શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

ભાજપ હવે નરેન્દ્ર મોદીને PM પદ માટે પ્રોજેક્ટ કરી રહ્યું છે


bjp is now projectin narendra modi as pm candidate

એક સીએમની પીએમ તરીકેની સફર હવે શરૂ માનવામાં આવી શકે છે. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ એક ટેલિવિઝન ચેનલને મુલાકાતમાં જણાવ્યુ કે નરેન્દ્ર મોદીમાં ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન એમ બંને બનવાની અસાધારણ ક્ષમતા છે. જો કે તેમણે કહ્યુ હતુ કે ભાજપના નેતાઓ સાથે મળીને યોગ્ય સમયે વડાપ્રધાન પદના ઉમેદવારને નક્કી કરશે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ ગડકરીના સૂરમાં સૂર મિલાવીને દહેરાદૂનમાં જણાવ્યું છે કે મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની અસાધારણ ક્ષમતા હોવાના ગડકરીના અભિપ્રાય સાથે સંમત છે.

જો કે ગડકરીનું છ માસ પહેલાનું નિવેદન પણ યાદ કરવા જેવું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં કોઈને વડપ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે નહીં અને પાર્ટીમાં વડાપ્રધાન પદના ઘણાં દાવેદાર છે. રાજકીય સંકેતો અને ભાજપના સૂત્રોનું માનીએ તો પાર્ટીમાં વડાપ્રધાન પદના દાવેદાર નેતાઓમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી, યશવંત સિંહા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનનો સમાવેશ થાય છે. આ સિવાય જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વડાપ્રધાન પદની દોડમાં ‘ડાર્ક હોર્સ’ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પરંતુ 2012ના ડીસેમ્બર માસમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ ટેલિવિઝન ચેનલને મુલાકાતમાં સ્પષ્ટ કર્યુ હતુ કે તેઓ વડાપ્રધાન પદની કોઈની દાવેદારીને તોડવાનું કામ કરશે નહીં અને મોદી જો ભાજપના અધ્યક્ષ તરીકે સૂત્રો હસ્તગત કરવા ઈચ્છતા હશે તો તેઓ તેનું સમર્થન કરશે. ગડકરીએ પોતાનો ભાજપ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ લંબાવવામાં રસ ધરાવતા ન હોવાની વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે.

આ સ્પષ્ટ સંકેત છે કે હિંદુત્વના પાટા પર મોદીત્વની ગાડીને વિકાસના ડબ્બામાં સદભાવના યાત્રીઓ સાથે દિલ્હી સ્ટેશને જવા માટે ભાજપ અધ્યક્ષ તરફથી લીલીઝંડી દેખાડવામાં આવી છે. એક તરફ દેશમાં યુપીએ વિરુદ્ધ વાતાવરણ સપાટી પર દેખાઈ રહ્યું છે. તેના કારણે દેશમાં વચગાળાની ચૂંટણીઓની આશંકા વચ્ચે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએને સફળતા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પરંતુ તેનો લિટમસ ટેસ્ટ યૂપી, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા એમ પાંચ રાજ્યોની ચૂંટણીમાં થવાનો છે. ત્યારે આવા સમયે ગડકરીનું વિધાન સ્પષ્ટ કરે છે કે હવે ભાજપ મોદીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવા માંગે છે. વળી બિહારમાં ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહેલા મોદી હવે યૂપીમાં પ્રચાર કરશે. તેઓ યૂપીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે સદભાવના મિશનની શરૂઆત વખતે જ નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. અમેરિકી કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2014માં લોકસભાની ચૂંટણીનો જંગ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો જંગ બની રહેશે. તેમા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદીના સુશાસન, વિકાસ અને ભ્રષ્ટાચારને લગામ કસવાની નીતિની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

ત્યાર બાદ ગત વર્ષ સદભાવના મિશનની શરૂઆતના 55 કલાકના ઉપવાસ દરમિયાન પણ ભાજપના વરિષ્ઠ નેતાઓએ મોદીના ઉપવાસમાં સામેલ થઈને તેમની પીએમની ઉમેદવારી સંદર્ભે સદભાવના દર્શાવી હોવાના સંકેતો આપ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગમાં તે વખતે લખ્યુ હતુ કે હવે અમેરિકી નેતાઓ અને વિદેશ મંત્રાલયની એ વાતને મહત્વ આપવામાં આવી રહ્યું છે કે ભાજપ સત્તામાં પાછું ફરશે અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે, કારણ કે અમેરિકી વિશ્લેષકોનું માનવું છે કે એક પછી એક ગોટાળાને કારણે કોંગ્રેસના જનાધારમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.

તે વખતે રાજકીય વિશ્લેષકોએ અડવાણીના બ્લોગ પરથી ક્યાસ લગાવ્યો હતો કે તેમણે મોદીને વડાપ્રધાન બનવા માટે પોતાના આશીર્વાદ આપી દીધા છે અને તેમને પણ દેખાઈ રહ્યુ છે કે મોદી દેશના આગામી વડાપ્રધાન બની શકે છે અને માની લીધુ છે કે મોદી જ આ પદ માટે ભાજપના સૌથી વધારે કાબેલ નેતા છે.

ઉલ્લેખનીય છે કે 2009માં એનડીએ તરફથી પીએમ ઈન વેઈટિંગ રહેલા અડવાણીને 2014માં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન ભાજપની એક લોબી કરી રહી છે. પરંતુ ખુદ અડવાણીએ ભૂતકાળમાં માન્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર છે. બાદમાં તેમણે પોતાના નિવેદનને વધારે કૂટનીતિક બનાવીને રજૂ કર્યું છે.

તાજેતરમાં ચેન્નઈમાં તુઘલક મેગેઝીનના વાર્ષિકોત્સવમાં અડવાણીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીનું રાજકીય કદ વધવાથી તેમને ઘણી ખુશી થઈ રહી છે. આ કાર્યક્રમમાં તુઘલક મેગેઝીનના તંત્રી અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ મોદીને રાષ્ટ્રીય સ્તરે મોટી અને મહત્વની ભૂમિકામાં લઈ જવાની વાતની તરફેણ કરી હતી.

જો કે તાજેતરમાં મોદી સંદર્ભે ગડકરી દ્વારા કરવામાં આવેલા નિવેદનના ઘણાં રાજકીય અર્થ નીકળી શકે તેમ છે. કુશવાહ કાંડ બાદ ગડકરીની પક્ષ અને પક્ષની બહાર ઘણી ફજેતી થઈ છે. તેને કારણે તેઓ કુશવાહ કાંડથી ભાજપના નેતાઓનું ધ્યાન બીજે હટાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોઈ શકે. વળી તેમની ડીસેમ્બર માસમાં ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સંઘ તરફથી તેમના અથવા ભાજપ પર કોઈ દબાણ હોઈ શકે કે હવે તેમનો ‘નાઈટ વોચમેન’નો રોલ પૂરો થઈ રહ્યો છે. આ સિવાય મોદીની ગુજરાત અને ગુજરાત સિવાયના રાજ્યમાં ખૂબ મોટી લોકપ્રિયતા છે, તેનો પાંચ રાજ્યોની ચૂંટણીમાં લાભ લેવાનો પણ કોઈ ઉદેશ્ય ગડકરીના વિધાન પાછળ હોઈ શકે. આ સિવાય ભાજપની નેતાગીરી પર કોર્પોરેટ લોબીનું પણ દબાણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ચીન-જાપાન જેવા દેશો પણ મોદીમાં ભારતના આગામી વડાપ્રધાન જોઈ રહ્યા છે. 2009ના વાઈબ્રન્ટ ગુજરાત વખતે દેશના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટા, કુમારમંગલમ બિરલા, સુનિલ મિત્તલે નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સ્પષ્ટ સંભાવના જોઈ હતી.

અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે તેમના પિતા ધીરુભાઈ અંબાણી પણ મોદીને લાંબી રેસનો ઘોડો કહેતા હતા. તેમણે કહ્યુ હતુ કે જો એક નરેન્દ્ર મોદી ગુજરાત માટે આટલું બધું કરી શકે છે, તો ભારત માટે ઘણું બધું સંભવ થઈ જશે જો નરેન્દ્ર મોદી દેશના નેતા તરીકે મળી જાય.

સુનિલ મિત્તલે અનિલ અંબાણીની વાતને આગળ વધારીને કહ્યુ કે તેઓ કહેવા માંગે છે કે જો દેશમાં કોઈ સીઈઓ છે, જે એક કંપની નથી, એક સેક્ટર નથી, એક પ્રદેશ નથી, એક દેશને ચલાવી શકે છે તો તે નરેન્દ્ર મોદી છે.

મહત્વપૂર્ણ છે કે 2009ની લોકસભાની ચૂંટણીમાં અડવાણી એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને તેવામાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંદર્ભેના ઉદ્યોગપતિઓના અભિપ્રાયો બાદ ભાજપે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવી પડી હતી કે તે વખતની લોકસભાની ચૂંટણીમાં અડવાણી જ ભાજપ અને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે 2007ની વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક સપ્તાહ પહેલા જ અડવાણીને 2009ની દોઢ-બે વર્ષ બાદની લોકસભાની ચૂંટણી માટે રાજકીય ગણતરી સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

2009ના લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી નિષ્ફળતાના દોષનો ટોપલો અડવાણીની વડાપ્રધાન પદ માટેની ઉમેદાવારી પર ઓઢાડી દેવામાં આવ્યો હતો. પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારના ઘોર વિવાદને કારણે નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા. ત્યારે સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે બિહાર પાસે તેમના મોદી છે. (સુશીલ કુમાર મોદી જેઓ હાલ બિહારના નાયબ મુખ્યમંત્રી છે) સુષ્માએ કહ્યુ હતુ કે મોદી મેઝિકની બિહારમાં જરૂર નથી. ત્યાર બાદ સુષ્મા સ્વરાજ અને મોદી વચ્ચે સંબંધોમાં થોડી કટુતા આવી હોવાના મીડિયા અહેવાલો પણ ચમક્યા હતા.

ભાજપના ઈન્દૌર ખાતેના રાષ્ટ્રીય અધિવેશનમાં સુષ્મા સ્વરાજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને ભાજપના સંવેદનશીલ મુખ્યમંત્રી નંબર વન ગણાવ્યા હતા. આ સિવાય મીડિયા અહેવાલો પ્રમાણે, અરુણ જેટલી પણ વડાપ્રધાન પદની પોતાની દાવેદારીને મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તો અહેવાલો પ્રમાણે, મોદીથી નારાજ સંઘ પણ ગડકરીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરે તેવા સમાચાર પણ ચમક્યા હતા. ગડકરી મધ્ય પ્રદેશમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી હતી. જો કે હવે ગડકરીએ કહ્યુ છે કે તેઓ ક્યારેય વડાપ્રધાન પદના દાવેદાર ન હતા. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે મોદીની તરફેણમાં તેઓ સંઘના નેતૃત્વની હામી બાદ પોતાને આ દોડમાંથી બહાર કરી રહ્યા છે.

શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ પહેલા જ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ વધારવાની વાતને ટેકો આપી દીધો છે. તો બીજી તરફ તેમના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે પણ ગુજરાતના પ્રવાસ દરમિયાન મોદીના ગુણગાન કરી ગયા છે. તેમણે કહ્યુ હતુ કે જો ભાજપ તરફથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર બનાવવામાં આવશે, તો તેમની પાર્ટી નિશ્ચિતપણે તેનું સમર્થન કરશે. જો નરેન્દ્ર મોદી જેવા કાબેલ શખ્સ દેશના વડાપ્રધાન બનશે તો તેમને ખુશી થશે.

ત્યારે એક સીએમ હવે પોતાની પીએમ તરીકેની યાત્રાની તૈયારીના ભાગરૂપે સદભાવના મિશન કરી રહ્યા હોવાનું ઘણાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. મોદી પોતાની ઈમેજ મેકઓવર સાથે ક્યારે અને કેવી રીતે રાષ્ટ્રીય રાજનીતિની ફલકમાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાત વિધાનસભાની ટર્મ ડીસેમ્બર માસમા પૂર્ણ થાય છે. ત્યારે માનવામાં આવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય હાસિલ કરીને રાષ્ટ્રીય રાજકારણના અખાડામાં ઉતરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીની ભાજપ અધ્યક્ષ તરીકેની ટર્મ પણ ડીસેમ્બરના આખરમાં સમાપ્ત થાય છે અને તેઓ હવે તેને લંબાવવા માટે તૈયાર નથી.

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીની પોપ્યુલારિટી ગુજરાત અને ગુજરાત બહાર સ્વચ્છ મુખ્યમંત્રી તરીકેની છે, આ પોપ્યુલારિટીને પાંચ રાજ્યોની ચૂંટણીમાં વટાવી ખાવા માટે પણ ગડકરી દ્વારા મોદીની વડાપ્રધાન પદની દાવેદારી આગળ કરતું નિવેદન કરાયું હોવાની વાત સંશોધનનો વિષય છે. જો કે આ સાથે એક વાત સ્પષ્ટ છે કે ભાજપમાં સંઘ અને/અથવા કોર્પોરેટ લોબીના દોરીસંચાર સાથે હવે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનું ચાલુ કરી દીધું છે.

મોદીનો ટ્રેક બદલાયો… શું તેઓ વાજપેયીના રસ્તે ચાલવા લાગ્યા છે?..!!


modi changes the track he walks on the road of vajpayee

નરેન્દ્ર મોદી 2002ના ગુજરાત રમખાણો બાદ દેશ-દુનિયામાં બદનામ થયેલું સૌથી મોટું નામ. પરંતુ એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં આ નામ સૌથી વધારે લોકપ્રિય છે. તેના કારણે તો એક દસકા જેટલા લાંબા સમયથી અનેક ઝંઝાવાતો સામે મોદીને ગુજરાતની જનતાએ સત્તાના સિંહાસન પર બેસાડયા છે.

દેશ-દુનિયામાં તેમના નામ પર કીચડ ઉછાળવામાં આવે છે, પણ ગુજરાતની જનતાએ તેમને ખોબલે-ખોબલે મતો આપીને ગુજરાતના સત્તાના સૂત્રો સોંપ્યા છે. ગુજરાતે છેલ્લા એક દસકામાં વિકાસના મામલે હરણફાળ ભરી છે. તો કોંગ્રસના વડપણવાળી યુપીએ સરકારની સચ્ચર કમિટીએ પણ કહ્યું છે કે ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં ઘણી સારી છે છતાં નરેન્દ્ર મોદીની છબી કટ્ટર હિંદુત્વવાદી નેતાની છે.

મુસ્લિમ સમુદાયમાં નરેન્દ્ર મોદીને સૌથી વધારે ધૃણાથી જોવામાં આવતું હોવાની માન્યતા છે. પરંતુ કઠલાલ વિધાનસભા બેઠક પર ભાજપને મળેલી જીત બાદ ખુદ મોદીએ જ કબુલ્યું કે આ જીતમાં મુસ્લિમ મતોની 30 ટકા જેટલી ભાગીદારી છે. અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ગાંધીનગરને બાદ કરતાં તમામ સ્થાનો પર ભાજપને બહુમતી સાથે સત્તા મળી ત્યારે પણ મુસ્લિમ મતો ભાજપને મળ્યા હોવાનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી દાવો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કેસ સંદર્ભે આવેલા એક જજમેન્ટ બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સદભાવના મિશન હેઠળ ઉપવાસની શરૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના ચુકાદામાં મોદીને ક્લિનચીટ મળી હોવાના દાવા કરાયા છે. જો કે તે ચર્ચાનો અને કાયદાકીય મુદ્દો છે. પરંતુ એકવાત સ્પષ્ટ છે કે મોદીએ પોતાની સત્તાના એક દશકામાં પોતાનો ‘રાજધર્મ’ તો નિભાવ્યો છે. મોદીના ઉપવાસ હવે શુક્રવારે ગોધારામાં થવાના છે. ગોધરાના પોલન બજાર ખાતેના કેસરી ચોકમાં સદભાવના ઉપવાસ થશે.

અહીં શુક્રવારે મુસ્લિમોને નમાજ પઢવા માટે ઈબાદતખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંભાવના છે કે મુસ્લિમો મોટી સંખ્યામાં મોદીના સદભાવના ઉપવાસમાં હાજર રહેશે. ગોધરાકાંડને 10 વર્ષ થવા આવશે, દસ વર્ષમાં સાબરમતી નદીમાં ઘણાં નીર વહી ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે 27 ફેબ્રુઆરી, 2002ના સાબરમતી એક્સપ્રેસ કાંડ વિશે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સદભાવના ઉપવાસમાં શું કહે છે? તેનો ઉલ્લેખ કરે છે કે નહીં? શું નરેન્દ્ર મોદી સાબરમતી એક્સપ્રેસની 10મી વરસીએ પણ ગોધરા સ્ટેશન પર પડેલા s-6 કોચની મુલાકાત લેશે કે જેમાં 58 જેટલા કારસેવકો જીવતા ભૂંજાયા હતા? સાબરમતી એક્સપ્રેસ કાંડના મોટાભાગના આરોપીઓ અને સજા પામેલા લોકો ગોધરાના સિગ્નલ ફળિયા અને પોલન બજારના છે. ત્યારે મુખ્યમંત્રી મોદી અહીં શું સદભાવના સંદેશ આપશે, તેને પર સૌની મીટ મંડાયેલી છે.

ગોધરા ખાતેના સદભાવના ઉપવાસથી સ્પષ્ટ થઈ જશે કે હિંદુત્વના પોસ્ટર બોય નરેન્દ્ર મોદી ભાજપના સર્વોચ્ચ નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશે કે પોતાના આગવા મોદીત્વના સહારે રાજકીય વૈતરણી પાર કરીને દિલ્હીની ગાદીએ પહોંચવાનો પ્રયત્ન કરશે. એટલું તો સત્વ છે કે તેઓ લાલકૃષ્ણ અડવાણીના માર્ગે ચાલવા માગતા નથી. સારા હેતુ માટે થતું પરિવર્તન હંમેશા સારું હોય છે. સદભાવના માટે નરેન્દ્ર મોદીમાં આવેલા પરિવર્તનથી તેમની છબીમાં કોઈ પરિવર્તન થાય તો તે સુખદ છે.

નરેન્દ્ર મોદી પ્રત્યે મીડિયાના એક વર્ગમાં હજી પણ સદભાવના નથી. તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યે પક્ષપાતપૂર્ણ વલણ દર્શાવે છે. તેમનું આ વલણ હજી પણ ચાલુ છે અને મોકો મળતા જ તેઓ આ વલણને તીવ્રતાથી દર્શાવે છે. ત્યારે સદભાવના મિશનથી મીડિયાના આ વર્ગમાં સદભાવના સ્થપાશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. આજના યુગમાં મીડિયા વ્યક્તિની છબીને બનાવે છે અને બગાડે છે. ત્યારે નરેન્દ્ર મોદીની હિંદુત્વવાદી છબી લોકોમાં મીડિયા થકી જ વધારે ગાઢ બની છે. જેનો લાભ લઈને નરેન્દ્ર મોદીના પક્ષ અને વિપક્ષમાં રહેલા રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની ઈમેજને કારણ બનાવીને અવાર-નવાર તેમની રાજકીય મહત્વકાંક્ષામાં ગ્રહણ લગાવી રહ્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોના ગણિતને આગળ કરીને જેડીયૂના નીતિશ કુમારે મોદીને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવતા રોક્યા હતા. પરંતુ કદાચ હવે તેમને યૂપીમાં રોકી શકાશે નહીં. ત્યારે શું સદભાવના મિશન તેમના રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન બનવા સુધીના મિશનમાં કોઈ રીતે મદદરૂપ થશે કે કેમ? તે પણ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપની સૌથી મોટી વિડંબણા એ છે કે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતૃત્વ પોતાનું પ્રતિસ્પર્ધી સમજે છે. જેના કારણે તેઓ હિંદુત્વવાદી ઈમેજમાં કેદ રહીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકામાં ન આવે, તેના માટે ગઠબંધન અને અન્ય કારણો આગળ કરીને તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભાજપનું હાઈકમાન્ડ ગણાતી કેન્દ્રીય નેતાગીરી કરતાં નરેન્દ્ર મોદી આખા દેશમાં સૌથી મોટા ક્રાઉડ પુલર નેતા છે.

આમ જોવો તો નરેન્દ્ર મોદી માટે પક્ષની અંદર પણ કેન્દ્રીય સ્તરે સદભાવના ઘણી ઓછી છે. તેવા સંજોગોમાં મોદી માટે ગુજરાતમાં સદભાવના મિશન સાથે ભાજપમાં પણ પોતાના તરફે સદભાવના ઉભી થાય તેવું કોઈ મિશન ચલાવવાની હજી પણ જરૂરત છે. મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હોવાની વાત અંબાણી બંધુઓથી માંડીને જાપાન-ચીન અને છેલ્લે અમેરિકી કોંગ્રેસના રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે. છેલ્લે ચેન્નઈ ખાતે તુઘલક મેગેઝીનના સંપાદક અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં એનડીએ તરફથી આગળ કરવાની વાત કરી છે.

અડવાણીએ પણ કહ્યુ છે કે નરેન્દ્ર મોદીનું કદ વધવાથી તેમને ઘણો ગર્વ થયો છે. પરંતુ મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમના કદ પ્રમાણેની ભૂમિકા આપવામાં કઈ દુર્ભાવના નડે છે અને તેને કેવી રીતે સદભાવનામાં ફેરવવી તે પણ મોદી માટે યક્ષપ્રશ્ન છે? જો કે નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા આપણું ગુજરાત, આગવું ગુજરાતથી મોદીત્વની શરૂઆત કરી હતી, પણ અત્યારે મોદીત્વ સૌનો સાથ, સૌના વિકાસના સ્ટેશને આવીને ઉભું છે, તે પણ ઘણું સૂચક છે.

આખા દેશમાં દારૂબંધી લાગુ કરો, રાજ્યો નહીં કરી શકે


alchohol should be prohibitaed across the country states can't implement so
દારૂડિયો દારૂને નહીં, પણ દારૂ દારૂડિયાને પીવે છે. દારૂથી થતાં નુકસાનથી દારૂડિયા અજાણ નથી. સરકાર પણ જાણે છે, પરંતુ તેની સ્થિતિ ધર્મને સારી રીતે જાણનારા પણ અધર્મ નહીં છોડી શકનારા દુર્યોધન જેવી છે. ગુજરાતને ભાગ્યશાળી ગણવામાં આવે છે કે કારણ કે અહીં સંપૂર્ણ દારૂબંધી છે. ભારતમાં અન્ય રાજ્ય મિઝોરમમાં પણ દારૂબંધી કરવામાં આવી હતી. પરંતુ અહીં દારૂબંધી નિષ્ફળ ગઈ હોવાનું કહેવામાં આવે છે. દારૂબંધીના પ્રયોગો આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં પણ કરવામાં આવ્યા છે. અહીં તેને સફળતા મળી શકી નથી.

તાજેતરમાં દારૂબંધી ત્યારે ચર્ચામાં આવી છે કે જ્યારે તમિલનાડુ સરકારે આધિકારીક રીતે કહ્યું કે સંપૂર્ણ દારૂબંધી વ્યવહારીક રીતે અસંભવ છે અને તેનાથી ગેરકાયદેસર દારૂના ધંધાને પ્રોત્સાહન મળી રહ્યું છે. તમિલનાડુ સરકારના મદ્ય નિષેધ વિભાગની વધારાની જવાબદારી સંભાળી રહેલા મંત્રી વિશ્વનાથે કહ્યુ છે કે પૂર્ણ નશાબંધી વ્યવહારીક રીતે અસંભવ છે અને તેનાથી ગેરકાયદેસરની દેશી દારૂની લોબીને મદદ મળે છે. તેમણે એમ પણ કહ્યુ છે કે કેન્દ્રએ આખા દેશમાં દારૂબંધી કરી દેવી જોઈએ, પરંતુ તેની સાથે કેન્દ્રે દારૂબંધીથી થનારા રાજ્યના નુકસાનને પણ ભરપાઈ કરવું જોઈએ.

તમિલનાડુમાં દારૂબંધીના પ્રયત્ન થઈ રહ્યા છે, તેના સંદર્ભે ગુજરાતની દારૂબંધીનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. પરંતુ એક હકીકત એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો નથી. ગુજરાતમાં માગો તે બ્રાન્ડનો દારૂ ગેરકાયદેસર રીતે મળી શકે છે. દારૂના ગેરકાયદેસરના ધંધા સામે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે આંખ આડા કાન કર્યા છે. આમ તો ગુજરાતમાં 1961થી દારૂબંધી છે.પરંતુ ગુજરાતમાં આજ સુધીમાં 7 લઠ્ઠાકાંડ થયા છે. છેલ્લે 2009માં થયેલા અમદાવાદના મજૂર ગામના લઠ્ઠાકાંડમાં લગભગ 156 લોકોના મોત થયા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સખત ટીપ્પણી કરીને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દારૂબંધીના અમલ માટે સંવેદનશીલ નથી. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે દર વર્ષે 30 લાખ બોટલ દારૂ પીવાય છે.

ગુજરાતમાં દારૂની પરમિટમાં છેલ્લા ઘણાં વર્ષોથી એકદમ ઉછાળો આવ્યો છે. દારૂની પરમિટ આરોગ્ય કારણોથી મળે છે. પરંતુ આવી પરમિટ મોટાભાગે કાયદેસર રીતે દારૂ પીવાનું છીંડુ જ હોય છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં મહિલાઓના નામે દારૂની પરમિટ મોટા પ્રમાણમાં મેળવવામાં આવી રહી છે. સુરતમાં પણ ઘણાં ઘરો એવા છે કે જેમાં મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો ઘરના ફ્રિજમાં દારૂની વિદેશી બ્રાન્ડ સાચવીને રાખે છે અને સાંજે પરિવાર સાથે ભેગા મળીને પીવે છે. દેશી દારૂ પણ ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં ગાળવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ એટલા જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.

ગુજરાતમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યા 50,000ને આંબવા આવી છે પરંતું આ પરમિટધારકો બીજા લોકો માટે છૂટથી દારૂનો વેપાર કરી લેતાં હોય છે. ટુરિસ્ટ પરમીટ ધારકોની સંખ્યા ઘણી ઓછી છે. બીજી બાજુ રાજ્યમાં 17થી વધુ હોટલો પાસે દારૂ વેચવાના લાયસન્સ છે, જે તેઓ પરમિટધારકોને આપે છે. હજી બીજી અડધો ડઝન હોટલો લાયસન્સની રાહ જોઇને બેઠી છે. રાજ્ય સરકારે વધુમાં એસઇઝેડ માટે દારૂની છૂટ આપી છે તેથી દારૂ પીનારાની સંખ્યા વધવા સંભવ છે.

5 રાજ્યોની ચૂંટણીના પાણીપતથી મોદીના દૂર રહેવાના 7 કારણો


Why is the BJP’s ‘star campaigner’ Narendra Modi not campaigning for his party in the five poll-bound states?

ઉત્તર પ્રદેશ સહીત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે, પરંતુ ભાજપના સ્ટાર કેમ્પેઈનર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હજી સુધી ચૂંટણી પ્રચાર માટે કોઈ જગ્યાએ ગયા નથી. જેના કારણે જુદી જુદી થિયરીઓ પ્રમાણે તેમના ચૂંટણી પ્રચારમાંથી ગેરહાજર રહેવાની ચર્ચા ચલાવાય રહી છે. આમ તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી આગળ હોવાનો ભાસ થઈ રહ્યો છે. પરંતુ લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ જેવી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીનું પ્રચારથી દૂર રહેવું ઘણું બધું સૂચવી રહ્યું છે.

નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાંથી અત્યાર સુધી દૂર રહ્યા છે, તેની પાછળ જે થિયરી ચાલી રહી છે, તેમા ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ સાથે તેમનો અહમનો ટકરાવ, ગડકરી સાથેની નારાજગી, સંજય જોશીની ભાજપમાં વાપસી, બિહારમાં ચૂંટણી પ્રચારથી દૂર રખાયા, વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં અસમંજસતા, પાંચેય રાજ્યોમાં ભાજપનો હાથ નીચો રહેવાની શક્યતા જેવી અનેક થિયરીઓ પ્રમાણે ચર્ચા ચાલે છે.

ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ સાથે અહમનો ટકરાવ

ભાજપમાં નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ સાથે ઘમંડને જોડી દેવામાં આવ્યું છે. હાલ ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ અને મોદી વચ્ચે અહમનો ટકરાવ ચાલી રહ્યો હોવાની ચર્ચા જોરો પર છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં 55 કલાકના ઉપવાસ વખતે મોદીની તરફેણમાં ભાજપના તમામ શીર્ષસ્થ નેતાઓ અમદાવાદ આવ્યા હતા. પરંતુ અડવાણી દ્વારા ભ્રષ્ટાચારના વિરોધમાં બિહારથી નીતિશ કુમાર દ્વારા લીલીઝંડી દેખાડીને જનચેતના યાત્રા થઈ ત્યારથી મોદી અને અડવાણીના સંબંધોમાં ખટાશના અહેવાલો આવતા રહ્યા છે. સદભાવના ઉપવાસના ઉદઘાટન બાદ અમદાવાદ ખાતેની પાર્ટીની રેલીમાં ભાજપના પ્રભારી સહીતના રાષ્ટ્રીય નેતાઓએ ગેરહાજર રહીને દાળમાં કંઈક કાળું હોવાના સંકેતો આપી દીધા હતા. છેલ્લે અડવાણી ગુજરાતની મુલાકાતે આવ્યા, પરંતુ મોદી સાથે યોગાનુયોગ તેમની મુલાકાત થઈ નથી. જેનાથી અડવાણી અને ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ સાથે મોદીનો અહમનો ટકરાવ ચાલી રહ્યો હોવાની વાત ચર્ચામાં છે.


ગડકરી સાથે નારાજગી


ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સાથે મુખ્યમંત્રી મોદીના સંબંધો સુમેળભર્યા રહ્યા નથી. જો કે ગડકરીએ તાજેતરમાં નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન અને ભાજપના અધ્યક્ષ બંને બનવાની અસાધારણ ક્ષમતા હોવાની વાત કરી છે. જો કે બાદમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું. ગડકરી દ્વારા પાર્ટીમાં સંજય જોશીની વાપસીથી નરેન્દ્ર મોદીની નારાજગીથી પાર્ટી વર્તુળ વાકેફ છે. સંજય જોશીની ભાજપમાં વાપસી બાદ નવી દિલ્હીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો ન હતો. તેમના તરફથી કારણ આપવામાં આવ્યું હતું કે તેઓ નવરાત્રિમાં ક્યાંય બહાર જતા નથી. જો કે પોરબંદર ખાતે ત્યારે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો.

સંજય જોશી ઉત્તર પ્રદેશના પ્રભારી

સેક્સ સીડી કાંડને કારણે ભાજપમાંથી દૂર કરાયેલા સંજય જોશીને સીડી નકલી હોવાનું જણાતા પાર્ટીમાં પાછા લેવાના ચક્રો ગતિમાન થયા હતા. પહેલા ઉમા ભારતીની પાર્ટીમાં વાપસી થયા બાદ ગડકરી અને સંઘ મુખ્યાલયના સંયુક્ત પ્રયાસોથી મુખ્યમંત્રી મોદીના ઘોર રાજકીય પ્રતિસ્પર્ધી અને વિરોધી ગણાતા સંજય જોશીને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા. સંજય જોશીને ઉત્તર પ્રદેશના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં સંજય જોશીની હાજરીને કારણે ચૂંટણી પ્રચારમાં ઉતરવાનું ટાળી રહ્યા છે. કારણ કે યૂપીની સફળતા બાદ સંજય જોશીને પાર્ટી વધુ મહત્વની કામગીરી સોંપે તેવી શક્યતાઓ પાર્ટી વર્તુળોમાં ચર્ચામાં છે.


બિહારના ચૂંટણી પ્રચારથી દૂર રખાયાનો ડંખ


બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોના સમીકરણોને કારણે જેડીયૂના નેતા અને બિહારના હાલના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોદીને રાજ્યના ચૂંટણી પ્રચારથી દૂર રાખવા માટે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ પર દબાણ કર્યું હતું. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બિહારમાં નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં ઉતરશે તો મુસ્લિમ મોત જેડીયૂ-ભાજપના ગંઠબંધનથી દૂર થશે અને આવી સ્થિતિમાં જેડીયૂ ભાજપ સાથે ગઠબંધન ચાલુ રાખશે નહીં. તેના કારણે ઘણાં ચઢાવ-ઉતાર વચ્ચે નરેન્દ્ર મોદીને બિહારની ચૂંટણીના પ્રચારમાં ઉતારવામાં આવ્યા ન હતા. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-જેડીયૂ ગઠબંધનને નીતિશ કુમારના નેતૃત્વમાં બે તૃતિયાંશ બહુમતી મેળવી હતી. તે વખતે સુષ્મા સ્વરાજે પણ મોદી વિરુદ્ધ ઘસાતા નિવેદન કર્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. હાલ ઉત્તર પ્રદેશ 19 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય છે. આ રાજ્યમાં મોદીને પાર્ટી અને સંઘ નેતૃત્વ ચૂંટણી પ્રચારમાં ઉતારવા માંગે છે. ત્યારે મોદી ખુદ ચૂંટણી પ્રચારમાં નહીં ઉતરીને સંકેત આપી રહ્યા છે કે તેઓ અહીં પ્રચાર નહીં કરે તો શું ભાજપને મુસ્લિમ મતો મળી જવાના છે?

પાંચેય રાજ્યોમાં ભાજપનો હાથ નીચો રહેવાની શક્યતા

પંજાબ અને ઉત્તરાખંડમાં ભાજપ અથવા એનડીએની સરકારો છે. આ બંને રાજ્યોમાં એન્ટી-ઈન્કમબન્સીની અસર જોવા મળે તેવી શક્યતા ઓપિનિયન પોલમાં દેખાઈ રહી છે. ત્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં ઉતરીને પોતાના ખાતામાં હારની નામોશી લેવા માંગતા ન હતા. વળી ઉત્તર પ્રદેશમાં ભાજપને ઓપિનિયન પોલ ચોથા સ્થાન પર મૂકી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનો રકાસ થાય તેવું આકલન કરવામાં આવી રહ્યું છે. ગત કેટલીક ચૂંટણીમાં મોદીએ પુરજોર પ્રચાર કર્યો હતો. ત્યારે એવી થિયરી વહેતી કરવામાં આવી હતી કે મોદી જ્યાં પ્રચાર કરે છે, ત્યાં ભાજપની જીત થતી નથી. ત્યારે હવે નરેન્દ્ર મોદી યૂપીમાં ભાજપના રકાસની શક્યતા વચ્ચે પોતાના માથે કોઈ નામોશી લેવા માંગતા નથી.

વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીને જાહેર કરવામાં અસમંજસતા

નરેન્દ્ર મોદીને કોર્પોરેટ લોબી અને પાર્ટીનો એક વર્ગ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાવવા માટે તલપાપડ છે. ખુદ મોદીની પણ આ મહત્વકાંક્ષા હોવાની વાત કોઈનાથી છુપી નથી. ત્યારે તેવા સંજોગોમાં હજીપણ નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હોવાની વાત બધાં સ્વીકાર કરે છે, પરંતુ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં અસમંજસતાની સ્થિતિ રાખી રહ્યા છે. પાર્ટી નેતાઓ આ સંદર્ભે કહે છેકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ સંદર્ભે નિર્ણય પાર્ટી કરશે. જેના કારણે નરેન્દ્ર મોદી પણ હુકમના પત્તા ધ્યાનથી ઉતરી રહ્યા છે. કારણ કે મોદીને અમુક કાર્યક્રમોથી દૂર રાખવા માટે ભાજપ નેતૃત્વ જે-તે કાર્યક્રમમાં કોઈ મુખ્યમંત્રીને બોલાવતું નથી. જેને કારણે મોદી પાંચેય રાજ્યોના ચૂંટણી પ્રચારથી દૂર રહીને ભાજપના હાઈકમાન્ડને સંકેત આપી રહ્યા છેકે તેમને પાર્ટી નેતૃત્વ રાષ્ટ્રીય નેતા તરીકેનું તેમનું સમ્માન જાળવતું નથી, તેથી તેઓ પ્રચારથી દૂર રહે છે.

પાર્ટીના કાર્યક્રમો અને બજેટ સત્ર

આમ તો ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 12 ફેબ્રુઆરી પછી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતરવાની અનુકૂળતા છે. હાલ સદભાવના ઉપવાસો અને ત્યાર બાદ ભાજપના પ્રદેશ કક્ષાના કાર્યક્રમોની ભરમાર છે. જેથી મોદી પ્રચાર માટે ઉપલબ્ધ થાય તેવી શક્યતા ઓછી છે. વળી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થશે, જેને કારણે પણ પ્રચારમાં ઉતરવાની તેમની શક્યતાઓ ઘણી ઓછી છે.

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

ભારતના રાજકારણની દુર્દશા ‘કોંગ્રેસ મૉડલ’ની દેણ


-ક્રાંતિવિચાર

ભારતીય રાજકારણમાં ઘણી બદીઓ અને નબળાઈઓની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે થતી ચર્ચામાં પણ રાજકીય કલેવરને બદલવા સુધીના તર્કો આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી સુધારાની વાતો પણ જોરશોરથી થઈ રહી છે. આઝાદ ભારતની રાજનીતિક સંસ્કૃતિ ઘણો મોટો અભ્યાસનો વિષય રહી છે. આઝાદી પહેલા 1885માં અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ ભારતની રાજનીતિનું મોડલ હતી અને આઝાદી પછી પણ સૌથી વધારે વર્ષ સત્તાનો ભોગવટો કરવાને કારણે દેશના રાજકીય મોડલ તરીકે ચાલુ રહી. 1885માં અંગ્રેજ દ્વારા થયેલી કોંગ્રેસની સ્થાપના શું દેશને આઝાદ કરાવવા માટે થઈ હતી કે અંગ્રેજોની સત્તા ટકાવી રાખવા માટે થઈ હતી? આની બિટવિન ધ લાઈન્સ વાચક ખુદ સમજી શકે છે. (ઘોષિત એજન્ડા સિવાયના અઘોષિત એજન્ડાઓ હોવા રાજનીતિમાં હંમેશાથી સામાન્ય વાત રહી છે) 1885થી 1920 સુધી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતની સામે કરેલા આંદોલનોની યાદી આજના કોંગ્રેસીઓ મહેરબાની કરીને આપે તો ખબર પડે કે તેમણે આંદોલનના નામે પત્રાચાર સિવાય કશું જ કર્યું ન હતું.

1920 બાદ દેશમાં ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલન થયા, પરંતુ કોંગ્રેસના બધાં આંદોલન અહિંસક રહ્યા. તેની પાછળનો તર્ક ગાંધીજીની અહિંસામાં આસ્થા હોઈ શકે. પરંતુ એક નીતિ સ્પષ્ટ રહી કે ગાંધીજીના નેતૃત્વમાં બનેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતનો એક ચોક્કસ મર્યાદામાં રહીને વિરોધ કર્યો હતો, આજના કેટલાંક ટીકાકારો કહે છે કે માત્ર વિરોધનો દેખાવ કર્યો હતો. ભારતમાં અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવામાં દેશ-વિદેશમાં ભારતીય યુવાનો દ્વારા આપવામાં આવેલા બલિદાનો અને સુભાષચંદ્ર બોઝ દ્વારા દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્ય સામે જર્મન-જાપાનીઓ સાથે હાથ મિલાવવાની નીતિ વધારે કારણભૂત હતી. ગદ્દર આંદોલનથી લઈને મુંબઈમાં થયેલા નૌસૈનિક વિદ્રોહની તવારીખ ગાંધી અને તેમની આગવી કોંગ્રેસના આંધળા ભક્તોએ જોઈ લેવી. તેના સંદર્ભે અંગ્રેજી હકૂમત દ્વારા કરવામાં આવેલી નોંધો અને ફૂટનોટો અભિલેખાગારમાંથી તપાસી લેવી.

ગાંધીજીની કોંગ્રેસ આગવી એટલા માટે બની ગઈ હતી કે સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. પણ ગાંધીજીની નામરજીને કારણે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ટકી શક્યા નહીં અને તેમને હારીને રાજીનામું આપવું પડયું. ત્યાર બાદ તેમને વિદેશની ધરતી પર આઝાદ હિંદ ફોજની સ્થાપના કરીને લશ્કરી રાહે દેશને આઝાદ કરવાનો રસ્તો લેવો પડયો હતો. ગાંધીજીની હત્યા બાદ કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારની આગવી કોંગ્રેસ બની ગઈ. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહે છે, તે કોંગ્રેસમાં અમુક અપવાદોને બાદ કરતાં આખરી સિદ્ધાંત બની રહેતો. વડાપ્રધાન નરસિંહ રાવના વખતમાં કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ સોનિયા ગાંધીને થોડા સાઈડ લાઈન કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ તેમ છતાં તેમને કોંગ્રેસીઓએ તેમના કાર્યાલયમાંથી ધોતી-બંડીમાં ટિંગાટોળી કરીને બહાર કાઢયા હતા.

ખેર આવી અંગ્રેજ દ્વારા સ્થપાયેલી પહેલા ગાંધીજીની અને પછી નહેરુ-ગાંધી પરિવારની આગવી બની ગયેલી કોંગ્રેસ પાર્ટી સિવાય છેલ્લા 112 વર્ષથી હિંદુસ્તાન પાસે રાજકીય પક્ષનું કોઈ મોડલ જ નથી. ભારતીય રાજનીતિમાં હંમેશા કોંગ્રેસ મોડલ હાવી રહ્યું છે. સ્વાતંત્ર્યવીર સાવરકરે દેશને બચાવવા માટે રાજનીતિનું કોંગ્રેસ મોડલ ખતમ કરવાની વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરને કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક ગોલવલકરને સાવરકરે ભારતીય જનસંઘની સ્થાપના કરવાને સ્થાને હિંદુ મહાસભા લઈ લેવાની વાત કરી હતી. પરંતુ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ભારતીય જનસંઘ અને પછી 1979માં બનેલી ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સ હોવાનું ગાણું ગાતી રહી. પરંતુ આજે સ્થિતિ જોવો તો કોંગ્રેસનું રાજકીય મોડલ વધારે મજબૂત બન્યું છે અને દેશના સૌથી મોટા વિપક્ષ ભાજપ પર પણ પડી છે. થોડાઘણાં અંશે કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને પ્રાદેશિક પક્ષો પર પણ તેની અસર પડી છે.

ભારતના સમાજવાદી, કમ્યુનિસ્ટ અને હિંદુત્વવાદી નેતાઓના રાજકીય કુળ કોઈને કોઈ રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. આઝાદી પહેલા અને પછી કોંગ્રેસમાંથી પક્ષો બનવાનો કાળક્રમ ચાલુ જ રહ્યો છે. હજીપણ તે ચાલુ છે. સૌથી મોટા વિપક્ષ ભાજપમાં પણ કોંગ્રેસી કુળના વ્યક્તિઓનો પગપેસારો સારા પ્રમાણમાં થયો છે. જો કે અપવાદમાં શિવસેના અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ છે. પરંતુ તેમનો ગજ રાષ્ટ્રીય સ્તરે વાગતો નથી, તેઓ સીમિત ક્ષેત્રની પાર્ટીઓ છે. કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિક પરંપરા રહી છે કે હંમેશા સત્તાની સાથે રહેવું અને સત્તાના વિરોધમાં રહેવું પડે તો તેવા સમયે સીમિત વિરોધ કરવો. કોંગ્રેસમાં આંતરીક લોકશાહી બિલકુલ ખતમ છે. નહેરુથી રાજીવ ગાંધી સુધી નિર્ણયોમાં આંતરીક લોકશાહીને ધ્યાને લેવાતી ન હતી. સોનિયા ગાંધીમાં પણ આ પરંપરા પ્રત્યક્ષ રીતે ચાલુ છે. રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં ચૂંટણીઓ કરાવીને આંતરીક લોકશાહી હોવાનો દેખાડો કર્યો છે. પરંતુ રાજકારણના જાણકારો કોંગ્રેસમાં આંતરીક લોકશાહી હોવાની વાતથી સહમત નથી.

આ સિવાય કોંગ્રેસના આંદોલનો આઝાદી પહેલા પણ મૂડીવાદી અને સામંતી લોકોના કબજામાં રહ્યા હતા. આઝાદી બાદ પણ કોંગ્રેસના ફંડમાં મૂડીવાદીઓનો ઘણો મોટો ફાળો છે. જેના કારણે કોંગ્રેસના શાસકોએ દેશ માટેના હિત માટે નીતિ ઘડવાને બદલે તેમના દાનદાતા મૂડીવાદીઓને ફાયદો કરાવતી અર્થનીતિ બનાવતા રહ્યા. પ્રજાનો અનુભવ છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે, દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી છે. કોંગ્રેસ અથવા તેના વડપણવાળી સરકારના શાસનકાળમાં ભ્રષ્ટાચારની કલંકિત પરંપરા છે. જેને જીપકાંડથી લઈને 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કાંડ સુધીનો વારસો મળ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના રંગઢંગને અન્ય રાજકીય પક્ષોએ પણ વત્તાઓછા પ્રમાણમાં સ્વીકાર્યો છે. જો કે આવા પક્ષોની કોંગ્રેસ પર કોઈ અસર થઈ નથી. કોંગ્રેસ પાર્ટીના ઝંડામાં લીલો રંગ છે, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો છે. શિવસેના જેવી કેટલીક પાર્ટીઓને બાદ કરતાં દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓના ઝંડામાં લીલો રંગ છે. લીલા રંગનો સવાલ નથી, સવાલ છે કે તેઓ લીલા રંગને ચોક્કસ સંપ્રદાય સાથે જોડીને પોતાની પાર્ટીના ઝંડામાં સમાવી રહ્યા છે. કોંગ્રેસના રાજકીય મોડેલે દેશમાં બહુમતીને ભાંડવાની અને લઘુમતી ખાસ કરીને મુસ્લિમોને ગળે લગાડવાની નીતિ અપનાવી. દેશની વસ્તીના 83 ટકા હિંદુઓને જાતિઓમાં વહેંચીને ક્યારેય એક થવા દીધા નહીં, પરંતુ મુસ્લિમ વોટબેંકને ફાલવા દીધી. વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.

ભારતની આર્થિક નીતિ હંમેશા મૂડીવાદી રહી છે અને તેનાથી અમીર-ગરીબની ખાઈ સતત વધી રહી છે. ઉદારીકરણને એવી રીતે અપનાવ્યું છે કે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ બેવડી થઈ ગઈ છે. ગરીબોના કલ્યાણની વાત કોંગ્રેસ સહીતના તમામ પક્ષો કરે છે, પરંતુ ગરીબોનું કલ્યાણ ગરીબી હટાવોના નારાથી આજ સુધી થઈ શક્યું નથી. ગરીબો પણ દેશમાં સતત વધી રહ્યા છે. તેનો અર્થ છે કે ગરીબી પણ વધી રહી છે.

દેશમાં ચાલી રહેલા આતંકવાદને નાથવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે. તેનું કારણ છે કે આતંકવાદના મુદ્દે પણ મુસ્લિમ મતોનું રાજકારણ કોંગ્રેસ સહીતના પક્ષો પર હંમેશા હાવી રહે છે. તેને કારણે આતંકવાદને નાબૂદ કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ બની શકી નથી. વિકટ પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસની દરેક વાત એક યા બીજી રીતે અન્ય રાજકીય પક્ષો પણ આગળ વધારી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પક્ષમાં એસસી, એસટી, લઘુમતી, મહિલા વગેરે સેલ બનાવ્યા તો તેનું પણ તમામ પક્ષોએ અનુકરણ કર્યું છે. (અપવાદો ઘણા થોડા છે અને તે નિષ્પ્રભાવી છે) એક સમયે પોતાની સભામાંથી મુસ્લિમોને ઉઠીને જતા રહેવાનું કહેનાર દેશનો મુખ્ય વિપક્ષ પણ લઘુમતી સેલ બનાવી રહ્યો છે. સેક્યુલર દેખાવાની રાજકીય સંસ્કૃતિ પણ કોંગ્રેસના રાજકીય મોડલની દેણ છે. તેનો અત્યારનો સૌથી મોટો પુરાવો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.

હાર્ડલાઈન હિંદુત્વના પોસ્ટરબોય ગણાતા નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનથી સેક્યુલર ચહેરો ઓઢવાનો પ્રયત્ન કર્યો છે. આજે તેઓ ટોપી અને દાઢીવાળા સાથે સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. એક સમયે તેમની સભામાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર સંભળાતા હતા, આજે સદભાવના ઉપવાસની શરૂઆત અલ્લાહ હો અકબરના નારાથી થાય છે. મુસ્લિમ ટોપીઓ અને લીલી પાઘડી પહેરવાના કોંગ્રેસી કલ્ચરને ભાજપના અટલ બિહારી વાજપેયી અને અડવાણીએ ઘણાં વખત પહેલેથી અપનાવી લીધું હતું. કદાચ નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ આ કડીમાં નવું આયામ ઉમેરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

ભારતમાં કોંગ્રેસની સત્તાનો વિકલ્પ થોડા સમય માટે મળી શક્યો છે. પરંતુ કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ હજી સુધી ભારતને મળી શક્યો નથી. દેશના રાજકારણમાં કોંગ્રેસી મોડલના ઉત્પાતને કારણે જ ભારતમાં કટોકટી અને અન્ય રાજકીય બ્લંડરો સર્જાયા છે. જો આ કોંગ્રેસી મોડલનો ભારત વિકલ્પ નહીં શોધી શકે તો ફરીથી એક વખત ભારત પોતાના 65 વર્ષ જૂના ઈતિહાસના કાળને દોહરાવશે. ઉલ્લેખનીય છે કે ભારતના વિભાજન વખતે પણ કોંગ્રેસનું રાજકીય મોડલ સૌથી વધારે પ્રભાવી હતું અને તેણે મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયા ટેકવીને વિભાજન અને હિંદુઓની કત્લેઆમ ડાયરેક્ટ એક્શનના નામે મુંગે મોઢે ભૂખ્યા પેટે સહન કરી હતી. ભારતને પોતાની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક સમસ્યાઓથી છૂટકારો મેળવવો હશે તો કોંગ્રેસના રાજકીય મોડલને સમાપ્ત કરવું પડશે.

રવિવાર, 22 જાન્યુઆરી, 2012

હિંદુત્વવાદી વિકાસ પુરુષ મોદીને સદભાવના પુરુષની માન્યતા મળશે?


-ક્રાંતિવિચાર
ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા હતી, પરંતુ હવે તે મોદીત્વની લેબોરેટરી બની ગયું છે. અહીં મોદીત્વ હેઠળ મિશન સદભાવનાના પ્રયોગો થઈ રહ્યા છે. જે હાલ તેના અંતિમ ચરણમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આદરેલા સદભાવનાના પ્રયોગો સંદર્ભે ઘણી શંકા-કુશંકાઓ સાથે સંભાવનાઓ પણ છે. રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય છે કે સદભાવના મિશનને ગુજરાતની જનતા કેવી રીતે જોઈ રહી છે, તેના માટે આગામી ચૂંટણીમાં કેવું વલણ અપનાવશે, લઘુમતી સમાજનો દ્રષ્ટિકોણ શું રહ્યો છે અને તે ક્યું રુખ અપનાવશે, મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા માટે સદભાવના ઉભી કરવાનો મોકો મળશે કે કેમ, મોદીની હિંદુત્વના પોસ્ટરબોયની ઈમેજ બદલાશે કે કેમ?

2001ના ઓક્ટોબર માસમાં નરેન્દ્ર મોદીને કેશુભાઈ પટેલને હટાવીને સંઘના દોરીસંચારથી ગુજરાતના મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા હતા. સંઘ અને ભાજપના ઉપરના નેતાઓ આમ કરી શક્યા કારણ કે ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા બની ચુક્યું હતું. ગુજરાતમાં કોઈ નેતા નહીં, પણ વિચારધારાને પ્રજામત મળી રહ્યો હતો. પરંતુ 27 ફેબ્રુઆરી, 2002ની ગોઝારી ગોધરાકાંડની ઘટના બાદ રાજ્ય મોદીત્વની પ્રયોગશાળામાં ફેરવાયું. સાબરમતી ટ્રેનના ત્રણ કોચને લગાડવામાં આવેલી આગ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. આખા ગુજરાતને દઝાડનારી કમનસીબ ઘટનાઓમાં અંદાજે 1200 લોકોના મોત થયા. ત્યાર પછી હિંદુત્વની વિચારધારા, સંઘ-ભાજપ-વીએચપી અને મોદીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીભર્યા કલંકિત કરનારા આક્ષેપો સામે ઝઝુમવું પડયું. કેટલેક ઠેકાણે દેશી-વિદેશી મીડિયાએ ભાન ભૂલીને ગુજરાત અને ગુજરાતની જનતાને પણ નિશાન બનાવીને કેટલીક બદનામ વાતો ફેલવવાનો પ્રયત્ન કર્યો.

આ બધી ઉથલ-પાથલ વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે તક હતી, હિંદુત્વની વિચારધારાના સંરક્ષક તરીકે જનતા અને હિંદુવાદી સંગઠનોમાં પોતાનો સિક્કો જમાવવાની, હિંદુત્વના પોસ્ટરબોય બનવાની. પોતાના પર ઉછળી રહેલા કીચડની પરવાહ કર્યા વગર મોદીએ ગુજરાતના ગૌરવને મુદ્દો બનાવીને ગૌરવ યાત્રા કાઢી. ગૌરવયાત્રાની સભામાં એક સાથે લાખ-લાખ ઉંચા થતા હાથ આજે પણ ભૂલાય તેમ નથી. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મીડિયાના પક્ષપાતી વલણ છતાં નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ભવ્ય વિજય અપાવ્યો. 1989 પછી રામજન્મભૂમિ આંદોલનની તીવ્રતાને કારણે બદલાયેલી પરિસ્થિતિમાં ગુજરાતમાં સત્તા પર આવવા માટે હિંદુત્વ જ એકમાત્ર રસ્તો હતો. સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી માટે આ રસ્તો સરળ હતો અને તેઓ તેના દ્વારા સત્તા પર પણ પહોંચી ગયા, એટલું જ નહીં પોતાની સત્તાને પક્ષમાંના વિરોધોને ડામીને સુદ્રઢ પણ બનાવી શક્યા.

આજે એક દશકાથી વધારે સમયથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે આસિન છે. આ એક દશકામાં ગુજરાતે ઘણાં ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ પણ ભરી છે. પરંતુ મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની એક સંભાવના રહેલી છે. આ વાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટાથી માંડી ઘણાંએ કરી છે. ચીન-જાપાન જેવા દેશો પણ નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સંભાવના જોઈ રહ્યા છે. અમેરિકામાં કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં 2014નો ચૂંટણી જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવા સંદર્ભની વાતો પણ આવી હતી.

પરંતુ સવાલ એ હતો કે 2002ની કમનસીબ હુલ્લડોની ઘટનાનું કલંક લઈને શું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન પદે આસિન થઈ શકે છે? જો મોદીનું નામ આટલું કલંકિત થયું ન હોત, તો કદાચ 2009ની સામાન્ય ચૂંટણીમાં અડવાણીને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જગ્યાએ મોદીનું નામ આગળ કરાયું હોત. પરંતુ એક તરફ કટ્ટર હિંદુત્વવાદી હોવાની છબીથી મોદીને ગુજરાતમાં સત્તા મળી હતી, તો બીજી તરફ કેન્દ્રમાં તેમને દેશના સર્વોચ્ચ પદે પહોંચવાની રાજનીતિ કરવામાં આ છબી જ અડચણરૂપ લાગી રહી હતી. તેનો સૌથી કડવો અનુભવ તેમને બિહારની ચૂંટણીમાં થયો. જેડીયૂના નીતિશ કુમારના દબાણના કારણે જ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા. તેની સાથે હકીકત એ હતી કે હિંદુત્વની ગાડીમાં ચઢીને મોદીએ વિકાસના પાટા પર ગુજરાતને ઘણું આગળ દોડાવ્યું હતું. તેમની સરકારનો પર્ફોર્મન્સ રિપોર્ટ ઘણો સારો હોવાનું ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ માન્યું છે. ભાજપની દેશમાં જ્યાં પણ સત્તા આવતી તે તમામ જગ્યાએ ગુજરાતના વિકાસ મોડેલને અપનાવવાની વાત પણ થતી.

પરંતુ મોદીને તેમના રાષ્ટ્રીય રાજકારણના પ્રતિસ્પર્ધીઓ મહત્વની અથવા તો મુખ્ય ભૂમિકામાં આવવા ન દેવા માટે તેમની કટ્ટર હિંદુત્વવાદી છબીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આની ખાતરી થતાં જ મોદી પોતાની ઈમેજ મેકઓવર માટેની તકની રાહ જોઈ રહ્યા હતા. આમ તો તેમણે પોતાની કટ્ટર રાજનીતિને સારા એવા સમય પહેલા જ બદલી નાખી છે. તેવામાં ગુલમર્ગ કાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટે સીટના અહેવાલના આધારે સ્થાનિક કોર્ટમાં કેસની ચલાવવા સંદર્ભે ચુકાદો આપ્યો. તેનું મોદીના ખેમા તરફથી અર્થઘટન કરવામાં આવ્યું કે તેમને ગુજરાત રમખાણોના આરોપો સંદર્ભે ક્લિનચીટ મળી ગઈ છે. આ ચુકાદાને અવસર બનાવીને તેમણે 17 સપ્ટેમ્બરે, 2011ના રોજ 55 કલાકના ઉપવાસ કર્યા અને તેને સદભાવના નામ આપ્યું. આ ઉપવાસ બાદ તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસના મિશનની જાહેરાત કરી. મોદીની સભામાં જય શ્રી રામના નારાની જગ્યાએ અલ્લાહ હો અકબરના નારા બોલાયા.

નરેન્દ્ર મોદીએ 20 જાન્યુઆરીએ 2002ની કમનસીબ ઘટનાઓના એપી સેન્ટર ગોધરા ખાતે એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા. આ પ્રસંગે તેઓ ગ્રીન સેડના વસ્ત્રપરિધાન અને સ્ટેજ પરના પોસ્ટરથી સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે તેઓ હવે કેસરી રંગની જગ્યાએ લીલા રંગને પણ મહત્વ આપી રહ્યા છે. તેમણે ગોધરા ખાતેના સદભાવના મિશનમાં કેસરી પાઘડીના સ્થાને તિરંગા પાઘડી પહેરી હતી. આની સાથે તેમમે ગોધરા ખાતે આપેલા પોતાના ઉદબોધનમાં એકપણ વાર ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો નથી, અહીં તેમણે એકપણ વાર ગોધરાકાંડમાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી નથી, તેમણે ગોધરાકાંડ પછીના તોફાનોમાં માર્યા ગયેલાઓ માટે પણ ગોધરાની સદભાવનામાં કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. તેમણે ગોધરા ખાતેના ઉપવાસમાં એવી કોઈ ખાતરી પણ આપી નથી કે ગુજરાતમાં આવી ગોધરાકાંડ કે તેના બાદના તોફાનો જેવી કોઈ ઘટના તેમના શાસનમાં ક્યારેય બનશે નહીં.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર વિકાસની વાત કરી, પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી, જેમકે પહેલા વણઝારા માટી નાખવા ગધેડા રાખતા અને હવે જેસીબી મશીન રાખે છે, પાણીની અછતને કારણે પહેલા ટેન્કરો દોડતા અને તેમણે પાઈપલાઈનોથી પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. તેમણે જિલ્લે જિલ્લે ઉદ્યોગોની જાળ બિછાવીને ગુજરાતનું ઔદ્યોગિકકરણ કર્યું છે. અહીં સારા રસ્તા બનાવ્યા છે, 15 વર્ષમાં ગુજરાતમાં પરિવર્તન લાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં કોઈ કોમી હુલ્લડ થયું નથી, બાળકોને કર્ફ્યુ શબ્દની ખબર નથી. કોંગ્રેસના નેતાઓ પણ વોટ માંગવા માટે ગુજરાતના વિકાસની વાત કરે છે. અન્ય પ્રદેશને ગુજરાત બનાવી દેવાના નામે વોટ માંગવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસ છે અને વિકાસ એટલે ગુજરાત છે, બંને એક સિક્કાની બે બાજુ છે.

ઉપરોક્ત તમામ વાતો નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2011થી પોતાના દરેક સદભાવના ઉપવાસમાં રટી રહ્યા છે. પણ આનો અર્થ શું કરવો? શું મોદી હવે વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ કરવાની કોશિશ કરી રહ્યા છે?

શું ગુજરાતમાં ખરેખર સદભાવના પ્રવર્તી રહી છે? સદભાવના પ્રવર્તી રહી છે, તો કોના માટે પ્રવર્તી રહી છે? કેટલાંક ઉદ્યોગપતિઓ માટેની સદભાવના, ગોહત્યા કરનારા કસાઈ પ્રત્યેની સદભાવના, ભૂમાફિયાઓ પ્રત્યેની સદભાવના, કેટલાંક નામચીન શખ્સો માટેની સદભાવના, ગુજરાતમાં છાશવારે લૂંટ કરનારા લૂંટારાઓ પ્રત્યેની સદભાવના? આનો જવાબ ગુજરાતના મુખ્યમંત્રી પાસે જરૂરથી હશે અને તેમણે તેનો પણ જવાબ ગુજરાતની છ કરોડની જનતાને આપવો જોઈએ.

આની સાથે સવાલ એ છે કે શું સદભાવનાથી મોદીની ઈમેજ મેકઓવરની કોશિશ કામિયાબ થશે? શું મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા મળે તેવી સદભાવના ઉભી થશે? શું લઘુમતી સમુદાય તેમના પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલશે? શું હિંદુ મતદારો તેમના સદભાવના પુરુષના સ્વરૂપને સ્વીકારશે? કટ્ટર હિંદુત્વવાદી નેતામાંથી વિકાસ પુરુષ અને વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ બનવાનો પ્રયત્ન કરી રહેલા મોદીને ગુજરાતની જનતા ભૂતકાળની ચૂંટણીઓની જેમ જ સ્વીકારશે?

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

લઘુમતી અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બનશે?


-ક્રાંતિવિચાર

2014માં યોજાનારી લોકસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની તકો ઘણી પાંખી છે. ભાજપને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આંકડે મધ દેખાઈ રહ્યું છે. જો કે કોંગ્રેસે ભાજપને લાભ ન પહોંચે તેના માટે લઘુમતી અનામતના કાર્ડ દ્વારા ચૂંટણીમાં મતના સમીકરણો સરભર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ એક હકીકત એ છે કે હિંદુઓએ થોડાક અપવાદને બાદ કરતાં ધર્મના નામે વોટિંગ કર્યું નથી. વળી આખા દેશમાં તો હિંદુઓએ એકસાથે ધર્મના નામે વોટિંગ ક્યારેય કર્યું નથી. જેના કારણે ભાજપને દિલ્હીમાં અન્ય પક્ષો સાથે જોડાણો કરીને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. ગઠબંધનની રાજનીતિના તબક્કામાં 1998 પછી ભાજપે હિંદુકાર્ડ પોતાના તુરકમાં પાછું મૂકી દીધું છે, તેઓ હવે વિકાસની રાજનીતિનું કાર્ડ ખેલી રહ્યા છે. પરંતુ તેને કારણે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને હિંદી બેલ્ટમાં ઉભી કરેલી હિંદુ વોટબેંક હાલ વેરવિખેર છે. જેને કારણે મુસ્લિમ વોટો ચૂંટણીની હારજીતમાં ઘણી બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. કારણ કે માનવામાં આવે છે કે મુસ્લિમ મતો હંમેશા થોકબંધ રીતે કોઈ એક પાર્ટીને મળે છે. જો કે આમા હજી અભ્યાસને અવકાશ છે. પરંતુ એક હકીકત એ છે કે ભાજપને મુસ્લિમ મતો ક્યારેય સારા પ્રમાણમાં મળ્યા નથી.

હિંદુત્વના રાજકારણથી સત્તાના સિંહાસન ભાગીદારીમાં સ્વાદ માણી ચુકેલુ ભાજપ પણ હવે સેક્યુલર રાજનીતિના નામે મુસ્લિમોના મતો મેળવવા માટે જાતજાતની તિકડમબાજી કરી રહ્યા છે. આ એવા સંજોગો છે કે જ્યારે ભારતીય રાજનીતિમાં દરેક પક્ષ લઘુમતી-મુસ્લિમોની સરભરા કરવાની વાત કરી રહ્યો છે. પરંતુ આ સ્થિતિ ભારત માટે બિલકુલ સારી નથી. તેને કારણે ભારતમાં બહુ મોટો વિસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. પહેલી જાન્યુઆરીએ અમદાવાદની એક જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદે લઘુમતી-મુસ્લિમ અનામત સામે દેશવ્યાપી આંદોલનની ઘોષણા કરી છે અને હિંદુઓને પણ વોટબેંક ઉભી કરીને બક્ષીપંચના કોટામાંથી લઘુમતીઓના કોટા સામે લડવાની હાકલ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના નવનિયુક્ત આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ કહ્યુ છે કે મુસ્લિમોને અનામત આપવાની તુષ્ટિકરણની નીતિઓ દેશમાં સિવિલ વોરની સ્થિતિ પેદા કરી શકે છે. આ પહેલા ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ ધર્મ આધારીત અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.

આની સંભાવના પ્રબળ છે, રામજન્મભૂમિ પરના અલ્હાબાદ હાઈકોર્ટના હકારાત્મક ચુકાદા બાદ હાલ પૂરતો આ મુદ્દો કોલ્ડ બોક્ષમાં છે. પરંતુ કોંગ્રેસે પોતાના ટૂંકા રાજકીય હિતોને સાધવા માટે વિશ્વ હિંદુ પરિષદ જેવા હાલ સુષુપ્ત અવસ્થામાં રહેલા હિંદુત્વવાદી સંગઠને એક્ટિવ મોડમાં આવવાની તક પુરી પાડી છે. વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુવાદી સંગઠનો પાસે હિંદુત્વની રાજનીતિને ફરીથી કેન્દ્રમાં લાવવાનો હાલ મોકો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે હાલ કોઈ હિંદુત્વના મુદ્દાઓને સંપૂર્ણ ટેકો કરનારી પાર્ટી ઉપલબ્ધ નથી. ભાજપથી હિંદુ સંગઠનો સારા એવા પ્રમાણમાં આહત છે. રામમંદિર આંદોલન વખતે ભાજપે ખુલીને વિશ્વ હિંદુ પરિષદને ટેકો આપ્યો હતો. જેથી તેમના દ્વારા થયેલા જનજાગરણને ભાજપ તરફી મતોમાં પરિવર્તિત કરી શકાયું હતું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં વીએચપી દ્વારા શરૂ કરવામાં આવનારા આવા કોઈ જનજાગરણની રાજકીય સ્તરે ચૂંટણીના માધ્યમથી અભિવ્યક્તિ કરી શકાય તેવો પક્ષ અસ્તિત્વમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે નિમણૂક વખતે મોહન ભાગવતે ભાજપની સર્જરી અને કેમોથેરપીની વાત કરી હતી. પરંતુ ભાજપ પણ હાલના વાતાવરણમાં હાર્ડકોર હિંદુત્વના માર્ગ પર આગળ વધવા માટે તૈયાર દેખાતું નથી.

તેવા સંજોગોમાં હાર્ડકોર હિંદુત્વના મુદ્દાઓ પર લઘુમતી અનામત સામે જાગૃત થનારા હિંદુ મતદારોને કોઈ પાર્ટી દ્વારા રાજકીય અભિવ્યક્તિની તક મળશે નહીં. આવા સંજોગોમાં હતાશ હિંદુ મતદાર અન્ય કોઈ રસ્તો પણ અપનાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. જ્યારે સમાજની રાજકીય અભિવ્યક્તિનો સામાન્ય વિકલ્પ બંધ થઈ જતો હોય છે, તો તેવા સંજોગોમાં સમાજ રાજકીય મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓની પૂર્તિ માટે અન્ય માર્ગો પણ અપનાવતી હોય છે. ટ્યુનેશિયા, ઈજીપ્ત અને લીબિયા સહીતના દેશોના ઉદાહરણો આપણી પાસે છે. વળી લોકોને અહિંસક માર્ગે વાળનારા ગાંધી આપણી વચ્ચે 63 વર્ષ પહેલા ચાલ્યા ગયા છે. અહિંસક આંદોલનનો વારસો આગળ વધારનારા ગાંધીવાદી અણ્ણા હજારેની અણ્ણાગીરી મુંબઈમાં મોળી પડી છે. ત્યારે લોકો પોતાની આકાંક્ષા પૂર્ણ કરવા માટે અહિંસક વિકલ્પો સિવાયના અન્ય રસ્તા પર પણ આગળ વધશે તો દેશમાં ઘણી વિસ્ફોટક પરિસ્થિતિ પેદા થશે. આ દેશની સેક્યુલર રાજનીતિ લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિમાં ફેરવાઈ ગઈ ત્યારથી જ સિવિલ વોરની સ્થિતિ માટેની પટકથા લખાઈ ચુકી છે.

કોંગ્રેસ સહીતના પોતાને સેક્યુલર ગણાવતા અને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષો માટે ખરેખર આત્મવિશ્લેષણ કરવાનો સમય છે કે શું તેઓ દેશમાં હિંદુઓમાં જન્મજાત સેક્યુલારિઝમની ભાવનાને નષ્ટ કરવા માંગે છે? શું તેઓ હિંદુઓને હિંદુ તરીકે વોટ કરવા અને બીજી રાજકીય અભિવ્યક્તિ માટે કટ્ટર બનાવવા માંગે છે? શું તેઓ દેશમાં હિંદુઓને કટ્ટર રાજકીય અભિવ્યક્તિ તરફ ધકેલીને સિવિલ વોરની પરિસ્થિતિ પેદા કરી રહ્યા નથી? શું આગળ જતાં આજે બક્ષીપંચના અનામતમાં લઘુમતીનો ભાગ કર્યો, ભવિષ્યમાં અનુસૂચિત જાતિના અનામતમાં લઘુમતીને ભાગ આપશે અને પછી ઓપન કેટેગરીમાંથી 10 ટકા અનામત કાપીને લઘુમતીઓને રંગનાથ મિશ્ર પંચની ભલામણ પ્રમાણે અનામત આપશે? શું સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત માટેની મહત્તમ 50 ટકાની મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવા માટે સરકાર બંધારણીય અને કાયદાકીય સ્તરે પ્રયત્નો અને તૈયારીઓ કરી રહી છે?

આ તમામ સવાલોના જવાબ સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષોએ આપવા પડશે. કારણ કે દેશ નિશ્ચિતપણે એક બહુ મોટી વિસ્ફોટક પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. લઘુમતી અનામતને ભારતના વિભાજન સાથે જોડીને ફરી ભાગલાના બીજ રોપાયાના પણ દાવા થઈ રહ્યા છે. ભારતનો ઈતિહાસ ધર્મના નામે થયેલી મારકાટથી ભરપૂર છે. છેલ્લા 64 વર્ષમાં ઈતિહાસની ધર્મના નામે થયેલી મારકાટના પ્રમાણમાં ઘણાં નાના છમકલાં થયા છે. પરંતુ કદાચ આ પરિસ્થિતિ હિંદુઓમાં અધિકારો પર ધાડ પડે તેવા નિર્ણયો કરનારને ગોઠતી હોય તેમ લાગતું નથી. લઘુમતીઓને ધર્મના નામે અનામતની રેવડી વહેંચીને ચૂંટણી જીતવા નીકળેલા રાજકીય પક્ષો ફરીથી ધર્મના નામે મારકાટનો દોર શરૂ કરાવવા માંગે છે.

ભારત સેક્યુલર લોકશાહી દેશ છે. પરંતુ ભારતના લોકોને તેવો અનુભવ થઈ રહ્યો નથી. નથી આવો અનુભવ હિંદુને થઈ રહ્યો, નથી મુસલમાનને થઈ રહ્યો, નથી ખ્રિસ્તીને થઈ રહ્યો કે નથી શીખને આવો અનુભવ થઈ રહ્યો. કારણ શું છે, આ બધાંનું? કારણ માત્ર સેક્યુલારિઝમના નામે વિકૃત લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિ કરીને બહુમતી હિંદુ સમાજમાં અન્યાય બોધ ઉભો કરવાની રાજકારણીઓની રણનીતિ. શું આ સ્થિતિ એક ભારતીય તરીકે તમને સિવિલ વોરનું કારણ બને તેવી વિસ્ફોટક લાગતી નથી? ઉલ્લેખનીય છે કે અમદાવાદની જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ હિંદુઓને બંધારણ બદલીને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની હાકલ કરી છે.