-આનંદ શુક્લસેક્યુલર દેખાવાની ફેશનની ચરમસીમા એટલે મુસ્લિમ તુષ્ટિકરણ. ભારતમાં સેક્યુલર દેખાવું રાજકીય ક્ષેત્રની બહુ મોટી ફેશન છે. સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ભારતના નસીબમાં મહાત્મા ગાંધીના સમયથી અમલમાં આવી છે. ભારતનું રાષ્ટ્રવાદી આંદોલન અને આઝાદ ભારતમાં હિંદુત્વનું આંદોલન બધું મુસ્લિમ તુષ્ટિકરણના ભમ્મરિયા વમળમાં ફસાઈને ડૂબી રહ્યું છે. હિંદુ હ્રદય સમ્રાટો મુસ્લિમ દિલોના શહેનશાહ બનીને સેક્યુલર દેખાવા માટે વલખાં મારી રહ્યાં છે. મહાત્મા ગાંધીની મુસ્લિમ તુષ્ટિકરણની દેશવિભાજનની નીતિનો સીધો વારસો કોંગ્રેસને મળ્યો હતો. તેની સામે જસ્ટિસ ફોર ઓલ, અપીઝમેન્ટ ફોર નન-ના સૂત્ર સાથે ભાજપ હિંદુત્વવાદી આંદોલનની રાજકીય અભિવ્યક્તિ તરીકે મેદાનમાં આવ્યું. ત્યારે દેશની જનતાને આશા હતી કે ભારત મુસ્લિમ તુષ્ટિકરણની પાકિસ્તાનનું પાપ પેદા કરનારી ઘાતક નીતિની અંતિમ ક્રિયા કરીને પ્રગતિના પંથે આગળ વધશે. પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. જેના કારણે લોકોને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ અને ભાજપ કોંગ્રેસ બની ગઈ છે. લોકશાહીમાં ધર્મના નામે તુષ્ટિકરણ કરવાની વોટબેંકની રાજનીતિ ઘણી ખતરનાક હોય છે. ભારતે આઝાદીના 64 વર્ષોમાં આ બધી વાતો અનુભવી છે. પરંતુ તેમ છતાં ભારતના રાજકીય પક્ષો મુસ્લિમ તુષ્ટિકરણનો રસ્તો છોડવા માટે તૈયાર નથી.
મુસ્લિમ તુષ્ટિકરણનું નામ પડે અને કોંગ્રેસ સામે આવતી હોય છે. પરંતુ હકીકતમાં મુસ્લિમ તુષ્ટિકરણની બાબતમાં ભાજપનો ચહેરો પણ કોંગ્રેસ જેટલો જ ખતરનાક છે. ભાજપ દ્વારા થયેલા મુસ્લિમ તુષ્ટિકરણની વાતો ધ્યાને લઈએ તો લાગે કે તેનું હિંદુત્વ બેહદ માટીપગુ છે. 1989માં હિંદુત્વ અને રામજન્મભૂમિ આંદોલનના સમયગાળામાં ભાજપના નેતાઓને હિંદુ નેતાઓ તરીકે મીડિયામાં ઉલ્લેખિત કરવામાં આવતા હતા, તો તેમની છાતી ગજગજ ફૂલતી હતી. પરંતુ હાલ એલ. કે. અડવાણી અને નરેન્દ્ર મોદી સહીતના હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની લોકલાગણી પામી ચુકેલા નેતાઓ પોતાની સેક્યુલર ઈમેજ ચમકાવા માટે તત્પર છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓની સભામાં મુસ્લિમ બેઠો હોય, તો તેને તાત્કાલિક સભા સ્થળેથી જતા રહેવા માટે મંચ પરથી કહેવામાં આવતું હતું. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે, ભાજપ તાજેતરની દરેક ચૂંટણીમાં પોતાને મુસ્લિમોનો ટેકો મળ્યો હોવાની વાત કરીને મુસ્લિમ મતોનો હિસાબ-કિતાબ કરે છે. ભાજપની હિંદુત્વથી સેક્યુલારિઝમ તરફની યાત્રા મુસ્લિમ તુષ્ટિકરણ નામના માર્ગ પરથી પસાર થઈ રહી છે.
1990માં રામરથ યાત્રા દ્વારા દેશ આખામાં રામ લહેર ઉભી કરનારા અડવાણીને પણ હિંદુત્વવાદી નેતા તરીકેની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરવી પડી છે. અડવાણીએ પાકિસ્તાનની અઘોષિત સેક્યુલર યાત્રા દરમિયાન પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદ અલી ઝીણાની મજાર પર ચાદર ચઢાવી હતી. અડવાણી પહેલા પાકિસ્તાનની યાત્રાએ ગયેલો કોઈપણ ભારતીય નેતા ઝીણાની મજાર પર માથું ટેકવવા ગયો ન હતો. અડવાણી પહેલા ભારતના કોઈપણ નેતાએ મિનારે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. અડવાણી પોતાની અઘોષિત સેક્યુલર યાત્રામાં વધુ બેફામ બનીને બોલ્યા હતા કે બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો સૌથી વધારે દુ:ખદ દિવસ હતો. પાકિસ્તાનની ધરતી પર રામરથ યાત્રાના નાયકે ખલનાયક બનીને 6 ડિસેમ્બર,1992ના રોજ ધ્વસ્ત થયેલા બાબરી ઢાંચાની ઘટના સંદર્ભે ખેદ વ્યક્ત કર્યો હતો. અડવાણીએ તેનાથી પણ મોટી ગુસ્તાખી કરી કે પાકિસ્તાનની રચના માટે જવાબદાર મુસ્લિમ કોમવાદી નીતિઓના કટ્ટર પ્રણેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર કહ્યાં. અડવાણી 1992થી તેમની અઘોષિત સેક્યુલર પાકિસ્તાન યાત્રા સુધી હિંદુત્વના પોસ્ટર બોય હતા. પરંતુ તેમને હિંદુત્વનું લેબલ ખૂંચતું હોય તેમ સેક્યુલર દેખાવા માટે વિચારધારાના મૂળ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને ભારતના લોકોની લાગણીને દરકિનાર કરીને વિવાદાસ્પદ સેક્યુલર લાગતા મુસ્લિમ તુષ્ટિકરણના વાસ્તવિક નિવેદનો કર્યા. આ પ્રયત્ન પાછળ એનડીએમાં અન્ય પક્ષોમાં પોતાની સ્વીકૃતિ વધારવા માટેની કવાયત હોવાની વાતો સમીક્ષકો કરતાં રહ્યાં છે.
પરંતુ હિંદુત્વના સર્વોચ્ચ નેતાનું સમ્માન પામી ચુકેલા અડવાણી તેમની અઘોષિત સેક્યુલર યાત્રાના પરિણામે પક્ષમાં મોટું રાજકીય કદ ધરાવતા હોવા છતાં પ્રજા સામે વામણાં થઈ ગયા છે. તેની સાબિતી તરીકે અડવાણીની ત્યાર બાદની યાત્રાઓને મળેલો પ્રતિસાદ છે. અડવાણીએ જુદાંજુદાં નામે રથયાત્રાઓ કાઢી પરંતુ તેમણે પ્રાયશ્ચિત યાત્રા કાઢી નહીં. તેના કારણે અડવાણીની પાકિસ્તાન યાત્રા પછીની તમામ રથયાત્રાઓ ફ્લોપ શો સાબિત થઈ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર અને સ્વચ્છ શાસનના મુદ્દે અડવાણીએ નવી રથયાત્રાની જાહેરાત કરી છે. જોવો તેમાં અડવાણી સાથે ભાજપના કાર્યકર્તા સિવાય કેટલાં પ્રમાણમાં લોકો એકઠા થઈને સાથ આપે છે? જો અડવાણીની નવી રથયાત્રા ફ્લોપ જાય, તો તેમણે હિંદુત્વની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરીને નકામા નિવેદનો આપવા બદલ પ્રાયશ્ચિત યાત્રા કરવી જોઈએ. કદાચ અડવાણીની પ્રાયશ્ચિત યાત્રામાં લોકો ઘણાં મોટા પ્રમાણમાં જોડાશે, કારણ કે હિંદુ પ્રજા પ્રાયશ્ચિત કરનારને માફ કરતી આવી છે. તેમની માનસિકતામાં હજી કોઈ ફેરફાર નહીં થયો હોય, તો બની શકે કે અડવાણીને પણ માફ કરી દે. અડવાણી માટે એક બીજી મહત્વની વાત છે કે ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના 1993ના વર્ષમાં કરવામાં આવી છે. પણ ઘણાં લોકોને ખબર નહીં હોય કે જનતા પાર્ટીની મોરારજી દેસાઈના નેતૃત્વવાળી સરકાર વખતે અડવાણીએ જ રાષ્ટ્રીય લઘુમતી પંચ જેવો વિચાર વહેતો મુક્યો હતો અને તેનાથી ત્યારના ઘણાં નેતાઓ ચિંતિત હતા.
1984માં ભાજપને લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી. ત્યાર બાદ રામજન્મભૂમિ આંદોલનના પરિણામે ભાજપ કોંગ્રેસને ટક્કર આપવાની સ્થિતિમાં આવ્યો. 1996, 1997 અને 1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર પણ રચી. પરંતુ હિંદુ વોટબેંક ઉભી કરીને તેના આધારે તે સમયે સૌથી વધારે બેઠકો મેળવનારા ભાજપે વાજપેયીની સેક્યુલર ઈમેજને કારણે તેમને વડાપ્રધાન તરીકે આગળ કર્યા. લોકોની લાગણી અને માગણી હતી કે હિંદુત્વના રામરથ પર સવાર થયેલા ભાજપના મહારથી એલ. કે. અડવાણીને વડાપ્રધાન બનાવવામાં આવે. પરંતુ ભાજપે અડવાણીની કટ્ટર હિંદુત્વવાદી નેતાની છાપ હોવાને કારણે વાજપેયીની સેક્યુલર છબીને આગળ કરીને અન્ય કોંગ્રેસ વિરોધી રાજકીય પક્ષોનો ટેકો મેળવીને સરકાર બનાવી. 1996માં 13 દિવસની સરકાર બનાવી. 1997માં 13 માસની સરકાર બનાવી અને ત્યાર બાદ 1998માં પાંચ વર્ષની ટર્મ સુધી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ હેઠળ ભાજપે સત્તાસુખનો આસ્વાદ કર્યો. પણ તેના માટે પણ ભાજપે પોતાની મૂળ વિચારધારા હિંદુત્વ સાથે બેહદ શરમજનક સમજૂતીઓ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મંજૂરીથી વિશ્વ હિંદુ પરિષદના વિરોધ છતાં ભાજપે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોમન સિવિલ કોડ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ જેવાં મુસ્લિમોને અણગમતા રાષ્ટ્રીય મુદ્દાઓને કોરાણે મૂક્યા. હા, ટેકનીકલી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાઓ હતા. પરંતુ તેનો કોઈ અર્થ ન હતો.
વાજપેયીએ પરમાણુ પરીક્ષણ બાદ પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. વાજપેયી તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને અમનની કવિતા સંભળાવા માટે વિશેષ તૈયારીઓ સાથે દિલ્હીથી બસ દ્વારા લાહોર પહોંચ્યા હતા. વાજપેયી એક તરફ લાહોર બસયાત્રા કરી રહ્યાં હતા અને બીજી તરફ પાકિસ્તાનની સેના કારગીલમાં ઘૂસણખોરી કરી રહી હતી. કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાની નામોશીભરી હાર બાદ જનરલ પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને શરીફને ભગાડી મૂક્યા હતા. તેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય જનરલ પરવેઝ મુશર્રફના રાષ્ટ્રપતિપદે આસિન થવાથી બેહદ નારાજ હતો. પરંતુ વાજપેયી ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સાથે કૂણી લાગણી દર્શાવીને પોતાના પક્ષની કટ્ટરપંથી હિંદુત્વવાદીની છબી સુધારવા માગતા હતા. તેના કારણે વાજપેયીએ જનરલ મુશર્રફને આગ્રા શાંતિવાર્તા માટે પણ આમંત્ર્યા. દેશમાં પાકિસ્તાન સાથે શાંતિવાર્તાથી જાણે કે નવો ઈતિહાસ રચાવાનો હોય તેવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. ભાજપના મોટા ગજાના દિગ્ગજ નેતાઓ નમસ્કારની ભારતીય પરંપરા છોડીને મુશર્રફને વાંકા વળીને સલામ કરવા લાગેલા. જનરલ મુશર્રફને ભારતમાં બોલાવીને વાજપેયીએ તેમને રાષ્ટ્રપતિ મુશર્રફ કહીને માન્યતા આપી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમ કરવા માટે પ્રેરીત કર્યો હતો. જો કે જનરલ મુશર્રફની આડોડાઈને કારણે આગ્રા સમિટનો ફિયાસ્કો થયો હતો.
જો કે તેમ છતાં પોતાના પક્ષની મુસ્લિમ વિરોધી છબી ભૂંસવા માટે વાજપેયીએ પાકિસ્તાન સાથે શાંતિવાર્તા અને કોમ્પોઝિટ ડાયલોગ-પીપલ ટુ પીપલ કોન્ટેક્ટના નામે નવી રાજનીતિ શરૂ કરી. વિરોધ પક્ષમાં રહીને પાકિસ્તાન સામે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બાબતે કોંગ્રેસની સરકારને સંસદમાં બેનકાબ કરનારા ભાજપના નેતા વાજપેયી વડાપ્રધાન પદે રહીને પાકિસ્તાન સામે બિનજરૂરી ઢીલું વલણ દાખવી રહ્યાં હતા. જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ સાથે વાજપેયી સરકારે એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તો પાકિસ્તાન સાથે પણ એલઓસી પર યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. ભારતમાં એનડીએની સરકાર આતંકવાદ સંદર્ભે ઝીરો ટોલરન્સની નીતિઓની વાત કરતી રહી અને બીજી તરફ દેશભરમાં ઈસ્લામિક આતંકવાદીઓ હુમલા કરતાં રહ્યાં. જમ્મુ-કાશ્મીરની વિધાનસભા, જમ્મુની સૈનિક છાવણી, રઘુનાથ ટેમ્પલ, મુંબઈ, દિલ્હી, ભારતની સંસદ સહીતના મહત્વના સ્થાનો આતંકી હુમલાનો ભોગ બન્યા. ભારતની સંસદ પર હુમલાના નિષ્ફળ પ્રયાસની ઘટના બાદ વાજપેયીએ આરપારની લડાઈની વાત કરી હતી. પરંતુ વાજપેયી લશ્કરને સરહદે મોકલીને પોતે મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા હતા. ભાજપની આતંકવાદ, પાકિસ્તાન અને મુસ્લિમો માટેની નીતિ બેહદ નિરાશાજનક રહી છે.
કારગીલ બાદ કંદહાર વિમાન અપહરણ કાંડ સામે આવ્યો. આ વિમાન અપહરણ કાંડે ભાજપના નેતાઓને વધારે ખુલ્લા પાડયા. જૈશે મહોમ્મદના અઝહર મસૂદ સહીતના ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની માગણી સાથે તાલિબાનના નિયંત્રણવાળા કંદહાર ખાતે પાકિસ્તાની અપહરણકારો વિમાન સાથે પહોંચ્યા હતા. ભારતના તત્કાલિન વિદેશ મંત્રી જસવંત સિંહ ત્રણેય આતંકવાદીઓ અને આક્ષેપ કરવામાં આવે છે કે કરોડો ડોલરો સાથે કંદહાર વળાવિયા તરીકે ગયા હતા. આજે પણ વાજપેયીના શાસનકાળના કાળા પાનાઓમાંનું એક કાળું પાનું કંદહાર કાંડ છે. દેશ માટે એ શરમજનક દિવસ હતો, પણ ભાજપ માટે તો જાણે તે ગૌરવ દિન હોય, તેવો માહોલ ત્યારે ભાજપમાં જોવા મળ્યો હતો. કંદહાર કાંડમાં વાજપેયી સરકારે 126 વિમાનયાત્રીઓને છોડાવીને આખો દેશ આતંકવાદીઓના હવાલે કરી દીધો.
આ સિવાય 2002માં 27મી ફેબ્રુઆરીઓ ગોધરા જંકશને સિગ્નલ ફળિયા પાસે મુસ્લિમ કટ્ટરપંથીઓના ટોળાએ અયોધ્યાથી આવી રહેલા રામસેવકો પર હુમલો કરીને ત્રણ કોચ સળગાવી દીધા હતા. તેમાં એસ-6 નામના કોચમાં 57 જેટલાં રામસેવકો બળીને વીરગતિ પામ્યા હતા. આઝાદ ભારતમાં મુસ્લિમો દ્વારા હિંદુઓને ટ્રેનમાં સામૂહિક રીતે સળગાવી દેવાની ઘટના ગોધરાકાંડના રૂપે પહેલી હતી. પરંતુ તેમ છતાં વડાપ્રધાન વાજપેયીએ ગોધરાકાંડ સંદર્ભે ઘણું ઓછું કહ્યું અને તેઓ પોતે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાતે આવ્યા નહીં. ગોધરાકાંડ પછીના રમખાણોમાં મુસ્લિમો ભોગ બન્યા, ત્યારે અન્ય દેશોમાં શું મોઢું બતાવીશની વ્યથા સાથે અમદાવાદ ખાતે વાજપેયી દોડી આવ્યા હતા. તેમણે અમદાવાદમાં આવીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી. વાજપેયી જે કરી રહ્યાં હતા, તે ભાજપની નીતિ પ્રમાણે કરી રહ્યાં હતા.
ભાજપના વરિષ્ઠ નેતા વાજપેયીના વડાપ્રધાન પદે રહેતા તત્કાલિન કેન્દ્ર સરકારે મુસ્લિમોની બહુમતી ધરાવતા બાંગ્લાદેશની દાદાગીરી સામે પણ પીછેહઠ કરી હતી. બાંગ્લાદેશી સેનાએ બીએસએફના 17 જવાનોની નિર્મમ હત્યા કરી હતી. તેની સામે વાજપેયી સરકાર માત્ર નિવેદનો કરવાથી સંતુષ્ટ થઈ. આશ્ચર્યજનક રીતે બાંગ્લાદેશ સામે વાજપેયી સરકારે કોઈ કડક પગલાં લીધા નહીં. વાજપેયીએ બે લાખ ઉર્દૂ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી. અટલ-અડવાણીએ મુસ્લિમોને ખુશ કરવા માટે કેસરી સાફાની જગ્યાએ લીલા સાફા પહેર્યા. હજયાત્રાનો ક્વોટા અને સબસિડી વધારવા માટે મુસ્લિમોને દાણા પણ નાખ્યા. પાકિસ્તાન સાથેની વીઝા નીતિને ઢીલી કરીને દેશની સુરક્ષાને તાક પર પણ મૂકી.
દેશમાં મુસ્લિમોની હાલત જાણવા માટે યુપીએ-1 સરકારે સચ્ચર સમિતિ બનાવી. તેની સામે ભાજપે દેશવ્યાપી વિરોધ કર્યો. પરંતુ આ જ સચ્ચર સમિતિના અહેવાલના આધારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં પ્રચાર કરી રહ્યાં છે કે સચ્ચર સમિતિનો અહેવાલ કહે છે કે આખા ભારતમાં ગુજરાતના મુસ્લિમો સુખી છે અને સારી સ્થિતિમાં છે. સચ્ચર સમિતિ સંદર્ભેના ભાજપના આવા બેવડાં ધોરણો તેની મુસ્લિમોના પ્રેમને પામવાની અદમ્ય ઉત્કંઠાને દર્શાવી રહ્યાં છે.
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવાં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકનો ભાજપને સેક્યુલર દેખાડવાની લ્હાયમાં ઉપયોગ કરતાં વાજપેયી સહીતના ભાજપી નેતાઓ શરમાયા ન હતા. ભાજપનો એવો પણ દાવો છે કે તેઓ કેન્દ્રમાં સત્તારુઢ થયા તે દરમિયાન મુસ્લિમ લઘુમતીઓના હિતો માટે મહત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યા છે. ભારતીય મુસ્લિમ રાજનીતિમાં પોતાની મહત્વની ઓળખ રાખનારા આરિફ મોહમ્મદ ખાન અને નજમા હેપતુલ્લા જેવાં નેતાઓને ભાજપ દ્વારા પોતાની પાર્ટીમાં લાલ જાજમ પાથરીને આમંત્રિત કરાયા. ભાજપે જ પોતાના શાસનકાળમાં હજયાત્રીઓ માટે ઘણાં સ્થાનોથી વિશેષ વિમાનોની વ્યવસ્થા કરી હતી.
બે દશકોથી લખનૌમાં બંધ પડેલા ઐતિહાસિક મહોરમના જુલૂસને ઉત્તર પ્રદેશની તત્કાલિન ભાજપ સરકારે જ ફરીથી શરૂ કર્યું હતું. ભાજપ દ્વારા ઈસ્લામી વિદ્વાન મૌલાના વહીદુદ્દીનને પદ્મશ્રીથી નવાજમાં આવ્યા, ત્યાર બાદ ભાજપ માટે વોટ માંગવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. બશીર બદ્ર જેવાં કટ્ટરવાદી શાયરને ભાજપ દ્વારા મધ્ય પ્રદેશ ઉર્દૂ એકેડેમીના સચિવ બનાવાયા. તે વખતે અટલ હિમાયતી કમિટી નામે એક મુસ્લિમ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું અને તેને મુસ્લિમ વિસ્તારોમાં મોકલીને ભાજપ માટે વોટ માંગવાનું કામ સોંપવામાં આવ્યું. ભાજપના વાજપેયી અને અડવાણી જેવાં વરિષ્ઠ નેતાઓને રોજા-ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરતાં અને તેમાં ભાગ લેતા દેખાડવા માટે વિશેષ પ્રચાર વ્યવસ્થા કરાતી હતી. ભાજપે પાર્ટીમાં લઘુમતી મોરચો આખરે ક્યાં ઉદેશ્યથી ખોલ્યો છે? બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી વારંવાર એ નિવેદન આપે છે કે બિહારમાં મુસ્લિમ હિતોને ધ્યાનમાં રાખીને એનડીએ સરકારે લાલુ-રાબડી સરકારોથી વધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે, તો આનો અર્થ શું કરવો?
કર્ણાટક જેવાં ભાજપ શાસિત રાજ્યમાં હિંદુ મંદિરો અને ધર્મસ્થાનોનો વહીવટ રાજ્ય સરકારે પોતાને હસ્તક લઈ લીધો છે. આવા મંદિરો અને ધર્મસ્થાનોમાં હિંદુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા દાનનો ઉપયોગ હજની સબસિડી અને મદરેસાઓની પાછળ પણ કરવામાં આવ્યો છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ મંદિરો અને હિંદુ ધર્મસ્થાનો-ટ્રસ્ટોનો વહીવટ સરકાર પોતાને હસ્તક કરવા માટે પ્રયત્ન કરી રહી છે. હિંદુ મંદિરો અને ધર્મસ્થાનો સરકારી વહીવટ નીચે ન જવા દેવા ક્યારેક ભાજપનો મુદ્દો રહ્યો છે. તેની સામે મુસ્લિમોના ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પોતાને હસ્તક કરવાની સરકારની કોઈ હિંમત નથી.
ગુજરાત જેવાં ભાજપના ગઢ ગણાતા રાજ્યમાં નરેન્દ્ર મોદી જેવાં હિંદુત્વનિષ્ઠ મુખ્યમંત્રી અને ગોહત્યા પ્રતિબંધક કાયદા હોવા છતાં ગોહત્યા થતી હોવાની વાતો તાજેતરમાં અખબારોમાં ખૂબ જોરશોરથી આવી છે. ત્યારે આવી ઘટનાઓમાં એ જાણવું જરૂરી બને છે કે નરેન્દ્ર મોદીની મુસ્લિમોને પોતાની તરફે વાળવાની નીતિ તુષ્ટિકરણ સુધી તો પહોંચી ગઈ નથી ને? જો નરેન્દ્ર મોદી સામે ગોહત્યાના મુદ્દે કોઈ રાજકીય દ્વેષ અને હિતોને ધ્યાનમાં રાખીને મોરચો ખાલાયો હોય તો તે ભારતની રાજનીતિની અધમ કક્ષા જ હશે. પરંતુ જો ગુજરાતમાં ગોહત્યા પ્રતિબંધ કાયદાનો કડકાઈથી અમલ ન થતો હોય, ચોક્કસ માનવું પડે કે મુસ્લિમ તુષ્ટિકરણનો વાઈરસ ગુજરાતમાં પણ ફેલાયો છે.
ગુજરાતની 2007ની વિધાનસભાની ચૂંટણીઓ અને તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને મુસ્લિમોના મતો મળ્યા છે. જો કે હકીકત એ છે કે ભાજપના એકપણ ધારાસભ્ય મુસ્લિમ નથી અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉભાં રાખવામાં આવેલા 12 મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવારને જીત મળી છે. અમદાવાદના જુહાપુરા, જમાલપુર, કાળુપુર, આસ્ટોડિયા, જેવાં મુસ્લિમ પોક્ટસમાં ભાજપને જૂજ વોટ મળ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં મુસ્લિમોના મત મળ્યા હોવાનો પ્રચાર સેક્યુલર દેખાવા મુસ્લિમ તુષ્ટિકરણના માર્ગ પર પદાર્પણ તો નથી ને? થોડા સમય પહેલા અમદાવાદના શરખેજના રોજા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પઠાણી સૂટમાં સજ્જ થઈને પહોંચ્યા હતા. કદાચ હવેના સમયગાળામાં પ્રખર હિંદુત્વવાદી નેતા નરેન્દ્ર મોદી નમાજની ટોપીમાં નજરે પડે તો પણ કોઈ મોટું આશ્ચર્ય નહીં થાય.
તાજેતરમાં બિહારમાં ભાજપ-જેડીયૂએ નીતિશ કુમારના નેતૃત્વમાં ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરી છે. ત્યાં પણ ભાજપે દાવો કર્યો છે કે તેમના ગઠબંધનને મુસ્લિમ મતો મળ્યા છે. જો કે નીતિશ કુમારને મુસ્લિમ મતો મળ્યા હોવાની બાબતમાં તથ્ય છે. પરંતુ ભાજપને મુસ્લિમ મતો મળ્યા હોય અને તેના જોર પર ભાજપ ચૂંટાયો હોય, તો આવા દાવાનો તથ્યાત્મક અભ્યાસ થવો જોઈએ.
આ સિવાય ભાજપના પ્રવક્તા તરીકે ટેલિવિઝનમાં 2002 પછી મુખ્તાર અબ્બાસ નક્વી અને શાહનવાઝ હુસૈન જ વધારે પ્રમાણમાં આવતા રહે છે. ત્યારે ટેલિવિઝન પર પણ ભાજપ મુસ્લિમ ચહેરાઓ સાથે હોવાની વાત દેખાડવા માટે એડી ચોટીનું જોર લગાવતો જ નજરે પડે છે. શું કોઈ મુદ્દાઓની પેરવી કોઈ હિંદુ પ્રવક્તા કરે, તો તેનાથી કોઈ મોટો રાજકીય અનર્થ સર્જાવાનો છે? શું ભાજપની આવી વૃતિ તેના અર્ધચેતન માનસમાં મુસ્લિમ તુષ્ટિકરણના અંકુરને દર્શાવતી નથી?
મહાત્મા ગાંધીના સાચા વારસ કોણ છે, તે આઝાદીના 64 વર્ષે શોધનો વિષય છે. પરંતુ જ્યાં સુધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને લાગે વળગે છે, ત્યાં સુધી ગાંધીની વારસાઈ મેળવવા માટે ભાજપ-કોંગ્રેસ એકબીજા સાથે ગલાકાપ સ્પર્ધામાં છે. હાલના તબક્કે મુસ્લિમ તુષ્ટિકરણના મામલે કોંગ્રેસ ભલે આગળ હોય, પણ ભાજપ પણ કંઈ કમ નથી. દેશના દરેક રાજકીય પક્ષોને મુસ્લિમ તુષ્ટિકરણના વાઈરસનો ચેપ લાગેલો છે. જેના કારણે પોતે સેક્યુલર દેખાવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. દેશમાંથી અંગ્રેજોના ગયા બાદ તેમની જગ્યા ગાંધીના વારસદાર હોવાનો દાવો કરતાં સેક્યુલરોએ લીધી છે, પરંતુ રાષ્ટ્રવાદીઓ તો હજી પણ સામેની બાજુએ જ છે. 1989માં હિંદુત્વવાદી હોવું ગૌરવની વાત હતી, પરંતુ તેના 20-21 વર્ષ બાદ હિંદુત્વવાદી તરીકે માન્યતા પ્રાપ્ત નેતાઓ પણ પોતાની છબી ભૂંસીને સેક્યુલર છબી ઉભી કરવાની પેરવીમાં પડયા છે. ત્યારે દેશના હિંદુઓ માટે ચિંતાનો વિષય છે કે દેશમાં ફરીથી મુસ્લિમ તુષ્ટિકરણના પ્લેગનું વિષચક્ર ફરીથી કોઈ પાકિસ્તાન તો ઉભું નહીં કરે ને? શું હિંદુત્વવાદના ખભે ચઢેલું ભાજપ પણ ભીંત ભુલ્યું છે? શું દેશનો હિંદુ હજી પણ મુસ્લિમ તુષ્ટિકરણના શેતાનના હાથે રંજાડ પામશે?