શનિવાર, 28 મે, 2011

પાકિસ્તાન સામે યુધ્ધ: ભારત ઈચ્છે ત્યારે, પોતીકી વ્યૂહરચનાથી


(પ્રકાશન 9મી જાન્યુઆરી, 2009ના ગુજરાત ટાઈમ્સના અંકના પૃ.નં.-2 પર)

યુધ્ધોન્મત પાકિસ્તાન યુધ્ધોન્માદ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને વિશ્વનું ધ્યાન આતંકવાદની મૂળ સમસ્યાથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુંબઈ પરત્વે આતંકવાદીહુમલો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની રહેમનજર હેઠળ લશ્કરે તોઈબા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સર્વવિદિત છે. કેટલાંક સમય પહેલા ભારત સાથે શાંતિવાર્તાની રમત રમનાર પાકિસ્તાન નાગરિક સરકાર આવ્યા બાદ ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફની વિદાય પછી સત્તા પર આવેલી નાગરિક સરકારનો પાકિસ્તાની સેના કે આઈએસઆઈ પર કોઈ કાબૂ નથી. મુંબઈ પરનો આતંકવાદી હુમલો અને તેની પેટર્ન તેનું ઉદાહરણ છે.

કારગિલ યુધ્ધ જેવું ઊંબાડિયું કરી ચૂકેલું પાકિસ્તાન મુંબઈ હુમલા દ્વારા ભારતને યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે વ્યવસ્થિતપણે ઉશ્કેરી રહ્યું છે. મુંબઈ હુમલો થવા દેવા પાછળ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા તપાસવા જેવી છે. અફધાન યુધ્ધ અને પોતાના વિસ્તાર વજીરીસ્તાન અને સ્વાત ખીણમાં અમેરિકાના દબાણની લડાઈમાં ઝોકાયેલી પાકિસ્તાન સેના તેમાંથી છટકવાનો રસ્તો ઘણાં સમયથી શોધતી હતી.

અફધાન સરહદે પાકિસ્તાની સૈન્યના એક લાખ સૈનિકો તૈનાત હતા. પોતાના દ્વારા ઊભા કરાયેલા તાલિબાનો સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના ક્યારેય રાજી ન હતી. તેમ છતાં મુશર્રફે અમેરિકાના દબાણ તળે આ લડાઈમાં સેનાને વ્યસ્ત રાખી રહ્યાં હતા.

આમ તો પાકિસ્તાનને ચલાવે છે, આર્મી. જ્યારે આર્મી ચાલે છે, અમેરિકાના દોરીસંચારથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનને આર્મી ચલાવે છે, તે વાત સાચી, પણ પાકિસ્તાની સેનામાં પ્રભાવી થી રહેલા કટ્ટરપંથી તત્વોએ સેના પરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેની સાબિતી છે, મુંબઈ પરનો આતંકવાદી હુમલો.
ભારતીયતા અને ભારતના વિરોધ પર રચાયેલા પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ માટે પણ ભારતવિરોધ ચાલુ રાખવો જરૂરી હોય તેમ લાગે છે. મુંબઈ પરના હુમલા પછી તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સહિત તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી. સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ કરવા કૂટનીતિક પ્રયત્નો આદર્યા હતા, જેના પરિણામે પાકિસ્તાને કેટલાંક આતંકવાદીઓને નજરબંધ કર્યા અને જમાત ઉદ દાવા પર નામ માત્રનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે પાકિસ્તાનની પોલ ત્યારે ખૂલી કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ગુપ્તચર સંસ્થાના વડા લેફટનન્ટ જનરલ અહમદ પાશાને ભારત મોકલવા માટે સહમત થયેલી પાકિસ્તાની સરકાર જનરલ અશફાક પરવેઝ કિયાનીના ઈશારે પોતાના વચનમાંથી ફરી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના દેશમાં રહેલા આતંકવાદના તંત્રને ખતમ કરવાની જગ્યાએ ભારતીય સરહદે સૈન્યનો ખડકલો કર્યો છે. અત્યારે ભારતીય સેનાની સાત કોર એટલે કે સાડા ત્રણ લાખ સૈનિકોનો ખડકલો કરાયો છે. તેની સાથે સાથે અફધાન સરહદે અમેરિકી અને નાટો સૈન્ય તથા તાલિબાનો વચ્ચે બફરનું કામ કરી રહેલી પાકિસ્તાની સેનાને પણ ભારત સરહદે ખસેડવામાં આવી હતી. ત્યારે તહેરિકે તાલિબાનના સરગના બૈતુલ્લાહ મહેસૂદે ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને સાથ આપવાની વાત કરી હતી. જેનાથી આઈએસઆઈ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.

અત્યારે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાહતું નથી. કારણ કે તેનાથી વોર ઓન ટેરર નબળું પડે તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાની સેના પોતાના હિત માટે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તે માટે વ્યૂહાત્મકપણે આગળ વધી રહી છે. પાકિસ્તાની સેનાનો પોતાનો એજન્ડા છે. તેની ઈચ્છા પાકિસ્તાન કે અન્ય આતંકી સંગઠનોનો નાશ કરવાની નથી. કેટલાક સમય પહેલા પાકિસ્તાનને નફરત કરનારી પાકિસ્તાની આવામ અત્યારની પરિસ્થિતિમાં સેનાની પડખે છે. પાકિસ્તાની સેના આ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી ચાલુ રહે તેમ ઈચ્છે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રમુખ પદે બરાક હુસૈન ઓબામાની તાજપોશી થશે. અફધાન અને પાકિસ્તાન સંદર્ભે ઓબામાની નીતિઓનો ખુલાસો થશે. સાથે ભારતમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ હશે, તેમ છતાં બરાક ઓબામાના વિચારો સ્પષ્ટ છે. તેમણે પાકિસ્તાનને સૈન્ય સહાયતામાં કાપ મૂકવાના સંકેતો આપ્યા છે.

તો બીજી તરફ ભારત સરકારે વિદેશમાં નિયુક્ત રાજદૂતોની બેઠક બોલાવીને પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારતના પક્ષમાં રણનીતિ બનાવી છે. આમ તો કૂટનીતિ વાંછિત પરિણામો મેળવવાનું યોગ્ય હથિયાર છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી યુધ્ધ સિવાયના અન્ય વિકલ્પોથી પરિણામ લાવવાનો પ્રયત્ન સારો છે. અત્યારે ભારતની પ્રાથમિકતા આર્થિક તાકાત બનવાની છે. ત્યારે નવ ટકાના વિકાસદરથી સાત ટકાના વિકાસદરે વૈશ્વિક મંદીના કારણે પહોંચેલા ભારત માટે યુધ્ધ આખરી વિકલ્પ હોય તે વાંછિત છે. જો કે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સમસ્યાનો ઉકેલ નથી કહીને પાકિસ્તાનને આતંકવાદી તંત્ર ખતમ કરવા કહ્યું છે. તેની સામે પાકિસ્તાની સેના યુધ્ધોન્માદ ફેલાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બંને દેશોના તણાવ તરફ ખેંચીને મુંબઈકાંડને ગૌણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

24મી ડિસેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સને સત્તારૂઢ તત્વો(સેના અને આઈએસઆઈ)નું સમર્થન હોવાનું નિવેદન કર્યુ છે.
યુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ, યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ જેવી ભાષા ભારતીય મિડિયા અને લોકો બોલી રહ્યાં છે. જો કે મુંબઈ પરનો આતંકવાદી હુમલથી ભારતને ઉશ્કેરી પાકિસ્તાની સેના પોતાના હિતો પાર પાડવા માગે છે. ભારતે મુંબઈ કાંડને પાકિસ્તાનના ટ્રેપ(છટકાં) તરીકે જોવો જોઈએ.

યુધ્ધની કહાનીઓ સારી હોય છે. યુધ્ધ નહીં.જો કે આપણી પાસેની મજબૂત સેના થકી આ વિકલ્પ ખુલ્લો છે. તો પરમાણુ શસ્ત્રો સહિતના તમામ વિકલ્પોને પણ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ખુલ્લા રાખવા પડશે. યુધ્ધથી ડરવાની જરૂર નથી, પણ તે પહેલાં તમામ વિકલ્પો અજમાવી લેવા જોઈએ.

પરમાણુ બોમ્બથી વિશ્વને બ્લેકમેઈલ કરવા નીકળેલું પાકિસ્તાન સુધરશે નહિ, તો તેને ખોખરું કરવું પડશે,પણ પાકિસ્તાન ઈચ્છે ત્યારે તેની વ્યૂહરચના પ્રમાણે ભારતે યુધ્ધ જેવા પગલાંથી બચવું જોઈએ. આર્થિકપણે કંગાળ પાકિસ્તાન સામે નિર્ણાયક યુધ્ધ લડવું જોઈએ, પણ તે ભારતની ઈચ્છા પ્રમાણે અને ભારતીય સેનાની વ્યૂહરચના સાથે.

ભારતે હવે અમેરિકા કે અન્ય કોઈ દેશ મદદે આવે તેની આશા રાખવી યોગ્ય નથી કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદના કટુ અનુભવ પછી પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવું કેટલું મદદગાર સાબિત થશે, તે કહેવું મુશ્કેલ છે. ઓબામાના વહીવટી તંત્ર સાથે ભારત સીટીબીટી, પર્યાવરણ, પરમાણુ સામગ્રી પ્રતિબંધ સંધિ મુદ્દે અલગ મત ધરાવે છે.

અંતે...........

યુધ્ધની તૈયારી શાંતિની ખાતરી હોય છે.

કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારનું જેહાદી આતંકને પ્રોત્સાહન!


દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. આ અવસ્થા આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાતી હોય છે. વ્યવસ્થામાં હંમેશા અનિષ્ટ તત્વો દ્વારા દુર્વયવસ્થા ઉભી થાય છે. જેના કારણે અવ્યવસ્થાથી અંધાધૂંધી સર્જાય છે. આવી અંધાધૂંધીને કારણે વ્યવસ્થા સ્થાયી કે અસ્થાયીપણે પડી ભાંગે છે. આવી સ્થિતિઓને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં અટવાઈને જેના માટે વ્યવસ્થા હતી...છે...કે રહેશે, તેને ચોક્કસપણે નુકસાન થશે. આવા સ્થાયી કે અસ્થાયી નુકસાનનો જવાબ અવ્યવસ્થાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને તેના પરિણામો પરથી જ મળી શકે છે.

ભારત સામેના યુધ્ધોમાં નાલેશીભરી હાર પામેલું પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી દેશમાં રહેલી પાંચમી કતારિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 1971ની હારનો બદલો લેવા માટે પાકિસ્તા ભારતને આતંકના શેતાન વડે રક્તરંજિત કરવા માટે નાપાક રાજરમતની શતરંજ જમાવીને બેઠું છે. જેના કારણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને ભારતમાં આતંકની જાળ ફેલાવવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આતંકના આકાઓને મોતની સોદાગરીમાં મળેલી સફળતા માટે માત્રને માત્ર પાકિસ્તાનની તાકાત અને વ્યૂહરચના જ જવાબદાર નથી! આતંકના આકાઓને ભારતમાં આતંકની હકૂમત કાયમ કરવા માટે ભારતમાં સત્તા સ્થાને રહેલી દરેક સરકારો વત્તા કે ઓછા પ્રમાણમાં જવાબદાર છે. જો સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો ભારતના સત્તા સ્થાને રહેલી દરેક સરકારની આતંકવાદ વિરોધી નીતિઓમાં વત્તા કે ઓછા પ્રમાણમાં ખામી રહી છે. આતંકના કારણે તંત્રની વ્યવસ્થાની દુર્ગતિના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા અને તેમાંથી સર્જાયેલી અંધાધૂંધીથી દેશની કોઈપણ ભૂતપૂર્વ કે પ્રવર્તમાન સરકાર છટકી શકે તેમ નથી. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આતંકવાદીઓ છાકટા બનીને નિર્દોષ ભારતીયોનાં લોહીની હોળી રમી રહ્યાં છે. તેની સામે દેશની પ્રવર્તમાન યુપીએ સરકાર માત્ર મૂકદર્શક બનીને પોતાની વોટબેંકની રાજનીતિ કરી રહી છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવા માટે હજુ સુધી ભારત પાસે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, તે એક દુર્ભાગ્યની વાત છે.

ડર એ મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. કેટલાંક અસાધારણ વ્યક્તિઓના અપવાદોને બાદ કરતાં ડર સૌને લાગે છે, તે એક નક્કર હકીકત છે. ભારત સામે અઘોષિત ઉગ્ર લડાઈ લડી રહેલા આતંકના આકાઓ મનુષ્ય સ્વાભાવની આ સ્વાભાવિકતાનો ઉપયોગ પોતાના રાજકીય, ધાર્મિક, સામાજિક અને કેટલેક અંશે આર્થિક હિતોની પૂર્તિ માટે કરી રહ્યાં છે. આમ તો ડરથી ભાગો તો હાર છે અને ડર સામે જંગે ચડો તો જીત છે. વિકાસપથ પર પૂરઝડપે આગળ વધી રહેલા ભારતની પ્રગતિની ગાડી પાટા પરથી ઉતારવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતાં વૈશ્વિક અનિષ્ટોની ધરી છેલ્લા દોઢ દાયકાથી ભારત સામે મેદાને પડેલી છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદ પાછળ ચોક્કસ ધાર્મિક વિચારધારના વિકૃતિકરણની પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં પ્રવર્તમાન યુપીએ સરકારની નીતિઓ કોઈપણ દેશપ્રેમીને આંચકો આપે તેવી રહી છે. યુપીએની સરકારે પોતાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદના ભોરિંગનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાની નીતિ અખત્યાર કરીને ભારતીય હિતોને અનેકગણું નુકસાન પહોંચાડયું છે. ઘણી અસ્પષ્ટતાઓ સાથે તકવાદી ગઠબંધન દ્વારા સત્તા પર ડાબેરીઓના ટેકાથી આવેલી યુપીએ સરકાર આતંકવાદના શેતાન સામે તકલાદી સાબિત થઈ છે. આતંકવાદ સામેની પોતાની નીતિઓના કારણે યુપીએ સરકાર વર્ષ 2004થી વિવાદોમાં ટર્મ પૂરી થયા સુધી રહી છે.

યુપીએ સરકારે વિશ્વભરમાં ચોક્કસ ધાર્મિક વિચારધારાના વિકૃતિકરણ સામે શરૂઆતથી જ આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારે સત્તામાં આવ્યા બાદ તુરંત તેમની પુરોગામી એનડીએ સરકારની આતંકવાદ વિરોધી નીતિઓનું શીર્ષાસન કરાવ્યું છે. એનડીએના સમયમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અને પ્રોએકટિવ પોલિસી મહ્દઅંશે અખત્યાર થઈ રહી હતી. જો કે તેમ છતાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય તત્વોનો પોતાના રાષ્ટ્રીય હિતો માટે ઉપયોગ કરનારા દેશોએ ભારતને લોહીલુહાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.આ તમામ હકીકતો સામે આંખ આડા કાન કરીને ભારતીય વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય તેવા દેશહિત વિરોધી નિર્ણયો યુપીએ સરકારે કર્યા છે.

ચોક્કસ આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતા આતંકવાદી સંગઠનોએ પોતાની મહત્વકાંક્ષા અને હિતોની સિધ્ધિ માટે ઈસ્લામની ધાર્મિક વિચારધારનું વિકૃતિકરણ કર્યું છે, જેના કારણે ભારત, ઈરાક, અફઘાનિસ્તાન, યુરોપ, અમેરિકા અને રશિયા આતંકનો ભોગ બન્યા છે કે બની રહ્યાં છે.તેમ છતાં ભારતની યુપીએ સરકાર દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ઈસ્લામિક આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. તેમની માન્યતા એટલી જડ છે કે સામે દેખાતા તથ્યો સ્વીકારવા અને તેના દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાની પણ તૈયારી નથી. જો કે હાલ દેશની કમનસીબી છે કે ઈસ્લામના નામે ભારતમાં ચાલી રહેલી કત્લેઆમને કોઈપણ રાષ્ટ્રીય નેતા ઈસ્લામિક આતંવાદ કહેવા માટે તૈયાર નથી.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંકને તુષ્ટ કરવા માટે 9/11ની ઘટના બાદ ભારતમાં વિદ્યમાન એકમાત્ર આતંકવાદ વિરોધી કાયદા પોટાને દૂર કર્યો હતો. યુપીએએ પોટા રદ કરવાની જાહેરાત તેમના ચૂંટણી ઢંઢેરામાં અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં કરી હતી. તેમનું માનવું છે કે આ પ્રકારના તુષ્ટિકરણથી તેઓ તેમના રાજકીય હિતો સિધ્ધ કરવા માટે મુસ્લિમ વોટબેંકને અંકે કરી શકશે.

યુપીએ દ્વારા હંમેશા વૈશ્વિક આતંકવાદની સમસ્યાને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવાનું મહાપાપ થયું છે. ભારતમાં કેટલાંક કારણોને લીધે કોમવાદ છે અને હુલ્લડો પણ થાય છે. આ હકીકત હોવા છતાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ અને ભારતમાં કોમવાદ બે અલગ સમસ્યા છે. વૈશ્વિક સ્તરે ફાટીને ધુમાડે ગયેલો ઈસ્લામિક આતંકવાદ એ રાષ્ટ્ર સામેનું યુધ્ધ છે, જ્યારે ભારતમાં કોમવાદ મહ્દઅંશે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેમ છતાં યુપીએ સરકાર ઈસ્લામિક આતંકવાદને કાયદો અને વ્યવસ્થા સાથે જોડવાનું મહાપાપ કરી રહી છે. યુપીએના કોંગ્રેસ સહિતના ઘટકદળો સેક્યુલારિઝમના નામે સ્વહિત સિધ્ધ કરવા માટે રાજરમતની ચોપાટ બિછાવીને બેઠાં છે. જેના કારણે સેક્યુલારિઝમ અને માનવાધિકારને નામે ભારતમાં રહેલી પાંચમી કતારિયાના દેશદ્રોહી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા આપી હોવા છતાં તેની ફાંસીનો મુદ્દો ઉઠાવાય છે, ત્યારે યુપીએ તરફથી હાસ્યાસ્પદ તર્કો કરવામાં આવે છે, જેમ કે અફઝલ ગુરુ જેવા અન્ય કેટલાંક ગુનેગારોને પણ ફાંસી આપવાની બાકી છે. તેમની સંખ્યા ગણાવાય છે! કોંગ્રેસી નેતાઓ રાજીવ ગાંધીના હત્યાઓને ફાંસી ન અપાઈ હોવાની વાત આગળ કરીને હદ કરે છે. આ સિવાય સંસદ પરના હુમલાના અન્ય એક આરોપી જેએનયુના કાશ્મીરી પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીને પૂરાવાના અભાવે સુપ્રિમ કોર્ટ દ્વારા મુક્તિ મળી છે. તેને બચાવવા માટે સેક્યુલારિસ્ટ અને માનવાધિકારવાદીઓની ફૌજે વ્યવસ્થિત દિશા-નિર્દેશ પ્રમાણે કામ કર્યું હતું. જાણે કે યુપીએ સરકારની તેમાં મૂક સહમતિ હોય!

યુપીએની પૂરોગામી સરકારોના શાસનકાળ દરમિયાન આતંકવાદી હુમલાઓ થયા છે. પણ યુપીએના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો ઈસ્લામિક આતંકવાદ ભારતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. કાશ્મીરથી કેરાળા સુધીના કેટલાંક મુસ્લિમ યુવાનો આતંકવાદી તાલીમ લાઈને આતંકના આકાઓના ઈશારે હિંસાચાર કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના ગ્લાસગો હુમલા કેસમાં ઓસ્ટ્રેલિયામાં ઝડપાયેલા બેંગલુરુના ડૉ. મહોમ્મદ હનીફને કારણે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ઉંધ આવતી નથી!ડૉ.હનીફ સંદર્ભે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આધિકારિકપણે પોતાની ચિંતાઓ પ્રદર્શિત કરે છે! જો કે ડૉ. હનીફ કાયદાની આંટીઘૂંટી અને પૂરાવાના અભાવે આરોપોમાંથી મુક્ત થઈને હાલ ઓસ્ટ્રેલિયામાંજ છે. આ સિવાય ગ્લાસગો હુમલામાં બેંગાલુરુના બે અન્ય યુવાનો સામેલ હોવાને કારણે એક વાત સ્પષ્ટ બની છે કે ભારતના મુસ્લિમ યુવાનોને તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈસ્લામિક આતંકવાદમાં સામેલ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર રોકવામાં યુપીએ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, કારણ કે રાજકારણના આટાપાટા રમવા સિવાય યુપીએ સરકાર પાસે કોઈ ઠોસ આતંકવાદ વિરોધી નીતિ જ નથી.

યુપીએ સરકારનો પાંચ વર્ષનો શાસનકાળ નિર્દોષ ભારતીયોના લોહીમાં ડૂબેલો છે. આ લોહીના છાંટાઓથી ખરડાયેલો ચહેરો જોવો માટે યુપીએ સરકાર ક્યારેય તૈયાર થઈ નથી. જોઈએ, યુપીએ સરકારના શાસનકાળમાં બનેલી કેટલીક ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓને..............

(1) 15 ઓગસ્ટ, 2004- આસામમાં વિસ્ફોટો, 16ના મોત
(2) 5 જુલાઈ,2005- અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલ પર લશ્કરે તોઈબાના આતંકવાદીઓનો હુમલો
(3) 29 ઓક્ટોબર, 2005-દિવાળીના બે દિવસ પહેલા રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 70ના મોત
(4) 28 ડિસેમ્બર, 2005- બેંગલુરુમાં આઈઆઈએસસીમાં ફાયરિંગ, એક વૈજ્ઞાનિકનું મોત
(5) 7 માર્ચ, 2006- વારણસીમાં બે બોમ્બ વિસ્ફોટોમાં 21ના મોત
(6) 11 જુલાઈ, 2006-મુંબઈ લોકલ ટ્રેનોમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 200ના મોત
(7) 8 સપ્ટેમ્બર, 2006-માલેગાંવ વિસ્ફોટોમાં 37ના મોત
(8) 18 મે, 2007- હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટો, 13ના મોત
(9) 25 ઓગસ્ટ, 2007- હૈદરાબાદના લુમ્બિનિ પાર્ક અને ગોકુલચાટમાં વિસ્ફોટો, 42ના મોત
(10) 13 મે, 2008- જયપુરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 63ના મોત
(11) 25જુલાઈ, 2008-બેંગલુરુમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 2ના મોત
(12) 26 જુલાઈ, 2008- અમદાવાદમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 52ના મોત
(13) 13 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 21ના મોત
(14) 27 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં વિસ્ફોટો, 1નું મોત
(15) 26 નવેમ્બરથી 28 નવેમ્બર, 2008- મુંબઈ પર સમુદ્રમાર્ગે પાકિસ્તાની આતંકવાદીઓનો હુમલો, 173ના મોત


આટલી બધી ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓ વચ્ચે હોનહાર ગણાતા યુપીએ સરકારના તત્કાલિન કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટિલ બીંબાઢાળ નિવેદનો આપતાં રહ્યાં અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાને પણ મુંબઈ હુમલા સુધી ટાળતાં રહ્યાં હતા. અમદાવાદ વિસ્ફોટો બાદ ગુજરાત સરકાર દ્વારા ઝડપાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઓપરેશન બેડમેન હેઠળ દિલ્હી અને મુંબઈ ટાર્ગેટ પર હોવાની માહિતી ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહને આપી હતી. તેમ છતાં યુપીએ સરકાર દિલ્હી અને મુંબઈમાં ઉંઘતી ઝડપાઈ હતી. તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ દિલ્હી વિસ્ફોટો સમયે પોતાના કિંમતી વસ્ત્રો બદલીને વિસ્ફોટોના સ્થળોએ આંટાફેરા મારતા નજરે પડયા હતા.

દિલ્હી વિસ્ફોટો બાદ રાજધાનીમાં આવેલા બટલા હાઉસ એન્કાઉન્ટરમાં છુપાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા દિલ્હી ક્રાઈમબ્રાંચે એન્કાઉન્ટર હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બહાદૂરીપૂર્વક શહાદત વહોરનારા દિલ્હી ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માના બલિદાન પર પણ યુપીએના ઘટકદળ સમાજવાદી પાર્ટીએ કિચડ ઉછાળ્યું છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહ વોટબેંકનું રાજકાણ રમવાનું ભૂલ્યા ન હતા. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરની સત્યાર્થતા પર પ્રશ્નો ઉભા કરીને તેની તપાસની માગણી પણ કરી હતી! અમરસિંહે એક તરફ શહીદ મોહનચંદ શર્માને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી તો, બીજી તરફ તેમની શહાદતને કલંકિત કરનારા નિવેદનો પણ કર્યા હતા.

દેશભરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી) પરથી પ્રતિબંધ હટાવી લેવાના ઉબાડિયા પણ થયા હતા. જો કે અલ્હાબાદ હાઈકોર્ટના સીમી પર પ્રતિબંધ હટાવવાના ચુકાદા સામે કેન્દ્ર સરકારે ભારે રાજકીય દબાણને કારણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના કારણે પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. જો કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે મુલાયમસિંહે સીમીને દેશભક્ત સંગઠન પણ ગણાવ્યું હતું, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન પણ મતોનું રાજકારણ રમવા માટે મેદાને પડયા હતા. લાલુ, મુલાયમ અને રામવિલાસની તિકડીએ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને હાસ્યાસ્પદ તર્કો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કટ્ટરપંથી સંગઠનમાંથી આતંકવાદી પ્રવૃતિ તરફ વળેલા સીમીને ઈન્ડિયન મુજાહિદ્દીનનું નામ અપાયુ હોવાની સંભાવના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા આતંકવાદીઓ જામિયા-મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ હોવાને કારણે દિલ્હીની આ નામાંકિત યુનિવર્સિટીના ઉપકુલપતિએ તેમને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. આતંકવાદીઓને અપાનારી આ મદદ સામે રાજકીય ઉહાપોહ થયો હોવા છતાં, તત્કાલીન કેન્દ્રીય માનવ સંશાધાન વિકાસ પ્રધાન અર્જૂન સિંહે કાયદાકીય મદદ આપવાની પેશકશનું સમર્થન કરીને રાજકીય નૈતિકબળના અસ્તાચળની પ્રતિતિ કરાવી હતી.
ઈસ્લામિક આતંકવાદ સામે કામ પાર પાડવા કરતાં યુપીએ સરકાર હંમેશા રાજરમતની ચોપાટ પર સેક્યુલારિઝમના સોંગઠાં રમતી નજરે પડી છે. તેમાંય 29 સપ્ટેમ્બર,2008ના રોજ મોડાસા અને માલેગાંવ વિસ્ફોટો બાદ દોષનો ટોપલો હિંદુવાદી સંગઠનો પર નાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આમ કરીને યુપીએ સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન આદર્યો છે. બની શકે કે કેટલીક વ્યક્તિઓ આવી પ્રવૃતિમાં સામેલ હોય. જો કે આ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સત્ય બહાર આવવાનું બાકી છે. તેથી તે સંદર્ભે અન્ય કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નથી. પણ હિંદુ આતંકવાદ જેવી ભયાનક હિંદુદ્રોહી અવધારણાને ઈજાત કરીને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે (અ)બૈધ્ધિક આતંકવાદ આદર્યો છે. તેમણે આ ગાણું તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણમાં પણ ચાલુ રાખ્યું હતું. ત્યારે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકતાંત્રિક અને અહિંસક માર્ગે પોતાની વાત આગળ વધારનારા હિંદુ સમાજ અને તેનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને આતંકવાદી કહીને યુપીએ સરકારના જવાબદારો કોને મદદ કરી રહ્યાં છે? આતંકવાદ જેવી ભયાનક માનવવિરોધી અવધારણાને હિંદુ ધર્મ સાથે જોડવાની હિમાકત કરનારા દિગ્ગજો હિંદુદ્રોહી બનીને કોઈ દિગ્વિજય કરી શકશે ખરાં?

આ માલેગાંવ વિસ્ફોટ અને સમજૌતા એક્સપ્રેસકાંડ સંદર્ભે કેટલાંક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ સાથે સેવારત સૈન્ય અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ પકડવામાં આવ્યા છે. સમજૌતા એક્સપ્રેસ સંદર્ભેથયેલા નિવેદનોને કારણે પાકિસ્તાનને ભારતીય સેના અને ભારતની શાખ પર હુમલો કરવાનો એક મોકો મળ્યો છે. સાથે મુંબઈ હુમલાની ઘટના બાદ પાકિસ્તાને ભારતને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કાંડ સંદર્ભે ગોથે ચડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો કે યુપીએ સરકારની અક્કલ ઠેકાણે આવતા તેમણે આ સંદર્ભે કરાયેલા નિવેદનો પાછા ખેંચ્યા છે. યુપીએ સરકારની નીતિઓના કારણે જ ભારતીય સેના દુનિયાભરમાં બદનામ થઈ છે. તેના માટે યુપીએ સરકારની આતંકવાદ સામેની લચ્ચડ નીતિ અને સ્થાનિક રાજકારણની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભેળસેળ કરવાની બાબત કારણભૂત છે.

સૌથી મોટું આશ્ચર્ય 26/11ના મુંબઈ હુમલાનું છે. કરાંચીથી સમુદ્ર માર્ગે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. તેમણે 59 કલાક સુધી મુંબઈને બાનમાં લઈને કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં 173લોકોના મોત નીપજ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે 9 માસ પહેલા ભારતીય ગુપ્તચર તંત્રે સમુદ્ર માર્ગે ભારત પર હુમલાની સંભાવના દર્શાવી હતી. તેમ છતાં યુપીએ સરકારે દરિયાઈ સરહદની સુરક્ષાની ઉપેક્ષા કરીને બેજવાબદાર વર્તન કર્યું છે.

મુંબઈ હુમલાની ઘટના બાદ પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક પગલાં લીધાં નથી. પાકિસ્તાન સામેની કાર્યવાહી અને આતંકવાદને નાથવામાં અમેરિકા પર આધાર રાખીને ભારતની ધાક ખતમ કરવાનું કામ યુપીએ સરકારે કર્યું છે. પાકિસ્તાન સરકારને આતંકવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સામેલગીરીનું ડોઝિયર આપ્યું છે. તેમા દર્શાવેલા પૂરાવાઓ સત્ય છે. પણ પોટાના કાયદાને નાબૂદ કર્યા બાદ તે ડોઝિયરમાં દર્શાવેલા પૂરાવાઓને ભારતીય કોર્ટ માન્ય રાખે તેવી કોઈ જોગવાઈ બચી નથી. આ સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ટિપ્પણીઓ પણ કરી છે. તેમ છતાં યુપીએ સરકારે આત્મવિશ્ર્લેષણ કરવાના સ્થાને નરેન્દ્ર મોદી પર અનર્ગલ ટિપ્પણીઓ કરી છે. મુત્સદ્દીપણાંમાં પણ યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાને ડોઝિયરના જવાબમાં એટલું કબૂલ કર્યું છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ હતા અને આ હુમલાનું ષડ્યંત્ર અન્ય દેશો તેમ જ પાકિસ્તાનમાં પણ ઘડાયું છે. પાકિસ્તાને ભારતને 30 પ્રશ્નોની જાળમાં ભેરવીને લોકસભાની ચૂંટણી જાહેર થાય, ત્યાં સુધી સમય પસાર કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં નુકસાન ન થાય તે હેતુથી યુપીએ સરકારે મુંબઈ હુમલા બાદ કેટલાંક પગલાં જરૂર લીધા છે. યુપીએ સરકારે કેન્દ્રીય ગૃહપ્રધાન શિવારાજ પાટિલને દૂર કરીને તેમના સ્થાને પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર.આર.પાટિલને દૂર પણ કરાયા હતા. સંસદમાં અનલોફુલ એક્ટિવિટી એક્ટ નામના કાયદાને મંજૂર કરાયો છે. જો કે ધણાં નિષ્ણાંતોના મતે આ કાયદો પોટાના કાયદાને ઘણો મળતો આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે યુપીએના વોટ ભૂખ્યા નેતાઓને પોટા સામે શુ વાંધો હતો?જો કે યુપીએ સરકારના આ નવા કાયદામાં આતંકવાદીઓને ફાંસીના માંચડે ચઢાવવાની જોગાવાઈઓ નથી જ ! વળી અનલોફુલ એક્ટિવિટી એક્ટની સંસદીય ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી પ્રધાન એ.આર. અંતુલેએ પણ વિચિત્ર વિધાનો કરીને એટીએસ ચીફ હેમંત કરકરેની શહીદીની તપાસ કરવાની માગણી કરી હતી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુવાદી સંગઠનો અને હિંદુ આતંકવાદના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ તો અજમલ આમિર કસાબ નામનો આતંકવાદી ઝડપાયો છે, તો સારું છે. બાકી તો એ.આર.અંતુલેના નિવેદનના પગલે પાકિસ્તાન મુંબઈ હુમલાની જવાબદારીમાંથી છટકી પણ જાત! જો કે અંતુલેના નિવેદન બાદ પાકિસ્તાને મુંબઈ હુમલાની ઘટનામાંથી હાથ ખેંચવાનો પ્રયત્ન કરી જોયો હતો. પણ તેમાં તે સફળ થયું નથી.

ભારતીય લશ્કર આતંકવાદીઓને જવાબ આપવા સક્ષમ હોવા છતાં યુપીએ સરકાર અમેરિકા પર આધાર રાખીને ભારતીય સેનાના મનોબળને તોડવાનું કામ કરી રહી છે. અમેરિકા જ્યારે આતંકવાદ સામેના યુધ્ધમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં ફસાયું છે. ત્યારે યુપીએ સરકારે બુશ વહીવટી તંત્રની વિદાય પહેલાં અમેરિકા સાથે અસૈનિક પરમાણુ સંઘિ કરી છે, જેના કારણે ભારત પ્રત્યક્ષ કે પરોક્ષ પણે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી બની ગયું છે. અમેરિકાએ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ કરાર કર્યા હોવાની વાતમાં કોઈ દમ નથી. અમેરિકાએ પોતાના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે પરમાણુ કરાર કર્યો હોવાની સંભાવના વધારે છે. આતંકવાદની જડ પાકિસ્તાન હોવાનું માનવા તરફ અમેરિકા દોરવાઈ રહ્યું છે, ત્યારે આતંકવાદના યુધ્ધમાંથી પાકિસ્તાન ખસી જાય કે પાકિસ્તાન સામે આતંકવાદ વિરુધ્ધ યુધ્ધ જાહેર કરવાનું થાય , તેવી પરિસ્થિતિમાં ભારત એક સબળ વ્યૂહાત્મક સાથી બની શકે, એવી અમેરિકાની ગણતરી હોઈ શકે છે. એટલે કે અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધી છે.

ત્યારે આતંકવાદ સાથે કોમવાદ અને રાષ્ટ્રીય રાજકારણને ભેળવીને યુપીએ સરકાર ભારતીય હિતોની ઘોર ખોદી રહી છે. ભારતમાં આતંકવાદ માટે યુપીએ સરકારના કેટલાંક જવાબદાર નેતાઓ, બેજવાબદાર નિવેદનો આપીને રામજન્મભૂમિ આંદોલનને બદનામ કરી રહ્યાં છે. યુપીએ સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓના પરિણામે ભારત સોફ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેટલાંક નિષ્ણાંતોના મતે ભારત એબસન્ટ સ્ટેટ છે. યુપીએની આતંકવાદ સામેની અસ્પષ્ટ, સંદિગ્ધ અને ટૂંકા સ્વહિત સિધ્ધ્ કરવાની નીતિઓએ દેશને ઘણું નુકસાન પહોંચાડયું છે.

ત્યારે યુપીએ સરકારની કોઈપણ અનુગામી સરકારે આતંકવાદ સામેની લડાઈમાં પ્રોએકટીવ પોલિસી બનાવવી પડશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની રાષ્ટ્રીય નીતિ ભારતની એક જરૂરત છે. દેશની પાંચમી કતારિયા અને વિદેશી તાકાતોને આતંકવાદનું સામ્રાજ્ય જમાવતા અને વિસ્તારતા અટકાવવા માટે રાષ્ટ્રહિતમાં તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ અને રાજકીય હિતોને બાજુમાં મૂકે, તે આવશ્યક છે. હવે મોત અને આતંકના સોદાગરોને જમીનમાં દાટવાનો સમય પાકી ગયો છે. દેશના લોકોની પણ ઈચ્છા છે કે આતંકવાદના શેતાનને નેસ્તનાબૂદ કરવામાં આવે..

(લેખ પ્રકાશન- યુપીએ સરકાર અને લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ, સંપાદક-પુરુજીત સૈયદ, પ્રકાશન વર્ષ-એપ્રિલ,2009)

શુક્રવાર, 27 મે, 2011

ભારતમાં વિકાસ હશે, પણ શાંતિ-સુરક્ષા ક્યાં?


જેને વિકાસની દોડ ગણવામાં આવે છે, તે હકીકતમાં વિનાશની દોડ સાબિત થઈ રહી છે. વિશ્વ આખામાં વિકાસની વાત થઈ રહી છે. પણ જેને અત્યારે વિકાસ ગણવામાં આવી રહ્યો છે. તે હકીકતમાં એ વિકાસ છે કે જેને વિકાસ ગણવામાં આવે છે, તે વિકાસના માપદંડો પર પુનર્વિચારની આવશ્યકતા છે કે કેમ તે વિચારવાનો સમય આવી ગયો છે? વર્ષો પહેલા રશિયાના થયેલી પરમાણુ દુર્ઘટના, ભારતમાં ભોપાલનો ગેસ કાંડ અને હાલમાં મેક્સિકોની ખાડીમાં થઈ રહેલો ક્રૂડ ઓઈલનો રિસાવ તેના ઉદાહરણો છે. આગની સાથે રમવા માટે આગની જેટલી નજીક જવામાં આવશે તેટલું આગ દઝાડશે.

હાલના વિકાસના માપદંડોનો વિચાર કરીએ વિશ્વના તમામ દેશો ધન-દોલત પાછળ દોડી રહ્યાં છે. તેમની દોડ અમીર બનવાની છે. વૈશ્વિક સલાહકાર ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના 10મા વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે 2009થી 2014ના અંત સુધી સંપત્તિ બનાવવાના મામલામાં ભારત અને ચીનનો વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ ત્રણ ગણી રહેશે. 2009માં વૈશ્વિક સંપત્તિઓ ઉલ્લેખનીય 11.5 ટકાના વધારા સાથે 1,11,500 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આટલી બધી અધધ સંપત્તિ છતાં વિશ્વમાં ગરીબી, ભૂખમરી, આતંકવાદ, અશાંતિ જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે આમ કેમ થઈ રહ્યું છે? તેના કારણો ઘણાં છે. પરંતુ સૌથી મોટું કારણ છે કે આ સંપત્તિનો મોટો ભાગ અમેરીકા સહીતના વિકસિત દેશો પાસે છે. આ વિકસિત દેશો પોતાના દેશના પર્યાવરણનું સારી રીતે ધ્યાન રાખે છે. પોતાના દેશનું પર્યાવરણ કોઈપણ રીતે બાધિત ન બને તેના માટે ગ્લોબલ વોર્મિંગ જેવા સંમેલનોમાં ભારત અને ચીન જેવા દેશો પર કાર્બન એમિશન મુદ્દે દબાણ પણ લાવે છે. પોતાના દેશમાં પ્રતિબંધિત હોય તેવા ઉત્પાદનો તેઓ અન્ય વિકાસશીલ કે અવિકસિત દેશોમાં કંપની નાખીને કરે છે.

વિશ્વમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ પ્રમાણે, 149 દેશોમાં ભારતનો ક્રમ 128મો આવે છે. ગત વર્ષે તેનો ક્રમ 122મા ક્રમે હતું અને 2007માં ભારત શાંતિની બાબતમાં 109મા ક્રમે હતું. આમ ભારત આતંકવાદ, નક્સલવાદ અને અન્ય જીવન સામેના જોખમોને કારણે શાંતિથી અશાંતિ તરફ ગતિ કરી રહ્યું હોવાની વાત આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિકસ અને પીસ (આઇઇપી) દ્વારા વિશ્વના ૧૪૯ દેશોમાં આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, ત્રાસવાદ અને માનવ અધિકારોનો ભંગ આઇઇપી દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના મુખ્ય પરબિળો હોવાનું જણાવવામાં આવ્યું છે. જીપીઆઇના ચોથા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સતત બીજા વર્ષે વિશ્વમાં શાંતિ ઘટી ગઇ છે. આપણા પડોશી દેશ પાકિસ્તાન શાંતિની બાબતમાં સૌથી અશાંત રહ્યો છે. તેનો ક્રમ 145મો છે.

ત્યારે સવાલ એ છે કે 8થી 9 ટકાના વૃદ્ધિદરથી વિકાસ કરી રહેલા ભારતમાં વિકાસ એટલે કે દેશની સંપત્તિ વધી રહી છે. પરંતુ અશાંતિ વધી રહી છે. ત્યારે દેશમાં આવા વિકાસની બાબતમાં વિચારવું ન જોઈએ કે જેમાં દેશના નાગરીકોને શાંતિ ન મળતી હોય, તેમના જીવનની કોઈ સુરક્ષા ન થઈ હોય ભોપાલ ગેસ કાંડ જેવી ઘટનાઓના ચુકાદા પણ આવી સ્થિતિમાં પીડિતોને દાઝયા પર ડામ દેવાનું કામ કરી રહ્યો છે. ઔદ્યોગિકરણની શરૂઆતના વર્ષોમાં જ ભારતમાં અમેરીકી કંપની યૂનિયન કાર્બાઈડ આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટનાના લગભગ પાંચ-સાત વર્ષ બાદ રાજકીય કટોકટી અને આર્થિક કટોકટી જોઈ હતી. આર્થિક કટોકટી સામે ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી હતી.

નરસિંહરાવના શાસનકાળ દરમિયાન તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહની ગ્રાન્ડ ડિઝાઈન હેઠળ જ ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ભારતમાં અમેરીકા સહીતના દેશોનું વિદેશી રોકાણ વધવા લાગ્યું હતું. ભારતમાં ઔદ્યોગિકરણે પણ વેગ પકડયો હતો. પાણીથી પરમાણુ સુધીના તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરવાની શરૂ કરી દીધી છે. તેવામાં ભોપાલ ગેસ દુર્ઘટનાને કોલ્ડ બોક્સમાં નાખી દેવાય હોય તેવી સંભાવના વધારે છે. કારણ કે જે પ્રકારે ચુકાદાને આવતા 25 વર્ષ લાગ્યા અને જે પ્રકારે અત્યારે એન્ડરસનને ભગાડવામાં અમેરીકી દબાણ અને એન્ડરસનના પ્રત્યાર્પણ મામલે સીબીઆઈની ઢીલી નીતિઓની વાત સામે આવે છે, તે તમામ બાબતો કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

જો ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ સ્વીકાર્યું તેના થોડા સમયમાં જ ભોપાલ ગેસ દુર્ઘટના સંદર્ભે ભારત સરકારે કોઈ કડક વલણ અપનાવ્યું હોત તો જે આઠથી નવ ટકાના વિકાસદરની ગણતરી સરકાર કરી રહી છે. તે થવી કેટલી સંભવ હતી તે તો આકલનનો જ વિષય છે! ત્યારે વિકાસની પરિભાષા અને વિકાસ તરફના દ્રષ્ટિકોણને પણ પુનર્વિચાર કરવાની જરૂર ઉભી થઈ છે. આ સંદર્ભે વિચાર કરવાની અત્યારે આવશ્યકતા છે. કારણ કે ભારતે સમૃદ્ધિ તરફ, વિકાસ તરફ જરૂરથી આગળ વધવું પડશે. ત્યારે સવાલ એ છે કે દેશના નાગરીકોના જીવનના ભોગે તો ભારતને ધન-દોલતના રાહ પર લઈ જવા માટે એટલે કે વિકાસના રસ્તે લઈ જવા માટે દેશના કર્ણધારોએ કોઈ સમજૂતી પરિસ્થિતિ સાથે કે અન્ય દેશ સાથે તો નથી કરી લીધી ને? વળી તેવો હજી પણ આ નીતિને વળગી તો નથી રહ્યાં ને? તે તમામ બાબતોના ખુલાસા દેશની જનતા સામે થવા જરૂરી છે.

પણ તે પણ આપણે યાદ રાખવું પડશે કે માત્ર વૃદ્ધિદરના ગણિતમાં સમાયેલા વિકાસની કોખમાં વિનાશને પણ ગળે લાગાડીને ચાલી રહ્યાં છીએ. જ્યારે અમેરીકા સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પરમાણુ ઊર્જા મેળવવા માટે આપણે ડગ ભરતા હોઈએ ત્યારે ભારતમાં નાગરીકોના જીવનની સુરક્ષા માટે પણ સરકાર સતર્ક બને અને કોઈ જવાબદાર પગલા ભરે તે જરૂરી છે. નાગરીકોના જીવન સામે આતંકવાદ, નક્સલવાદ, બોમ્બ વિસ્ફોટો અને આવી દુર્ઘટનાઓનું જોખમ ઓછું થાય તેવા એક્શન પ્લાન સાથે સરકારે હવે સામે આવવાનો વખત આવી ગયો છે.

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી


દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.

વિવેકાનંદના વિચારોથી ભ્રષ્ટાચારના ભોરિંગને નાથો


ભારત આજે ભ્રષ્ટાચારના કાદવમાં ખૂપી ગયું છે. તાજેતરમાં ઘણાં ગોટાળાઓ સામે આવ્યા છે. આ ગોટાળા રાજકારણીઓ અને ઉદ્યોગોની મિલીભગતથી થયા છે. તેમાં 1.72 લાખ કરોડ રૂપિયાનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું મનાતું કોમનવેલ્થ ગેમ્સનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટીનો કડદો, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં જમીનના ગોટાળા, રેડ્ડી બંધુઓનું માઈનિંગ કૌભાંડ અને અન્ય સામે ન આવ્યા હોય તેવા ગોટાળા તો સામે આવે તો જ ખબર પડે. માનવામાં આવે છે કે ભારતના 70000 લાખ કરોડ રૂપિયા સ્વિઝ બેંકોમાં છે. આ કાળા નાણાંને ભારતમાં લાવવાનો મુદ્દો ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો હતો. આ મુદ્દો હજી પણ ચાલુ છે. પરંતુ આ તમામ ભ્રષ્ટાચારની સમસ્યામાંથી નીકળવાનો માર્ગ યુગપુરષ સ્વામી વિવેકાનંદના વિચારદર્શનમાં છે. જરૂર છે, માત્ર તેને જાણવાની અને જાણીને સમજવાની. યોગાનુયોગ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પણ છે. સ્વામી વિવેકાનંદના ઉત્કૃષ્ટ વિચારો ભ્રષ્ટાચારના ભોરિંગની ફેણ કચડવા માટે મદદરૂપ બની શકે તેમ છે.

મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે

રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્રસાધના એ આપણાં પ્રત્યેકના જીવનનું લક્ષ્ય બનવું આવશ્યક છે. જેનાથી રાષ્ટ્ર ઉન્નતિ તરફ આગળ વધશે. પણ કોઈપણ કાર્યની સાધના તેના સાધન પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ આદર્શથી એટલો વશીભૂત બની જાય છે કે તેની પ્રાપ્તિના સાધનોનો વિચાર તેની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ ત્યારે રાષ્ટ્ર સાધનામાં રત સાધકોને રસ્તો બતાવતા કહે છે કે ‘જ્યારે કોઈ અસફળતા મળે છે, ત્યારે તેમાની 99 ટકા ઘટનાઓમાં માત્ર એક જ નિષ્કર્ષ નીકળશે કે સાધનો તરફ ધ્યાન ન અપાયું તે અસફળતાનું કારણ છે. તેથી જો સાધન બિલકુલ યોગ્ય હશે, તો સાધ્ય પ્રાપ્ત થઈને રહે છે. કારણ જ પરિણામનું જનક હોય છે. પરિણામ કોઈ પોતાની મેળે નહીં નીકળે. એક વખત જો આદર્શોને લગભગ ભૂલી પણ જઈએ તો કોઈ હર્જ નથી, કારણ કે સાધનોની પૂર્ણતાની સાથે તેની સિદ્ધિ અપરિહાર્ય છે. આદર્શની પ્રાપ્તિ પરિણામ માત્ર છે. સાધન તેનું કારણ છે. તેથી સાધનોની ચિંતા જ રાષ્ટ્ર જીવનની સફળતાની કુંજી છે.’ આ સાધનોના સ્વરૂપે તેમણે ધર્મ અને આધ્યાત્મિક ચિંતનધારાને પ્રગટ કરી, જેનાથી જનસાધારણને સંગઠિત કરવામાં સહાયતા પ્રાપ્ત થઈ.

સ્વામી વિવેકાનંદે મનુષ્ય નિર્માણ માટે આહ્વાન કર્યું છે, જેનાથી સમાજમાં મત વિભિન્નતા, પોંગાપંથી, અજ્ઞાન, જાતિભેદ, ઈર્ષા હોવા છતાં સામાજીક પુનરોત્થાન થશે અને રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે. આ જ આધારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘દીર્ઘ રાત્રિ હવે સમાપ્ત થઈ હોય તેમ લાગે છે.’ સ્વામી વિવેકાનંદે ભારતીય સમાજને આહ્વાન કરતાં પોતાની ‘સંન્યાસીના ગીત’ કવિતામાં રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાનો ઉદઘોષ કરતાં કહ્યું છે કે-

‘તોડો સબ શ્રૃંખલા, ઉન્હેં નિજ જીવન બંધન જાન,
હો ઉજ્જવલ કાંચન કે અથવા ક્ષુદ્ર ધાતુ કે મ્લાન
પ્રેમ, ધૃણા, સદ-અસદ, સભી યે દ્વંદ્વો કે સંધાના
દાસ સદા હી દાસ, સમાદ્રત્ત વા તાડિત-પરતંત્ર
સ્વર્ણ નિગડ હોને સે ક્યાં વે સુદ્રઢ ન બંધન યંત્ર?
અત: ઉન્હેં સંન્યાસી તોડો, છિન્ન કરો, ગા યહ મંત્ર’


ભારતના અમૃતપુત્રોને સ્વામી વિવેકાનંદનો સંદેશ અને માર્ગદર્શન

સંસારનો ઈતિહાસ સાક્ષી છે કે પરિવર્તન દુરાગ્રહપૂર્ણ સુધારાઓથી આવી શકતું નથી. બુરાઈ વિરુદ્ધ સંઘર્ષ માટે સ્વામી વિવેકાનંદે દર્શાવેલો રસ્તો વધારે આત્મનિષ્ઠ લાગે છે. તેમણે ભારતના સમાજની બુરાઈઓ સામે લડવા માટે રસ્તો સૂચવતા જણાવ્યું છે કે ‘હે મારા ભારતવાસીઓ! હે અમૃત પુત્રો! તમારું આ રાષ્ટ્રીય વહાણ યુગોથી સભ્યતાઓને ધારણ કરી રહ્યું છે અને પોતાના અમૂલ્ય રત્નો સંપૂર્ણ વિશ્વના કોષમાં ભરતું રહ્યું છે. સેંકડો શાનદાર શતાબ્દિઓથી આપણું આ રાષ્ટ્રીય જળયાન જીવનસાગરની આરપાર ચક્કર લગાવી રહ્યું છે અને અગણિત આત્માઓને સાંસારિક દુ:ખોથી દૂર, પેલે પાર લઈ ગયું છે. પરંતુ આઝે ભલે તમારી પોતાની ભૂલોથી, ચાહે કોઈ અન્ય કારણથી ક્ષતિગ્રસ્ત થઈ ગયું, થશે અથવા તેમાં એકાદ છેદ થઈ ગયો અને તમે બધાં તેમાં બેઠાં છો, તો શું કરશો? શું તમે તેને કોસતા રહી અને આપસમાં ઝગડતા રહેશો? શું તમે બધાં એકતાના સૂત્રમાં ગુંથાઈને આ છિદ્રને બંધ કરવાનો પ્રયત્ન નહીં કરો? આઓ, આમ કરવા માટે આપણે આપણાં હ્રદય આપીએ, આપણાં રક્ત આપીએ અને જો આપણે આપણાં પ્રયત્નોમાં અસફળ રહીએ તો સાથે ડૂબી જઈએ.’

આપણા રાષ્ટ્રીય વહાણના છિદ્રને ભરવા માટે ‘હું આત્મા છું, મને તલવાર કાપી નહીં શકે, શસ્ત્ર છેદી નહીં શકે, અગ્નિ બાળી નહીં શકે, વાયુ શોષી નહીં શકે, હું સર્વશક્તિમાન છું, હું સર્વદર્શી છું’ વેદાંતના આ દર્શનથી પ્રત્યેકના જીવનમાં આધ્યાત્મિકતાથી પ્રેરણા જગાડી શકાશે. આ આત્મ વિશ્વાસથી ભારતના દરેક વ્યક્તિનું નિર્માણ કરવું તે જ રાષ્ટ્રસાધના છે. આ આત્મવિશ્વાસ જગાડવાની ક્રિયા જ હકીકતમાં રાષ્ટ્રોત્થાન છે. આ આત્મવિશ્વાસથી છલરકતો દરેકે દરેક ભારતીય શક્તિશાળી, સુદ્રઢ, ભ્રષ્ટાચાર અને અન્ય બદીથી મુક્ત રાષ્ટ્રનું પુનર્નિમાણ કરી શકશે. ભારતનું પુનરોત્થાન ભારતની વિખરાયેલી આધ્યાત્મિક શક્તિઓના એકીકરણથી જ શક્ય બનશે. સમાન આધ્યાત્મિક સ્વરના સ્પંદનો ધરાવતાં હ્રદયવાળા લોકોના સંગઠનથી ભારતએ ખરા અર્થમાં ભારત બની શકશે.

ભારતના યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે માનવસેવા એ જ પ્રભુસેવા હોવાનું જણાવ્યું છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું છે કે ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યો’. તેઓ ઈચ્છતા હતા કે ભારતનો યુવાન મંદિરોની જગ્યાએ ફૂટબોલના મેદાનમાં પરસેવો પાડી પોતાના યૌવનને ઝંકૃત કરે. તેઓ યુવાનોને ભારતના પુનરોત્થાન માટેનું કારણ માનતા હતા. તેમણે ભારતના યુવાનોમાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણનું સ્વપ્ન જોયું હતું. જો કે અફસોસ એ વાતનો છે કે વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરવામાં આવી રહી છે, છતાં હજીપણ રાષ્ટ્રની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

સ્વામી વિવેકાનંદે ધાર્મિક પરંપરાઓને એક એવી સંયુક્ત પરંપરા ગણાવી છે કે જેમાં શંકરનો નિર્ગુણ નિરપેક્ષતાવાદ, રામાનુજનો ભક્તિવાદ અને ભગવાન બુદ્ધનો માનવતાવાદ ઓતપ્રોત થઈ ગયા છે.

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ધર્મને વહેમ અને લાગણીવેડાથી મુક્ત કરીને શુદ્ધ કરવામાં આવે તથા તર્ક અને વિજ્ઞાનને તેમની આક્રમણકારી કઠોરતાથી મુક્ત કરવામાં આવે તો, જરૂર એક સૈમ્ય અને સંતોષકારક જીવનદ્રષ્ટિ ઉત્પન્ન કરી શકાય. તેમણે ભારતને ચેતવણી આપી છે કે ‘રીત-રીવાજ અને અંધશ્રદ્ધાવાળી રૂઢ પ્રાણાલિકાઓ પર ચણાયેલો ધર્મ એ ‘ધર્મનો વિક્રય કરતી દુકાન’ બની જાય છે, તેમાં ઈશ્વર એ સાધ્ય નહીં પણ સાધન બની રહે છે.’

તેમણે પશ્ચિમની સભ્યતા માટે ભવિષ્યવાણી કરી છે કે ‘જો આધ્યાત્મનો પાયો નહીં હોય, તો આખીય પશ્ચિમી સભ્યતા ધરાશાહી થઈ જશે. માનવજાત પર તલવારના જોરે શાસન કરવું તદ્દન નિરર્થક છે.’

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ હંમેશા યુવાનોને પ્રેરણા આપતો રહ્યો છે. તેમના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યોનો જયઘોષ યુવાનોને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. વિવેકાનંદનો ઉપદેશ વ્યવહારીક, માનવકેન્દ્રી અને સક્રિય પુરુષાર્થ સભર છે. ગીતામાં નિર્દિષ્ટ ‘નિષ્કામ કર્મ’ ઉપર તેઓ હંમેશા ભાર મૂકતા હતા. હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો વિશ્વભરમાં ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના વિચારો ભારતના યુવાનોને તેમનામાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રને પરમ વૈભવે પહોંચાડવાના કાર્યમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપશે.

તમારો અભિપ્રાય

સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થાય છે. ભારતની હાલની ભ્રષ્ટાચાર સહીતની અન્ય સમસ્યાઓનું મૂળ મનુષ્ય નિર્માણ કરવા માટેના મૂલ્યોનો હ્રાસ તો નથી ને? વિચાર માંગી લે તેઓ વિષય છે. કારણ કે મૂલ્યો, નૈતિકતા, સદાચાર, વિશ્વાસ, આત્મસમ્માન, માનવતા વગરે દ્વારા જ તો મનુષ્યનું નિર્માણ થાય છે. પરંતુ ભારતની હાલની વ્યવસ્થા આ પ્રકારે મૂલ્યો અને નૈતિકતા સહીતના મનુષ્ય નિર્માણમાં નિષ્ફળ જવાને કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, દ્વેષ, હિંસાચાર, આતંકવાદ જેવી સમસ્યાનું કારણ બની રહી છે. ત્યારે સમય છે કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી કોઈ માર્ગદર્શન મેળવવામાં આવે. વાચક મિત્રો નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં આપના વિચારો, અભિપ્રાયો અને મંતવ્યો લખીને સબમિટ કરો. દુનિયાભરના વાચકો સાથે સંવાદનો પ્રારંભ કરો......

RSS કટ્ટર 'રાષ્ટ્રવાદ' ફેલાવે તો તેમા ખોટું શું છે?


દેશમાં કોંગ્રેસની એકહથ્થુ સત્તાને આઝાદી બાદ કોઈ વિચારધારાએ ટક્કર આપી છે, તો તે છે હિંદુત્વની વિચારધારા. દેશમાં આઝાદી બાદ હિંદુ મહાસભાના પ્રભાવહીન થયા બાદ ભારતની રાજકીય ક્ષિતિજ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થકી ભારતીય જનસંઘનો ઉદય થયો અને ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની. ભારતીય જનતા પાર્ટીએ 1989થી 2010 સુધીના સમયગાળામાં કોંગ્રેસને નાકે દમ લાવી દીધો છે. તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને મગજ જ કામ કરી ગયું છે. સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસના વિરોધીઓની યાદીમાં હોય જ. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસના વિરોધીઓના લિસ્ટમાં સૌથી ઉપર હોય.

રાહુલ ગાંધીએ વૈચારીક કટ્ટરતામાં મુસ્લિમ વિદ્યાર્થીઓના કટ્ટરવાદી પ્રતિબંધિત સંગઠન સ્ટૂડન્ટસ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સીમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કોઈ ફેર ન હોવાનું જણાવ્યું છે. જો કે તેમાં કેટલું તથ્યા છે, તે તારવવું હજી બાકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની જમણેરી વિચારધારાનો એક સ્તંભ અવશ્ય છે. દરેક દેશમાં જમણેરી, મધ્યમાર્ગી અને ડાબેરી વિચારધારાઓ રહેતી હોય છે. તેવી રીતે ભારતમાં પણ જમણેરી વિચારધારાના લોકોને પણ પોતાની વિચારધારાને આગળ વધારવા પ્રસારીત કરવાના અને તેના માટે લોકતાંત્રિક અહિંસક સત્યાગ્રહી આંદોલનો ચલાવવાનો અધિકાર છે.

ત્યારે તેની સામે કોઈ વૈચારીક રીતે આંદોલન ચલાવવાનો મધ્યમમાર્ગી કોંગ્રેસને પણ અધિકાર છે. પરંતુ કોંગ્રેસ આવું વૈચારીક આંદોલન ચલાવ્યા વગર જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપોનો મારો ચલાવે છે. જો કે એમાં પણ તથ્ય હોવાની સંભાવના છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા ‘કેટલાંક’ લોકો ઉગ્રપંથી કૃત્યોમાં સામેલ હોઈ શકે છે. પરંતુ તે હજી તપાસ થવાની બાકી છે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા જ ‘જજમેન્ટ’ પાસ કરી દેવાય તે કેટલું યોગ્ય છે?

આ એ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે કે જેને ચીન સામેના યુદ્ધમાં સેનાનો સહકાર આપવા બદલ સેક્યુલર ગણાતાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નવી દિલ્હીમાં પરેડમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. ગાંધી હત્યામાં સામેલ હોવાનો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર લાગ્યો હતો. જો કે પાછળથી આ આરોપોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિર્દોષ જાહેર કરવામાં આવ્યું હતું. તે વખતે પણ ભારતના તત્કાલિન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસને દેશભક્ત સંગઠન જ કહ્યું હતું. ભારતને કટ્ટરવાદી કે આતંકવાદી સંગઠન ભારતના દેશભક્ત રાજકારણીઓએ તેના વિરોધી હોવા છતાં પણ કહ્યું નથી. ત્યારે રાહુલ ગાંધીની અયોધ્યાનો ચુકાદો આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરની ટિપ્પણી હિંદુત્વ વિચારધારાના ધ્વજારોહકો વિરુદ્ધ કોંગ્રેસ તરફથી આક્રમક રણનીતિના સંકેતો દર્શાવે છે.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહને ડાહપણની દાઢ ઉગી નીકળી છે. તેમણે કહ્યું છે કે સંઘ પર પ્રતિબંધ મૂકવો સમસ્યાનું સમાધાન નથી. તેમની આ વાત સાથે સંમત થવું પડે તેમ છે. કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગાંધી હત્યા વખતે, કટોકટી વખતે અને બાબરી ધ્વંસ પછી એમ કુલ ત્રણ વખત પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન આરએસએસનો જનાધાર આશ્ચર્યજનક રીતે વધ્યો હતો. અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ઘટાડો થયો હોવાનું તેમના વાર્ષિક પ્રતિવેદનમાં સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે આરએસએસ વિરુદ્ધની કોઈપણ પ્રતિબંધાત્મક કાર્યવાહી તેનો જનાધાર વધારવાની તક પૂરી પડશે. આરએસએસ દરેક પ્રતિબંધ બાદ વધારે મજબૂત બનીને બહાર આવ્યું છે.

જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના ગાંધી-નહેરુ પરિવારને વત્તા-ઓછાં અંશે છત્રીસનો આંકડો રહેલો છે. પરંતુ એક હકીકત એ પણ છે કે ભારતની રાજનીતિમાં બે ધ્રુવો ઉભા કરવાનું પણ આરએસએસના પ્રયત્નોથી જ શક્ય બન્યું છે. ત્યારે લોકતંત્રમાં વિરોધી વિચારધારાને વૈચારીક, લોકતાંત્રિક રીતે જવાબ આપવાની પરિપક્વતા દાખવવાની આવશ્યકતા છે. દિગ્વિજય સિંહે અયોધ્યા ચુકાદા પહેલા કહ્યું હતું કે વીએચપી અને સંઘ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેમણે ભાજપ, વીએચપી અને સંઘના કોઈપણ વાયદામાં વિશ્વાસ ન કરી શકાય તેમ કહ્યું હતું. જો કે અયોધ્યા ચુકાદા બાદ આ બધાં જ સંગઠનોએ શાંતિ જાળવવામાં સરકારને સહકાર આપ્યો છે. આ હકીકતથી હવે ઈન્કાર થઈ શકે તેમ નથી.

તેની સામે સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા ભારતમાં ઈસ્લામના ફેલાવાના નામે પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત આતંકવાદી સંગઠનો સાથે મળીને દેશમાં અજારકતા ફેલાવે છે. જેના કારણે તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અત્યાર સુધીનો ઘોષિત પક્ષ તો લોકતાંત્રિક, બંધારણીય અને અહિંસાના માર્ગે પોતાના વિચારને આગળ વધારવાનો રહ્યો છે. હવે લોકોને જ નક્કી કરવા દેવું જોઈએ કે તેમને શું જોઈએ છે? તેમને ક્યાં માર્ગે આગળ વધવું જોઈએ?

આરએસએસના દ્વિતિય સરસંઘચાલક એમ. એસ ગોલવલકરે કહ્યું છે કે જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)

તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124)

કટ્ટર રાષ્ટ્રવાદી હોવું શું ગુનો છે? રાષ્ટ્રવાદની કટ્ટરતા કોમવાદી કટ્ટરતા કરતાં તો સારી ગણાય કે નહીં? ભારતના ઘણાં દુ:ખોનું કારણ રાષ્ટ્રવાદની કટ્ટરતાની અછત રહી છે. જો આવી કટ્ટરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફેલાવતું હોય તો તેમા ખોટું શું છે?

રાષ્ટ્રવાદની કટ્ટરતા દેશના સ્વાભિમાન માટે જરૂરી છે. રાષ્ટ્રવાદની કટ્ટરતા ફેલાવવું કોઈ ગુનો બનતું નથી. ગુનો બને છે કે જ્યારે રાષ્ટ્રવાદની જગ્યાએ કોમવાદી કટ્ટરતા ફેલાવવામાં આવે છે. જો કોઈ કોમવાદી કટ્ટરતા ફેલવાતું હોય તો તેને રાષ્ટ્રદ્રોહનો ગુનો ગણવો જોઈએ. પરંતુ રાષ્ટ્રવાદીઓને કોમવાદી કટ્ટરતાવાદીઓ સાથે બેસાડવું કેટલું યોગ્ય છે?

વાચકમિત્રો તમે શું માનો છો કે સંઘ રાષ્ટ્રીય વિચારધારા ધરાવે છે કે કોમવાદી? આપના આ લેખ સંદર્ભે શું અભિપ્રાયો છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છે. આપના અભિપ્રાયોનું સ્વાગત છે.....

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું!


11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ, જુદાંજુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટાં હોય, તો પણ અંતે તો એ બધાં તારા પ્રત્યે જ લઈ જાય છે.’ આ સંન્યાસી અન્ય કોઈ ન હતા પરંતુ દેશ-દુનિયાના સેંકડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદનું પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ

ભગવા વસ્ત્રોમાં સજ્જ કેસરી પાઘડીવાળા સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર આજે પણ દેશ અને દુનિયાના સેંકડો યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે. તેમની આંખોના ભાવ આજે પણ ભારતના યુવાનોમાં નચિકેતાને શોધી રહ્યાં છે, કે જે ભારતને પરમ વૈભવે પહોંચાડી શકે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ અને ધૈર્ય નીતરે છે.

જ્યારે તેઓ 1892માં અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં અસરકારક ભાષણ દ્વારા ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે સમજાવીને પોતાના સ્થાન પર બેઠાં ત્યારે ત્યાં આવેલા તમામ ધર્માચાર્યો તેમની પ્રભાવી વાણીમાં હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન અંગે સાંભળીને શું બોલવું? તે નક્કી કરી શક્યા ન હતા!

સ્વામી વિવેકાનંદની ઉંચી ખડતલ દેહયષ્ટિ, વેધક અને તેજસ્વી વિશાળ આંખો, ઘેરો અને સમૃદ્ધ એવો સ્વર તેમના પ્રતિભાશાળી તથા પ્રભાવશાળી વ્યક્તિત્વને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતા. તેઓએ ખરેખર 11 સપ્ટેમ્બર, 1892ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત માટે ‘દિગ્વિજય’ કર્યો હતો. તેઓ ધાર્મિક હોવા છતાં સમર્પણ તેમના માટે સ્વભાવગત ન હતું! તેમનું મન એક વિજેતાનું મન હતું. શું તફાવત હતો સ્વામી વિવેકાનંદના વિચારોમાં અને અન્ય ધર્માચાર્યોના વિચારમાં? સ્વામી વિવેકાનંદે કોઈ જ વિદ્વતાપૂર્ણ નિંબધ વાંચ્યો ન હતો. તેમજ કોઈના ભલામણ પત્ર પણ સાથે લાવ્યા ન હતા. સૌને સવાલ થયો હતો કે ભારતથી આવેલા એક અજાણ સંન્યાસીએ કેવી રીતે આટલો ઉંડો પ્રભાવ પાડયો?

તેનો જવાબ સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના શિકાગો ખાતે થયેલા ઉદબોધનમાંથી મળી જાય છે. આ પરિષદમાં અન્ય ધર્માચાર્યો પોતાના ધર્મના ઈશ્વર અંગે બોલ્યા હતા, જ્યારે સ્વામી વિવેકાનંદ સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા!જો કે આ વાત હજી સુધી સમજી ન શકનારા આપણે હજી પણ આપણાં ઈશ્વર માટેની લડાઈઓ ચાલુ રાખી છે.

ઓસામાના 9/11ને કદાચ સ્વામી વિવેકાનંદે પારખી લીધું હતું!


સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાનઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે.’ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતાં સર્વ ત્રાસનો મૃત્યુ ઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

વિશ્વમાં આતંકવાદની સૌથી મોટી ઘટના 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે થઈ હતી. તેના વિલન અલકાયદા અને તેનો સરગના ઓસામા-બિન-લાદેન હતા. આ ઘટનાને આતંકના ઈતિહાસમાં 9/11ની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના અજાણ્યા સંન્યાસી ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી મળેલા વિજયને કે ઓસામાના જેવા આતંકી કુકૃત્યોને પરિણામે ફરક્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફરકાવી હતી.

આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. 1893ના શિકાગોમાં થયેલા 9/11ના હીરો સ્વામી વિવેકાનંદ હતા.

વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી સ્વામી વિવેકાનંદની વાતોને જો માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ 9/11ની ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા સાધી શકાય હોત તો કદાચ જેહાદી આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા ઓસામ બિન લાદેનો પેદા થઈ શક્યા ન હોત. સારા વિશ્વ ધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ નિર્મૂળ કરી શકાશે. કદાચ ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની વિચારધારા અને માનસિકતાને વિશ્વમાંથી રૂખસદ આપી શકાશે.

તમારો અભિપ્રાય


વાચકમિત્રો સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ભાષણ સંદર્ભે અને તેમણે આપેલા દ્રષ્ટિકોણ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? તમને લાગે છે કે ભારતે સ્વામી વિવેકાનંદના વૈચારીક માર્ગદર્શન હેઠળ પોતાનો પથ નક્કી કરવો જોઈએ? ભારતીય તત્વજ્ઞાનને ઘેરાયથી સમજવાની જરૂર છે? તમારો મત અમને નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં લખીને મોકલી જણાવશો.