Friday, May 27, 2011

કમજોર હાથ સંભાળી શકશે વિકસતા ભારતની બાગડોર?

મોંઘવારીની નાગચૂડના ભરડામાં ફસાયેલા ભારતીયો હાલ મુર્છિત અવસ્થામાં છે. મુર્છિત અવસ્થામાં આવેલી ભારતની પ્રજા માટે હવે તલાશ છે એક હનુમાનની કે જે સંજીવની લઈ આવે અને મૂર્છા ભાંગે. ભારતના નેતાઓ સરકારના વિકાસના રિપોર્ટ કાર્ડને બતાવીને 7 ટકાથી 8 ટકા વચ્ચેનો વિકાસ દર હોવાનું જણાવી રહ્યાં છે. સાથે કહી રહ્યાં છે કે મોંઘાવારીને નિયંત્રિત કરવા માટે તેમની પાસે કોઈ જાદૂઈ છડી નથી.

આજે ભારતના લોકોને પૈષ્ટિક આહાર મેળવવા માટે સક્ષમ નથી. કુપોષણનો દર સતત વધી રહ્યો છે. ગરીબીની રેખા નીચે જીવતા અને તેની આસપાસના 70 કરોડ લોકોને એક વખતના જમવાના જુગાડ માટે જદ્દોજેહાદ કરવી પડી રહી છે. ડુંગળી, દૂધ, દાળ, ચોખા, ઘઉંના ભાવ ખૂબ ઉંચા છે. આ એવા ભાવ છે કે ગરીબને તેના ખિસ્સાની મર્યાદા નડી જાય છે અને ખિસ્સાની મર્યાદાને કારણે ગરીબનું પેટ ભૂખ્યું રહી જાય છે. ગરીબનું પેટ ભરાતું ન હોવાના કારણે અન્ય સમસ્યાઓ સાથે કુપોષણ સમસ્યા બની જાય છે. જે દેશમાં બાળકો અને યુવાનોને પૌષ્ટિક આહાર મળી શકતો ન હોય, તે દેશની હાલત ખૂબ જ દયનીય હોય છે. કારણ કે ગમે તેટલી કહેવાતી પ્રગતિ કમજોર યુવાનો અને બાળકોને કારણે ટકી શકતી નથી. વિકાસને ટકવવા માટે પણ મજબૂત, સુદ્રઢ અને સ્વસ્થ બાળકો અને યુવાનોની જરૂર છે. દેશની આ જરૂરિયાત માત્ર પૌષ્ટિક આહારથી જ પૂર્ણ થઈ શકે છે. પરંતુ મોંઘવારીની નાગચૂડ ભારતની આ જરૂરિયાતને પૂરી થવા દેતું નથી. તેથી છેલ્લા ઘણાં વર્ષોથી 6 થી 8 ટકાના વિકાસ દરથી પ્રગતિ અને વિકાસના પથ પર આગળ ચાલી રહેલો દેશ કેટલાં વર્ષો સુધી આ વિકાસ ટકાવીને આગળ વધી શકશે તે પણ એક સમસ્યા બની છે.

મોંઘવારી માટે ગઠબંધનની રાજનીતિને દોષ દઈને છટકવાનો પ્રયત્ન કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સહીતના કેટલાંક નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી રહ્યાં છે. ક્યારેક જમાખોરો વિરુદ્ધ છાપામારી કરીને, તો ખાસ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ અને આયાત પર છૂટ આપીને સમસ્યાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. વોટ બેંકના છટકવાના ડર છતાં કૃષિ વ્યવસ્થાને ચોપટ કરનારી નીતિઓની સમીક્ષા કરવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કતરાય રહી છે.

ગત એક દશકથી ખેડૂતોની હાલત અતિશય ખરાબ છે. કૃષિક્ષેત્રો પર બહુરાષ્ટ્રીય કંપનીઓની ગિદ્ધ દ્રષ્ટિને કારણે આપણું ખાદ્યાન્ન ઘટયું છે. આ કંપનીઓના દબાણમાં આવવાથી પાક, કૃષિ ક્ષેત્રોની ઉપેક્ષા અને પારંપરિક બીજોની જગ્યાએ આપણા મોસમ માટે પ્રતિકૂળ બહુરાષ્ટ્રીય કંપનીના હાઈબ્રિડ બીજોના ઉપયોગને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે.

આપણે ત્યાં ખેતીમાં સંશોધન માટેના કેન્દ્રો બેકાર બની ગયા છે, પરંતુ આપણે અમેરિકા સાથે ખેતીમાં સંશોધન કરવા માટે 1 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અમેરિકા પાસેથી જ્ઞાન હાસિલ કરશે. આ સમજૂતીને લાગુ કરનારી સમિતિમાં અમેરિકાની વોલ માર્ટ અને મોનસેંટો જેવી કંપનીઓના લોકો છે. સ્પષ્ટ છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના હિતોને અનુકૂળ કૃષિ જ્ઞાન આપશે.

અમેરિકા અને યુરોપની કોશિશ છે કે ભારતમાં ખેતીની લાગત વધારી દેવામાં આવે, ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ખતમ કરી દેવામાં આવે અને આયાત કરાયેલા ખાદ્યાન્નો પર નિર્ભર બનાવીને ભારતમાં પોતાના કૃષિ ઉત્પાદનોની ખપત વધારવામાં આવે. લાભ માટે ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમત હોવી જરૂરી છે. માટે મોંઘાવારી તો વધારમાં જ આવશે. ખાતરના કારખાના બંધ કરવા અને બિન-ખાદ્યાન્ન પાકોનું ઉત્પાદન વધારવું તેનું ઉદાહરણ છે.

કૃષિ તકનીકના મામલામાં પણ ભારત પાછળ પડી રહ્યું છે. દેશના કુલ રોજગારના 57 ટકા ભાગ કૃષિ અને કૃષિ આધારીત ક્ષેત્રોને આશ્રિત છે. ઔદ્યોગિક વિકાસના તમામ દાવા છતાં હજી પણ કુલ રાષ્ટ્રીય આવકનો ચોથો હિસ્સો આ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણાં વર્ષોથી આર્થિક વિકાસ છથી આઠ ટકાના દરથી વધી રહ્યો છે. જ્યારે આપણી કૃષિ ઉત્પાદકતા સતત ઘટી રહી છે.

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના દબાણમાં ભારતે અહીં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી દીધી છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોએ પોતાના ખેડૂતોની સબસિડી વધારી છે. ગત દશ વર્ષોમાં ભારતની વસ્તીમાં 21.33 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે તેની સામે પ્રતિ વ્યક્તિ ચોખાની ઉપલબ્ધતામાં 6.13 ટકા, ઘઉંની ઉપલબ્ધતામાં 25.6 ટકા અને દાળની ઉપલબ્ધતામાં 36.5 ટકાનો ઘટાડો થયો છે. આ જ પરિસ્થિતિ રહેશે, તો ગરીબો માટે દાળ-રોટી સપનું બની જશે. એક તરફ સતત અમીરી વધી રહી છે, તો બીજી તરફ કુપોષણનો શિકાર બનતા લોકાની સંખ્યા પણ વધી રહી છે.

ભારત સરકારે પેટ્રોલિયમ પેદાશોનો ઠેકો જ્યાં ખાનગી હાથોમાં સોંપી દીધો છે, તો આંતરરાષ્ટ્રીય બજારનું બહાનું બનાવીને ઓઈલ કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. છ માસમાં સાત વખત પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. ડીઝલના ભાવમાં પણ ખાસો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મોંઘવારીનો ચોતરફી હુમલો લોકો સહન કરી રહ્યાં છે. ખરેખર જરૂર છે ભારતમાં ખેડૂતોની પડતર કિંમત અને આવકના અંતરને યોગ્ય બનાવવાની યોજનાઓ બનાવવાની. મનરેગા જેવી યોજનાઓથી ખેત મજૂરોની પણ અછત પેદા થઈ રહી છે. ખેતીના કામો માટે ખેડૂતોને મજૂરો પણ મળી રહ્યાં નથી. ખાદ્યાન્નના ભંડારણની દિશામાં નક્કર કામ ન થવાને કાણે ખાદ્યાન્ન પણ બરબાદ થઈ ર્હયાં છે. ગત વર્ષ લાખો ટન અનાજ યોગ્ય રખ-રખાવના અભાવમાં સડી ગયું ગયું હતું. ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં કૃષિ ક્ષેત્ર સંદર્ભે યોગ્ય અને નક્કર નીતિ ઘડાય કે જે ભારતલક્ષી, પ્રજાલક્ષી હોય તો મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે.

ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી 60-70 રૂપિયે કિલોગ્રામ વેચાય, દૂધ 34 R લિટરને આસપાસ હોય, તુવેર, અડદ અને અન્ય દાળો 80 રૂપિયાની કિલોગ્રામ હોય, ટામેટાં 40-50 રૂપિયે કિલોગ્રામ વેચાતા હોય અને ઈંડાના ભાવમાં પણ ધરખમ વધારો થયો હોય, ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ શું થાય? તેમના માટે પૈષ્ટિક આહાર તો સપનું જ બની જવાનું ને? તેંડૂલકર કમિટી રિપોર્ટ પ્રમાણે, દેશમાં ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની સંખ્યા 70 કરોડથી વધારે છે. ત્યારે રોજની 20 રૂપિયાની આવક ન ધરાવતા લોકો પોતાના પરિવાર માટે એક વખતના જમવાનો જુગાડ કેવી રીતે કરી શકે?

આવી પરિસ્થિતિ દેશ માટે સર્વથા અયોગ્ય છે. તેના માટે સૌથી મોટું કારણ દેશની કૃષિને નજરઅંદાજ કરવાની નીતિ છે. આ વાત છેલ્લા દશકમાં કૃષિ ક્ષેત્રે ભારતના વૃદ્ધિદર પરથી માલૂમ પડી શકે છે. આ ભારતના ભવિષ્યનો પ્રશ્ન છે. કારણ કે આવી પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી ઉપર-નીચે થતાં ફૂગાવાના દર સાથે ચાલુ છે. લોકો પોતાના નાના બાળકોને દૂધ અને ઈંડા આપી શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિત આગામી વર્ષો દરમિયાન ચાલુ રહેશે, તો ભારત સરકારી રિપોર્ટો પ્રમાણે ‘વિકસિત’ હશે, પરંતુ સાથે સાથે કુપોષણના શિકાર બનેલી યુવા પેઢી પણ ભારત માટે સમસ્યા બનશે. કમજોર યુવાનોથી કોઈ દેશ મજબૂત, સુદ્રઢ બની શકતો નથી અને આવી પરિસ્થિતિમાં દેશના વિકાસને ટકાવવો પણ એક સમસ્યા બની શકે છે.

તમારો અભિપ્રાય

માટે મોંઘવારીના નાગચૂડથી કમજોર ભારતનું જે નિર્માણ થઈ રહ્યું છે. તેની સામે કોઈ અસરકારક રણનીતિની જરૂર છે. તમારા મતે ભારતને મોંઘાવારીની નાગચૂડમાંથી છોડવવા અને કમજોર, નિર્માલ્ય ભારતનું નિર્માણ અટકાવવા શું કરવું જોઈએ? તમારો અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં સબમિટ કરીને વિશ્વના વાચકો સાથે સંવાદ સાધો.....

No comments:

Post a Comment