Saturday, May 28, 2011

કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારનું જેહાદી આતંકને પ્રોત્સાહન!


દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. આ અવસ્થા આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાતી હોય છે. વ્યવસ્થામાં હંમેશા અનિષ્ટ તત્વો દ્વારા દુર્વયવસ્થા ઉભી થાય છે. જેના કારણે અવ્યવસ્થાથી અંધાધૂંધી સર્જાય છે. આવી અંધાધૂંધીને કારણે વ્યવસ્થા સ્થાયી કે અસ્થાયીપણે પડી ભાંગે છે. આવી સ્થિતિઓને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં અટવાઈને જેના માટે વ્યવસ્થા હતી...છે...કે રહેશે, તેને ચોક્કસપણે નુકસાન થશે. આવા સ્થાયી કે અસ્થાયી નુકસાનનો જવાબ અવ્યવસ્થાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને તેના પરિણામો પરથી જ મળી શકે છે.

ભારત સામેના યુધ્ધોમાં નાલેશીભરી હાર પામેલું પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી દેશમાં રહેલી પાંચમી કતારિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 1971ની હારનો બદલો લેવા માટે પાકિસ્તા ભારતને આતંકના શેતાન વડે રક્તરંજિત કરવા માટે નાપાક રાજરમતની શતરંજ જમાવીને બેઠું છે. જેના કારણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને ભારતમાં આતંકની જાળ ફેલાવવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આતંકના આકાઓને મોતની સોદાગરીમાં મળેલી સફળતા માટે માત્રને માત્ર પાકિસ્તાનની તાકાત અને વ્યૂહરચના જ જવાબદાર નથી! આતંકના આકાઓને ભારતમાં આતંકની હકૂમત કાયમ કરવા માટે ભારતમાં સત્તા સ્થાને રહેલી દરેક સરકારો વત્તા કે ઓછા પ્રમાણમાં જવાબદાર છે. જો સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો ભારતના સત્તા સ્થાને રહેલી દરેક સરકારની આતંકવાદ વિરોધી નીતિઓમાં વત્તા કે ઓછા પ્રમાણમાં ખામી રહી છે. આતંકના કારણે તંત્રની વ્યવસ્થાની દુર્ગતિના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા અને તેમાંથી સર્જાયેલી અંધાધૂંધીથી દેશની કોઈપણ ભૂતપૂર્વ કે પ્રવર્તમાન સરકાર છટકી શકે તેમ નથી. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આતંકવાદીઓ છાકટા બનીને નિર્દોષ ભારતીયોનાં લોહીની હોળી રમી રહ્યાં છે. તેની સામે દેશની પ્રવર્તમાન યુપીએ સરકાર માત્ર મૂકદર્શક બનીને પોતાની વોટબેંકની રાજનીતિ કરી રહી છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવા માટે હજુ સુધી ભારત પાસે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, તે એક દુર્ભાગ્યની વાત છે.

ડર એ મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. કેટલાંક અસાધારણ વ્યક્તિઓના અપવાદોને બાદ કરતાં ડર સૌને લાગે છે, તે એક નક્કર હકીકત છે. ભારત સામે અઘોષિત ઉગ્ર લડાઈ લડી રહેલા આતંકના આકાઓ મનુષ્ય સ્વાભાવની આ સ્વાભાવિકતાનો ઉપયોગ પોતાના રાજકીય, ધાર્મિક, સામાજિક અને કેટલેક અંશે આર્થિક હિતોની પૂર્તિ માટે કરી રહ્યાં છે. આમ તો ડરથી ભાગો તો હાર છે અને ડર સામે જંગે ચડો તો જીત છે. વિકાસપથ પર પૂરઝડપે આગળ વધી રહેલા ભારતની પ્રગતિની ગાડી પાટા પરથી ઉતારવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતાં વૈશ્વિક અનિષ્ટોની ધરી છેલ્લા દોઢ દાયકાથી ભારત સામે મેદાને પડેલી છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદ પાછળ ચોક્કસ ધાર્મિક વિચારધારના વિકૃતિકરણની પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં પ્રવર્તમાન યુપીએ સરકારની નીતિઓ કોઈપણ દેશપ્રેમીને આંચકો આપે તેવી રહી છે. યુપીએની સરકારે પોતાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદના ભોરિંગનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાની નીતિ અખત્યાર કરીને ભારતીય હિતોને અનેકગણું નુકસાન પહોંચાડયું છે. ઘણી અસ્પષ્ટતાઓ સાથે તકવાદી ગઠબંધન દ્વારા સત્તા પર ડાબેરીઓના ટેકાથી આવેલી યુપીએ સરકાર આતંકવાદના શેતાન સામે તકલાદી સાબિત થઈ છે. આતંકવાદ સામેની પોતાની નીતિઓના કારણે યુપીએ સરકાર વર્ષ 2004થી વિવાદોમાં ટર્મ પૂરી થયા સુધી રહી છે.

યુપીએ સરકારે વિશ્વભરમાં ચોક્કસ ધાર્મિક વિચારધારાના વિકૃતિકરણ સામે શરૂઆતથી જ આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારે સત્તામાં આવ્યા બાદ તુરંત તેમની પુરોગામી એનડીએ સરકારની આતંકવાદ વિરોધી નીતિઓનું શીર્ષાસન કરાવ્યું છે. એનડીએના સમયમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અને પ્રોએકટિવ પોલિસી મહ્દઅંશે અખત્યાર થઈ રહી હતી. જો કે તેમ છતાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય તત્વોનો પોતાના રાષ્ટ્રીય હિતો માટે ઉપયોગ કરનારા દેશોએ ભારતને લોહીલુહાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.આ તમામ હકીકતો સામે આંખ આડા કાન કરીને ભારતીય વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય તેવા દેશહિત વિરોધી નિર્ણયો યુપીએ સરકારે કર્યા છે.

ચોક્કસ આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતા આતંકવાદી સંગઠનોએ પોતાની મહત્વકાંક્ષા અને હિતોની સિધ્ધિ માટે ઈસ્લામની ધાર્મિક વિચારધારનું વિકૃતિકરણ કર્યું છે, જેના કારણે ભારત, ઈરાક, અફઘાનિસ્તાન, યુરોપ, અમેરિકા અને રશિયા આતંકનો ભોગ બન્યા છે કે બની રહ્યાં છે.તેમ છતાં ભારતની યુપીએ સરકાર દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ઈસ્લામિક આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. તેમની માન્યતા એટલી જડ છે કે સામે દેખાતા તથ્યો સ્વીકારવા અને તેના દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાની પણ તૈયારી નથી. જો કે હાલ દેશની કમનસીબી છે કે ઈસ્લામના નામે ભારતમાં ચાલી રહેલી કત્લેઆમને કોઈપણ રાષ્ટ્રીય નેતા ઈસ્લામિક આતંવાદ કહેવા માટે તૈયાર નથી.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંકને તુષ્ટ કરવા માટે 9/11ની ઘટના બાદ ભારતમાં વિદ્યમાન એકમાત્ર આતંકવાદ વિરોધી કાયદા પોટાને દૂર કર્યો હતો. યુપીએએ પોટા રદ કરવાની જાહેરાત તેમના ચૂંટણી ઢંઢેરામાં અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં કરી હતી. તેમનું માનવું છે કે આ પ્રકારના તુષ્ટિકરણથી તેઓ તેમના રાજકીય હિતો સિધ્ધ કરવા માટે મુસ્લિમ વોટબેંકને અંકે કરી શકશે.

યુપીએ દ્વારા હંમેશા વૈશ્વિક આતંકવાદની સમસ્યાને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવાનું મહાપાપ થયું છે. ભારતમાં કેટલાંક કારણોને લીધે કોમવાદ છે અને હુલ્લડો પણ થાય છે. આ હકીકત હોવા છતાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ અને ભારતમાં કોમવાદ બે અલગ સમસ્યા છે. વૈશ્વિક સ્તરે ફાટીને ધુમાડે ગયેલો ઈસ્લામિક આતંકવાદ એ રાષ્ટ્ર સામેનું યુધ્ધ છે, જ્યારે ભારતમાં કોમવાદ મહ્દઅંશે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેમ છતાં યુપીએ સરકાર ઈસ્લામિક આતંકવાદને કાયદો અને વ્યવસ્થા સાથે જોડવાનું મહાપાપ કરી રહી છે. યુપીએના કોંગ્રેસ સહિતના ઘટકદળો સેક્યુલારિઝમના નામે સ્વહિત સિધ્ધ કરવા માટે રાજરમતની ચોપાટ બિછાવીને બેઠાં છે. જેના કારણે સેક્યુલારિઝમ અને માનવાધિકારને નામે ભારતમાં રહેલી પાંચમી કતારિયાના દેશદ્રોહી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા આપી હોવા છતાં તેની ફાંસીનો મુદ્દો ઉઠાવાય છે, ત્યારે યુપીએ તરફથી હાસ્યાસ્પદ તર્કો કરવામાં આવે છે, જેમ કે અફઝલ ગુરુ જેવા અન્ય કેટલાંક ગુનેગારોને પણ ફાંસી આપવાની બાકી છે. તેમની સંખ્યા ગણાવાય છે! કોંગ્રેસી નેતાઓ રાજીવ ગાંધીના હત્યાઓને ફાંસી ન અપાઈ હોવાની વાત આગળ કરીને હદ કરે છે. આ સિવાય સંસદ પરના હુમલાના અન્ય એક આરોપી જેએનયુના કાશ્મીરી પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીને પૂરાવાના અભાવે સુપ્રિમ કોર્ટ દ્વારા મુક્તિ મળી છે. તેને બચાવવા માટે સેક્યુલારિસ્ટ અને માનવાધિકારવાદીઓની ફૌજે વ્યવસ્થિત દિશા-નિર્દેશ પ્રમાણે કામ કર્યું હતું. જાણે કે યુપીએ સરકારની તેમાં મૂક સહમતિ હોય!

યુપીએની પૂરોગામી સરકારોના શાસનકાળ દરમિયાન આતંકવાદી હુમલાઓ થયા છે. પણ યુપીએના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો ઈસ્લામિક આતંકવાદ ભારતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. કાશ્મીરથી કેરાળા સુધીના કેટલાંક મુસ્લિમ યુવાનો આતંકવાદી તાલીમ લાઈને આતંકના આકાઓના ઈશારે હિંસાચાર કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના ગ્લાસગો હુમલા કેસમાં ઓસ્ટ્રેલિયામાં ઝડપાયેલા બેંગલુરુના ડૉ. મહોમ્મદ હનીફને કારણે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ઉંધ આવતી નથી!ડૉ.હનીફ સંદર્ભે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આધિકારિકપણે પોતાની ચિંતાઓ પ્રદર્શિત કરે છે! જો કે ડૉ. હનીફ કાયદાની આંટીઘૂંટી અને પૂરાવાના અભાવે આરોપોમાંથી મુક્ત થઈને હાલ ઓસ્ટ્રેલિયામાંજ છે. આ સિવાય ગ્લાસગો હુમલામાં બેંગાલુરુના બે અન્ય યુવાનો સામેલ હોવાને કારણે એક વાત સ્પષ્ટ બની છે કે ભારતના મુસ્લિમ યુવાનોને તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈસ્લામિક આતંકવાદમાં સામેલ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર રોકવામાં યુપીએ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, કારણ કે રાજકારણના આટાપાટા રમવા સિવાય યુપીએ સરકાર પાસે કોઈ ઠોસ આતંકવાદ વિરોધી નીતિ જ નથી.

યુપીએ સરકારનો પાંચ વર્ષનો શાસનકાળ નિર્દોષ ભારતીયોના લોહીમાં ડૂબેલો છે. આ લોહીના છાંટાઓથી ખરડાયેલો ચહેરો જોવો માટે યુપીએ સરકાર ક્યારેય તૈયાર થઈ નથી. જોઈએ, યુપીએ સરકારના શાસનકાળમાં બનેલી કેટલીક ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓને..............

(1) 15 ઓગસ્ટ, 2004- આસામમાં વિસ્ફોટો, 16ના મોત
(2) 5 જુલાઈ,2005- અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલ પર લશ્કરે તોઈબાના આતંકવાદીઓનો હુમલો
(3) 29 ઓક્ટોબર, 2005-દિવાળીના બે દિવસ પહેલા રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 70ના મોત
(4) 28 ડિસેમ્બર, 2005- બેંગલુરુમાં આઈઆઈએસસીમાં ફાયરિંગ, એક વૈજ્ઞાનિકનું મોત
(5) 7 માર્ચ, 2006- વારણસીમાં બે બોમ્બ વિસ્ફોટોમાં 21ના મોત
(6) 11 જુલાઈ, 2006-મુંબઈ લોકલ ટ્રેનોમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 200ના મોત
(7) 8 સપ્ટેમ્બર, 2006-માલેગાંવ વિસ્ફોટોમાં 37ના મોત
(8) 18 મે, 2007- હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટો, 13ના મોત
(9) 25 ઓગસ્ટ, 2007- હૈદરાબાદના લુમ્બિનિ પાર્ક અને ગોકુલચાટમાં વિસ્ફોટો, 42ના મોત
(10) 13 મે, 2008- જયપુરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 63ના મોત
(11) 25જુલાઈ, 2008-બેંગલુરુમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 2ના મોત
(12) 26 જુલાઈ, 2008- અમદાવાદમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 52ના મોત
(13) 13 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 21ના મોત
(14) 27 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં વિસ્ફોટો, 1નું મોત
(15) 26 નવેમ્બરથી 28 નવેમ્બર, 2008- મુંબઈ પર સમુદ્રમાર્ગે પાકિસ્તાની આતંકવાદીઓનો હુમલો, 173ના મોત


આટલી બધી ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓ વચ્ચે હોનહાર ગણાતા યુપીએ સરકારના તત્કાલિન કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટિલ બીંબાઢાળ નિવેદનો આપતાં રહ્યાં અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાને પણ મુંબઈ હુમલા સુધી ટાળતાં રહ્યાં હતા. અમદાવાદ વિસ્ફોટો બાદ ગુજરાત સરકાર દ્વારા ઝડપાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઓપરેશન બેડમેન હેઠળ દિલ્હી અને મુંબઈ ટાર્ગેટ પર હોવાની માહિતી ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહને આપી હતી. તેમ છતાં યુપીએ સરકાર દિલ્હી અને મુંબઈમાં ઉંઘતી ઝડપાઈ હતી. તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ દિલ્હી વિસ્ફોટો સમયે પોતાના કિંમતી વસ્ત્રો બદલીને વિસ્ફોટોના સ્થળોએ આંટાફેરા મારતા નજરે પડયા હતા.

દિલ્હી વિસ્ફોટો બાદ રાજધાનીમાં આવેલા બટલા હાઉસ એન્કાઉન્ટરમાં છુપાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા દિલ્હી ક્રાઈમબ્રાંચે એન્કાઉન્ટર હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બહાદૂરીપૂર્વક શહાદત વહોરનારા દિલ્હી ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માના બલિદાન પર પણ યુપીએના ઘટકદળ સમાજવાદી પાર્ટીએ કિચડ ઉછાળ્યું છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહ વોટબેંકનું રાજકાણ રમવાનું ભૂલ્યા ન હતા. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરની સત્યાર્થતા પર પ્રશ્નો ઉભા કરીને તેની તપાસની માગણી પણ કરી હતી! અમરસિંહે એક તરફ શહીદ મોહનચંદ શર્માને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી તો, બીજી તરફ તેમની શહાદતને કલંકિત કરનારા નિવેદનો પણ કર્યા હતા.

દેશભરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી) પરથી પ્રતિબંધ હટાવી લેવાના ઉબાડિયા પણ થયા હતા. જો કે અલ્હાબાદ હાઈકોર્ટના સીમી પર પ્રતિબંધ હટાવવાના ચુકાદા સામે કેન્દ્ર સરકારે ભારે રાજકીય દબાણને કારણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના કારણે પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. જો કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે મુલાયમસિંહે સીમીને દેશભક્ત સંગઠન પણ ગણાવ્યું હતું, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન પણ મતોનું રાજકારણ રમવા માટે મેદાને પડયા હતા. લાલુ, મુલાયમ અને રામવિલાસની તિકડીએ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને હાસ્યાસ્પદ તર્કો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કટ્ટરપંથી સંગઠનમાંથી આતંકવાદી પ્રવૃતિ તરફ વળેલા સીમીને ઈન્ડિયન મુજાહિદ્દીનનું નામ અપાયુ હોવાની સંભાવના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા આતંકવાદીઓ જામિયા-મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ હોવાને કારણે દિલ્હીની આ નામાંકિત યુનિવર્સિટીના ઉપકુલપતિએ તેમને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. આતંકવાદીઓને અપાનારી આ મદદ સામે રાજકીય ઉહાપોહ થયો હોવા છતાં, તત્કાલીન કેન્દ્રીય માનવ સંશાધાન વિકાસ પ્રધાન અર્જૂન સિંહે કાયદાકીય મદદ આપવાની પેશકશનું સમર્થન કરીને રાજકીય નૈતિકબળના અસ્તાચળની પ્રતિતિ કરાવી હતી.
ઈસ્લામિક આતંકવાદ સામે કામ પાર પાડવા કરતાં યુપીએ સરકાર હંમેશા રાજરમતની ચોપાટ પર સેક્યુલારિઝમના સોંગઠાં રમતી નજરે પડી છે. તેમાંય 29 સપ્ટેમ્બર,2008ના રોજ મોડાસા અને માલેગાંવ વિસ્ફોટો બાદ દોષનો ટોપલો હિંદુવાદી સંગઠનો પર નાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આમ કરીને યુપીએ સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન આદર્યો છે. બની શકે કે કેટલીક વ્યક્તિઓ આવી પ્રવૃતિમાં સામેલ હોય. જો કે આ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સત્ય બહાર આવવાનું બાકી છે. તેથી તે સંદર્ભે અન્ય કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નથી. પણ હિંદુ આતંકવાદ જેવી ભયાનક હિંદુદ્રોહી અવધારણાને ઈજાત કરીને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે (અ)બૈધ્ધિક આતંકવાદ આદર્યો છે. તેમણે આ ગાણું તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણમાં પણ ચાલુ રાખ્યું હતું. ત્યારે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકતાંત્રિક અને અહિંસક માર્ગે પોતાની વાત આગળ વધારનારા હિંદુ સમાજ અને તેનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને આતંકવાદી કહીને યુપીએ સરકારના જવાબદારો કોને મદદ કરી રહ્યાં છે? આતંકવાદ જેવી ભયાનક માનવવિરોધી અવધારણાને હિંદુ ધર્મ સાથે જોડવાની હિમાકત કરનારા દિગ્ગજો હિંદુદ્રોહી બનીને કોઈ દિગ્વિજય કરી શકશે ખરાં?

આ માલેગાંવ વિસ્ફોટ અને સમજૌતા એક્સપ્રેસકાંડ સંદર્ભે કેટલાંક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ સાથે સેવારત સૈન્ય અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ પકડવામાં આવ્યા છે. સમજૌતા એક્સપ્રેસ સંદર્ભેથયેલા નિવેદનોને કારણે પાકિસ્તાનને ભારતીય સેના અને ભારતની શાખ પર હુમલો કરવાનો એક મોકો મળ્યો છે. સાથે મુંબઈ હુમલાની ઘટના બાદ પાકિસ્તાને ભારતને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કાંડ સંદર્ભે ગોથે ચડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો કે યુપીએ સરકારની અક્કલ ઠેકાણે આવતા તેમણે આ સંદર્ભે કરાયેલા નિવેદનો પાછા ખેંચ્યા છે. યુપીએ સરકારની નીતિઓના કારણે જ ભારતીય સેના દુનિયાભરમાં બદનામ થઈ છે. તેના માટે યુપીએ સરકારની આતંકવાદ સામેની લચ્ચડ નીતિ અને સ્થાનિક રાજકારણની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભેળસેળ કરવાની બાબત કારણભૂત છે.

સૌથી મોટું આશ્ચર્ય 26/11ના મુંબઈ હુમલાનું છે. કરાંચીથી સમુદ્ર માર્ગે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. તેમણે 59 કલાક સુધી મુંબઈને બાનમાં લઈને કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં 173લોકોના મોત નીપજ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે 9 માસ પહેલા ભારતીય ગુપ્તચર તંત્રે સમુદ્ર માર્ગે ભારત પર હુમલાની સંભાવના દર્શાવી હતી. તેમ છતાં યુપીએ સરકારે દરિયાઈ સરહદની સુરક્ષાની ઉપેક્ષા કરીને બેજવાબદાર વર્તન કર્યું છે.

મુંબઈ હુમલાની ઘટના બાદ પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક પગલાં લીધાં નથી. પાકિસ્તાન સામેની કાર્યવાહી અને આતંકવાદને નાથવામાં અમેરિકા પર આધાર રાખીને ભારતની ધાક ખતમ કરવાનું કામ યુપીએ સરકારે કર્યું છે. પાકિસ્તાન સરકારને આતંકવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સામેલગીરીનું ડોઝિયર આપ્યું છે. તેમા દર્શાવેલા પૂરાવાઓ સત્ય છે. પણ પોટાના કાયદાને નાબૂદ કર્યા બાદ તે ડોઝિયરમાં દર્શાવેલા પૂરાવાઓને ભારતીય કોર્ટ માન્ય રાખે તેવી કોઈ જોગવાઈ બચી નથી. આ સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ટિપ્પણીઓ પણ કરી છે. તેમ છતાં યુપીએ સરકારે આત્મવિશ્ર્લેષણ કરવાના સ્થાને નરેન્દ્ર મોદી પર અનર્ગલ ટિપ્પણીઓ કરી છે. મુત્સદ્દીપણાંમાં પણ યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાને ડોઝિયરના જવાબમાં એટલું કબૂલ કર્યું છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ હતા અને આ હુમલાનું ષડ્યંત્ર અન્ય દેશો તેમ જ પાકિસ્તાનમાં પણ ઘડાયું છે. પાકિસ્તાને ભારતને 30 પ્રશ્નોની જાળમાં ભેરવીને લોકસભાની ચૂંટણી જાહેર થાય, ત્યાં સુધી સમય પસાર કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં નુકસાન ન થાય તે હેતુથી યુપીએ સરકારે મુંબઈ હુમલા બાદ કેટલાંક પગલાં જરૂર લીધા છે. યુપીએ સરકારે કેન્દ્રીય ગૃહપ્રધાન શિવારાજ પાટિલને દૂર કરીને તેમના સ્થાને પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર.આર.પાટિલને દૂર પણ કરાયા હતા. સંસદમાં અનલોફુલ એક્ટિવિટી એક્ટ નામના કાયદાને મંજૂર કરાયો છે. જો કે ધણાં નિષ્ણાંતોના મતે આ કાયદો પોટાના કાયદાને ઘણો મળતો આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે યુપીએના વોટ ભૂખ્યા નેતાઓને પોટા સામે શુ વાંધો હતો?જો કે યુપીએ સરકારના આ નવા કાયદામાં આતંકવાદીઓને ફાંસીના માંચડે ચઢાવવાની જોગાવાઈઓ નથી જ ! વળી અનલોફુલ એક્ટિવિટી એક્ટની સંસદીય ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી પ્રધાન એ.આર. અંતુલેએ પણ વિચિત્ર વિધાનો કરીને એટીએસ ચીફ હેમંત કરકરેની શહીદીની તપાસ કરવાની માગણી કરી હતી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુવાદી સંગઠનો અને હિંદુ આતંકવાદના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ તો અજમલ આમિર કસાબ નામનો આતંકવાદી ઝડપાયો છે, તો સારું છે. બાકી તો એ.આર.અંતુલેના નિવેદનના પગલે પાકિસ્તાન મુંબઈ હુમલાની જવાબદારીમાંથી છટકી પણ જાત! જો કે અંતુલેના નિવેદન બાદ પાકિસ્તાને મુંબઈ હુમલાની ઘટનામાંથી હાથ ખેંચવાનો પ્રયત્ન કરી જોયો હતો. પણ તેમાં તે સફળ થયું નથી.

ભારતીય લશ્કર આતંકવાદીઓને જવાબ આપવા સક્ષમ હોવા છતાં યુપીએ સરકાર અમેરિકા પર આધાર રાખીને ભારતીય સેનાના મનોબળને તોડવાનું કામ કરી રહી છે. અમેરિકા જ્યારે આતંકવાદ સામેના યુધ્ધમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં ફસાયું છે. ત્યારે યુપીએ સરકારે બુશ વહીવટી તંત્રની વિદાય પહેલાં અમેરિકા સાથે અસૈનિક પરમાણુ સંઘિ કરી છે, જેના કારણે ભારત પ્રત્યક્ષ કે પરોક્ષ પણે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી બની ગયું છે. અમેરિકાએ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ કરાર કર્યા હોવાની વાતમાં કોઈ દમ નથી. અમેરિકાએ પોતાના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે પરમાણુ કરાર કર્યો હોવાની સંભાવના વધારે છે. આતંકવાદની જડ પાકિસ્તાન હોવાનું માનવા તરફ અમેરિકા દોરવાઈ રહ્યું છે, ત્યારે આતંકવાદના યુધ્ધમાંથી પાકિસ્તાન ખસી જાય કે પાકિસ્તાન સામે આતંકવાદ વિરુધ્ધ યુધ્ધ જાહેર કરવાનું થાય , તેવી પરિસ્થિતિમાં ભારત એક સબળ વ્યૂહાત્મક સાથી બની શકે, એવી અમેરિકાની ગણતરી હોઈ શકે છે. એટલે કે અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધી છે.

ત્યારે આતંકવાદ સાથે કોમવાદ અને રાષ્ટ્રીય રાજકારણને ભેળવીને યુપીએ સરકાર ભારતીય હિતોની ઘોર ખોદી રહી છે. ભારતમાં આતંકવાદ માટે યુપીએ સરકારના કેટલાંક જવાબદાર નેતાઓ, બેજવાબદાર નિવેદનો આપીને રામજન્મભૂમિ આંદોલનને બદનામ કરી રહ્યાં છે. યુપીએ સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓના પરિણામે ભારત સોફ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેટલાંક નિષ્ણાંતોના મતે ભારત એબસન્ટ સ્ટેટ છે. યુપીએની આતંકવાદ સામેની અસ્પષ્ટ, સંદિગ્ધ અને ટૂંકા સ્વહિત સિધ્ધ્ કરવાની નીતિઓએ દેશને ઘણું નુકસાન પહોંચાડયું છે.

ત્યારે યુપીએ સરકારની કોઈપણ અનુગામી સરકારે આતંકવાદ સામેની લડાઈમાં પ્રોએકટીવ પોલિસી બનાવવી પડશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની રાષ્ટ્રીય નીતિ ભારતની એક જરૂરત છે. દેશની પાંચમી કતારિયા અને વિદેશી તાકાતોને આતંકવાદનું સામ્રાજ્ય જમાવતા અને વિસ્તારતા અટકાવવા માટે રાષ્ટ્રહિતમાં તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ અને રાજકીય હિતોને બાજુમાં મૂકે, તે આવશ્યક છે. હવે મોત અને આતંકના સોદાગરોને જમીનમાં દાટવાનો સમય પાકી ગયો છે. દેશના લોકોની પણ ઈચ્છા છે કે આતંકવાદના શેતાનને નેસ્તનાબૂદ કરવામાં આવે..

(લેખ પ્રકાશન- યુપીએ સરકાર અને લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ, સંપાદક-પુરુજીત સૈયદ, પ્રકાશન વર્ષ-એપ્રિલ,2009)

No comments:

Post a Comment