શુક્રવાર, 27 મે, 2011

શહીદોની શહાદત ભૂલનારા રાષ્ટ્રો ભૂંસાઈ જાય છે!

હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે આક્રમણ સામે મુકાબલો કે વિરોધ-એ માત્ર ન્યાયસંગત જ નથી, પરંતુ અત્યાવશ્યક અને અનિવાર્ય છે. અવિરોધ તો બંનેને હાનિ પહોંચાડશે, પરાર્થવાદ અને અસ્મિતાને પણ. શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ પણ આવા જ એક ક્રાંતિકારી હતા કે જેમણે શોષકોના રૂપમાં રહેલી અંગ્રેજી સત્તાના આક્રમણનો વિરોધ કરીને મુકાબલો કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું. નાનપણમાં ખેતરમાં બંદૂકો વાવનારો ભગતસિંહ યુવાન બનીને ક્રાંતિની જ્વાળાઓને ચંદ્રશેખર આઝાદ અને અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને દેશભરમાં પ્રજ્વલિત કરવા લાગ્યા હતા.

તેમણે કાકોરી કાંડમાં અંગ્રેજ ખજાનો લૂંટવામાં મોટી ભૂમિકા અદા કરી, લાલા લાજપતરાયના મોતનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી સેન્ડર્સને રાજગુરુ સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો અને છેલ્લે અંગ્રેજી સત્તાના બહેરા કાન સુધી ભારતીયોનો ઈન્કિલાબનો અવાજ પહોંચાડવા માટે ભગતસિંહે પોતાના સાથીદાર બટુકેશ્વર દત્ત સાથે મળીને સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. તેમના બોમ્બ ફેંકવાનો હેતુ માત્ર ધડાકો કરીને અંગ્રેજી સત્તાના બહેરા કાને ક્રાંતિનો અવાજ પહોંચાડવાનો જ હતો. તેમણે આ બોમ્બ વિસ્ફોટથી કોઈ જાન હાનિ કરી ન હતી. એપ્રિલ-1929માં ધરપકડ કરાયેલા ભગતસિંહ પર એસેમ્બલી બોમ્બ કાંડ અને સેન્ડર્સની હત્યાના કેસ ચાલ્યા જેમાં તેમને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

આજે પણ ક્રાંતિની મશાલ રાહ જોઈ રહી છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં વિરલાઓ બાદ હવે કોઈ આ ક્રાંતિની મશાલ પોતાના હાથમાં લે અને તેનાથી ક્રાંતિ જ્યોતને પ્રજ્વલિત કરીને ભારતમાં ક્રાંતિ ફેલાવે.

ભગતસિંહના ક્રાંતિકારી સાથીદાર શહીદ રામપ્રસાદ બિસ્મિલે તો કહ્યું છે કે-

વક્ત આને પર બતા દેંગે,તુજે ઓ આસમાં.
હમ અભી સે ક્યાં બતાએ, ક્યા હમારે દિલ મેં હૈ.
સરફરોશી કી તમન્ના,અબ હમારે દિલ મે હૈ


ભારતના નામી-અનામી ક્રાંતિકારીઓએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્રપ્રસાદ લાહોડી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લાખાન જેવાઓની સરફરોશીની તમન્નાથી પોતાના દિલની વાત વખત આવ્યે આસમાનને જણાવી દીધી. પોતાના પ્રાણની રાષ્ટ્રના સ્વતંત્રતા યજ્ઞમાં આહૂતિ આપીને બલિદાનની અમરગાથા રચી છે.

આજનો યુવાન આ ગાથા ભૂલી જશે તો બહુ મોટી ભૂલ થશે. યુવાનો માટે સારા કામ કરવા, દેશહિતને આગળ વધારવું, દેશની પ્રગતિ અને સમૃદ્ધિને વધારવી વગેરેના લક્ષ્ય સાથે દેશ, સમાજની કમજોરીઓને દૂર કરીને સશક્ત રાષ્ટ્રના નિર્માણની આ મહાન હુતાત્માઓની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવી પડશે. આ જ આવા મહાન બલિદાનીઓને સાચી શ્રદ્ધાંજલિ હશે.

હમને માના જંગ કડી હૈ, સર ફૂટેંગે, ખૂન બહેગા
ખૂન મેં ગમ ભી બહ જાયેગેં, હમ ન રહેગેં ગમ ભી ન રહેગા.

આ ભાવના સાથે ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની કેટલીક પંક્તિઓ યાદ આવ્યા વગર રહેતી નથી કે "શહીદના રક્તથી વધીને જગતમાં કોઈ ચીજ પવિત્ર નથી. જળ પછી તે ગંગાનું હોય કે ગોદાવરીનું, એમેઝોનનું હોય કે વોલ્ગાનું, નાઈલનું હોય કે સિંધુનું, યોગ સીક્યાંગનું હોય કે યમુનાનું જળ હંમેશા મલિન છે, કારણ કે એમાં કરોડો માતાઓના, બહેનોના અને વિધવાઓના ઉના ઉના અશ્રુઓ વહ્યાં છે. શહીદનું રક્ત નિસ્વાર્થ વહે છે, દેશ માટે વહે છે, સમષ્ટિ માટે વહે છે, મુક્તિ માટે વહે છે, ઉદ્ધાર માટે વહે છે અને પરમ પવિત્ર એવા સ્વાતંત્ર્ય માટે વહે છે.

શહીદના રક્તથી જે ધરા સિંચાઈ નથી, તે વાંઝણી છે. શહીદ પાયાનો પથ્થર છે, જે દ્રષ્ટિગોચર નથી, પરંતુ મહાન રાષ્ટ્રની ભવ્ય ઈમારત આ પાયાના પથ્થરો ઉપર જ રચાય છે. શહીદના સંસ્મરણથી વધીને મોટો કોઈ પાળિયો નથી, કોઈ ખાંભી નથી, કોઈ દેવમૂર્તિ નથી કે કોઈ દેવાલય નથી.

જે રાષ્ટ્રની પ્રજા શહાદતને વિસ્મરે છે, ભૂલે છે એ પ્રજા ઝડપથી આત્મ હત્યા નોતરી લે છે."

તમને નથી લાગતું કે આજે ભારતમાં જે રીતે ભ્રષ્ટાચાર અને શાસનની ખામીઓ દેખાય રહી છે, તે શહીદોની શહાદતોને ભૂલી જવાનું પરિણામ છે. તમે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં શહીદોના બલિદાન દિવસે તેમના ક્યાં વિચારોથી પ્રભાવિત છો. તમારા મતે ભગતસિંહ જીવિત હોત, સમાજ અને રાષ્ટ્ર પરિવર્તન અને ક્રાંતિ માટે કઈ પદ્ધતિ અપનાવત. શું આપણે શહીદોના બલિદાનોનો મલાજો જાળવી શક્યા છીએ કે પછી આપણાં નિહિત્ત સ્વાર્થો માટે એકબીજાના ગળા કાપવામાં અને પગ ખેંચવામાં જ પડયા છે. શહીદોની શહીદીથી મળેલી આઝાદીને સાચવવા માટે આપણે હજી પરિપકવ બન્યા નથી કે જેથી સાંપ્રદાયિકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળા નાણાં જેવાં અનેક કુચક્રોમાં ફસાયા છીએ.

તમારો અભિપ્રાય

તમારો આ સંદર્ભે જે પણ કોઈ અભિપ્રાય હોય, ભગતસિંહ અને તેમના સાથીદારોની શહાદત અને તેમના વિચારો સંદર્ભે જે પણ કોઈ મંતવ્ય હોય, તે નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

ભગતસિંહ : ‘થોભો,એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે’

>અંતિમ સમયે ઈશ્વરને યાદ કરીશ, તો તે બુજદિલ માનશે

ભગતસિંહ શું એક વ્યક્તિ હતા? જો ભગતસિંહ એક વ્યક્તિ હતા, તો તેને અંગ્રેજી હૂકુમતે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. પરંતુ ભગતસિંહ માત્ર એક વ્યક્તિ ન હતા, તેઓ એક એવી વિચારસરણી બની ગયા હતા કે જેને આજે પણ ભારતના યુવાનો આદર્શ તરીકે માને છે. ભગતસિંહ એક વ્યક્તિ કરતાં એક વિચાર અને તેથી વધારે એક વિચારધારા વધારે હતા. અંગ્રેજોએ બહુ મોટી ભૂલ કરી કે તેઓ વ્યક્તિને મારી શક્યા, તેમના વિચારો આજે પણ જીવંત છે. માટે જ માણસને મારી શકાય છે, તેના વિચાર, તેની સારાસ, તેની નિર્ભયતા, તેના કામને ક્યારેય મારી શકાતું નથી.

ફાંસી પહેલાની શહીદ-એ-આઝમ ભગતસિંહની અંતિમ ક્ષણો પરના વિવરણો દર્શાવે છે કે આ માણસના વિચારો જેટલા નિડર હતા, ક્રાંતિકારી કાર્યોમાં જેટલાં બહાદૂર હતા, તેઓ તેટલી જ નિર્ભયતા સાથે મા ભારતીની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢયા હતા. આ હુતાત્માએ પોતાના જીવનનું એક બહુ મોટા દેશકાર્ય માટે બલિદાન કર્યું હતું.

લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહે જણાવ્યું હતું કે 23 માર્ચ, 1931ની સાંજે ત્રણ વાગ્યે જ્યારે તેમને ફાંસીની ખબર પડી, તો તેઓ ભગતસિંહ પાસે ગયા અને કહ્યું કે “મારી માત્ર એક પ્રાર્થના છે કે અંતિમ સમયમાં વાહે ગુરુનું નામ લઈ લો અને ગુરુવાણીનો પાઠ કરી લો.”

નિર્ભય અને બહાદૂર સરદાર ભગતસિંહે જોરથી હસીને કહ્યું હતું કે “તમારા પ્રેમનો શુક્રગુજાર છું. પરંતુ હવે જ્યારે અંતિમ સમય આવ્યો. હું ઈશ્વરને યાદ કરી, તો તે કહેશે કે હું બુજદિલ છું. આખી જીંદગી તો તેને યાદ કર્યો નથી અને હવે મોત સામે નજરે પડવા લાગ્યું છે, તો ઈશ્વરને યાદ કરવા લાગું. માટે એ જ સારું હશે કે મે જે પ્રકારે પહેલા પોતાનું જીવન જીવ્યું છે, તેવી જ રીતે મારો અંતિમ સમય પણ ગુજારું. મારા ઉપર તો ઘણાં આરોપ લાગવાશે કે ભગત સિંહ નાસ્તિક હતા અને તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી, પરંતુ એ આરોપ તો કોઈ નહીં લગાવે કે ભગતસિંહ કાયર અને બેઈમાન પણ હતો અને અંતિમ સમયમાં તેના પગ લથડવા લાગ્યા હતા.” (ભગતસિંહ-પ્રો. દીદારસિંહ, પૃષ્ઠ ક્રમાંક-346)

ભગતસિંહે લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહને આપેલા જવાબમાં અહંકારનો એકપણ છાંટો ન હતો, પણ પોતાને કોઈ કાયર-બેઈમાન ન ગણાવી જાય તેની સતર્કતા હતા. આધુનિક ભારતના ઈતિહાસમાં મોતને આટલી નિર્ભયતાથી મળનારા માણસોના કિસ્સાઓમાં શહીદે આઝમ ભગત સિંહની ફાંસી પહેલાની અંતિમ પળો સૌથી વધારે યાદગાર રહી છે.

>`થોભો, એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે`

ભગતસિંહને અંતિમ દિવસે મળનારાઓમાં તેમના સલાહકાર વકીલ પ્રાણનાથ મેહતા હતા. એક દિવસ પહેલા ભગતસિંહે તેમની પાસે લેનિનની આત્મકથા માંગી હતી. માટે અંતિમ દિવસે મેહતાજી ભગતસિંહને લેનિનની આત્મકથા આપી ગયા હતા.

આખરી ક્ષણો સુધી તેઓ ખૂબ નિષ્ઠા અને એકાગ્રચિતથી લેનિનની જીવનકથા વાંચી રહ્યાં હતા. જ્યારે જેલના કર્મચારી તેમને લેવા માટે આવ્યા, તો તેમણે કહ્યું હતું કે ‘થોભો એક ક્રાંતિકારીના બીજા ક્રાંતિકારીને મળવામાં અડચણ ન નાખો.’ ભગતસિંહે ફાંસીની સૂચના આપનારા અધિકારીને કહ્યું હતું કે થોભો એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે. જો કે ત્યાર બાદ એક મિનિટ બાદ પુસ્તક છત તરફ ઉછાળીને તેમણે કહ્યું હતું કે ‘ચાલો.’ ભગતસિંહ સાથે તેમના બે નજીકના સાથીદારો સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ગીત ગાઈ રહ્યાં હતા કે

દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આયેગી


23 માર્ચ, 1931ના રોજ સાંજે લગભગ 7-33 વાગ્યે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે ચઢાવીને સરકારે તેમને શ્વાસ લેવાનો અધિકાર છીનવીને પોતાની પ્રતિહિંસાની તરસ છીપાવી લીધી હતી. અન્યાય અને શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરનારા ત્રણેય તરુણોની જીંદગીઓ જલ્લાદે ફાંસીના ફંદામાં સમાપ્ત કરી નાખી.

>ફાંસી પહેલાં અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધન

ફાંસીના તખ્તા પર ચઢતી વખતે સરદાર ભગતસિંહે અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધિત કરીને કહ્યું હતું કે ‘મેજીસ્ટ્રેટ મહોદય તમે હકીકતમાં મોટા ભાગ્યશાળી છો, કારણ કે તમને આ જોવાનો અવસર પ્રાપ્ત થયો છે કે એક ભારતીય ક્રાંતિકારી પોતાના મહાન આદર્શ માટે કેવી રીતે હસતાં-હસતાં મૃત્યુને ભેટે છે.’

ફાંસીની સજા ભોગવતા પહેલા પોતાના ભાઈના નામે પોતાના આખરી પત્રમાં ભગતસિંહે લખ્યું હતું કે ‘મારા જીવનનું અવસાન નજીક છે, પ્રાત: કાલીન પ્રદીપ ઝગમગતો, મારા જીવન-પ્રદીપ ભારતના પ્રકાશમાં વિલીન થઈ જશે. આપણો આદર્શ, આપણાં વિચાર આખા સંસારમાં જાગૃતિ પેદા કરી દેશે. પછી જો આ મુઠ્ઠીભર રાખ વિનિષ્ટ થઈ જાય, તો તેનાથી સંસારનું શું બનશે કે બગડશે?’

જેમ જેમ ભગતસિંહનો અંત નજીક આવવા લાગ્યો તેમ દેશ તથા મહેનતકશ જનતાના ઉજ્જવળ ભવિષ્યમાં તેમની આસ્થા વધારે ઘેરી થતી ગઈ. મૃત્યુ પહેલા સરકારના નામ પર લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘અતિ શીઘ્ર અંતિમ સંઘર્ષના આરંભની દુંદુભિ વાગશે. તેનું પરિણામ નિર્ણાયક હશે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યાં છે. અમે તેની વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અમને તેના માટે ગર્વ છે.’

>ગાંધીજી સામે કાળા ઝંડા ફરક્યા

ભારતમાતાના ત્રણ સપૂતો-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપ્યા બાદ અંગ્રેજોને આંદોલન ભડકી ઉઠવાનો ડર હતો. તેના કારણે જાલિમ અંગ્રેજોએ ત્રણેયના મૃત શરીરના ટુકડા કર્યા અને તેને બોરીઓમાં ભરીને ફિરોઝપુર તરફ લઈ ગયા. અહીં તેમના મૃત શરીરોના અવશેષોને ઘીના બદલે કેરોસિનથી બાળવા લાગ્યા. ગામના લોકોએ આગ જોઈ તો તેઓ તેની નજીક ગયા. તેનાથી ડરીને અંગ્રેજો શહીદોની લાશોના અડધા બળેલા ટુકડાઓને સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા. જો કે ગામના લોકોએ શહીદોની મોતનો મલાજો રાખીને તેમના મૃત દેહાવશેષો એકત્રિત કરીને તેનો વિધિવત દાહસંસ્કાર કર્યો. ભગતસિંહ મૃત્યુ સુધી એક વ્યક્તિ હતા, પરંતુ મૃત્યુ બાદ તત્કાલિન યુવા માનસમાં એક વિચારનું સ્વરૂપ લઈ ચુક્યા હતા. આજે પણ ભગતસિંહના વિચારોને ભારતના અનેક યુવાનો આદર્શ માની રહ્યાં છે. ભગતસિંહ લોકોના હ્રદયમાં અમર થઈ ગયા.

આ ઘટનાક્રમ બાદ અંગ્રેજો સાથે ગાંધીજીને પણ લોકો શહીદ ભગતસિંહના મોત માટે જવાબદાર સમજવા લાગ્યા હતા. તેના કારણે જ્યારે ગાંધીજી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા, તો લોકોએ કાળા ઝંડાઓથી ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. કોઈક જગ્યાએ ગાંધીજી સાથે ઉગ્ર વર્તન પણ થયું.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે વ્યક્તિને મારવો સરળ છે, પરંતુ તેના વિચાર અને તેણે આપેલી વિચારધારા ખતમ કરવી ઘણી અઘરી છે? આજના ભારત માટે ભગતસિંહના વિચારો અને તેમના જેવી નીડરતા કેટલી પ્રાસંગિક છે? શું ભગતસિંહે જોયેલા સપનાંઓ પૂરાં કરવાની શક્તિ ભારતનો યુવાવર્ગ ધરાવે છે? ભારતનો યુવાવર્ગ કોઈ સબળ નેતૃત્વ નીચે ભારતને તેના સર્વોચ્ચ સમૃદ્ધિના શિખરે લઈ જવામાં કામિયાબ રહેશે? તમારો અભિપ્રાય શહીદે આઝમ ભગતસિંહ તરફ કૃતજ્ઞતા અને સમ્માન દર્શાવીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

શહીદ-એ-આઝમ ભગતસિંહનો અંતિમ પત્ર

ભારતના ક્રાંતિકારીઓના ઈતિહાસમાં શહીદ-એ-આઝમ ભગતસિંહે નવું સીમાચિન્હ, નવી ઊંચાઈ સ્થાપી છે. ભગતસિંહે ભારતના યુવાનોને આઝાદીની લડાઈ વખતે નવો રાહ બતાવ્યો હતો. તેમની સાથે કેટલાંક અસંમત હતા, પણ ઘણાં બધાં તેમની સાથે ચાલવા તૈયાર હતા. પણ તેમનું કમનસીબ હતું કે ભગતસિંહ જેલમાં હતા અને તેમને નેતૃત્વ આપનારા અન્ય કોઈ ભગતસિંહ આવા યુવાનો વચ્ચે ન હતા. 23 માર્ચ, 1931ના દિવસે સરદાર ભગતસિંહ સાથે તેમના નજીકના સાથી સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીના માંચડે ચઢાવી દઈને અંગ્રેજોએ ભારતની ક્રાંતિકારી વિચારધારાને ફાંસી આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમાં તત્કાલિન ટોચના નેતાઓએ પણ અંગ્રેજોના હિતો પાર પડે, તેવા વલણો અજાણતા જ અખત્યાર કર્યા હતા.

અહીં સવાલ એ છે કે ભગતસિંહ કેટલાં બહાદૂર હતા. હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બન્યા બાદ તેઓ ક્રાંતિકારી આદર્શો અને કુરબાનીઓથી એટલા ઊંચે ઉઠી ચુક્યા હતા કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચે હરગીજ જઈ શકે તેમ ન હતા. તેમણે તેમના ક્રાંતિકારી સાથીદારોને લખેલા પ્રત્રમાં ક્યાંય છુપાવ્યું નથી કે તેવોને જીવિત રહેવાની ઈચ્છા નથી. પરંતુ તેઓ કેદ થઈને કે પાબંધીઓ વચ્ચે જીવિત રહેવા ઈચ્છતા ન હતા. તેમને ચિંતા હતી કે જો તેઓ ફાંસીથી બચી જશે, તો તેમની કમજોરીઓ જનતા સામે નથી, તે સામે આવશે અને ક્રાંતિના પ્રતીકો ઝાંખા પડી જશે અને કદાચ ભૂંસાઈ જશે.

તેમની ઈચ્છા જિંદાદિલીથી હસતાં-હસતાં ફાંસી પર ચઢવાની હતી કે જેથી હિંદુસ્તાનની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ રાખે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જાય. તેમણે એમ પણ કહ્યું છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ તેઓ પૂરો કરી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે જો તેઓ સ્વતંત્ર, જીવિત રહી શકત તો કદાચ આવી હસરતો પૂરી શકવાની તેમને તક મળી શકત

શહીદે આઝમ સરદાર ભગતસિંહનો 22 માર્ચ, 1931ના રોજ જેલમાંથી તેમના સાથીદારોને સંબોધીને લખાયેલો અંતિમ પત્ર નીચે દર્શાવ્યો છે.

--------------------------------

શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનો સાથીદારોને અંતિમ પત્ર-

22 માર્ચ, 1931 સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને છુપાવવા ઈચ્છતો નથી. પરંતુ હું એક શરતે જીવિત રહી શકુ છું કે હું કેદ થઈને કે પાબંદ થઈને જીવવા માંગતો નથી.

મારું નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે અને ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને એટલો ઉંચો ઉઠાવી દીધો છે- એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચો હરગીજ થઈ શકતો નથી.

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિના પ્રતીક-ચિન્હ ઝાંખા પડી જશે અથવા કદાચ તે ભૂંસાઈ જશે. પરંતુ જિંદાદિલ ઢંગથી હસતાં-હસતાં મારા ફાંસી પર ચઢવાની સ્થિતિમાં હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને રોકવી સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની શક્તિઓની તાકાતની વાત રહેશે નહીં.

હા, એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો મારા દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ પૂરો કરી શક્યો નથી. જો સ્વતંત્ર, જીવિત રહી શકત ત્યારે કદાચ તેને પૂરો કરવાનો અવસર મળત અને હું મારી હસરતોં પૂરી કરી શકત.

તમારો સાથી,

ભગતસિંહ


------------------------------------

તમારો અભિપ્રાય

તમને આ પત્ર વાંચ્યા પછી ક્રાંતિકારીઓ અને શહીદે આઝમ ભગતસિંહ વિશે કેવી લાગણી થાય છે, તે અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે તમારી લાગણીઓથી સંવાદ કાયમ કરો.

ભ્રષ્ટાચારના ભોરિંગનો ભારતના વિકાસને ઝેરીલો ડંખ!

શું આપણે ત્યાં પ્રમાણિકતા દંભ બની ગઈ છે? શું આપણાં દેશમાં પ્રમાણિકતા, ઈમાન-ધરમ ખાલી પુસ્તકમાં જ રહેલી વાતો છે? હાલ કૌભાંડો, ભ્રષ્ટાચાર, લાંચના એક પછી એક બહાર આવી રહેલા પ્રકરણો અને ખુલાસાઓ બાદ આવું જ લાગી રહ્યું છે. સત્તા વ્યક્તિને ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા વ્યક્તિને સંપૂર્ણપણે ભ્રષ્ટ બનાવે છે. ભારતના રાજકારણીઓ અંગ્રેજોના ગયા બાદ સત્તા ભોગવી રહ્યાં છે અને સત્તા ભોગવતા ભોગવતા પોતાના માટે સંપૂર્ણ સત્તા ભોગવવાની વ્યવસ્થા પણ જાણે કે કરી ગયા છે. દેશના રાજનેતાઓના દાવા છે કે દેશમાં વિકાસ થયો છે. દેશના વિકાસથી કોઈ ઈન્કાર નથી. પરંતુ સાથે ભ્રષ્ટાચારનો એનાથી વધારે વિકાસ થયો છે, તેનું શું કરવાનું? ભારતના ટકાઉ વિકાસ માટે અને વિકાસના ફળો ભારતના નીચલા વર્ગ અને ગરીબોને મળે તેના માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત એક પ્રાથમિક જરૂરત છે. આ વાત પણ વિકાસની વાતો કરનારા કેવી રીતે ઈન્કાર કરી શકશે?

આશ્ચર્ય લાગે તેવી વાત છે કે ભારતના રાજકારણીઓ અને મૂડીપતિઓ સહીતના ધનિક લોકોના 65 હજાર અબજ રૂપિયા માત્ર સ્વિસ બેંકોમાં જમા થયા છે. આ નાણાંમાં વધારો 90ના દાયકામાં થયેલા ઉદારીકરણ અને વૈશ્વિકરણ બાદ થયો હતો. આ સિવાય વિશ્વના સ્વિસ સહતીના દેશોમાં પણ ભારતને અઢળક રૂપિયો રાખવામાં આવ્યો છે. આને કાળું નાણું કહેવામાં આવે છે, બરાબર છે. પરંતુ તે હકીકતમાં ભારતના ગરીબોના હકને મારીને ભેગુ કરાયેલું ભ્રષ્ટાચારનું નાણું છે. આ ભ્રષ્ટાચારના નાણાંને ભારતમાં પાછું લાવવામાં આવે, તો ભારતની ગરીબી છૂ થઈ જાય તેવી શક્યતાઓ અને દાવાઓ બાબા રામદેવ સહીતના વ્યક્તિઓ કરી રહ્યાં છે.

બીજી તરફ તાજેતરમાં ચર્ચામાં રહેલા 2જી સ્પેક્ટ્રમ, આદર્શ સોસાયટી, કોમનવેલ્થ ગેમ્સ, કર્ણાટકમાં જમીન ફાળવણી અને માઈનિંગ કૌભાંડ જેવા ગોટાળાઓ ચર્ચામાં રહ્યાં છે. કારગીલના શહીદો અને નાયકો માટે બનાવવામાં આવેલી મુંબઈના કોલાબાની આદર્શ હાઉસિંગ સોસાયટીમાં તેમના હકોને મારીને રાજનેતાઓ અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ તથા નોકરશાહોને ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. 6 માળની બનનાર ઈમારતને ગેરકાયદેસર રીતોથી 31 માળની બનાવવાની વાત પણ સામે આવી રહી છે. તેના કારણે અશોક ચવ્હાણને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડયું છે. ત્યાર બાદ કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં લગભગ 1 લાખ કરોડના તથાકથિત કૌભાંડમાં આયોજન સમિતાના ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની થયેલી પૂછપરછમાં કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી તરફ પણ આંગળી ચિંધાય રહી છે. લંડન ખાતેની બે કંપનીઓ વિરુદ્ધ સીબીઆઈએ કેસ પણ દાખલ કર્યો છે.

તો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2જી સ્પેક્ટ્રમ કાંડમાં 1.76 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં વડાપ્રધાન કાર્યાલયને ચુપ રહેવા માટે સુપ્રિમ કોર્ટે લેખિત જવાબ માંગતા કડક વલણ અખત્યાર કર્યું છે. તો આ પહેલા દૂરસંચાર મંત્રી પદેથી ડીએમકેના એ. રાજાને કૌભાંડોના રાજા બનવા બદલ રાજીનામું આપવું પડયું છે. આ મામલે વડાપ્રધાન શનિવાર સુધીમાં સુપ્રિમ કોર્ટમાં જવાબ આપશે અને સંસદમાં પણ નિવેદન આપે તેવી પ્રબળ સંભાવના છે. શિયાળુ સત્ર શરૂ થયા બાદ 2જી સ્પેક્ટ્રમ અને અન્ય ગોટાળાના મુદ્દે સંસદની કાર્યવાહી ચાલી શકી નથી. વિપક્ષ 2જી સ્પેક્ટ્રમ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની માગણી કરી રહ્યું છે. તો કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા સામે પણ 6 હજાર કરોડ રૂપિયાની જમીન ફાળવણી સંદર્ભે આંગળી ચિંધાય છે. આજે તેમના ભવિષ્યનો ફેંસલો કરવામાં આવે તેવી સંભાવના છે.

ગોટાળા કાંડો પરથી એટલું તો સ્પષ્ટ છે કે કાજળની કોટડીમાં બધાં કાળાં છે. ગોટાળા કરવા કોઈ એક પક્ષનો જ ઈજારો હવે રહ્યો નથી. કોઈપણ મોટા માણસને તેમાથી બાકાત રાખી શકાય તેવી પણ સ્થિતિ નથી. કારણ કે તાજેતરમાં ટાટા ઔદ્યોગિક સમૂહના રતન ટાટાએ કહ્યું હતું કે તેમને વિદેશી કંપની સાથે એરલાઈન્સ ચાલુ કરવા માટે 10-12 વર્ષ પહેલા એક મંત્રીને 15 કરોડ રૂપિયાની લાંચ આપવાની વાત કહેવામાં આવી હતી. જો કે તેમણે મંત્રીનું નામ જણાવ્યું નથી. તો અન્ય ઉદ્યોગપતિ રાહુલ બજાજે પણ ઔદ્યોગિક ગૃહોને લાંચ આપવી પડતી હોવા સંદર્ભેની વાત કરી છે. તેમણે પણ આ સંદર્ભે અન્ય ખુલાસા કર્યા નથી. ગુરુવારે બાબા રામદેવે પણ કહ્યું હતું કે તેમની પાસેથી એક મંત્રી અને મુખ્યમંત્રીએ બે કરોડ રૂપિયાની લાંચ માગી હતી. આ તમામ મહાનુભાવોએ લાંચ માગનારાઓના નામ આપ્યા નથી કે આ સંદર્ભે કોઈ ખુલાસો કર્યો નથી.

આ તમામ બાબતો પરથી કેટલીક વાતો સ્પષ્ટ બને છે કે પ્રામાણિકતા, ઈમાન-ધરમ જેવા મુલ્યો હવે પોથીમાંના રિંગણાં જ સાબિત થઈ રહ્યાં છે. આર્થિક લાભ માટે ભ્રષ્ટાચાર એક ‘વ્યવહાર અને વહીવટ’ બની ગયો છે. તેના પ્રત્યે સમાજમાં કોઈ જાગૃતિ જોવા મળતી નથી. મોટાભાગના લોકો આ વ્યવહારને તાબે થઈ જતાં જ નજરે પડયા છે. કેટલાંક લોકો તેને તાબે થયા નથી, પણ આવી ઘટનાઓનો તેઓ ખુલાસો કરવા માટે રાજી નથી. હકીકતમાં રાષ્ટ્રનિર્માણ માટે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ થઈ શક્યું નથી. ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ’ની વાત કરીને અગ્રણી સ્થાનો પર પહોંચેલા કેટલાંક લોકો પર પણ ભ્રષ્ટાચારના છાંટા ઉડયા છે. ત્યારે હકીકતમાં વ્યક્તિ નિર્માણમાં રહી જતી કમીઓ સંદર્ભે ભારત સરકાર અને આની સાથે સંબંધિત સંસ્થાઓએ પણ વિચારવું જોઈએ. ભ્રષ્ટાચારના મામલે ભારતે ઘણી પ્રગતિ કરી છે. જેટલો વિકાસ વધ્યો છે, તેટલો ભ્રષ્ટાચાર પણ વિકસ્યો છે. આ હકીકતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. વિકાસના નવા આયામો સાથે ભ્રષ્ટાચારની નવી પદ્ધતિઓ પણ વિકસાવી દેવાય છે.

`ગરીબી હટાવો’ જેમ નારો બનીને રહી ગયો, તેવી રીતે ભ્રષ્ટાચાર સામેની મુહિમો પણ સૂત્રો બનીને રહી ન જાય તેવો પ્રયત્ન પણ આ સંદર્ભે કામે લાગેલા લોકોએ કરવો પડશે. પ્રમાણકિતા હકીકતમાં એક સંસ્કાર છે કે જેને વ્યવહાર બનાવવાના છે. પરંતુ ભ્રષ્ટાચારના કુસંસ્કાર વ્યવહાર બની ગયા છે. તેનાથી વધારે દુ: ખની લાગણી શું હોઈ શકે છે? ભ્રષ્ટાચારના ભોરિંગે ભારતને ભરડામાં લઈને ઝેરીલો ડંખ માર્યો છે. ત્યારે આ ભ્રષ્ટાચારના ઝેર સામે લડવાની પ્રતિકાર શક્તિ ભારતે વિકસાવી પડશે અને ત્યાર બાદ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે પ્રયત્ન કરવો પડશે. અત્યારે તો પહેલી પ્રાથમિકતા ભ્રષ્ટાચારના ભોરિંગના ડંખથી ફેલાયેલા વિષવમનને જ આપવી પડે તેવી સ્થિતિ છે.

ત્યારે જરૂર છે કે ભ્રષ્ટાચાર માત્ર સત્તાકારણ માટેના રાજકારણના માત્ર મુદ્દાઓ ન બને. પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે વ્યવસ્થા સાબદી બને. તેના માટે લોકો જાગૃત બને. ન્યાયતંત્ર દ્રઢતાથી આવા મામલામાં આગળ પણ વર્તે કે જેમ અત્યારે વર્તી રહ્યું છે. આવા મામલાઓની તપાસ ઝડપી બને અને ઝડપી ટ્રાયલના અંતે દેશનો હક મારનારા, ગરીબોનો હક મારનારા ગુનેગારોને દાખલારૂપ કડક સજા થાય.

વાચકમિત્રો ભ્રષ્ટાચાર દેશ સામેના સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર છે. દેશ સામેની ઘણી સમસ્યાનું કારણ પણ ભ્રષ્ટાચાર છે. ત્યારે ભ્રષ્ટાચારના મુદ્દે ભારતે શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ અને લોકોએ શું કરવું જોઈએ? આપના વિચારો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી આપો.

ગાંધી સ્મરણ: બાપુથી મોટો હિંદુ કોણ?

રેંટિયા બારસના અવસરે ગાંધી સ્મરણ કરી લઈએ. ગાંધીની જન્મતિથિ પર મહાત્માના વ્યક્તિત્વ પર એક નજર માંડવી ઘટે. કારણ કે આજકાલ અયોધ્યાના ચુકાદા બાદ ફરી એક વખત રામ, રામમંદિર અને રામરાજ્ય પર ચર્ચાઓ થવા માંડી છે. અયોધ્યા પર ચુકાદો આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તે મહાત્મા ગાંધીના રામરાજ્યના સપનાંને પૂર્ણ કરનારી તક દેખાય છે, તો અડવાણીને તેમની રથયાત્રા પર ખુદને નિર્દોષ ગણવાનું કારણ મળી ગયું છે. કટિયાર વડાપ્રધાન સમક્ષ સંસદમાં રામમંદિર નિર્માણ અર્થે વિધેયક લાવવાની માગણી કરી રહ્યાં છે. લોકોના હ્રદયમાં આસ્થારૂપ રામ હવે રાજકારણમાં ચર્ચામાં છે, રામમંદિર ચર્ચામાં છે, રામરાજ્ય હવે ચર્ચામાં છે.

પરંતુ રામ અને રામરાજ્યને ગાંધીની નજરે જોવાની જરૂર છે. જે માણસે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામનો સાથ છોડયો નથી. તે માણસની કલ્પનાઓ સાકાર કરવાની તક 63 વર્ષથી મળી છે, પણ હજી સુધી આ તકને કોઈએ પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું નથી. 63 વર્ષ બાદ હવે કોઈ કહી શકે તેમ નથી કે માત્ર અમુક જ પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તાસ્થાને હતી કે છે. પ્રજાએ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓને કેન્દ્રમાં અને રાજ્યોમાં તક આપી છે. ગુજરાતમાં જ વાત કરીએ તો કોંગ્રેસ 1989થી વિપક્ષમાં છે. છતાં કોઈ રામરાજ્ય સ્થપાયું હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેની ઘણી દુખતી રગો છે, તેના પણ અત્યારે હાથ મુકવો નથી.

પણ વાત કરવી છે, ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતાં એક હિંદુની. ગાંધીનું વ્યક્તિત્વ નખશીખ હિંદુ હોવા સંદર્ભે ભાગલાવાદી ઝીણાને ક્યારેય શંકા ન હતી. ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતા હિંદુપણાંને ઝીણાએ ભાગલા માટે મોટું હથિયાર બનાવ્યું હતું. તેમ છતાં ગાંધીએ પોતાના હિંદુપણાંને છોડયું ન હતું. આ હિંદુપણું કોઈ કોમવાદ પ્રેરિત ન હતું. પણ તેમાં સંપૂર્ણ સમાજના કલ્યાણની આકાંક્ષા પ્રગટ થતી હતી. તેમણે તેના માટે પોતાનું જીવન ઘસી નાખ્યું. દેશની દરિદ્રતા જોયા પછી દરિદ્રમાં નારાયણના દર્શન કર્યા. તેના માટે તેમણે પૂર્ણ કપડાં પહેરવાના છોડી દીધા અને એક ત્યાગી સંતની માફક માત્ર પોતડી પહેરીને જીવનનો ઉતરાર્ધ કાઢવાનું નક્કી કર્યું. આ સંતવૃતિએ તેમને મહાત્માનો દરજ્જો આપ્યો. ગાંધીજીએ પોતાના જીવનકાર્યને ચલાવવા માટે કોઈ કાર્યાલય ખોલ્યું ન હતું. પરંતુ તેમણે આશ્રમ શરૂ કર્યો હતો, તેને પછી તમે ગાંધી આશ્રમ કહો કે સાબરમતી આશ્રમ કહો. પોતાના જીવનમાં સાદગીને અપનાવી તે પણ તેમની હિંદુ જીવન પદ્ધતિ દ્વારા સાંપડેલી વૃતિનું જ પરિણામ હતી.

ગાંધીજીનું કોઈ પણ કાર્ય, કોઈપણ સિંદ્ધાંત જોઈ લેવામાં આવે તો તેમાંથી હિંદુપણું છલકતું દેખાય. આ હિંદુપણાંને કોઈ કોમવાદ કે કટ્ટરતાની ગાળ આપી શકે તેમ ન નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહીંસાને સૌથી વધારે મહત્વ આપ્યું છે. સત્યને હિંદુ ધર્મે શિવનું સ્વરૂપ ગણ્યું છે. જ્યારે અહીંસાને ઉપનિષદો અને પુરાણોમાં અહીંસા પરમો ધર્મના અર્થમાં વ્યાખ્યાયિત કર્યો છે. ગાંધીજી સત્યનો આગ્રહ રાખતાં પણ તેના માટે કોઈ હિંસાનો સહારો લેવાની સખત વિરુદ્ધ હતા.

ગાંધીજી અભય, અસ્તેય અને બ્રહ્મચર્યને પણ એટલું જ મહત્વ આપતાં હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ...નરસિંહ મહેતાના આ ભજન પ્રમાણેનું જીવન ગાંધીજી મરણ સુધી જીવી ગયા. ગાંધીજીએ પોતાના જીવનમાં વિનયને પણ સૌથી વધારે સ્થાન આપ્યું. અંગ્રેજી સરકારનો વિરોધ કરવા માટે કાનૂનભંગની ચળવળ ચલાવી પણ તે પણ સવિનય સાથે. એટલે તો તેને નામ મળ્યું સવિનય કાનૂન ભંગની ચળવળ. તેમણે મીઠાંના કાયદાને તોડવા માટે દાંડીયાત્રા કરી અને યાત્રા કોઈ તીર્થસ્થાનની થાય. ગાંધીએ મીઠાના કાળા કાયદાને તોડવા માટે દાંડીની યાત્રા કરી હતી. જેની આજે પણ સો વર્ષ પછી તેની નકલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સવાલ એ છે કે ભૂતકાળની યાત્રાની નકલ કરવાથી શું મળશે? તેના માટે તો વર્તમાનની કોઈ સમસ્યાને દાંડીયાત્રાની પ્રેરણાથી ઉકેલવામાં આવશે, તો દાંડીયાત્રાની યાદ તાજી થશે.

ગાંધીજીએ સર્વજન સુખાય સર્વજન હિતાય એવા રામરાજ્યની કલ્પના કરી હતી. તેમણે તેમની કલ્પનાના રામરાજ્યમાં કોઈ વ્યક્તિ દુખી ન હોય, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે, કોઈ વ્યક્તિ સમસ્યાઓથી ગ્રસિત ન હોય, તેવી કલ્પના કરી હતી. શું રામમંદિરનું નિર્માણ થઈ જવા માત્રથી ગાંધીની કલ્પનાનું રામરાજ્ય સ્થપાય જવાનું છે? જો માત્ર રામમંદિર નિર્માણ ગાંધીના સપનાનું રામરાજ્ય સાકાર કરવાની તક હશે, તો અત્યારે તો લાગે છે કે આ તક આપણે 1984, 1992 અને 2002માં ચુકી ગયા છીએ.

જ્યારે 15મી ઓગસ્ટે, 1947એ આઝાદી મળી અને દિલ્હીમાં સરકારના ગઠન કવાયત અને સત્તાની ભાગબટાઈ થઈ રહી હતી. ત્યારે આ મહત્મા નિર્દોષ લોકોના જીવ બચાવા માટે નોઆખલીમાં ઉપવાસ કરી રહ્યો હતો. ગાંધીએ વિરોધનું જે શસ્ત્ર અપનાવ્યું હતું તેમાં એક ઉપવાસ પણ હતો. ઉપવાસનું પણ હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. પણ આજના નેતાઓ તો ઉપવાસના નામે નાટક કરે છે. ઉપવાસ પર ઉતરેલા નેતાઓ પોતાની આજુબાજુ તામજામ કરીને એસી સાથે માંડ એક દિવસના ઉપવાસ કરી શકે છે. જ્યારે આધ્યાત્મિક શક્તિથી તરબતર ગાંધીજીએ આવા ઉપવાસો જીવનના અંતકાળ સુધી ચાલુ રાખ્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેએ ગાંધીજીને ત્રણ ગોળીઓ ધરબી દીધી તે સ્થળ પ્રાર્થનાસભાનું હતું. ગાંધીજી રોજ સાંજે પાંચ કલાકે લોકોને સંબોધતાં તેના માટે જે સ્વયં આયોજન થઈ જતું તે કોઈ જાહેરસભા ન હતી રહેતી પણ તે પ્રાર્થનાસભા રહેતી. ગાંધીજી તેમની હત્યાના દિવસ સિવાય ક્યારેય પ્રાર્થનાસભામાં મોડા પડયા ન હતા. ગાંધીજી પોતાની પ્રાર્થના સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવડાવતા. તે કોઈ માત્ર ભક્તિથી પ્રેરિત નહીં હોય. તેનો હેતુ પ્રભુ શ્રીરામના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારી તેનું અનુસરણ થાય અને મન સદા રામમાં રમણ કરે, તેવો તેમનો હેતુ હશે. ભગવાન રામમાં રમણ કરનારા મહાત્મા ગાંધીના મન એટલું બધું રામમય હતું કે તેમણે નથુરામ ગોડસેની ગોળીઓ ખાધા પછી પણ ‘હે રામ’ કહ્યું હતું. જીવનની કોઈપણ સમસ્યાનું સમાધાન મહાત્મા ગાંધી શ્રીમદ્ ભગવત ગીતામાંથી શોધતા હતા. તેમણે કહ્યું પણ હતું કે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ ગીતામાંથી મળી રહે છે. આજનો ક્યો રાજકારણી ગાંધીની જેમ ગીતાને વાંચતો હશે.

પોતાને હિંદુત્વના ઝંડાદારો, હિંદુ હ્રદયસમ્રાટો ગણાવતા અને ગણાતાં લોકોમાંથી કેટલાં લોકોના વ્યક્તિમાં ગાંધીજી જેટલું હિંદુપણું વહેતુ દેખાય છે? વળી ગાંધીવાદની વાતો કરનારા ગાંધીવાદી લોકોએ પણ સમજવું જોઈએ કે ગાંધીજીના વ્યક્તિત્વમાંથી હિંદુપણાંને કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ બચતું નથી. આ ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના વર્ગમાં સંબોધન માટે જવાનો પણ કોઈ છોછ ન હતો. તેમણે વર્ધામાં આરએસએસના વર્ગની મુલાકાત પણ લીધી હતી. ગાંધીજીની હત્યા વખતે આરએસએસ પર તેમની હત્યાનો આરોપ લાગ્યો હતો. જો કે ત્યાર બાદ આરએસએસને દોષમુક્ત કરવામાં આવ્યું હતું. પણ આજે આરએસએસના પ્રાત: સ્મરણ શ્લોકમાં મહાત્મા ગાંધીને દેવ કહીને તેમનું સ્મરણ કરવામાં આવે છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે ગાંધીના સ્મરણથી તેમના અનુસરણ સુધી આગળ તો વધવું પડશે ને?

ભારતમાં રામરાજ્યની સ્થાપના માટે ગાંધીને કોઈ વાદ કે કોઈ મુદ્દામાં જકડવાનું બંધ કરીને તેમના આચાર-વિચારને, તેમના જીવન સંદેશનું અનુસરણ કરવું વધારે જરૂરી છે. આપણે ગાંધીના હિંદુપણાને તેમના સર્વધર્મ સમભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, અભયથી કેવી રીતે અલગ કરીને જોઈ શકીશું? અને આવા જીવનમૂલ્યોની ગેરહાજરી ખરેખર હિંદુપણું છે, તે ખરેખર હિંદુત્વ છે?

વાચક મિત્રો આ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છો...આપના અભિપ્રાયો આવકાર્ય છે.

આતંકવાદ સામેના મહાભારતમાં શ્રીકૃષ્ણ હવે સારથિ બનો!

દુરાચાર, અત્યાચાર, અધર્મ, અન્યાય, મૂલ્યહીનતા વગેરે અનિષ્ટોના આતંકવાદ સામે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણે જીવનભર યુદ્ધ કર્યું છે અથવા તો કરાવ્યું છે. અધર્મ અને અન્યાયના આતંકવાદને મહાભારતના નિર્ણાયક યુદ્ધમાં કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં મોતને ઘાટ ઉતારવા પાછળ કૃષ્ણની જ પ્રેરણા હતી. કૃષ્ણ જ એ એકમાત્ર વ્યક્તિ હતા કે તેમણે મહાભીષણ યુદ્ધને ટાળવા માટે પૂર્ણ પ્રમાણિક પ્રયાસ કર્યો હતો. યુદ્ધભૂમિમાં જતાં પહેલા અધર્મ, અન્યાય અને આતંકના વાહક દુર્યોધનને કૃષ્ણે ઘણો સમજાવ્યો.

પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ કે સમજાવટથી ધર્મની સ્થાપના નહીં થાય, સમજાવટથી ન્યાય નહીં મળે, સમજાવટથી આતંકનો અંત નહીં થાય. ત્યારે તેમણે અઢાર અક્ષણિ સેનાઓ સામે બાણવાળી અર્જૂનને યુદ્ધ કરવાની પ્રેરણા આપી હતી. યુદ્ધ ભૂમિમાં અર્જૂનના મનમાં વિષાદ પેદા થયો. અર્જૂન યુદ્ધથી હટવા માગતો હતો. અર્જૂન મારાકાટ કરવા માગતો ન હતો. અર્જૂન પોતાના ગણતો હતો તેવા યુદ્ધભૂમિમાં તેની સામે લડવા માટે ઉભેલા લોકોને મારવા ઈચ્છતો ન હતો. અર્જૂન પોતાના આપદ ધર્મ-ક્ષાત્ર ધર્મથી ભાગી જવા માગતો હતો. પરંતુ તે જ ક્ષણે કૃષ્ણે કુરુક્ષેત્રમાં પાંડવ-કૌરવ સેનાની બરાબર મધ્યમાં ઉભા રહીને અર્જૂનને ગીતા સંદેશ સંભળાવ્યો. આ સંદેશ માત્ર અર્જૂનને જ ન હતો સંભળાવ્યો. આ સંદેશ તમામ લોકોને છે કે જેઓ અર્જૂન બનવા માગે છે.

આ સંદેશ તમામ અર્જૂનોને છે કે જેઓ અધર્મ, અત્યાચાર, દુરાચાર, અન્યાય જેવા અનિષ્ટોના આતંકવાદ સામે લડવા માટે તૈયાર થાય છે અને રણભૂમિમાં હથિયાર છોડી દે છે. આ ગીતા સંદેશ ભારતને આતંકના મહાયુદ્ધ વખતે હથિયાર હેઠાં મૂકનારા ભારતના રાજકારણીઓને સ્પષ્ટ સંદેશ આપે છે કે ન્યાય માટે તે આતંકીઓની કૌરવ સેના સામે યુદ્ધ કરે.

પણ આ ગીતા સંદેશ આતંકવાદ સામેના મહાભારતની પૂર્વવેળાએ ભારતના હાલના ‘અર્જૂનો’ને સંભળાવે તેવા કૃષ્ણની જન્માષ્ટમીનો ભારતના લોકોને ઈન્તજાર છે. જો કે કૃષ્ણ તો લાગે છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય’ કહીને ચાલ્યા ગયા, હવે કૃષ્ણ બનવાની કે બનાવાની જવાબદારી ભારતની પ્રજાની છે. પ્રજાએ જ ‘પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ્’ માટે કૃષ્ણ બનીને અત્યાચાર રૂપી કંસને, દુરાચાર રૂપી જરાસંઘને, અન્યાય રૂપી શિશુપાલને અને અધર્મથી આતંકની પરાકાષ્ઠાએ પહોંચેલા દુર્યોધનોના વધ કરવા પડશે. ક્યાં સુધી નિર્દોષ લોકોની વહેતી રક્તધારાઓમાં આ દેશની પ્રજાના હ્રદય-મન આતંકનું સ્નાન કરશે? હવે આતંકીઓને રક્તપિપાસુ બનીને તેમના રક્તથી રક્તસ્નાન કરાવાનો વખત આવી ગયો છે.

કૃષ્ણને સમજવા બહુ જરૂરી છે. કૃષ્ણ શાંતિવાદી નથી, કૃષ્ણ યુદ્ધવાદી પણ નથી. વાસ્તવમાં વાદનો અર્થ થાય છે કે બેમાંથી આપણે એકને પસંદ કરીએ છીએ. કૃષ્ણ અ-વાદી છે. કૃષ્ણ કહે છે કે શાંતિથી શુભ ફલિત થતું હોય તો સ્વાગત છે. યુદ્ધથી શુભ ફલિત થતું હોય તો તેનું પણ સ્વાગત છે. કૃષ્ણ કહે છે કે જેનાથી મંગલયાત્રા ગતિમાન થતી હોય, જેનાથી ધર્મ વિકસિત બનતો હોય. જેનાથી જીવનમાં આનંદની સંભાવનાઓ વધતી હોય, તેનું સ્વાગત છે. શું આવું સ્વાગત ભારતની પ્રજા કૃષ્ણરૂપનો આવિર્ભાવ કરીને ન મેળવી શકે?

અહિંસાની વાત પાછળ જ્યારે કાયરતા છુપાઈને બેસી જાય છે, ત્યારે વાત બગડી જાય છે. આપણે અશાંત અનાચારી આતંકીઓ સાથે વાતચીત કરવાની વાત કરીએ છીએ. આપણા યુદ્ધ વિરોધ પાછળ આપણો મૃત્યુનો ડર છુપાઈને બેસી ગયો છે. પરંતુ આપણે યુદ્ધ નથી કરતાં તેથી કંઈ યુદ્ધ થોડું બંધ થાય છે. આપણે યુદ્ધ નથી કરતાં તો કોઈ બીજું આપણાં પર યુદ્ધ ઠોકી બેસાડે છે. આપણે લડવા ન જઈએ, તેથી લડાઈ બંધ થતી નથી. આ માનસિકતા કેવળ આપણને ગુલામ બનાવે છે. ત્યારે આતંકના ઠોકી બેસાડાયેલા યુદ્ધ સામે મહાભારત ન કરી શકવાની બહુ મોટી કિંમત આપણે ચુકાવી પડશે અને ઉલ્લેખનીય છે કે તે આપણે નિર્દોષ લોકોના મોત તથા સુરક્ષાકર્મીઓની શહીદી થકી ચુકાવી રહ્યાં છીએ. આપણને દુ:ખદ પરિણામ મળે છે, તે કોઈ મહાભારતના કારણે નથી મળી રહ્યું, પરંતુ આપણી મહાભારત કરવાની હિંમત નથી તેના કારણે આપણે આ પરિણામ મળી રહ્યાં છે.

બરાબર સમજવું પડશે કે દુર્યોધન શા માટે લડતો હતો? માણસો એની પાસે સારા હતા કે નરસા, એ એટલું જરૂરી નથી. એ લડી શા માટે રહ્યો હતો? એ લડવા પાછળના મૂલ્યો ક્યાં હતા? કૃષ્ણ અર્જૂનને લડવા માટે પ્રેરિત કરી રહ્યાં હતા, તો તેની પાછળ ‘વેલ્યુઝ’ કઈ હતી? અર્જૂનની લડાઈમાં એક તો બહુ મોટું નિર્ણાયક મૂલ્ય હતું, ન્યાય? આજે ફરીથી નિર્ણય કરવો પડશે કે ન્યાય શું છે? ન્યાયયુક્ત શું છે?

આતંકવાદને જન્મ આપનારાઓને તેને આગળ વધારનારાઓને આતંકિત કરવા પડશે. તેના માટે એક કુરુક્ષેત્ર લડવું પડશે, એક મહાભારત કરવું પડશે. આતંકને ખતમ કરવા માટે વાતચીત હવે બહુ નાની પડી રહી છે. આતંકને રણભૂમિમાં પરાસ્ત કરવું પડશે. જો કે હજી કોઈ કૃષ્ણને વાતચીત કરવી હોય તો આતંકવાદના દુર્યોધનો સાથે વાતચીત કરી શકે છે. પરંતુ તેણે પણ હવે ધ્યાન રાખવું પડશે કે જો તે કૃષ્ણ હશે તો શુભ માટે તેણે વાતચીતના અંતે નિર્ણય કરવો પડશે કે નિર્ણાયક મહાભારત કરવું કે ન કરવું? નિર્ણાયક મહાભારત ક્યાં કુરુક્ષેત્રમાં લડવું? જો આવો કૃષ્ણ આ જન્માષ્ટમીએ ન આવે, તો તે આવે એટલી જન્માષ્ટમીનો ઈન્તજાર રહેશે.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્
પરિત્રાણાય સાધૂનાં વિનાસાય ચ દૃષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે

કમજોર હાથ સંભાળી શકશે વિકસતા ભારતની બાગડોર?

મોંઘવારીની નાગચૂડના ભરડામાં ફસાયેલા ભારતીયો હાલ મુર્છિત અવસ્થામાં છે. મુર્છિત અવસ્થામાં આવેલી ભારતની પ્રજા માટે હવે તલાશ છે એક હનુમાનની કે જે સંજીવની લઈ આવે અને મૂર્છા ભાંગે. ભારતના નેતાઓ સરકારના વિકાસના રિપોર્ટ કાર્ડને બતાવીને 7 ટકાથી 8 ટકા વચ્ચેનો વિકાસ દર હોવાનું જણાવી રહ્યાં છે. સાથે કહી રહ્યાં છે કે મોંઘાવારીને નિયંત્રિત કરવા માટે તેમની પાસે કોઈ જાદૂઈ છડી નથી.

આજે ભારતના લોકોને પૈષ્ટિક આહાર મેળવવા માટે સક્ષમ નથી. કુપોષણનો દર સતત વધી રહ્યો છે. ગરીબીની રેખા નીચે જીવતા અને તેની આસપાસના 70 કરોડ લોકોને એક વખતના જમવાના જુગાડ માટે જદ્દોજેહાદ કરવી પડી રહી છે. ડુંગળી, દૂધ, દાળ, ચોખા, ઘઉંના ભાવ ખૂબ ઉંચા છે. આ એવા ભાવ છે કે ગરીબને તેના ખિસ્સાની મર્યાદા નડી જાય છે અને ખિસ્સાની મર્યાદાને કારણે ગરીબનું પેટ ભૂખ્યું રહી જાય છે. ગરીબનું પેટ ભરાતું ન હોવાના કારણે અન્ય સમસ્યાઓ સાથે કુપોષણ સમસ્યા બની જાય છે. જે દેશમાં બાળકો અને યુવાનોને પૌષ્ટિક આહાર મળી શકતો ન હોય, તે દેશની હાલત ખૂબ જ દયનીય હોય છે. કારણ કે ગમે તેટલી કહેવાતી પ્રગતિ કમજોર યુવાનો અને બાળકોને કારણે ટકી શકતી નથી. વિકાસને ટકવવા માટે પણ મજબૂત, સુદ્રઢ અને સ્વસ્થ બાળકો અને યુવાનોની જરૂર છે. દેશની આ જરૂરિયાત માત્ર પૌષ્ટિક આહારથી જ પૂર્ણ થઈ શકે છે. પરંતુ મોંઘવારીની નાગચૂડ ભારતની આ જરૂરિયાતને પૂરી થવા દેતું નથી. તેથી છેલ્લા ઘણાં વર્ષોથી 6 થી 8 ટકાના વિકાસ દરથી પ્રગતિ અને વિકાસના પથ પર આગળ ચાલી રહેલો દેશ કેટલાં વર્ષો સુધી આ વિકાસ ટકાવીને આગળ વધી શકશે તે પણ એક સમસ્યા બની છે.

મોંઘવારી માટે ગઠબંધનની રાજનીતિને દોષ દઈને છટકવાનો પ્રયત્ન કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સહીતના કેટલાંક નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી રહ્યાં છે. ક્યારેક જમાખોરો વિરુદ્ધ છાપામારી કરીને, તો ખાસ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ અને આયાત પર છૂટ આપીને સમસ્યાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. વોટ બેંકના છટકવાના ડર છતાં કૃષિ વ્યવસ્થાને ચોપટ કરનારી નીતિઓની સમીક્ષા કરવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કતરાય રહી છે.

ગત એક દશકથી ખેડૂતોની હાલત અતિશય ખરાબ છે. કૃષિક્ષેત્રો પર બહુરાષ્ટ્રીય કંપનીઓની ગિદ્ધ દ્રષ્ટિને કારણે આપણું ખાદ્યાન્ન ઘટયું છે. આ કંપનીઓના દબાણમાં આવવાથી પાક, કૃષિ ક્ષેત્રોની ઉપેક્ષા અને પારંપરિક બીજોની જગ્યાએ આપણા મોસમ માટે પ્રતિકૂળ બહુરાષ્ટ્રીય કંપનીના હાઈબ્રિડ બીજોના ઉપયોગને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે.

આપણે ત્યાં ખેતીમાં સંશોધન માટેના કેન્દ્રો બેકાર બની ગયા છે, પરંતુ આપણે અમેરિકા સાથે ખેતીમાં સંશોધન કરવા માટે 1 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અમેરિકા પાસેથી જ્ઞાન હાસિલ કરશે. આ સમજૂતીને લાગુ કરનારી સમિતિમાં અમેરિકાની વોલ માર્ટ અને મોનસેંટો જેવી કંપનીઓના લોકો છે. સ્પષ્ટ છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના હિતોને અનુકૂળ કૃષિ જ્ઞાન આપશે.

અમેરિકા અને યુરોપની કોશિશ છે કે ભારતમાં ખેતીની લાગત વધારી દેવામાં આવે, ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ખતમ કરી દેવામાં આવે અને આયાત કરાયેલા ખાદ્યાન્નો પર નિર્ભર બનાવીને ભારતમાં પોતાના કૃષિ ઉત્પાદનોની ખપત વધારવામાં આવે. લાભ માટે ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમત હોવી જરૂરી છે. માટે મોંઘાવારી તો વધારમાં જ આવશે. ખાતરના કારખાના બંધ કરવા અને બિન-ખાદ્યાન્ન પાકોનું ઉત્પાદન વધારવું તેનું ઉદાહરણ છે.

કૃષિ તકનીકના મામલામાં પણ ભારત પાછળ પડી રહ્યું છે. દેશના કુલ રોજગારના 57 ટકા ભાગ કૃષિ અને કૃષિ આધારીત ક્ષેત્રોને આશ્રિત છે. ઔદ્યોગિક વિકાસના તમામ દાવા છતાં હજી પણ કુલ રાષ્ટ્રીય આવકનો ચોથો હિસ્સો આ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણાં વર્ષોથી આર્થિક વિકાસ છથી આઠ ટકાના દરથી વધી રહ્યો છે. જ્યારે આપણી કૃષિ ઉત્પાદકતા સતત ઘટી રહી છે.

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના દબાણમાં ભારતે અહીં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી દીધી છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોએ પોતાના ખેડૂતોની સબસિડી વધારી છે. ગત દશ વર્ષોમાં ભારતની વસ્તીમાં 21.33 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે તેની સામે પ્રતિ વ્યક્તિ ચોખાની ઉપલબ્ધતામાં 6.13 ટકા, ઘઉંની ઉપલબ્ધતામાં 25.6 ટકા અને દાળની ઉપલબ્ધતામાં 36.5 ટકાનો ઘટાડો થયો છે. આ જ પરિસ્થિતિ રહેશે, તો ગરીબો માટે દાળ-રોટી સપનું બની જશે. એક તરફ સતત અમીરી વધી રહી છે, તો બીજી તરફ કુપોષણનો શિકાર બનતા લોકાની સંખ્યા પણ વધી રહી છે.

ભારત સરકારે પેટ્રોલિયમ પેદાશોનો ઠેકો જ્યાં ખાનગી હાથોમાં સોંપી દીધો છે, તો આંતરરાષ્ટ્રીય બજારનું બહાનું બનાવીને ઓઈલ કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. છ માસમાં સાત વખત પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. ડીઝલના ભાવમાં પણ ખાસો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મોંઘવારીનો ચોતરફી હુમલો લોકો સહન કરી રહ્યાં છે. ખરેખર જરૂર છે ભારતમાં ખેડૂતોની પડતર કિંમત અને આવકના અંતરને યોગ્ય બનાવવાની યોજનાઓ બનાવવાની. મનરેગા જેવી યોજનાઓથી ખેત મજૂરોની પણ અછત પેદા થઈ રહી છે. ખેતીના કામો માટે ખેડૂતોને મજૂરો પણ મળી રહ્યાં નથી. ખાદ્યાન્નના ભંડારણની દિશામાં નક્કર કામ ન થવાને કાણે ખાદ્યાન્ન પણ બરબાદ થઈ ર્હયાં છે. ગત વર્ષ લાખો ટન અનાજ યોગ્ય રખ-રખાવના અભાવમાં સડી ગયું ગયું હતું. ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં કૃષિ ક્ષેત્ર સંદર્ભે યોગ્ય અને નક્કર નીતિ ઘડાય કે જે ભારતલક્ષી, પ્રજાલક્ષી હોય તો મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે.

ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી 60-70 રૂપિયે કિલોગ્રામ વેચાય, દૂધ 34 R લિટરને આસપાસ હોય, તુવેર, અડદ અને અન્ય દાળો 80 રૂપિયાની કિલોગ્રામ હોય, ટામેટાં 40-50 રૂપિયે કિલોગ્રામ વેચાતા હોય અને ઈંડાના ભાવમાં પણ ધરખમ વધારો થયો હોય, ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ શું થાય? તેમના માટે પૈષ્ટિક આહાર તો સપનું જ બની જવાનું ને? તેંડૂલકર કમિટી રિપોર્ટ પ્રમાણે, દેશમાં ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની સંખ્યા 70 કરોડથી વધારે છે. ત્યારે રોજની 20 રૂપિયાની આવક ન ધરાવતા લોકો પોતાના પરિવાર માટે એક વખતના જમવાનો જુગાડ કેવી રીતે કરી શકે?

આવી પરિસ્થિતિ દેશ માટે સર્વથા અયોગ્ય છે. તેના માટે સૌથી મોટું કારણ દેશની કૃષિને નજરઅંદાજ કરવાની નીતિ છે. આ વાત છેલ્લા દશકમાં કૃષિ ક્ષેત્રે ભારતના વૃદ્ધિદર પરથી માલૂમ પડી શકે છે. આ ભારતના ભવિષ્યનો પ્રશ્ન છે. કારણ કે આવી પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી ઉપર-નીચે થતાં ફૂગાવાના દર સાથે ચાલુ છે. લોકો પોતાના નાના બાળકોને દૂધ અને ઈંડા આપી શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિત આગામી વર્ષો દરમિયાન ચાલુ રહેશે, તો ભારત સરકારી રિપોર્ટો પ્રમાણે ‘વિકસિત’ હશે, પરંતુ સાથે સાથે કુપોષણના શિકાર બનેલી યુવા પેઢી પણ ભારત માટે સમસ્યા બનશે. કમજોર યુવાનોથી કોઈ દેશ મજબૂત, સુદ્રઢ બની શકતો નથી અને આવી પરિસ્થિતિમાં દેશના વિકાસને ટકાવવો પણ એક સમસ્યા બની શકે છે.

તમારો અભિપ્રાય

માટે મોંઘવારીના નાગચૂડથી કમજોર ભારતનું જે નિર્માણ થઈ રહ્યું છે. તેની સામે કોઈ અસરકારક રણનીતિની જરૂર છે. તમારા મતે ભારતને મોંઘાવારીની નાગચૂડમાંથી છોડવવા અને કમજોર, નિર્માલ્ય ભારતનું નિર્માણ અટકાવવા શું કરવું જોઈએ? તમારો અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં સબમિટ કરીને વિશ્વના વાચકો સાથે સંવાદ સાધો.....