Friday, May 27, 2011

ભારતમાં વિકાસ હશે, પણ શાંતિ-સુરક્ષા ક્યાં?


જેને વિકાસની દોડ ગણવામાં આવે છે, તે હકીકતમાં વિનાશની દોડ સાબિત થઈ રહી છે. વિશ્વ આખામાં વિકાસની વાત થઈ રહી છે. પણ જેને અત્યારે વિકાસ ગણવામાં આવી રહ્યો છે. તે હકીકતમાં એ વિકાસ છે કે જેને વિકાસ ગણવામાં આવે છે, તે વિકાસના માપદંડો પર પુનર્વિચારની આવશ્યકતા છે કે કેમ તે વિચારવાનો સમય આવી ગયો છે? વર્ષો પહેલા રશિયાના થયેલી પરમાણુ દુર્ઘટના, ભારતમાં ભોપાલનો ગેસ કાંડ અને હાલમાં મેક્સિકોની ખાડીમાં થઈ રહેલો ક્રૂડ ઓઈલનો રિસાવ તેના ઉદાહરણો છે. આગની સાથે રમવા માટે આગની જેટલી નજીક જવામાં આવશે તેટલું આગ દઝાડશે.

હાલના વિકાસના માપદંડોનો વિચાર કરીએ વિશ્વના તમામ દેશો ધન-દોલત પાછળ દોડી રહ્યાં છે. તેમની દોડ અમીર બનવાની છે. વૈશ્વિક સલાહકાર ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના 10મા વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે 2009થી 2014ના અંત સુધી સંપત્તિ બનાવવાના મામલામાં ભારત અને ચીનનો વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ ત્રણ ગણી રહેશે. 2009માં વૈશ્વિક સંપત્તિઓ ઉલ્લેખનીય 11.5 ટકાના વધારા સાથે 1,11,500 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આટલી બધી અધધ સંપત્તિ છતાં વિશ્વમાં ગરીબી, ભૂખમરી, આતંકવાદ, અશાંતિ જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે આમ કેમ થઈ રહ્યું છે? તેના કારણો ઘણાં છે. પરંતુ સૌથી મોટું કારણ છે કે આ સંપત્તિનો મોટો ભાગ અમેરીકા સહીતના વિકસિત દેશો પાસે છે. આ વિકસિત દેશો પોતાના દેશના પર્યાવરણનું સારી રીતે ધ્યાન રાખે છે. પોતાના દેશનું પર્યાવરણ કોઈપણ રીતે બાધિત ન બને તેના માટે ગ્લોબલ વોર્મિંગ જેવા સંમેલનોમાં ભારત અને ચીન જેવા દેશો પર કાર્બન એમિશન મુદ્દે દબાણ પણ લાવે છે. પોતાના દેશમાં પ્રતિબંધિત હોય તેવા ઉત્પાદનો તેઓ અન્ય વિકાસશીલ કે અવિકસિત દેશોમાં કંપની નાખીને કરે છે.

વિશ્વમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ પ્રમાણે, 149 દેશોમાં ભારતનો ક્રમ 128મો આવે છે. ગત વર્ષે તેનો ક્રમ 122મા ક્રમે હતું અને 2007માં ભારત શાંતિની બાબતમાં 109મા ક્રમે હતું. આમ ભારત આતંકવાદ, નક્સલવાદ અને અન્ય જીવન સામેના જોખમોને કારણે શાંતિથી અશાંતિ તરફ ગતિ કરી રહ્યું હોવાની વાત આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિકસ અને પીસ (આઇઇપી) દ્વારા વિશ્વના ૧૪૯ દેશોમાં આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, ત્રાસવાદ અને માનવ અધિકારોનો ભંગ આઇઇપી દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના મુખ્ય પરબિળો હોવાનું જણાવવામાં આવ્યું છે. જીપીઆઇના ચોથા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સતત બીજા વર્ષે વિશ્વમાં શાંતિ ઘટી ગઇ છે. આપણા પડોશી દેશ પાકિસ્તાન શાંતિની બાબતમાં સૌથી અશાંત રહ્યો છે. તેનો ક્રમ 145મો છે.

ત્યારે સવાલ એ છે કે 8થી 9 ટકાના વૃદ્ધિદરથી વિકાસ કરી રહેલા ભારતમાં વિકાસ એટલે કે દેશની સંપત્તિ વધી રહી છે. પરંતુ અશાંતિ વધી રહી છે. ત્યારે દેશમાં આવા વિકાસની બાબતમાં વિચારવું ન જોઈએ કે જેમાં દેશના નાગરીકોને શાંતિ ન મળતી હોય, તેમના જીવનની કોઈ સુરક્ષા ન થઈ હોય ભોપાલ ગેસ કાંડ જેવી ઘટનાઓના ચુકાદા પણ આવી સ્થિતિમાં પીડિતોને દાઝયા પર ડામ દેવાનું કામ કરી રહ્યો છે. ઔદ્યોગિકરણની શરૂઆતના વર્ષોમાં જ ભારતમાં અમેરીકી કંપની યૂનિયન કાર્બાઈડ આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટનાના લગભગ પાંચ-સાત વર્ષ બાદ રાજકીય કટોકટી અને આર્થિક કટોકટી જોઈ હતી. આર્થિક કટોકટી સામે ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી હતી.

નરસિંહરાવના શાસનકાળ દરમિયાન તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહની ગ્રાન્ડ ડિઝાઈન હેઠળ જ ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ભારતમાં અમેરીકા સહીતના દેશોનું વિદેશી રોકાણ વધવા લાગ્યું હતું. ભારતમાં ઔદ્યોગિકરણે પણ વેગ પકડયો હતો. પાણીથી પરમાણુ સુધીના તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરવાની શરૂ કરી દીધી છે. તેવામાં ભોપાલ ગેસ દુર્ઘટનાને કોલ્ડ બોક્સમાં નાખી દેવાય હોય તેવી સંભાવના વધારે છે. કારણ કે જે પ્રકારે ચુકાદાને આવતા 25 વર્ષ લાગ્યા અને જે પ્રકારે અત્યારે એન્ડરસનને ભગાડવામાં અમેરીકી દબાણ અને એન્ડરસનના પ્રત્યાર્પણ મામલે સીબીઆઈની ઢીલી નીતિઓની વાત સામે આવે છે, તે તમામ બાબતો કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

જો ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ સ્વીકાર્યું તેના થોડા સમયમાં જ ભોપાલ ગેસ દુર્ઘટના સંદર્ભે ભારત સરકારે કોઈ કડક વલણ અપનાવ્યું હોત તો જે આઠથી નવ ટકાના વિકાસદરની ગણતરી સરકાર કરી રહી છે. તે થવી કેટલી સંભવ હતી તે તો આકલનનો જ વિષય છે! ત્યારે વિકાસની પરિભાષા અને વિકાસ તરફના દ્રષ્ટિકોણને પણ પુનર્વિચાર કરવાની જરૂર ઉભી થઈ છે. આ સંદર્ભે વિચાર કરવાની અત્યારે આવશ્યકતા છે. કારણ કે ભારતે સમૃદ્ધિ તરફ, વિકાસ તરફ જરૂરથી આગળ વધવું પડશે. ત્યારે સવાલ એ છે કે દેશના નાગરીકોના જીવનના ભોગે તો ભારતને ધન-દોલતના રાહ પર લઈ જવા માટે એટલે કે વિકાસના રસ્તે લઈ જવા માટે દેશના કર્ણધારોએ કોઈ સમજૂતી પરિસ્થિતિ સાથે કે અન્ય દેશ સાથે તો નથી કરી લીધી ને? વળી તેવો હજી પણ આ નીતિને વળગી તો નથી રહ્યાં ને? તે તમામ બાબતોના ખુલાસા દેશની જનતા સામે થવા જરૂરી છે.

પણ તે પણ આપણે યાદ રાખવું પડશે કે માત્ર વૃદ્ધિદરના ગણિતમાં સમાયેલા વિકાસની કોખમાં વિનાશને પણ ગળે લાગાડીને ચાલી રહ્યાં છીએ. જ્યારે અમેરીકા સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પરમાણુ ઊર્જા મેળવવા માટે આપણે ડગ ભરતા હોઈએ ત્યારે ભારતમાં નાગરીકોના જીવનની સુરક્ષા માટે પણ સરકાર સતર્ક બને અને કોઈ જવાબદાર પગલા ભરે તે જરૂરી છે. નાગરીકોના જીવન સામે આતંકવાદ, નક્સલવાદ, બોમ્બ વિસ્ફોટો અને આવી દુર્ઘટનાઓનું જોખમ ઓછું થાય તેવા એક્શન પ્લાન સાથે સરકારે હવે સામે આવવાનો વખત આવી ગયો છે.

No comments:

Post a Comment