્ષણે વ્યક્તિ કે રાષ્ટ્ર પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, તે જ ક્ષણે તે મૃત્યુ પામે છે. રાષ્ટ્રમાં રહેલો આ આત્મવિશ્વાસ સામૂહિક રીતે તે રાષ્ટ્રના લોકોએ અભિવ્યક્ત કરેલી ભાવના છે. જેને રાષ્ટ્રવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાવના એટલે કે રાષ્ટ્રવાદ રાષ્ટ્રના આત્મારૂપ હોય છે.

સ્વામી વિવેકાનંદના વિચારોમાં રાષ્ટ્રોત્થાન અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

સ્વામી વિવેકાનંદે ભારતીય રાષ્ટ્રવાદ સંદર્ભે પોતાના ગહન ચિંતન દ્વારા આપણું માર્ગદર્શન કર્યું છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ ભિન્ન સ્વરૂપે વિકસિત થયો છે. ફ્રાંસમાં સ્વતંત્રતાનું મહત્વ છે. અંગ્રેજોના ચરિત્રમાં વ્યવસાય અને આદાન-પ્રદાનની પ્રધાનતા છે. જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ પ્રમાણે-‘રાજકીય અને સમાજીક સ્વતંત્રતા ખૂબ સારી છે, પરંતુ વાસ્તવિક સાધ્ય આધ્યાત્મિક સ્વાધીનતા અર્થાત મુક્તિ છે.’ તેમણે ભારતીય ઈતિહાસનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે ‘જે કોઈ આક્રમણખોરોએ અહીંના ધર્મમાં હસ્તક્ષેપ કર્યો છે, તે અહીં પોતાનું શાસન કરી શક્યા નથી. ધર્મના આધારે જ ભારતીયોનું ચરિત્ર ઘડાયું છે. ભારતનો પ્રાણ ધર્મ છે, ભાવ ધર્મ છે અને રાષ્ટ્રીય જાગૃતિનું કારણ પણ ધર્મ છે.’ ભારતીયોમાં ધર્મની મહત્તાને કારણે જ સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રવાદનું આધ્યાત્મિકરણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ દ્રઢપણે માનતા હતા કે ધર્મ જ વ્યક્તિ અને રાષ્ટ્રને શક્તિ પ્રદાન કરી શકે છે.

‘પ્રત્યેક વ્યક્તિની જેમ પ્રત્યેક રાષ્ટ્રનો પણ એક વિશેષ જીવન ઉદેશ્ય છે, તે જ તેના જીવનનું કેન્દ્ર હોય છે, તેના જીવનનો મુખ્ય સ્વર હોય છે, જેની સાથે અન્ય તમામ સ્વરો મળીને સમરસતા ઉત્પન્ન કરે છે. ભારતવર્ષમાં ધાર્મિક જીવન જ રાષ્ટ્રીય જીવનનું કેન્દ્ર છે અને તે જ રાષ્ટ્રીયજીવનરૂપી સંગીતનો પ્રધાન સ્વર છે. જો ધર્મને અલગ કરીને રાજનીતિ, સમાજનીતિ કે અન્ય કોઈ નીતિને જીવનશક્તિનું કેન્દ્ર બનાવવામાં સફળ થઈ જઈશું, તો તેનું પરિણામ હશે કે ભારતનું અસ્તિત્વ જ નહીં રહે. ધર્મરૂપી મેરુદંડથી બધાં કાર્ય કરવા પડશે. વેદાંત દ્વારા સામાજીક અને રાજકીય વિચારોથી પ્લાવિત કરતાં પહેલા આવશ્યક છે કે આધ્યાત્મિક વિચારોનું પૂર લાવી દેવામાં આવે.’ આ અદભૂત ચિંતન હતું સ્વામી વિવેકાનંદનું! તેઓ વેદાંતી, સંન્યાસી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રવાદને લોકો સુધી સમાજના દરેક ભાગ સુધી લઈ જવામાં અત્યંત સફળ થયા છે.

રાષ્ટ્ર વ્યક્તિઓથી બને છે. માટે જ વિવેકાનંદનો અનુરોધ હતો કે રાષ્ટ્રની દરેક વ્યક્તિમાં પુરુષત્વ, માનવગરિમા તથા આત્મસમ્માનની ભાવનાઓનો વિકાસ કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના અહમ અને રાષ્ટ્રના આત્મા સાથે બરાબર તાલમેલ રાખવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ પવિત્ર ભારતીય પરંપરાઓ અને ધર્મને જ ભારતનો સામાન્ય આધાર માનતા હતા. તેમનું સ્પષ્ટપણે માનવું હતું કે ‘યુરોપની રાષ્ટ્રીય એકતાનું કારણ રાજકીય વિચારધારા છે, પણ એશિયામાં રાષ્ટ્રીય ઐક્યનો આધાર ધર્મ છે, માટે ભારતમાં ભવિષ્યના સંગઠનોની પહેલી શરત ધાર્મિક એકતા છે. પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર છે, તે સિદ્ધાંતને માનવાવાળો આખા દેશનો એક જ ધર્મ હોય.’

ધર્મનો અર્થ

ધર્મ શબ્દનો ભારતમાં પ્રચાર એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવ્યો છે. જેને કારણે ભારતનો સામન્ય નાગરીક ધર્મ એટલે Religion સમજી બેસે છે. પણ હકીકતમાં ધર્મ અને રિલિઝિયનમાં આસમાન-જમીનનો તફાવત છે. અંગ્રેજી શબ્દ રિલિઝિયન સંકુચિત અર્થમાં વપરાયો છે. જ્યારે ધર્મનો અર્થ અતિવ્યપાક છે. અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે, રિલિઝિયન એટલે એક વિશિષ્ટ પ્રકારની ઉપાસના પદ્ઘતિ અથવા શ્રદ્ધા (Religion means a system of faith and woship.). જ્યારે ભારતીય ધર્મ ઉપાસના પદ્ધતિ સુધી જ સીમિત નથી. પરંતુ તે ઉપાસના પદ્ધતિ તેનું એક અંગ માત્ર છે. ધર્મ શબ્દની ઉત્પતિ ‘ધૃ’ ધાતુ પરથી થઈ છે. જેનો અર્થ છે, ‘ધારયતિ ઈતિ ધર્મ:’ અથવા ‘ધ્રિયતે લોક: અનેન’ અર્થાત જેને કાણે લોકોની સૃષ્ટિનું ધારણ થયું છે અથવા જે લોકોને ધારણ કરે છે. આમ ધર્મની સરળ વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે જેના કારણે સમાજનું ગઠન થાય છે, તે નિયમ ધર્મ છે. તેનો અન્ય અર્થ છે કે ઉપાસના પરંપરાઓ રુઢ ભિન્નજાતિ અથવા સંપ્રદાયના આચાર વિધાન, સંવિધાન, નૈતિક સદાચાર, સત્કર્મો, કર્તવ્યો, ન્યાય, પવિત્રતા, નીતિ વગેરે છે. બૃહદારણ્યક ઉપનિષદ ધર્મને સત્ય માને છે. તેના પ્રમાણે, ‘જો કોઈ વ્યક્તિ સત્યની ઘોષણા કરે છે, તો તે ધર્મની ઘોષણા કરી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ ધર્મની ઘોષણા કરી રહ્યો છે, તો તે સત્યની ઘોષણા કરી રહ્યો છે. આમ સત્ય અને ધર્મ બંને સમાનાર્થી છે’.
રાષ્ટ્રપુરુષને સશક્ત કરવાનો વિવેકાનંદે દર્શાવેલો ઉપાય

એક તરફ માનવામાં આવે છે કે ભૂતકાળ તરફ દ્રષ્ટિ નાખવાથી કોઈ લાભ થશે નહીં, ભવિષ્ય તરફ જોવું જોઈએ. જ્યારે બીજી તરફ માનવામાં આવે છે કે ભૂતકાળથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે, તેથી ભૂતકાળને નજરઅંદાજ કરવો યોગ્ય નથી. અતીતના ગૌરવગાન પર જ ભારતને પહેલા કરતાં વધારે સર્વશ્રેષ્ઠ બનાવવાનો પાયો નખાયો છે અને તેમાંથી ભવિષ્યનું ભારત પણ બની રહ્યું છે. સ્વામી વિવેકાનંદે ભારતના પુનરોત્થાન માટે આધ્યાત્મિકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે ‘ભારતની આધ્યાત્મિકતા જ આપણાં જીવનનું રક્ત છે. જો તે શુદ્ધરૂપથી વહેતું રહે, જો તે શુદ્ધ અને સશક્ત રહે તો બધું જ ઠીક છે. રાજકીય, સામાજીક અને અન્ય કોઈપણ પ્રકારની ઐહિક ત્રુટિઓ હોય, ચાહે દેશની નિર્ધનતા જ કેમ ન હોય, જો ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતા શુદ્ધ હશે, તો બધું જ સુધરી જશે.’ સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે ભાર,તના રક્ત સમાન આધ્યાત્મિકતાને રોગકારક અશુદ્ધ કરનાર કીટાણુઓ શરીમાંથી દૂર થઈ જાય તો પછી બીજી કોઈ અશુદ્ધિ રક્તમાં સમાય શકવાની નથી.

જ્યાં સુધી રાષ્ટ્રીય જીવન સશક્ત રહે છે, ત્યાં સુધી આધ્યાત્મિકતાને અશુદ્ધ કરનારા તત્વો દૂર રહે છે. પરંતુ જ્યારે રાષ્ટ્રીય જીવન કમજોર બની જાય છે, ત્યારે દરેક પ્રકારના રોગાના કીટાણુઓ રાષ્ટ્રપુરુષના શરીરમાં એકઠાં થઈ તેની રાજનીતિ, સમાજનીતિ અને બુદ્ધિને અશક્ત બનાવી દે છે. તેથી તેની ચિકિત્સા માટે આપણે આ બિમારીના મૂળ સુધી પહોંચીને ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતામાંથી ધર્મનીતિ વિરુદ્ધની અશુદ્ધિઓને કાઢી નાખવી જોઈએ. ત્યારે ઉદેશ્ય એ હોવો જોઈએ કે રાષ્ટ્રપુરુષ બળવાન બને, રક્ત શુદ્ધ અને શરીર તેજસ્વી થાય જેનાથી તે બહારી ઝેરને દબાવી અને તેને હટાવવા લાયક બની જાય. ધર્મનને રાષ્ટ્રનું તેજ, બળ અને રાષ્ટ્રીય જીવનનો આધાર ઘોષિત કરનારા સ્વામી વિવેકાનંદ સશક્ત બનવા માટે કહે છે. વિદેશી આક્રમણખોરોએ સોમનાથ જેવા જૂનાં અને પવિત્ર ધર્મસ્થાનોનો ધ્વંસ કર્યો, પણ કેટલાંય સમય બાદ તે પુન: જીવનના પ્રવાહ બની ગયા. જો આ જીવનપ્રવાહમાંથી બહાર આવવાનો પ્રયત્ન થશે, તો તેની પરિણિતી રાષ્ટ્રનો માત્ર પૂર્ણ વિનાશ બનીને જ ઉભી રહેશે.

તમારો અભિપ્રાય

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો અને પક્ષો ભારતીય રાજકારણ અને સમાજજીવનમાં હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેઓ શું ખરેખર સ્વામી વિવેકાનંદના વિચારોમાં રહેલી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગંગાને સમજ્યા છે કે પછી લોકોને તેના નામે ઉલ્લૂ બનાવી રહ્યાં છે. વાચક મિત્રો આ આપણાં સૌ માટે વિચારવાનો સમય છે. તમારા વિચારો અમને નીચે દર્શાવેલા કોમન્ટ બોક્ષમાં મોકલી શકો છે.

ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડી અંગ્રેજી શાસનને હચમચાવ્યું!


એક દુબળા-પાતળા સાધુ સરીખા મહાત્મા ગાંધીએ પોતાના સત્યાગ્રહના શસ્ત્રથી દુનિયાના તત્કાલિન સૌથી શક્તિશાળી અંગ્રેજી સલ્તનતના પાયા એક મુઠ્ઠી મીઠું ઉચકીને હચમચાવી નાખ્યા હતા. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રાએ સમગ્ર ચળવળને મોટા નેતાઓની પકડમાંથી મુક્ત કરીને જન-જન સુધી પહોંચાડી દીધી હતી.

ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. બ્રિટિશ હુકૂમત માટે આ એક પહેલી હતી કે આ યાત્રા જેનો અંત મીઠું બનાવવાથી થવાનો હતો, તે કેવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને પ્રભાવિત કરી શકે છે.

પરંતુ 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજી દ્વારા દાંડીના દરિયા કિનારે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથમાં ઉઠાવાયું તેની સાથે જ ભારતીયોના કરોડો હાથમાં વિશ્વાસ આવી ગયો કે પોતાના હક માટે તેઓ બ્રિટિશ કાયદા સામે અહિંસક રીતે પણ ટક્કર લઈ શકે છે.

6 એપ્રિલ, 1930 પહેલા નમક સત્યાગ્રહના આંદોલનને મજાક તરીકે લેવામાં આવતું હતું. સરકારે તેની સાથે સંલગ્ન તમામ નેતાઓની ધરપકડ કરી હતી. પરંતુ આ આંદોલન નેતાઓના હાથમાં રહ્યું જ ન હતું. આ એક જનઆંદોલન બની ચુક્યું હતું. મીઠાના કાયદાના ભંગ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગના આંદોલનનો પ્રારંભ થઈ ગયો હતો.

નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. આ આંદોલનની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.1919માં રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું. પરંતુ ચૌરાચૌરીના કાંડ બાદ આંદોલનને અધવચ્ચે જ પડતું મુકવામાં આવ્યું હતું. ગાંધીજીનો મત હતો કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તેઓ તત્કાલિન ભારતની સમસ્યાઓના સમાધાન માટે અહિંસક રસ્તા પર લોકોને લઈ જવા માંગતા હતા. તેમનું દ્રઢપણે માનવું હતું કે દુનિયાની સૌથી મોટી શક્તિ સામે ભારતીયો આત્મવિશ્વાસ સાથે અહિંસક રસ્તે આગળ વધીને આંદોલન કરશે, તો તેનાથી છૂટકારો મેળવી શકાશે.

જો કે અસહયોગ આંદોલનના સમાપ્ત થયા બાદ મહાત્મા ગાંધીએ પોતાને સમાજ સુધારાના કાર્યો સુધી સીમિત રાખ્યા હતા. 1928માં તેમણે ફરીથી રાજકારણામં પ્રવેશ કરવાનું વિચાર્યું. તે વર્ષે શ્વેત સભ્યોવાળા સાઈમન કમિશનને ઉપનિવેશની પરિસ્થિતિઓની તપાસ માટે ઈંગ્લેન્ડથી મોકલવામાં આવ્યું હતું. સાઈમન કમિશન વિરુદ્ધ અખિલ ભારતીય અભિયાનો ચલાવાય રહ્યાં હતા. ગાંધીજીએ સાઈમન કમિશન વિરોધી આંદોલનોમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેમણે પોતાના આશિર્વાદ આવા આંદોલનનો આપ્યા હતા. તે વર્ષે ગુજરાતના બારડોલી ખાતે સરદાર પટેલના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ સંદર્ભે પણ ગાંધીજીએ આવી જ નીતિ અપનાવી હતી.

1929માં ડિસેમ્બરના અંતમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન લાહોર શહેરમાં થયું હતું. આ અધિવેશનમાં જવાહરલાલ નેહરુને અધ્યક્ષ તરીકે પસંદ કરીને કોંગ્રેસની કમાન યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી અને પૂર્ણ સ્વરાજની ઉદઘોષણા કરવામાં આવી હતી. તેના કારણે દેશમાં તત્કાલિન રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો હતો.

26 ફેબ્રુઆરી, 1930ના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશભક્તિના ગીતો ગાઈને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતે સ્પષ્ટ નિર્દેશ આપીને જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? તેમણે કહ્યું હતું કે આમા ભાગ લેનારા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા કરે કે અન્ય લોકોની જેમ ભારતીય લોકોને પણ સ્વતંત્રતા અને પોતાના કઠિન પરિશ્રમના ફળનો આનંદ લેવાનો અહરણીય અધિકાર છે અને જો કોઈપણ સરકાર લોકોને આવા અધિકારોથી વંચિત રાખે છે અથવા તેનું દમન કરે છે, તો લોકોને તેને બદલવાનો અથવા સમાપ્ત કરવાનો પણ અધિકાર છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ મહાત્મા ગાંધીએ ઘોષણા કરી કે તેઓ બ્રિટિશ ભારતના સર્વાધિક ધૃણિત કાયદામાંથી એક એવા મીઠાંના ઉત્પાદન અને વેચાણ પર રાજ્યના એકાધિકાર આપનારા કાયદાને તોડવા માટે એક યાત્રાનું નેતૃત્વ કરશે. મીઠાં પર કર અને એકાધિકાર સામે યાત્રાનો જે મુદ્દો ગાંધીજીએ હાથમાં લીધો હતો તે તેમની કુશળ સમજદારીનું અન્ય એક ઉદાહરણ હતું. પ્રત્યેક ભારતીય ઘરમાં મીઠાંનો ઉપયોગ અપરિહાર્ય હતો. પરંતુ બ્રિટિશ સત્તાધીશોએ લોકોને ઘરેલુ ઉપયોગ માટે પણ મીઠું બનાવતા રોક્યા હતા અને તેમને દુકાનોમાંથી ઉંચી કિંમતે મીઠું ખરીદવા પર બાધ્ય કર્યા હતા. મીઠાં પર રાજ્યનો એકાધિકાર ઘણો જ અલોકપ્રિય હતો. તેને નિશાન બનાવીને ગાંધીજીએ અંગ્રેજી શાસન વિરુદ્ધ વ્યાપક અસંતોષને સંગઠિત કરવાનો વિચાર કર્યો હતો.

મોટાભાગના ભારતીયો ગાંધીજીના આ આંદોલનના ગૂઢાર્થો સમજી ગયા હતા, પરંતુ અંગ્રેજી હુકૂમત ઉંઘતી ઝડપાય હતી. જો કે ગાંધીજીએ પોતાની દાંડી યાત્રાની માહિતી યાત્રા પહેલા વાઈસરોઈ લોર્ડ ઈરવિનને આપી દીધી હતી. પરંતુ ઈરવિન તેમની કાર્યવાહીનું મહત્વ સમજી શક્યો ન હતો.

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી સમુદ્ર તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. ત્રણ સપ્તાહ બાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા. ત્યાં તેમણે મુઠ્ઠીભર મીઠું બનાવીને સ્વયંને કાયદાની નજરમાં અપરાધી બનાવી દીધા. તે વખતે દેશના અન્ય ભોગામાં સમાંતર નમક સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. નમક સત્યાગ્રહ સંદર્ભે અંગ્રેજોએ લગભગ 60 હજાર લોકોની ધરપકડ કરી હતી. ગાંધીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વસના નામના ગામમાં ગાંધીજીએ ઉંચી જાતિના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તમારે સ્વરાજની તરફેણમાં અવાજ ઉઠાવવો છે, તો તમારે અછૂતોની સેવા કરવી પડશે. માત્ર નમક કર અથવા અન્ય કરોના ખાત્માથી સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ માટે તમારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડે જે તમે અછૂતો સાથે કરી છે. સ્વરાજ માટે હિંદુ, મુસ્લિમ, પારસી અને શીખ, સૌએ એકજૂઠ થવું પડશે. આ સ્વરાજની સીડીઓ છે. ફ્પુલિસના જાસૂસોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગાંધીજીની સભાઓમાં તમામ જાતિઓના સ્ત્રી-પુરુષો સામેલ થઈ રહ્યાં છે. તેમનું કહેવું હતું કે હજારો સ્વયંસેવકો રાષ્ટ્રવાદી ઉદેશ્યથી સામે આવી રહ્યાં છે. તેમાંથી ઘણાં બધાં એવાં સરકારી અધિકારીઓ હતા કે જેમણે ઉપનિવેશિક શાસનમાં પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા હતા.

અમેરિકાના ટાઈમ મેગેઝીનને ગાંધીજીની કદકાઠીથી હસવું આવતું હતું. ટાઈમ મેગેઝીને ગાંધીજીના સૂકલકડી શરીર અને કરોળિયા જેવા પગની ખૂબ મજાક ઉડાડી હતી. આ યાત્રા સંદર્ભે પોતાના પહેલા અહેવાલમાં ટાઈમે દાંડી યાત્રાના તેના મંઝિલ સુધી પહોંચવા પર ઘેરી શંકા વ્યક્ત કરી હતી. તેનો દાવો હતો કે બજા દિવેસ પગપાળા ચાલ્યા બાદ ગાંધીજી જમીન પર ફસડાઈ પડશે. મેગેઝીનને વિશ્વાસ ન હતો કે આ મરિયલ દેખાતા સાધુના શરીરમાં વધુ શક્તિ બચી છે. પરંતુ એક જ રાતમાં મેગેઝીનને પોતાનો વિચાર બદલવો પડયો હતો. ટાઈમે લખ્યું છે કે આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે અને તેણે અંગ્રેજી શાસકોને બેચેન કરી દીધા છે. તેઓ પણ ગાંધીજીને એવા સાધુ અને જનનેતા કહીને સલામી આપવા લાગ્યા હતા.

દાંડી યાત્રાની ત્રણ ઉપલબ્ધિઓ છે. આ યાત્રાથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા. આ યાત્રાને યૂરોપ અને અમેરિકી પ્રેસમાં મોટું કવરેજ મળ્યું હતું. બીજું, રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્રીજું, સૌથી મહત્વનું કારણ એ હતું કે નમક સત્યાગ્રહથી અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં અને તેમણે ભારતીયોને પણ સત્તામાં ભાગ આપવો પડશે.

આમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સફળતા-અસફળતાના દાવા-પ્રતિદાવાઓ તથા વિવાદો છતાં આઝાદીની લડતમાં જનતાને જોડવા માટે 6 એપ્રિલ, 1930ની દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહને યાદ રાખવામાં આવશે.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે દાંડી યાત્રા ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ હતો? એક મુઠ્ઠી મીઠું ઉંચકીને સૂકલડી દેખાતા અંદરથી મજબૂત મહાત્મા ગાંધીના અંગ્રેજી સત્તાને પડકારથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા? તમારા મતે જનતાની આકાંક્ષા અને ઈચ્છાઓ પૂરી ન કરતી સરકારને બદલવાનો અથવા તેને દૂર કરવાનો પૂરો અધિકાર જનતાને હોવાનો ગાંધીજીના મત સાથે તમે સંમત છો?

નાસ્તિક ભગતસિંહે જેલમાં ભગવત ગીતા માંગી હતી!


ભગતસિંહે પોતે નાસ્તિક કેમ છે, તે સમજાવતો સુપ્રસિદ્ધ લેખ લખ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે તરવરિયા ક્રાંતિકારી યુવાન ભગતસિંહે માર્ક્સ, લેનિન, બુકાનિન વગેરેને ખૂબ ધ્યાનથી વાંચ્યા છે. જો કે તેમને તેમના જીવનકાળ દરમિયાન ભારતીય દર્શન નહીં વાંચવાનો અફસોસ રહ્યો હતો. પરંતુ આ ક્રાંતિકારી યુવાન ભારતને ક્રાંતિપથના અગ્નિપથ પર આગળ લઈ જવા માંગતો હતો. પરંતુ તેમના સંદર્ભે ચાલતા થોડા વિવાદોમાંનો એક વિવાદ એ પણ છે કે શું તેમણે શ્રીમદ ભગવદ ગીતા પણ વાંચી હતી? એવું માની શકાય છે કે તેમણે પોતાના જેલવાસ દરમિયાન ગીતા વાંચી હતી.

એપ્રિલ, 1929માં જ્યારે ભગતસિંહને જેલમાં ગયાને થોડા દિવસો થયા હતા, ત્યારે તેમણે જેલમાં ભગવદ ગીતાની માગણી કરી હતી. 8 એપ્રિલે, 1929ના રોજ નેશનલ એસમ્બલીમાં બોમ્બ ફેંકવાના મામલામાં ભગતસિંહની ધરપકડ કરીને દિલ્હીમાં જેલમાં બંદી બનાવાયા હતા. અહીં તેમણે ગીતાની માગણી કરી હતી. આ સંદર્ભેના સમાચાર 30 એપ્રિલ, 1929ના લાહોરથી પ્રકાશિત થનારા તત્કાલિન અંગ્રેજી અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ના પૃષ્ઠ ક્રમાંક-9 પર પ્રકાશિત થયા હતા. 27 એપ્રિલે દિલ્હીની ‘બાય લાઈન’થી લખાયેલા સમાચારનું શીર્ષક હતું, ‘S. Bhagat Singh wants Geeta.’ અહેવાલમાં લખ્યું હતું ‘એવા રિપોર્ટ છે કે સરદાર ભગતસિંહે પોતાના પિતાને નેપોલિયનની આત્મકથા અને લોકમાન્ય તિલક લિખિત ગીતાની નકલ મોકલવા માટે લખ્યું છે.’

આ એક વધુ તથ્ય વિચાર કરવા યોગ્ય છે. પંજાબના નવાંશહરના ખટકડ કલાં સ્થિત શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સંગ્રહાલયમાં એક ભગવદ ગીતા રાખવામાં આવેલી છે. તેના કવર પેજ પર ‘ભગતસિંહ, સેન્ટ્રલ જેલ, લાહોર’ લખેલું છે. પરંતુ આ તિલક દ્વારા લિખિત ગીતા નથી, પરંતુ પં. નૃસિંહદેવ શાસ્ત્રીના ભાષ્યવાળી ગીતા છે. તે આર્ય બુક ડિપો લાહોરથી પ્રકાશિત થયેલી છે. તેના પર કોઈ પુસ્તકાલયની મહોર નથી. સંભવ છે કે તેમના કોઈ પરિવારજનોએ ગીતાની આ નકલ તેમની પાસે પહોંચાડી હોય. કવર પેજ પર અક્ષરો ભગતસિંહના છે કે નહીં, તેના પર જાણકારોમાં મતભેદો છે.

ભગતસિંહને તિલકની ગીતા ઉપલબ્ધ કરાવવાની તરફેણમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. ભગતસિંહના જીવન સંદર્ભે સંસોધન કરનારા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રખ્યાત માર્ક્સવાદી વિદ્વાન પ્રો. ચમનલાલે એક અખબારને ભૂતકાળમાં જણાવ્યું હતું કે સંભવ છે કે તિલકની ગીતા ન મળી હોય અને બજારમાં જે ગીતા મળી, તેને જ તેમની પાસે પહોંચાડી દેવામાં આવી હોય. પરંતુ તેમને શંકા છે કે તેમણે ગીતા વાંચી હશે, કારણ કે ભગતસિંહ જેલમાં જે કંઈપણ વાંચતા હતા, તેને પોતાની જેલ ડાયરીમાં નોટ કરીને રાખતા હતા અને તેમની જેલ ડાયરીમાં ગીતાના કોઈ સંદર્ભ મળતા નથી. પરંતુ શું જેલ ડાયરીમાં તેઓ બધું જ નોટ કરતાં હતા, તે સવાલના જવાબમાં પ્રો. ચમનલાલ જરૂર કંઈક છૂટ આપે છે. પરંતુ સાથે તેમણે કહ્યું હતું કે જો તેમણે જેલમાં ગીતા વાંચી પણ હશે, તો તેમાં તેમને કંઈ મહત્વપૂર્ણ લાગ્યું નહીં હોય. કારણ કે જેલ ડાયરીમાં તેમાંથી કોઈ નોટ મળતી નથી. આમ પણ તેમના દ્વારા તિલક જેવાં રાષ્ટ્રવાદી નેતાની લખેલી ગીતા માગવાનો હેતુ ધાર્મિક નહીં, પણ રાજકીય હશે.

આ સંદર્ભે જાણીતાં ઈતિહાસકાર પ્રો. કે. સી. યાદવે પ્રો. ચમનલાલની સાથે સંમતિ દર્શાવી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, આ વાત કોઈ મહત્વ ધરાવતી નથી કે જેલ ડાયરીમાં ગીતાની ચર્ચા નથી, કારણ કે કોઈ જરૂરી નથી કે તેમાં તેઓ દરેક પુસ્તકની ચર્ચા કરે જ. તેમાં ગીતાનો ઉલ્લેખન ન હોવાથી તેનું મહત્વ નકારી શકાય નહીં. મહત્વપૂર્ણ વાત છે કે તેમના દ્વારા જેલવાસ દરમિયાન ગીતા વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને હળવાશથી લઈ શકાય નહીં, કારણ કે ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમને ગીતામાંથી દાર્શનિક આધાર મળતો રહ્યો છે. ગીતાનો કર્મવાદ તેમને માનસિક શાંતિ અને શક્તિ પ્રદાન કરતો રહ્યો છે.

પ્રો. યાદવે જણાવ્યું હતું કે ભગત સિંહની જીંદગીમાં ગીતાની ભૂમિકા સમજવા માટે તેમની વિચાર નિર્માણની પ્રક્રિયાના વિકાસને સમજવી પડશે. હકીકતમાં તેઓ આખી જીંદગી વિચાર નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થયા છે. જો તેઓ વધુ સમય સુધી જીવિત રહેત, તો તેમની આ વિચાર પ્રક્રિયા ક્યાં જઈને થોભી જાત તે કહેવું મુશ્કેલ છે. તેમની પારિવારીક પૃષ્ઠભૂમિ આર્ય સમાજી હતી. પોતાની 23 વર્ષની જીંદગીમાં સમાજવાદના ઉંબરા સુધી પહોંચતા પહેલા બબ્બર અકાલી, આયરિશ અને રશિયન ક્રાંતિકારીઓ તથા દેશી ક્રાંતિકારીઓની વૈચારીક ગલીઓમાંથી પસાર થઈ ચુક્યા હતા. એ સાચું છે કે તેઓ માર્ક્સવાદ અને સમાજવાદમાં સંપૂર્ણપણે રસ દાખવતા હતા અને તેઓ તેનાથી પ્રભાવિત હતા. તેઓ રશિયન ક્રાંતિની પેટર્ન પર ભારતમાં પરિવર્તન ઈચ્છતા હતા. પરંતુ એ કહેવું કે તેઓ સંપૂર્ણપણે કમ્યુનિસ્ટ હતા, તે બિલકુલ ખોટું છે. તેઓ જે કંઈપણ હતા, તે યથાર્થવાદી હતા. જો તેઓ કમ્યુનિસ્ટ અથવા સમાજવાદી હતા, તો પોતાના જ પ્રકારના કમ્યુનિસ્ટ કે સમાજવાદી હતા.

વાસ્તવમાં ભગતસિંહને એ અફસોસ હતો કે તેમને ભારતીય સાહિત્ય વાંચવાનો સમય મળ્યો નથી. પરંતુ એવું માની શકાય છે કે ભગતસિંહે ગીતા વાંચી હશે. આ વાતની પૂરી શક્યતા છે કે તેમની પાસે જેલમાં ગીતા પહોંચાડવામાં આવી હશે, ચાહે તે દિલ્હીમાં પહોંચાડવામાં આવી હોય કે લાહોરમાં. ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસોમાં દિલ્હી કેસનો ચુકાદો આવ્યા બાદ તેમને સેન્ડર્સ કેસ માટે લાહોરની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ભગત સિંહની ફાંસી બાદ તેમનો સામાન તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. તેમાંથી ભગવદ ગીતા મળી હશે. સવાલ ઉભો થાય છે કે વિદ્વાનોનું ધ્યાન હજી સુધી આ તરફ કેમ ગયું નથી?

તમારો અભિપ્રાય

શહીદ ભગતસિંહે જેલવાસના થોડા દિવસોમાં શ્રીમદ ભગવદ ગીતાની લોકમાન્ય તિલક કૃત ગીતા રહસ્ય માંગી હોવાની વાત શું સૂચવી જાય છે? શું ભગતસિંહ ભગવદ ગીતાની નકલ મળ્યા બાદ તેને વાંચ્યા વગર જેલમાં મૂકી રાખે તે શક્ય લાગે છે? શું ભગવદ ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓને દાર્શનિક આધાર પૂરો પડતી હતી, તો એવી કોઈ શક્યતા ન હોઈ શકે કે ભગતસિંહ રાજકીય હેતુસર ભગવદ ગીતાનું અધ્યયન કરવા માંગતા હોય? તમારા અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચાનો પ્રારંભ કરો.

શહીદોની શહાદત ભૂલનારા રાષ્ટ્રો ભૂંસાઈ જાય છે!

હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે આક્રમણ સામે મુકાબલો કે વિરોધ-એ માત્ર ન્યાયસંગત જ નથી, પરંતુ અત્યાવશ્યક અને અનિવાર્ય છે. અવિરોધ તો બંનેને હાનિ પહોંચાડશે, પરાર્થવાદ અને અસ્મિતાને પણ. શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ પણ આવા જ એક ક્રાંતિકારી હતા કે જેમણે શોષકોના રૂપમાં રહેલી અંગ્રેજી સત્તાના આક્રમણનો વિરોધ કરીને મુકાબલો કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું. નાનપણમાં ખેતરમાં બંદૂકો વાવનારો ભગતસિંહ યુવાન બનીને ક્રાંતિની જ્વાળાઓને ચંદ્રશેખર આઝાદ અને અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને દેશભરમાં પ્રજ્વલિત કરવા લાગ્યા હતા.

તેમણે કાકોરી કાંડમાં અંગ્રેજ ખજાનો લૂંટવામાં મોટી ભૂમિકા અદા કરી, લાલા લાજપતરાયના મોતનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી સેન્ડર્સને રાજગુરુ સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો અને છેલ્લે અંગ્રેજી સત્તાના બહેરા કાન સુધી ભારતીયોનો ઈન્કિલાબનો અવાજ પહોંચાડવા માટે ભગતસિંહે પોતાના સાથીદાર બટુકેશ્વર દત્ત સાથે મળીને સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. તેમના બોમ્બ ફેંકવાનો હેતુ માત્ર ધડાકો કરીને અંગ્રેજી સત્તાના બહેરા કાને ક્રાંતિનો અવાજ પહોંચાડવાનો જ હતો. તેમણે આ બોમ્બ વિસ્ફોટથી કોઈ જાન હાનિ કરી ન હતી. એપ્રિલ-1929માં ધરપકડ કરાયેલા ભગતસિંહ પર એસેમ્બલી બોમ્બ કાંડ અને સેન્ડર્સની હત્યાના કેસ ચાલ્યા જેમાં તેમને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

આજે પણ ક્રાંતિની મશાલ રાહ જોઈ રહી છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં વિરલાઓ બાદ હવે કોઈ આ ક્રાંતિની મશાલ પોતાના હાથમાં લે અને તેનાથી ક્રાંતિ જ્યોતને પ્રજ્વલિત કરીને ભારતમાં ક્રાંતિ ફેલાવે.

ભગતસિંહના ક્રાંતિકારી સાથીદાર શહીદ રામપ્રસાદ બિસ્મિલે તો કહ્યું છે કે-

વક્ત આને પર બતા દેંગે,તુજે ઓ આસમાં.
હમ અભી સે ક્યાં બતાએ, ક્યા હમારે દિલ મેં હૈ.
સરફરોશી કી તમન્ના,અબ હમારે દિલ મે હૈ


ભારતના નામી-અનામી ક્રાંતિકારીઓએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્રપ્રસાદ લાહોડી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લાખાન જેવાઓની સરફરોશીની તમન્નાથી પોતાના દિલની વાત વખત આવ્યે આસમાનને જણાવી દીધી. પોતાના પ્રાણની રાષ્ટ્રના સ્વતંત્રતા યજ્ઞમાં આહૂતિ આપીને બલિદાનની અમરગાથા રચી છે.

આજનો યુવાન આ ગાથા ભૂલી જશે તો બહુ મોટી ભૂલ થશે. યુવાનો માટે સારા કામ કરવા, દેશહિતને આગળ વધારવું, દેશની પ્રગતિ અને સમૃદ્ધિને વધારવી વગેરેના લક્ષ્ય સાથે દેશ, સમાજની કમજોરીઓને દૂર કરીને સશક્ત રાષ્ટ્રના નિર્માણની આ મહાન હુતાત્માઓની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવી પડશે. આ જ આવા મહાન બલિદાનીઓને સાચી શ્રદ્ધાંજલિ હશે.

હમને માના જંગ કડી હૈ, સર ફૂટેંગે, ખૂન બહેગા
ખૂન મેં ગમ ભી બહ જાયેગેં, હમ ન રહેગેં ગમ ભી ન રહેગા.

આ ભાવના સાથે ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની કેટલીક પંક્તિઓ યાદ આવ્યા વગર રહેતી નથી કે "શહીદના રક્તથી વધીને જગતમાં કોઈ ચીજ પવિત્ર નથી. જળ પછી તે ગંગાનું હોય કે ગોદાવરીનું, એમેઝોનનું હોય કે વોલ્ગાનું, નાઈલનું હોય કે સિંધુનું, યોગ સીક્યાંગનું હોય કે યમુનાનું જળ હંમેશા મલિન છે, કારણ કે એમાં કરોડો માતાઓના, બહેનોના અને વિધવાઓના ઉના ઉના અશ્રુઓ વહ્યાં છે. શહીદનું રક્ત નિસ્વાર્થ વહે છે, દેશ માટે વહે છે, સમષ્ટિ માટે વહે છે, મુક્તિ માટે વહે છે, ઉદ્ધાર માટે વહે છે અને પરમ પવિત્ર એવા સ્વાતંત્ર્ય માટે વહે છે.

શહીદના રક્તથી જે ધરા સિંચાઈ નથી, તે વાંઝણી છે. શહીદ પાયાનો પથ્થર છે, જે દ્રષ્ટિગોચર નથી, પરંતુ મહાન રાષ્ટ્રની ભવ્ય ઈમારત આ પાયાના પથ્થરો ઉપર જ રચાય છે. શહીદના સંસ્મરણથી વધીને મોટો કોઈ પાળિયો નથી, કોઈ ખાંભી નથી, કોઈ દેવમૂર્તિ નથી કે કોઈ દેવાલય નથી.

જે રાષ્ટ્રની પ્રજા શહાદતને વિસ્મરે છે, ભૂલે છે એ પ્રજા ઝડપથી આત્મ હત્યા નોતરી લે છે."

તમને નથી લાગતું કે આજે ભારતમાં જે રીતે ભ્રષ્ટાચાર અને શાસનની ખામીઓ દેખાય રહી છે, તે શહીદોની શહાદતોને ભૂલી જવાનું પરિણામ છે. તમે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં શહીદોના બલિદાન દિવસે તેમના ક્યાં વિચારોથી પ્રભાવિત છો. તમારા મતે ભગતસિંહ જીવિત હોત, સમાજ અને રાષ્ટ્ર પરિવર્તન અને ક્રાંતિ માટે કઈ પદ્ધતિ અપનાવત. શું આપણે શહીદોના બલિદાનોનો મલાજો જાળવી શક્યા છીએ કે પછી આપણાં નિહિત્ત સ્વાર્થો માટે એકબીજાના ગળા કાપવામાં અને પગ ખેંચવામાં જ પડયા છે. શહીદોની શહીદીથી મળેલી આઝાદીને સાચવવા માટે આપણે હજી પરિપકવ બન્યા નથી કે જેથી સાંપ્રદાયિકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળા નાણાં જેવાં અનેક કુચક્રોમાં ફસાયા છીએ.

તમારો અભિપ્રાય

તમારો આ સંદર્ભે જે પણ કોઈ અભિપ્રાય હોય, ભગતસિંહ અને તેમના સાથીદારોની શહાદત અને તેમના વિચારો સંદર્ભે જે પણ કોઈ મંતવ્ય હોય, તે નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

ભગતસિંહ : ‘થોભો,એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે’

>અંતિમ સમયે ઈશ્વરને યાદ કરીશ, તો તે બુજદિલ માનશે

ભગતસિંહ શું એક વ્યક્તિ હતા? જો ભગતસિંહ એક વ્યક્તિ હતા, તો તેને અંગ્રેજી હૂકુમતે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. પરંતુ ભગતસિંહ માત્ર એક વ્યક્તિ ન હતા, તેઓ એક એવી વિચારસરણી બની ગયા હતા કે જેને આજે પણ ભારતના યુવાનો આદર્શ તરીકે માને છે. ભગતસિંહ એક વ્યક્તિ કરતાં એક વિચાર અને તેથી વધારે એક વિચારધારા વધારે હતા. અંગ્રેજોએ બહુ મોટી ભૂલ કરી કે તેઓ વ્યક્તિને મારી શક્યા, તેમના વિચારો આજે પણ જીવંત છે. માટે જ માણસને મારી શકાય છે, તેના વિચાર, તેની સારાસ, તેની નિર્ભયતા, તેના કામને ક્યારેય મારી શકાતું નથી.

ફાંસી પહેલાની શહીદ-એ-આઝમ ભગતસિંહની અંતિમ ક્ષણો પરના વિવરણો દર્શાવે છે કે આ માણસના વિચારો જેટલા નિડર હતા, ક્રાંતિકારી કાર્યોમાં જેટલાં બહાદૂર હતા, તેઓ તેટલી જ નિર્ભયતા સાથે મા ભારતીની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢયા હતા. આ હુતાત્માએ પોતાના જીવનનું એક બહુ મોટા દેશકાર્ય માટે બલિદાન કર્યું હતું.

લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહે જણાવ્યું હતું કે 23 માર્ચ, 1931ની સાંજે ત્રણ વાગ્યે જ્યારે તેમને ફાંસીની ખબર પડી, તો તેઓ ભગતસિંહ પાસે ગયા અને કહ્યું કે “મારી માત્ર એક પ્રાર્થના છે કે અંતિમ સમયમાં વાહે ગુરુનું નામ લઈ લો અને ગુરુવાણીનો પાઠ કરી લો.”

નિર્ભય અને બહાદૂર સરદાર ભગતસિંહે જોરથી હસીને કહ્યું હતું કે “તમારા પ્રેમનો શુક્રગુજાર છું. પરંતુ હવે જ્યારે અંતિમ સમય આવ્યો. હું ઈશ્વરને યાદ કરી, તો તે કહેશે કે હું બુજદિલ છું. આખી જીંદગી તો તેને યાદ કર્યો નથી અને હવે મોત સામે નજરે પડવા લાગ્યું છે, તો ઈશ્વરને યાદ કરવા લાગું. માટે એ જ સારું હશે કે મે જે પ્રકારે પહેલા પોતાનું જીવન જીવ્યું છે, તેવી જ રીતે મારો અંતિમ સમય પણ ગુજારું. મારા ઉપર તો ઘણાં આરોપ લાગવાશે કે ભગત સિંહ નાસ્તિક હતા અને તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી, પરંતુ એ આરોપ તો કોઈ નહીં લગાવે કે ભગતસિંહ કાયર અને બેઈમાન પણ હતો અને અંતિમ સમયમાં તેના પગ લથડવા લાગ્યા હતા.” (ભગતસિંહ-પ્રો. દીદારસિંહ, પૃષ્ઠ ક્રમાંક-346)

ભગતસિંહે લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહને આપેલા જવાબમાં અહંકારનો એકપણ છાંટો ન હતો, પણ પોતાને કોઈ કાયર-બેઈમાન ન ગણાવી જાય તેની સતર્કતા હતા. આધુનિક ભારતના ઈતિહાસમાં મોતને આટલી નિર્ભયતાથી મળનારા માણસોના કિસ્સાઓમાં શહીદે આઝમ ભગત સિંહની ફાંસી પહેલાની અંતિમ પળો સૌથી વધારે યાદગાર રહી છે.

>`થોભો, એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે`

ભગતસિંહને અંતિમ દિવસે મળનારાઓમાં તેમના સલાહકાર વકીલ પ્રાણનાથ મેહતા હતા. એક દિવસ પહેલા ભગતસિંહે તેમની પાસે લેનિનની આત્મકથા માંગી હતી. માટે અંતિમ દિવસે મેહતાજી ભગતસિંહને લેનિનની આત્મકથા આપી ગયા હતા.

આખરી ક્ષણો સુધી તેઓ ખૂબ નિષ્ઠા અને એકાગ્રચિતથી લેનિનની જીવનકથા વાંચી રહ્યાં હતા. જ્યારે જેલના કર્મચારી તેમને લેવા માટે આવ્યા, તો તેમણે કહ્યું હતું કે ‘થોભો એક ક્રાંતિકારીના બીજા ક્રાંતિકારીને મળવામાં અડચણ ન નાખો.’ ભગતસિંહે ફાંસીની સૂચના આપનારા અધિકારીને કહ્યું હતું કે થોભો એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે. જો કે ત્યાર બાદ એક મિનિટ બાદ પુસ્તક છત તરફ ઉછાળીને તેમણે કહ્યું હતું કે ‘ચાલો.’ ભગતસિંહ સાથે તેમના બે નજીકના સાથીદારો સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ગીત ગાઈ રહ્યાં હતા કે

દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આયેગી


23 માર્ચ, 1931ના રોજ સાંજે લગભગ 7-33 વાગ્યે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે ચઢાવીને સરકારે તેમને શ્વાસ લેવાનો અધિકાર છીનવીને પોતાની પ્રતિહિંસાની તરસ છીપાવી લીધી હતી. અન્યાય અને શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરનારા ત્રણેય તરુણોની જીંદગીઓ જલ્લાદે ફાંસીના ફંદામાં સમાપ્ત કરી નાખી.

>ફાંસી પહેલાં અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધન

ફાંસીના તખ્તા પર ચઢતી વખતે સરદાર ભગતસિંહે અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધિત કરીને કહ્યું હતું કે ‘મેજીસ્ટ્રેટ મહોદય તમે હકીકતમાં મોટા ભાગ્યશાળી છો, કારણ કે તમને આ જોવાનો અવસર પ્રાપ્ત થયો છે કે એક ભારતીય ક્રાંતિકારી પોતાના મહાન આદર્શ માટે કેવી રીતે હસતાં-હસતાં મૃત્યુને ભેટે છે.’

ફાંસીની સજા ભોગવતા પહેલા પોતાના ભાઈના નામે પોતાના આખરી પત્રમાં ભગતસિંહે લખ્યું હતું કે ‘મારા જીવનનું અવસાન નજીક છે, પ્રાત: કાલીન પ્રદીપ ઝગમગતો, મારા જીવન-પ્રદીપ ભારતના પ્રકાશમાં વિલીન થઈ જશે. આપણો આદર્શ, આપણાં વિચાર આખા સંસારમાં જાગૃતિ પેદા કરી દેશે. પછી જો આ મુઠ્ઠીભર રાખ વિનિષ્ટ થઈ જાય, તો તેનાથી સંસારનું શું બનશે કે બગડશે?’

જેમ જેમ ભગતસિંહનો અંત નજીક આવવા લાગ્યો તેમ દેશ તથા મહેનતકશ જનતાના ઉજ્જવળ ભવિષ્યમાં તેમની આસ્થા વધારે ઘેરી થતી ગઈ. મૃત્યુ પહેલા સરકારના નામ પર લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘અતિ શીઘ્ર અંતિમ સંઘર્ષના આરંભની દુંદુભિ વાગશે. તેનું પરિણામ નિર્ણાયક હશે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યાં છે. અમે તેની વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અમને તેના માટે ગર્વ છે.’

>ગાંધીજી સામે કાળા ઝંડા ફરક્યા

ભારતમાતાના ત્રણ સપૂતો-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપ્યા બાદ અંગ્રેજોને આંદોલન ભડકી ઉઠવાનો ડર હતો. તેના કારણે જાલિમ અંગ્રેજોએ ત્રણેયના મૃત શરીરના ટુકડા કર્યા અને તેને બોરીઓમાં ભરીને ફિરોઝપુર તરફ લઈ ગયા. અહીં તેમના મૃત શરીરોના અવશેષોને ઘીના બદલે કેરોસિનથી બાળવા લાગ્યા. ગામના લોકોએ આગ જોઈ તો તેઓ તેની નજીક ગયા. તેનાથી ડરીને અંગ્રેજો શહીદોની લાશોના અડધા બળેલા ટુકડાઓને સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા. જો કે ગામના લોકોએ શહીદોની મોતનો મલાજો રાખીને તેમના મૃત દેહાવશેષો એકત્રિત કરીને તેનો વિધિવત દાહસંસ્કાર કર્યો. ભગતસિંહ મૃત્યુ સુધી એક વ્યક્તિ હતા, પરંતુ મૃત્યુ બાદ તત્કાલિન યુવા માનસમાં એક વિચારનું સ્વરૂપ લઈ ચુક્યા હતા. આજે પણ ભગતસિંહના વિચારોને ભારતના અનેક યુવાનો આદર્શ માની રહ્યાં છે. ભગતસિંહ લોકોના હ્રદયમાં અમર થઈ ગયા.

આ ઘટનાક્રમ બાદ અંગ્રેજો સાથે ગાંધીજીને પણ લોકો શહીદ ભગતસિંહના મોત માટે જવાબદાર સમજવા લાગ્યા હતા. તેના કારણે જ્યારે ગાંધીજી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા, તો લોકોએ કાળા ઝંડાઓથી ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. કોઈક જગ્યાએ ગાંધીજી સાથે ઉગ્ર વર્તન પણ થયું.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે વ્યક્તિને મારવો સરળ છે, પરંતુ તેના વિચાર અને તેણે આપેલી વિચારધારા ખતમ કરવી ઘણી અઘરી છે? આજના ભારત માટે ભગતસિંહના વિચારો અને તેમના જેવી નીડરતા કેટલી પ્રાસંગિક છે? શું ભગતસિંહે જોયેલા સપનાંઓ પૂરાં કરવાની શક્તિ ભારતનો યુવાવર્ગ ધરાવે છે? ભારતનો યુવાવર્ગ કોઈ સબળ નેતૃત્વ નીચે ભારતને તેના સર્વોચ્ચ સમૃદ્ધિના શિખરે લઈ જવામાં કામિયાબ રહેશે? તમારો અભિપ્રાય શહીદે આઝમ ભગતસિંહ તરફ કૃતજ્ઞતા અને સમ્માન દર્શાવીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

શહીદ-એ-આઝમ ભગતસિંહનો અંતિમ પત્ર

ભારતના ક્રાંતિકારીઓના ઈતિહાસમાં શહીદ-એ-આઝમ ભગતસિંહે નવું સીમાચિન્હ, નવી ઊંચાઈ સ્થાપી છે. ભગતસિંહે ભારતના યુવાનોને આઝાદીની લડાઈ વખતે નવો રાહ બતાવ્યો હતો. તેમની સાથે કેટલાંક અસંમત હતા, પણ ઘણાં બધાં તેમની સાથે ચાલવા તૈયાર હતા. પણ તેમનું કમનસીબ હતું કે ભગતસિંહ જેલમાં હતા અને તેમને નેતૃત્વ આપનારા અન્ય કોઈ ભગતસિંહ આવા યુવાનો વચ્ચે ન હતા. 23 માર્ચ, 1931ના દિવસે સરદાર ભગતસિંહ સાથે તેમના નજીકના સાથી સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીના માંચડે ચઢાવી દઈને અંગ્રેજોએ ભારતની ક્રાંતિકારી વિચારધારાને ફાંસી આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમાં તત્કાલિન ટોચના નેતાઓએ પણ અંગ્રેજોના હિતો પાર પડે, તેવા વલણો અજાણતા જ અખત્યાર કર્યા હતા.

અહીં સવાલ એ છે કે ભગતસિંહ કેટલાં બહાદૂર હતા. હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બન્યા બાદ તેઓ ક્રાંતિકારી આદર્શો અને કુરબાનીઓથી એટલા ઊંચે ઉઠી ચુક્યા હતા કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચે હરગીજ જઈ શકે તેમ ન હતા. તેમણે તેમના ક્રાંતિકારી સાથીદારોને લખેલા પ્રત્રમાં ક્યાંય છુપાવ્યું નથી કે તેવોને જીવિત રહેવાની ઈચ્છા નથી. પરંતુ તેઓ કેદ થઈને કે પાબંધીઓ વચ્ચે જીવિત રહેવા ઈચ્છતા ન હતા. તેમને ચિંતા હતી કે જો તેઓ ફાંસીથી બચી જશે, તો તેમની કમજોરીઓ જનતા સામે નથી, તે સામે આવશે અને ક્રાંતિના પ્રતીકો ઝાંખા પડી જશે અને કદાચ ભૂંસાઈ જશે.

તેમની ઈચ્છા જિંદાદિલીથી હસતાં-હસતાં ફાંસી પર ચઢવાની હતી કે જેથી હિંદુસ્તાનની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ રાખે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જાય. તેમણે એમ પણ કહ્યું છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ તેઓ પૂરો કરી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે જો તેઓ સ્વતંત્ર, જીવિત રહી શકત તો કદાચ આવી હસરતો પૂરી શકવાની તેમને તક મળી શકત

શહીદે આઝમ સરદાર ભગતસિંહનો 22 માર્ચ, 1931ના રોજ જેલમાંથી તેમના સાથીદારોને સંબોધીને લખાયેલો અંતિમ પત્ર નીચે દર્શાવ્યો છે.

--------------------------------

શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનો સાથીદારોને અંતિમ પત્ર-

22 માર્ચ, 1931 સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને છુપાવવા ઈચ્છતો નથી. પરંતુ હું એક શરતે જીવિત રહી શકુ છું કે હું કેદ થઈને કે પાબંદ થઈને જીવવા માંગતો નથી.

મારું નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે અને ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને એટલો ઉંચો ઉઠાવી દીધો છે- એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચો હરગીજ થઈ શકતો નથી.

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિના પ્રતીક-ચિન્હ ઝાંખા પડી જશે અથવા કદાચ તે ભૂંસાઈ જશે. પરંતુ જિંદાદિલ ઢંગથી હસતાં-હસતાં મારા ફાંસી પર ચઢવાની સ્થિતિમાં હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને રોકવી સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની શક્તિઓની તાકાતની વાત રહેશે નહીં.

હા, એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો મારા દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ પૂરો કરી શક્યો નથી. જો સ્વતંત્ર, જીવિત રહી શકત ત્યારે કદાચ તેને પૂરો કરવાનો અવસર મળત અને હું મારી હસરતોં પૂરી કરી શકત.

તમારો સાથી,

ભગતસિંહ


------------------------------------

તમારો અભિપ્રાય

તમને આ પત્ર વાંચ્યા પછી ક્રાંતિકારીઓ અને શહીદે આઝમ ભગતસિંહ વિશે કેવી લાગણી થાય છે, તે અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે તમારી લાગણીઓથી સંવાદ કાયમ કરો.

ભ્રષ્ટાચારના ભોરિંગનો ભારતના વિકાસને ઝેરીલો ડંખ!

શું આપણે ત્યાં પ્રમાણિકતા દંભ બની ગઈ છે? શું આપણાં દેશમાં પ્રમાણિકતા, ઈમાન-ધરમ ખાલી પુસ્તકમાં જ રહેલી વાતો છે? હાલ કૌભાંડો, ભ્રષ્ટાચાર, લાંચના એક પછી એક બહાર આવી રહેલા પ્રકરણો અને ખુલાસાઓ બાદ આવું જ લાગી રહ્યું છે. સત્તા વ્યક્તિને ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા વ્યક્તિને સંપૂર્ણપણે ભ્રષ્ટ બનાવે છે. ભારતના રાજકારણીઓ અંગ્રેજોના ગયા બાદ સત્તા ભોગવી રહ્યાં છે અને સત્તા ભોગવતા ભોગવતા પોતાના માટે સંપૂર્ણ સત્તા ભોગવવાની વ્યવસ્થા પણ જાણે કે કરી ગયા છે. દેશના રાજનેતાઓના દાવા છે કે દેશમાં વિકાસ થયો છે. દેશના વિકાસથી કોઈ ઈન્કાર નથી. પરંતુ સાથે ભ્રષ્ટાચારનો એનાથી વધારે વિકાસ થયો છે, તેનું શું કરવાનું? ભારતના ટકાઉ વિકાસ માટે અને વિકાસના ફળો ભારતના નીચલા વર્ગ અને ગરીબોને મળે તેના માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત એક પ્રાથમિક જરૂરત છે. આ વાત પણ વિકાસની વાતો કરનારા કેવી રીતે ઈન્કાર કરી શકશે?

આશ્ચર્ય લાગે તેવી વાત છે કે ભારતના રાજકારણીઓ અને મૂડીપતિઓ સહીતના ધનિક લોકોના 65 હજાર અબજ રૂપિયા માત્ર સ્વિસ બેંકોમાં જમા થયા છે. આ નાણાંમાં વધારો 90ના દાયકામાં થયેલા ઉદારીકરણ અને વૈશ્વિકરણ બાદ થયો હતો. આ સિવાય વિશ્વના સ્વિસ સહતીના દેશોમાં પણ ભારતને અઢળક રૂપિયો રાખવામાં આવ્યો છે. આને કાળું નાણું કહેવામાં આવે છે, બરાબર છે. પરંતુ તે હકીકતમાં ભારતના ગરીબોના હકને મારીને ભેગુ કરાયેલું ભ્રષ્ટાચારનું નાણું છે. આ ભ્રષ્ટાચારના નાણાંને ભારતમાં પાછું લાવવામાં આવે, તો ભારતની ગરીબી છૂ થઈ જાય તેવી શક્યતાઓ અને દાવાઓ બાબા રામદેવ સહીતના વ્યક્તિઓ કરી રહ્યાં છે.

બીજી તરફ તાજેતરમાં ચર્ચામાં રહેલા 2જી સ્પેક્ટ્રમ, આદર્શ સોસાયટી, કોમનવેલ્થ ગેમ્સ, કર્ણાટકમાં જમીન ફાળવણી અને માઈનિંગ કૌભાંડ જેવા ગોટાળાઓ ચર્ચામાં રહ્યાં છે. કારગીલના શહીદો અને નાયકો માટે બનાવવામાં આવેલી મુંબઈના કોલાબાની આદર્શ હાઉસિંગ સોસાયટીમાં તેમના હકોને મારીને રાજનેતાઓ અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ તથા નોકરશાહોને ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. 6 માળની બનનાર ઈમારતને ગેરકાયદેસર રીતોથી 31 માળની બનાવવાની વાત પણ સામે આવી રહી છે. તેના કારણે અશોક ચવ્હાણને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડયું છે. ત્યાર બાદ કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં લગભગ 1 લાખ કરોડના તથાકથિત કૌભાંડમાં આયોજન સમિતાના ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની થયેલી પૂછપરછમાં કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી તરફ પણ આંગળી ચિંધાય રહી છે. લંડન ખાતેની બે કંપનીઓ વિરુદ્ધ સીબીઆઈએ કેસ પણ દાખલ કર્યો છે.

તો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2જી સ્પેક્ટ્રમ કાંડમાં 1.76 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં વડાપ્રધાન કાર્યાલયને ચુપ રહેવા માટે સુપ્રિમ કોર્ટે લેખિત જવાબ માંગતા કડક વલણ અખત્યાર કર્યું છે. તો આ પહેલા દૂરસંચાર મંત્રી પદેથી ડીએમકેના એ. રાજાને કૌભાંડોના રાજા બનવા બદલ રાજીનામું આપવું પડયું છે. આ મામલે વડાપ્રધાન શનિવાર સુધીમાં સુપ્રિમ કોર્ટમાં જવાબ આપશે અને સંસદમાં પણ નિવેદન આપે તેવી પ્રબળ સંભાવના છે. શિયાળુ સત્ર શરૂ થયા બાદ 2જી સ્પેક્ટ્રમ અને અન્ય ગોટાળાના મુદ્દે સંસદની કાર્યવાહી ચાલી શકી નથી. વિપક્ષ 2જી સ્પેક્ટ્રમ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની માગણી કરી રહ્યું છે. તો કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા સામે પણ 6 હજાર કરોડ રૂપિયાની જમીન ફાળવણી સંદર્ભે આંગળી ચિંધાય છે. આજે તેમના ભવિષ્યનો ફેંસલો કરવામાં આવે તેવી સંભાવના છે.

ગોટાળા કાંડો પરથી એટલું તો સ્પષ્ટ છે કે કાજળની કોટડીમાં બધાં કાળાં છે. ગોટાળા કરવા કોઈ એક પક્ષનો જ ઈજારો હવે રહ્યો નથી. કોઈપણ મોટા માણસને તેમાથી બાકાત રાખી શકાય તેવી પણ સ્થિતિ નથી. કારણ કે તાજેતરમાં ટાટા ઔદ્યોગિક સમૂહના રતન ટાટાએ કહ્યું હતું કે તેમને વિદેશી કંપની સાથે એરલાઈન્સ ચાલુ કરવા માટે 10-12 વર્ષ પહેલા એક મંત્રીને 15 કરોડ રૂપિયાની લાંચ આપવાની વાત કહેવામાં આવી હતી. જો કે તેમણે મંત્રીનું નામ જણાવ્યું નથી. તો અન્ય ઉદ્યોગપતિ રાહુલ બજાજે પણ ઔદ્યોગિક ગૃહોને લાંચ આપવી પડતી હોવા સંદર્ભેની વાત કરી છે. તેમણે પણ આ સંદર્ભે અન્ય ખુલાસા કર્યા નથી. ગુરુવારે બાબા રામદેવે પણ કહ્યું હતું કે તેમની પાસેથી એક મંત્રી અને મુખ્યમંત્રીએ બે કરોડ રૂપિયાની લાંચ માગી હતી. આ તમામ મહાનુભાવોએ લાંચ માગનારાઓના નામ આપ્યા નથી કે આ સંદર્ભે કોઈ ખુલાસો કર્યો નથી.

આ તમામ બાબતો પરથી કેટલીક વાતો સ્પષ્ટ બને છે કે પ્રામાણિકતા, ઈમાન-ધરમ જેવા મુલ્યો હવે પોથીમાંના રિંગણાં જ સાબિત થઈ રહ્યાં છે. આર્થિક લાભ માટે ભ્રષ્ટાચાર એક ‘વ્યવહાર અને વહીવટ’ બની ગયો છે. તેના પ્રત્યે સમાજમાં કોઈ જાગૃતિ જોવા મળતી નથી. મોટાભાગના લોકો આ વ્યવહારને તાબે થઈ જતાં જ નજરે પડયા છે. કેટલાંક લોકો તેને તાબે થયા નથી, પણ આવી ઘટનાઓનો તેઓ ખુલાસો કરવા માટે રાજી નથી. હકીકતમાં રાષ્ટ્રનિર્માણ માટે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ થઈ શક્યું નથી. ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ’ની વાત કરીને અગ્રણી સ્થાનો પર પહોંચેલા કેટલાંક લોકો પર પણ ભ્રષ્ટાચારના છાંટા ઉડયા છે. ત્યારે હકીકતમાં વ્યક્તિ નિર્માણમાં રહી જતી કમીઓ સંદર્ભે ભારત સરકાર અને આની સાથે સંબંધિત સંસ્થાઓએ પણ વિચારવું જોઈએ. ભ્રષ્ટાચારના મામલે ભારતે ઘણી પ્રગતિ કરી છે. જેટલો વિકાસ વધ્યો છે, તેટલો ભ્રષ્ટાચાર પણ વિકસ્યો છે. આ હકીકતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. વિકાસના નવા આયામો સાથે ભ્રષ્ટાચારની નવી પદ્ધતિઓ પણ વિકસાવી દેવાય છે.

`ગરીબી હટાવો’ જેમ નારો બનીને રહી ગયો, તેવી રીતે ભ્રષ્ટાચાર સામેની મુહિમો પણ સૂત્રો બનીને રહી ન જાય તેવો પ્રયત્ન પણ આ સંદર્ભે કામે લાગેલા લોકોએ કરવો પડશે. પ્રમાણકિતા હકીકતમાં એક સંસ્કાર છે કે જેને વ્યવહાર બનાવવાના છે. પરંતુ ભ્રષ્ટાચારના કુસંસ્કાર વ્યવહાર બની ગયા છે. તેનાથી વધારે દુ: ખની લાગણી શું હોઈ શકે છે? ભ્રષ્ટાચારના ભોરિંગે ભારતને ભરડામાં લઈને ઝેરીલો ડંખ માર્યો છે. ત્યારે આ ભ્રષ્ટાચારના ઝેર સામે લડવાની પ્રતિકાર શક્તિ ભારતે વિકસાવી પડશે અને ત્યાર બાદ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે પ્રયત્ન કરવો પડશે. અત્યારે તો પહેલી પ્રાથમિકતા ભ્રષ્ટાચારના ભોરિંગના ડંખથી ફેલાયેલા વિષવમનને જ આપવી પડે તેવી સ્થિતિ છે.

ત્યારે જરૂર છે કે ભ્રષ્ટાચાર માત્ર સત્તાકારણ માટેના રાજકારણના માત્ર મુદ્દાઓ ન બને. પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે વ્યવસ્થા સાબદી બને. તેના માટે લોકો જાગૃત બને. ન્યાયતંત્ર દ્રઢતાથી આવા મામલામાં આગળ પણ વર્તે કે જેમ અત્યારે વર્તી રહ્યું છે. આવા મામલાઓની તપાસ ઝડપી બને અને ઝડપી ટ્રાયલના અંતે દેશનો હક મારનારા, ગરીબોનો હક મારનારા ગુનેગારોને દાખલારૂપ કડક સજા થાય.

વાચકમિત્રો ભ્રષ્ટાચાર દેશ સામેના સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર છે. દેશ સામેની ઘણી સમસ્યાનું કારણ પણ ભ્રષ્ટાચાર છે. ત્યારે ભ્રષ્ટાચારના મુદ્દે ભારતે શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ અને લોકોએ શું કરવું જોઈએ? આપના વિચારો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી આપો.