Friday, May 27, 2011

ગાંધીની આંધી સમજો, તોફાનોમાંથી પાર પડશો!

મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ કે જેનું જીવન જ સંદેશ છે. પરંતુ આ સંદેશને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. બાપુએ બતાવેલો સત્યાગ્રહના રસ્તે ચાલવા માટે આપણે તૈયાર છીએ? સત્યાગ્રહ માટે દ્રઢનિશ્ચયી છીએ? બાપુએ એક વાત શિખવાડી છે કે સત્યાગ્રહ કરવાનો પણ તે અહિંસકપણે કરવાનો. જ્યારે સત્યાગ્રહ કરીએ ત્યારે હિંસાને કેવી રીતે સ્થાન આપી શકાય?

વળી તે સત્યાગ્રહ આપણા લોકો સામે હોય કે આપણા લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા સામે હોય, ત્યારે તો હિંસાનો સહારો કેવી રીતે લઈ શકાય? ભારતમાં બ્રિટિશ શાસન હતું, પરંતુ તે બ્રિટિશરોના નામે કંપનીના નામે, તાજના નામે તેને અમલમાં મુકાવનારા તો ભારતીયો જ હતા. ભારતીયો જ અંગ્રેજી સત્તાને ચલાવવાની વ્યવસ્થાના ભાગ હતા. ત્યારે તેવા વખતે સ્વતંત્રતા, સ્વરાજ્યનો સત્યાગ્રહ હિંસક બન્યો હોત, તો તેમા મરનાર અંગ્રેજ ન હોત. અવશ્ય તેમાં મરનારા બ્રિટિશ શાસન વ્યવસ્થાના ભાગ બનેલા ભારતીયો હોત અને તે હિંસા ભારતીયોની હિંસાનું કારણ બનત. આપણાં દેશ ભારતનું સ્વરાજ્ય અને સ્વતંત્રતા ભારતીયોના લોહી વહેવડાવીને મળત, તો તેનાથી ભારતની માતાઓ, અરે ભારતમાતા જ તો દુ: ખી થાત.

ભારતીયો સત્યાગ્રહનો આગ્રહ રાખે, તે જરૂરી છે. પરંતુ તેના માટે કોઈ હિંસક માર્ગ અપનાવે પોતાના લોકો સામે તે સર્વથા અનિચ્છનીય બાબત છે. હિંસાથી આ દુનિયાની સમસ્યાઓનું સમાધાન થયું હોય, તેવા ઉદાહરણો ઘણાં ઓછાં હશે. આમ તો હિંસા પોતે જ એક નવી ન ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ત્યારે એક સમસ્યા બીજી સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે? હવે દેશ-દુનિયા મધ્યયુગીન બર્બર માનસિકતામાંથી બહાર આવી રહી છે. આપણે હિંસાને પાછળ છોડીને આગળ વધી ગયા છીએ.
વિશ્વમાં બે વિશ્વ યુદ્ધો થયા છે. ભીષણ વિશ્વ યુદ્ધો બાદ કહેવાતું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ હવે નજીકમાં જ છે. પરંતુ હજી સુધી ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તેવી કોઈ ઠોસ શક્યતાઓ બની નથી. તેની સામે વિશ્વના દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો યુદ્ધોને ટાળવા અને શાંતિની સ્થાપના માટે પ્રયત્નશીલ છે. આવા લોકોના પથદર્શક તરીકે ગાંધીજીના વિચારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામાના પ્રેરક પુરુષોમાંના એક છે.

જો કે ગાંધીજીના સત્યાગ્રહને ખોટી રીતે સમજવામાં આવ્યો છે, તેવી જ રીતે તેમની અહિંસાને પણ ખોટી રીતે સમજવામાં આવી છે. કમજોર નબળાં માણસની અહિંસા અને સબળા, શક્તિશાળી વ્યક્તિની અહિંસામાં ઘણું અંતર છે. કમજોર અને નબળાં માણસ માટે અહિંસા એક મજબૂરી છે. જ્યારે શક્તિશાળી અને સબળા લોકો અહિંસાને ધારણ કરે છે, ત્યારે તે તેમનું વ્રત છે. ગાંધીજીએ જ્યારે અહિંસા ધારણ કરી હતી, ત્યારે તેઓ ભારતની અંદર તે ઈચ્છત તેવું આંદોલન કરી શકત. લોકો તેમના કહેવા પર કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે પણ તૈયાર હતા. વળી 1857માં પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ દ્વારા ભારતીય ક્રાંતિકારીઓ સાબિત કરી ચુક્યા હતા કે તેઓ અંગ્રેજોના શાસનને પડકારી શકે છે. પરંતુ ગાંધીજીએ તે રસ્તો પસંદ ન કર્યો.

ગાંધીજીએ સત્યાગ્રહનો રસ્તો પસંદ કર્યો પણ તે રસ્તો અહિંસાના માર્ગ પર આગળ વધ્યો. આ જે અહિંસા હતી, તે એક સબળ રાષ્ટ્રની અહિંસા હતી. આ અહિંસાએ આપદ્જનોની હિંસાથી દેશને બચાવ્યો છે. ત્યારે ભારતમાં 1920 બાદ મહદઅંશે ભારતીય સ્વતંત્રતા આંદોલન અહિંસક રીતે ગાંધીજીના માર્ગદર્શન નીચે ચાલ્યું હતું. તેનાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. પરંતુ ગાંધીજીનો અહિંસાનો રસ્તો નબળાં વ્યક્તિત્વની અહિંસા ન હતી, તેમના અહિંસક વિરોધમાં સત્યાગ્રહ હતો. થોપી દેવાયેલી ખોટી વ્યવસ્થાનો વિરોધ ગાંધીની અહિંસામાં હતો. એટલે આ અહિંસા કમજોર હોવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

પરંતુ અત્યારે આતંકવાદીઓ, નક્સલવાદીઓ અને અન્ય અસંતુષ્ટ તથા નારાજ લોકો દેશમાં કોઈ તેમના અનુકૂળ પરિવર્તન માટે હિંસાનો વત્તા-ઓછાં પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ તેમની હિંસાનો ભોગ તેઓ જેમના માટે નવા અનુકૂળ પરિવર્તનો કરવા માંગે છે, તેવા જ લોકો તેનો ભોગ પણ બની રહ્યાં છે. ત્યારે આ હિંસાના ગર્ભમાં કોઈપણ પ્રકારનું સુખ છુપાયેલું ન હોઈ શકે. આ હિંસામાં માત્ર બરબાદી જ છુપાયેલી છે. દરેક ક્રાંતિ હિંસાથી જ થાય, તેવી કોઈ વાસ્તવિકતા નથી. ક્રાંતિ હિંસા વગર પણ થઈ શકે છે. ક્રાંતિ શાંતિ માટે હોવી જોઈએ. ક્રાંતિ સુખ-સમૃદ્ધિ માટે હોવી જોઈએ. ક્રાંતિનો રસ્તો શાંતિમાંથી પણ પસાર થઈ શકે છે.

મનુષ્યત્વની અપરિપક્વતા હિંસાને જન્મ આપે છે. જો પરિપક્વતા ક્રાંતિનું કારણ બને તો તે અવશ્ય બુદ્ધના રસ્તે ચાલશે, મહાવીરના રસ્તે ચાલશે, ગાંધીના રસ્તે ચાલશે. ગાંધીનો રસ્તો ભારતીયોને પરિપક્વતા તરફ લઈ જવાનો હાલમાં ઉપલબ્ધ એકમાત્ર રસ્તો છે. મુનષ્યત્વની પરિપક્વતાના પરિપાકરૂપ ગાંધીના અહિંસક સત્યાગ્રહોએ આ દેશને નવો રાહ ચિંધ્યો છે. પરંતુ આ દેશમાં ત્યારે ત્યારે હિંસા થઈ છે કે જ્યારે આ દેશની પરિપક્વતાએ ગાંધીના અહિંસક સત્યાગ્રહનો આગ્રહ છોડી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ જાહેર કર્યો છે. ત્યારે એક વાત સમજવી પડશે કે ગાંધીનો સંદેશ સત્યાગ્રહ છોડવાનો નથી. સત્યાગ્રહ માટે હિંસાને છોડવાનો છે, અહિંસક સત્યાગ્રહ કરવાનો છે.

ભારત હાલ પણ ઘણાં બધાં સામાજીક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતને આવા હજી પણ ઘણાં પરિવર્તનોની જરૂર છે. તેના માટે સત્યાગ્રહી નેતૃત્વની જરૂર છે. જો કે ગાંધીજીના સત્યાગ્રહી નેતૃત્વનો હાલના નેતાગણમાં કોઈ અંશ દેખાતો નથી અને જ્યારે આવા નેતાઓ ગાંધીજીના સિંદ્ધાંતની વાતો કરતાં હોય છે, ત્યારે તેઓ અત્યંત હાસ્યાસ્પદ લાગે છે.

આવા હાસ્યાસ્પદ કાર્ટૂનછાપોથી બચીને ગાંધીજીને દિલથી સમજીશું તો ભારતની કોઈપણ સમસ્યા સંદર્ભેની પ્રતિક્રિયા એક પરિપક્વ રાષ્ટ્રની પ્રતિક્રિયા હશે. હાલમાં અયોધ્યા વિવાદના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ આવા જ કેટલાંક નેતાઓએ રાજકારણ ગરમ કરવાની કોશિશ કરી છે. પરંતુ પ્રજા હજી સુધી તો પરિપક્વતાનો પરિચય આપી રહી છે. ખરેખર ગાંધી જયંતિના દિવસે ગાંધીના સંદેશને વાસ્તવિકરૂપ આપ્યું હોય, તો આ ભારતવાસીઓ જ આપ્યું છે. તેમણે સાબિત કર્યું છે કે તેમની સમસ્યા ઉકેલવા કરતાં તેમાં વધારો કરનારા કાર્ટૂનછાપ નેતાઓની હવે તેમને જરૂર નથી.

વાચકમિત્રો ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ અને તેમના સિદ્ધાંતો હજી પણ આપણું માર્ગદર્શન કરી શકશે, તેવું આપને લાગે છે. તમે શું માનો છો? આપ આપનો અભિપ્રાય નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને મોકલી શકો છો......

No comments:

Post a Comment